- જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
- જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
- ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
- મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
- કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.
રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.




















