21 દિવસના લૉકડાઉન અંગે વડાપ્રધાન શ્રી મોદીની ઘોષણાના તુરંત બાદ સૂરત, શહેર, ગુજરાતભર તેમજ દેશભરમાં લોકોમાં ગભરાટ મચી ગયો અને લોકો પોતપોતાની જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરોની બહાર નીકળી ગયા. દવાની દુકાનો પર તો મોટી મોટી કતારો લાગી જવા પામી હતી.
ગભરાટના માર્યા ખરીદી ન કરવા વડાપ્રધાનની અપીલ
તાબડતોડ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા, સુવિધાઓ, વસ્તુઓ સતત મળતી રહેશે અને તેનો પુરવઠો જારી રહે તે માટે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા કરશે. આમ છતાં લોકો ગભરાટના માર્યા ખરીદી કરવા દોડી આવ્યા હતા.
આ બધું જ પહેલાની જેમ મળતું રહેશે
હોસ્પિટલ્સ અને તેને આનુષંગિક અન્ય સેવા-સુવિધાઓ
કરીયાણું, ખાદ્ય, ફૂડ પ્રોડકટ્સ, ફળફળાદી, શાકભાજી, દૂધ અને તેની બનાવટો
પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે આજે તા.24મીએ રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. કોરોનાની ખતરનાક અસરો અને ફેલાવો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
પીએમે કહ્યું કે દેશને અને દેશના દરેક નાગરિકને બચાવવા માટે આ લોકડાઉન કરાઈ રહ્યું છે. દેશના દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લાને લોકડાઉન કરાઈ રહ્યા છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે, જનતા કર્ફ્યુથી પણ વધુ અને તેનાથી પણ વધુ સખ્ત.
ભારતમાં પણ કોરોના વાયરસના સંક્રમણના જોતા આજ રાત 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યા કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા આજ રાત 12થી સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવશે. એટલે કે આ એક પ્રકારનો કરફ્યુ છે, જે જનતા કરફ્યુથી એક પગલું આગળનો નિર્ણય છે. જેમાં તમામ દેશવાસીઓને તેઓ હાલ જ્યા છે ત્યાં જ રહેવા વડાપ્રધાને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, તમામ લોકો પોતાના ઘરમં જ રહે. જો હાલ આપણી સ્થિતિને નહીં સમજીશું અને અંકુશમાં નહીં લઇશું તો સમગ્ર દેશે તેનું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
આમ છતાં એક-એક ભારતીયોનું જીવન બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક મનપાની સૌથી મોટી પ્રાથમિકતા છે. દેશનું દરેક રાજ્ય, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ, દરેક જિલ્લો, દરેક ગામ, દરેક ગલી અને દરેક મોહલ્લા લોકડાઉન થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોરોનાની ભયાવહતા વિષે જણાવતા કહ્યું કે છેલ્લા 2 મહિનાના અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જેથી વડાપ્રધાન કોરોનાથી બચવા દરેક લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ કેવી ભયાનક રીતે ફેલાય છે તે વાત પણ આંકડાકીય રીતે રજૂ કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ખૂબજ ધીમે ફેલાતો કોરોના ત્યારબાદ કેટલી ઝડપથી ફેલાયો તેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા.
સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.
કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.
કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.
સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી : માસ્ક માટે પડાપડી કરતા લોકો જાગૃત બને
હાલ કોરોના વાઇરસના ફફડાટથી ગુજરાત સમેત આખા દેશમાં એવા લોકો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જેમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયું નથી. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ, અધિકારીઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે સ્વસ્થ વ્યકિત્એ માસ્ક પહેરવું જરૂરી નથી. માસ્ક કોણે કોણે કેવા સંજોગોમાં પહેરવું જોઇએ એ અંગે ગુજરાત સરકારે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.
વપરાયેલા માસ્કનો યોગ્ય નિકાલ કરવા ગુજરાતના આરોગ્ય ખાતાની ટ્વીટ
ગુજરાતના આરોગ્ય ખાતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વપરાયેલા માસ્કનો મિસયુઝ કે ડુપ્લિકેશન ટાળવા માટે તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે.
