CIA ALERT

ઇન્ડીયા Archives - Page 201 of 216 - CIA Live

December 27, 2018
airport_authority.jpg
1min5180

કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે.  દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min11650

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6350

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 24, 2018
mainved.jpg
1min17840

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 23, 2018
ganga.jpg
1min17540

ગંગા નદી જે 39 જગ્યાએથી પસાર થઈ રહી છે તેમાંથી ચોમાસા બાદ માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું, એમ સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી)એ હાથ ધરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે.

ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે 41માંથી 37 જગ્યાએ ચોમાસા અગાઉના સમયગાળામાં હળવાંથી લઈને ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું બાયોલોજિકલ વૉટર ક્વૉલિટી અસેસમેન્ટ ઑફ રિવર ગંગા (2017-18)ના સીપીસીબી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કૉર્ટના આદેશને પગલે સીપીસીબી દ્વારા આ અહેવાલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો હતો.

ચોમાસા અગાઉના સમયગાળામાં 41માંથી માત્ર ચાર જ જગ્યાએ ગંગા નદીનું પાણી સ્વચ્છ કે આંશિક પ્રદૂષિત હોવાનું જોવાં મળ્યું હતું તો ચોમાસા બાદ 39માંથી માત્ર એક જ જગ્યાએ ગંગાનું પાણી સ્વચ્ચ જોવા મળ્યું હતું.

ચોમાસા અગાઉ અને બાદ લેવામાં આવેલા ગંગા નદીનાં પાણીનાં નમૂનાઓનું પૃથ્થકરણ કર્યા બાદ તેને ગુણવત્તાની અલગ અલગ પાંચ શ્રેણી (સ્વચ્છ, આંશિક પ્રદૂષિત, હળવું પ્રદૂષિત, ભારે પ્રદૂષિત અને ભયંકર પ્રદૂષિત)માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ચોમાસા અગાઉ 34 જગ્યાએ ગંગાનું પાણી હળવું પ્રદૂષિત તો ત્રણ જગ્યાએ ભયંકર પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની બે ઉપનદી (પાન્ડુ અને વરુણા)ઓ ગંગા નદીમાં પ્રદૂષણ વધારી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ જ્યાંથી પસાર થાય ત્યાં કોઇ પણ જગ્યાએ ભયંકર પ્રદૂષણ જોવા નહોતું મળ્યું.

મોટાભાગનાં સ્થળોએ હળવું પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 23, 2018
morari_bapu-1280x720.jpg
1min8200

ગુજરાતના રામાયણી સંત અને જાણીતા કથાકાર મોરારી બાપુ અયોધ્યામાં ચાલી રહેલી રામકથામાં મુંબઇથી પહોંચેલી કેટલીક સેક્સ વર્કર્સ મહિલાની ઉપસ્થિતિના મુદ્દે અયોધ્યા સમેત ઉત્તર પ્રદેશમાં ભારે વિવાદ થયો છે. યુપીના કેટલાક રાજકીય, સામાજિક નેતાઓએ મોરારી બાપૂ સામે મુખ્યમંત્રી આદિત્યનાથ સુધી ફરીયાદો કરી છે.

એક તરફ મુંબઇથી અયોધ્યા પહોંચેલી સેકસ વર્કર્સ મહિલાઓ પોતાને કાર્યક્રમમાં આમંત્રિત કરાયાને બહુમાન સમજી રહી છે ત્યારે બીજી તરફ દક્ષિણપંથી જુથોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી દીધી. તેમનું કહેવું છે કે તેનાથી અયોધ્યાની છબિ ખરાબ થઈ રહી છે.

મોરારી બાપુએ શનિવારે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મુંબઈથી અયોધ્યા ગયેલી 200 સેક્સ વર્કર્સને પ્રવચન આપ્યું હતુ. તેમણે તુલસીદાસની માનસ ગણિકા સંભળાવી હતી. આ વાત પર ડંડિયા મંદિરનાં મહંત ભારત વ્યાસે વિરોધ કરતા કહ્યું હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સ વર્કર આવતા ખોટો સંદેશ જશે. આ પવિત્ર શહેરમાં શ્રદ્ધાળુઓ પોતાના પાપ ધોવા આવે છે.

જ્યોતિષ શોધ સંસ્થાનાં પ્રમુખ પ્રવીણ શર્માએ સીએમને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, “મે મોરારી બાપુની ફરિયાદ સીએમને કરી છે. જો તેઓ સેક્સ વર્કર્સનાં જીવનમાં બદલાવ ઇચ્છે છે તો તેમને રામકથા પર ખર્ચ કરવાની જગ્યાએ તેમની વચ્ચે પૈસા વહેંચવા જોઇએ.” ધર્મ સેના પ્રમુખ અને બાબરી મસ્જિદ ઘટનાનાં આરોપી સંતોષ દુબેએ કહ્યું કે મોરારી બાપુ શહેરની પવિત્રતા ભ્રષ્ટ કરે છે.

December 22, 2018
gst.jpg
1min5420
  • 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
  • 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
  • ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
  • સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
  • રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18  જીએસટી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.

આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.

જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.

December 22, 2018
rajiv_gandhi-1.jpg
1min10090

૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોને ધ્યાનમાં રાખતાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને એનાયત કરવામાં આવેલો ભારત રત્નનો ઇલકાબ પાછો લેવાની માગણી કરતી દરખાસ્તને દિલ્હીની વિધાનસભાએ મંજૂરી આપી હતી.

