1 ફેબ્રુઆરીના રોજ સરકાર વચગાળાનું બજેટ જાહેર કરશે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

તાજા સમાચારો મુજબ નરેન્દ્ર મોદી સરકાર આગામી તા. 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ સંસદભવનમાં રજૂ કરશે. આ માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોઇ ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે.
જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી વચગાળાનું એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.
લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.
કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવાર તા.9મી જાન્યુઆરીએ આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.




