માસ્ક કોના માટે જરૂરી
જેમને શર્દી, ખાંસી, ઉધરસ હોય
શંકાસ્પદ કોરોનાના દર્દી હોય
કોરોનાના કન્ફર્મ દર્દી હોય
દર્દીઓની સેવા, ચાકરી, ટ્રીટમેન્ટ કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફ
જાહેર માર્ગ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ
ઘરે ઘરે જઇને સરવેની કામગીરી કે અન્ય જાહેર કામગીરી કરતા સ્ટાફ
સફાઇ કામદારો
મોટા સમૂહમાં જતા હોય તેવા લોકો
સામાન્ય લોકોએ બહાર નીકળવાનું જ નથી તો માસ્કની જરૂરિયાત શું
વાંચો ગુજરાત સરકારની આ વિજ્ઞપ્તિ
આજે તા.24મી માર્ચ 2020ને મંગળવારે સૂરતની સંદેશ દૈનિક આવૃતિના ત્રીજા પાને ગુજરાત સરકારની આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.
કોઇએ વપરાયેલું માસ્ક વળગાડી દીધું તો લેવાના દેવા પડી શકે
હાલમાં સમગ્ર દેશમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ રૂપિયા રળવા માટે ડુપ્લિકેટ સેનીટાઇઝર તેમજ માસ્ક બનાવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કશ્મીર વગેરેથી એવા પણ હજારો માસ્ક જપ્ત કરવામાં આવ્યા છે જે અગાઉ વપરાઇ ચૂક્યા છે. જો કોઇ ધુતારા રૂપિયા કમાવા માટે આવા વપરાયેલા માસ્ક વેચતા હોય અને કદાચ એ તમારા હાથમાં આવી જાય તો શું હાલત થાય એ કદી વિચાર્યું છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે વપરાયેલા માસ્કમાં ઇન્ફેકશન ફેલાવા માટેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે માસ્ક કોરોના પિડીત દર્દીઓ, તેની સારવાર કરતા મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સભ્યો, દર્દીઓ કે શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ ઉપયોગ કર્યા હોય તેવા માસ્કને ક્યાં તો સંપૂર્ણ પણે બાળી દઇને અગર તો જમીનમાં ખૂબ ઉંડે સુધી દાટી દઇને તેનો નિકાલ કરવો જરૂરી છે.
ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 562 પોઝિટિવ કેસ થયા છે 40 દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં નોંધાતા કુલ આંક 10 યથાવત છે. દેશનાં કુલ મળીને 103 જિલ્લાઓમાં કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. આજથી 25 મી માર્ચ 2020થી ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામા આવ્યું છે
ભારતમાં સૌથી વધુ કેસ કેરળમાં 87 અને મહારાષ્ટ્રમાં 84 નોંધાયેલા છે. ત્યારબાદ કર્ણાટકમાં 37, રાજસ્થાનમાં 31, યુપીમાં 32 અને દિલ્હીમાં 30 સૌથી વધુ ધરાવતા કેસ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વિદેશ પ્રવાસની સાથો સાથ હવે આવા શંકાસ્પદોના સંપર્કમાં આવવાથી પણ પ્રસરવાની શરૂઆત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે આગામી એક પખવાડિયું નિર્ણાયક જાહેર કર્યું છે. વાયરસનો ચેપ હવે વાહકોમાંથી આગળ વધી રહ્યો હોવાના સંકેતો સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે વધારે સતર્ક બની કવોરન્ટાઈન અને શંકાસ્પદ દર્દીઓની સંભવિત સંખ્યા મુજબ આઈસોલેશન હોસ્પિટલોની તાબડતોબ તૈયારીઓ શરૂ કરી છે.
બીજી તરફ છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત પોઝિટીવ દર્દીઓની સંખ્યા 29થી વધીને 35 સુધી પહોંચી ગઈ છે. જેમાં ગાંધીનગરમાં 2 દર્દી અને સુરતમાં 2 દર્દીનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
Reported on 25 March 2020
દેશમાં 1,87,000 લોકો પર કોરોના સંક્રમણ સંદર્ભે 24×7 નજર રાખવામાં આવી રહી છે
ભારતમાં કોરોના સંક્રમણ અંગે કુલ 1,87,000 જેટલા લોકો પર દિવસ રાત વોચ રાખવામાં આવી રહી છે. આ લોકો એવા છે જેમના હજુ સુધી કોરોના પોઝીટીવ ડિટેક્ટ થયો નથી પરંતુ, આ વ્યક્તિઓમાં આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી શકે તેમ હોવાથી તેમને સતત વોચમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 4ના મોત, કુલ કેસ 101ને પાર
મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈમાં વધુ એક મોત થયું છે. UAEની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક 65 વર્ષના વૃદ્ધ 15મી માર્ચે પરત ફર્યા હતા. વિદેશથી અમદાવાદ આવીને મુંબઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ચોથું મોત, 101 કેસ પોઝીટીવ નોંધાયા
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 101 પાર થઈ ગઈ છે. રાજ્ય સરકારે તા.24મી માર્ચ 2020થી રાજ્યમાં કરફ્યૂ જાહેર કરી દીધો છે.