AAPના વિધાનસભ્ય જરનૈલ સિંહે રજૂ કરેલી દરખાસ્ત વૉઇસ વોટથી પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દિલ્હીની રાજ્ય સરકારે ગૃહમંત્રાલયને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવવું જોઈએ કે રાષ્ટ્રીય રાજધાનીના ઇતિહાસમાં સૌથી વધારે ક્રૂર હત્યાકાંડના પીડિતો હજી ન્યાયથી વંચિત છે. રાજ્ય સરકારે ડોમેસ્ટિક વાયલન્સના કાયદામાં માનવતાવિરોધી કૃત્યો અને હત્યાકાંડોનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ અને જરૂરી પગલાં લેવાં જોઈએ.’ દિલ્હી હાઈ કોર્ટે સિખવિરોધી રમખાણોના કેસમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમાર તથા અન્યોને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો.

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખવિરોધી રમખાણોના બચાવમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોઈ વિશાળ વટવૃક્ષ તૂટે ત્યારે સ્વાભાવિક રીતે જ આસપાસની જમીન ધ્રૂજે છે. ઇન્દિરાજીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. તેમને ૧૯૯૧માં ભારત રત્નનો ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો હતો. અગાઉ હરિયાણાના આરોગ્યપ્રધાન અનિલ વિજે ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો માટે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારને આજીવન કેદની સજાના ચુકાદાને બિરદાવતાં રાજીવ ગાંધીને મરણોત્તર સજાની માગણી કરી હતી. વિજે એ રમખાણો માટે મરણોત્તર સજારૂપે રાજીવ ગાંધીને આપવામાં આવેલાં સન્માનો, ઇનામો, પારિતોષિકો અને ઇલકાબો પાછાં લેવા અને જે યોજનાઓ, સ્ટેશનો, માર્ગો, વસાહતોને તેમનું નામ આપવામાં આવ્યું હોય એ બધાનાં નામો બદલવાની માગણી કરી હતી.

ખરેખર BJPની B ટીમ દિલ્હી વિધાનસભાએ પસાર કરેલી દરખાસ્ત બદલ કૉન્ગ્રેસે AAP સરકારની ટીકા કરી હતી. કૉન્ગ્રેસના નેતા અજય માકને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીએ દેશ માટે જીવન કુરબાન કર્યું હતું. તેમના માટે આવી માગણી કરવી ગેરવાજબી છે. ખ્ખ્ભ્નો અસલ ચહેરો આ દરખાસ્ત દ્વારા પ્રકાશમાં આવ્યો છે. હું માનતો હતો કે AAP હકીકતમાં BJPની B ટીમ છે. BJPને મદદ કરવા માટે જ AAPએ ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતાર્યા હતા.’

December 22, 2018
vaccine.jpg
1min6450

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 22, 2018
governement_spying.jpg
1min5750

 

  • ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ
  • ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું
  • 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે
  • કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે

સરકારે 10 કેન્દ્રીય તપાસ ઍજન્સીને કોઇપણ કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાની, તેના પર નજર રાખવાની અને તેની સાંકેતિક ભાષા ઉકેલવાની સત્તા આપતો આદેશ શુક્રવારે બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે આ સત્તાનો ગેરકાયદે ઉપયોગ રોકવા આમ કરાયું છે તેમ જ માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારા અને ટૅલિગ્રાફ ઍક્ટમાં સંબંધિત જોગવાઇ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે

નિવેદનમાં જણાવ્યું હતું કે 20મી ડિસેમ્બર 2018ની રાત્રે બહાર પડાયેલા નવા આદેશમાં કોઇ સલામતી કે તપાસ ઍજન્સીને નવી સત્તા નથી અપાઇ. આમ છતાં, વિપક્ષો સરકારના આ પગલાંના વિરોધમાં એકત્ર થયા છે અને તેને જનતાના મૂળભૂત અધિકાર અને ગુપ્તતા ધારાનો ભંગ ગણાવ્યો હતો.

સરકારે બહાર પાડેલા આદેશ મુજબ 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે. આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે.

ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ છે.

તેણે જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાના, તેના પર નજર રાખવાના અને તેની સાંકેતિક માહિતી ઉકેલવાના દરેક કૅસમાં કેન્દ્રના ગૃહ સચિવની કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 4 અને ટૅલિગ્રાફ ઍક્ટની જોગવાઇ મુજબ તપાસ ઍજન્સીઓને આ સત્તા અપાઇ હોવાનો સરકાર દાવો કરે છે.

સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારોના સંબંધિત વિભાગોને પણ 2009ના માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ આ સત્તા અપાઇ જ છે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 22માંની જોગવાઇ મુજબ માહિતી આંતરવાના, નજર રાખવાના કે સાંકેતિક માહિતી ઉકેલવાના બધા કૅસ કૅબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની સમીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવા જરૂરી છે. આ સમિતિની બેઠક દર બે મહિને ઓછામાં ઓછી એક વખત મળવી જોઇએ. રાજ્ય સરકારોના કિસ્સામાં આવા કૅસની સમીક્ષા સંબંધિત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિ કરશે.

ઇન્ટૅલિજન્સ બ્યુરૉ, નાકૉર્ટિક્સ ક્ધટ્રૉલ બ્યુરૉ, એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરેટ, (આવકવેરા વિભાગ માટે) સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ, ડિરૅક્ટરૅટ ઑફ રૅવૅન્યુ ઇન્ટૅલિજન્સ, સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન, નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી, રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ, (જમ્મુ અને કાશ્મીર, ઇશાન ભારત અને આસામના સર્વિસ ઍરિયામાં) ડિરૅક્ટરેટ ઑફ સિગ્નલ ઇન્ટૅલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનર મળીને 10 તપાસ ઍજન્સીને સંબંધિત સત્તા અપાઇ છે.