સીબીઆઇના વિવાદીત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાના ફરીથી ચર્ચામાં આવ્યા છે. રાકેશ અસ્થાના હવે ગુજરાતના નવા ડીજીપી બની શકે એવી અટકળોને વેગ મળ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડીજીપી સમેત અનેક ઉચ્ચ અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપા હાઇકમાન્ડની ગુડબુકમાં રહેનારા રાકેશ અસ્થાનાના શિરે ગુજરાતના પોલીસવડાની નવી ભૂમિકાનો તાજ પહેરાવવા માટેની હલચલ શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે જ રાકેશ અસ્થાનાની નિમણૂંક ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના અનુગામી તરીકે થઇ શકે તેમ છે.
ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું. પરંતુ, હવે ગુજરાત સરકાર આ બાબતના મતમાં નહીં હોવાનું પણ જાણવા મળે છે.
ગુજરાત ડીજીપી પદ માટે દાવેદાર તરીકે આશિષ ભાટિયાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ સીબીઆઇના કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાનાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. એવા શક્યતાઓ જોવાય રહી છે કે રાકેશ અસ્થાનાને કેન્દ્રના હાલના ડેપ્યુટશનથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય તો નવાઇ નહીં.





