Union Health Minister Dr Harsh Vardhan :
National Centre for Disease Control has been keeping an eye on all potential Coronavirus patients. Today, more than 1,87,000 people in the country are being monitored by the way of community surveillance.
ભારતમાં 728 પૈકી 606 જિલ્લાઓમાં લૉકડાઉન
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 728 જિલ્લામાંથી 606 હાલ લોકડાઉન હેઠળ છે. તો કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જેમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના સૌથી ખરાબ કોરોનાગ્રસ્ત રાજ્ય કેરળમાં સીએમ વિજયને કેન્દ્ર સરકારના આદેશ મુજબ 10 જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યું હતું.
સોમવારે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ અને મણિપુર હતા. રવિવારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ચંદીગ., રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.
પંજાબમાં વિદેશથી 90,000 NRI પરત ફર્યા
દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વચ્ચે પંજાબમાં વિદેશથી પરત ફરનાર 90 હજાર ભારતીય લોકોની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને લોકો વિશે જાણકારી આપતાં 150 કરોડ રૂપિયાના વિશેષ ફંડની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશોથી પરત આવેલા તમામ લોકોમાંથી કેટલાક કોરોનાથી સંક્રમિત હોઈ શકે થે અને જો એમ હશે તો પંજાબમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો જબરદસ્ત રીતે વધી શકે છે.
પંજાબ સરકારે હાલ રાજ્યના તમામ 22 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે, પરંતુ સરકાર માટે તે 90 હજાર લોકો ચિંતાનો વિષય બન્યા છે, જે દુનિયાભરમાં કેસ સામે આવ્યા બાદ પંજાબમાં પોતાના ઘરે પરત ફર્યા છે. પંજાબ સરકારના મંત્રી બલવીર સિંહ સંધૂએ આ તમામ વિષયમાં કેન્દ્ર સરકારને માહિતી આપતો એક પત્ર લખ્યો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.
મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.
કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી
સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે
સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.
ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. ICMR મુજબ દેશમાં અત્યાર સુધી 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પૂને અને ચિંચવાડશહેરોમાં લોકડાઉનની વ્યૂહરચના અપનાવીને કોરોનાને મર્યાદિત કરવાનો દાવ ખેલ્યો છે.
શહેરો બંધ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, આજે મધરાતથી 31 માર્ચ સુધી મુંબઈ, MMR, પૂણે, પિંપરી ચિંચવાડ અને નાગપુર લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુંબઈ, પૂણે અને પિંપરી ચિંચવાડમાં એક-એક કેસ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ એવી જાહેરાત કરી છે કોરોનાને પગલે ઉદભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે શાળાકીય પરીક્ષાઓ ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે.
દિલ્હીમાં પબ્લિક પ્લેસિસ બંધ
દિલ્હીમાં કેજરીવાલ સરકારે શહેરના તમામ મૉલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં કોરોનાએ અત્યાર સુધી 4 લોકોનો ભોગ લીધો છે.
ભારતમાં કોરોના સંક્રમણને રોકવા માટે દેશના સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન માધ્યમ રેલવે દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાતમાં જણાવાયું છે કે આગામી તા.31 માર્ચ 2020 સુધી તમામ પ્રવાસી ટ્રેનનો વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબા અંતરની ટ્રેન, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેન ઉપરાંત પ્રીમિયમ ટ્રેનનો વ્યવહાર આગામી 31 માર્ચ રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રવિવારે કોરોનાથી પીડીત 2 દર્દીઓના મોત, એક મુંબઇ અને એક બિહાર પટણાના રહીશ
કોરોના વાયરસે ભારતમાં વધુ એકનો ભોગ લીધો છે. આ વખતે 38 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. આજ દિવસમાં ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના કોરોના પોઝિટિવ વાયરસના કારણે મોત થયું છે. આ સિવાય આજે મુંબઇમાં કોરોનાથી પોઝીટીવ હોય તેવા મુંબઇના એક બુઝુર્ગનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે ભારતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં 63 વર્ષની ઉંમરની વ્યક્તિનું મોત થયું છે તેઓ અગાઉથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા જેના કારણે તેમના પર કોરોના વાયરસની ગંભીર અસરો થઈ હતી. મૃત્યુ પામેલી વ્યક્તિને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીથી પીડાતા હતા. જેના કારણે તેમની તબીયત વધારે ખરાબ થઈ હતી. મુંબઈન બે સિવાય દિલ્હી, કર્ણાટકા, પંજાબ અને બિહારમાં કોરોના વાયરસના કારણે 1-1 વ્યક્તિના મોત થયા છે.
તા.21મી માર્ચે ભારતમાં કોરોનાના 77 કેસો નોંધાયા
ભારતમાં કોરોનાના કેસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવાર તા.21મી માર્ચ 2020ના રોજ જ વિવિધ રાજ્યોમાં 77 નવા કેસ સામે આવતા કોરોનાના દર્દીઓનો આંકડો 327 પર પહોંચ્યો હતો. જેમાંથી 23 ટકા લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા કેસોનો ગ્રાફ હવે ઝડપથી ઉપર જઈ રહ્યો છે. 3 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 6 કેસ હતા, જે 21 માર્ચ સુધી 327 પર પહોંચી ચૂક્યા છે. કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ તેનાથી થયેલા મૃત્યુનો આંકડો 4 પર મર્યાદિત રહેતા સરકારે હાશકારો અનુભવ્યો છે.
ભારતમાં કોરોના કેસોના સેમ્પલની ચકાસણી તેમજ તેની માહિતી આપવા માટે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી સંસ્થા આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.22મી માર્ચ 2020ને સવારે 10 કલાકે ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 341 થવા પામી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કુલ 10 પોઝીટીવ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 74 થવા પામી છે.
કોરોનાથી મહારાષ્ટ્રમાં આજે વધુ એક દર્દીનું મોત નિપજતા કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા વધીને ભારતમાં કુલ 5 થવા પામી છે.
હવેથી હોસ્પિટલમાં એડમિટ દરેક (SAR) સિરીયસ કેસોનું ટેસ્ટીંગ કરાશે
આ લિંક જ્યારે પણ ઓપન કરશો અપડેટેડ ન્યુઝ વાંચવા મળશે
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કોરોનાના ભારતમાં વધતા કેસોને કાબૂમાં લેવા તેમજ સત્વરે તેની જાણ થાય તે માટે કોરોના ટેસ્ટિંગની નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે નીચે મુજબ છે. સાર કોવીડ-19 એટલે કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ સાથે હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા તમામે તમામ પેશન્ટ્સનું હવે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાથે જ દર્દીઓની સારવાર કરી રહેલા તમામ સ્ટાફ તેમજ પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલા લોકોના દર 5માં દિવસે અને 14માં દિવસે કોરોના ટેસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉપરોક્ત ઇમેજને સત્તાવાર રીતે ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
બીજી તરફ દર્દીઓ ઉપરાંત તેમની સાથે સંસર્ગમાં આવેલા ૬૭૦૦ લોકો દેખરેખ હેઠળ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. આરોગ્ય ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારપૂર્વક કહ્યું હતું કે સામાજિક અંતર રાખવું એ જ કૉરોના વાઈરસ સામે લડવાનો પ્રાથમિક અને સૌથી કારગત માર્ગ છે.
રવિવારે જનતા કર્ફયુ 3500થી વધુ ટ્રેનો અને 1000 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર તા.22મી માર્ચ 2020ને રવિવારે 14 કલાક સુધીના જનતા માટે દેશના બે મોટા ટ્રાન્સપોર્ટ ફેક્ટર રેલવે અને સિવિલ એવિએશને મહત્વની જાહેરાત કરી છે. એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3500થી વધુ ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
હોસ્પિટલોને એલર્ટ મોડ પર રહેવા નિર્દેશ
કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરું કરી દીધું છે. શુક્રવારે સરકારે દેશની તમામ હોસ્પિટલો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ હોસ્પિટલો અને મેડિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટને કેટલાક બેડ અલગ કરવા અને આઈસોલેશન સુવિધા દેવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સરકારે આ એડવાઈઝરી સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલ માટે જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં પૂરતી માત્રામાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. હાઈ ફ્લો ઓક્સિજન માસ્ક પણ તૈયાર રાખવામાં આવે અને કોવિડ-19 સાથે લડવા પૂરતી માત્રામાં સ્ટાફ પણ તૈયાર રાખવામાં આવે.
ગુજરાતમાં વડોદરામાં 1 પોઝીટીવ સાથે કેસોની સંખ્યા 8 પર પહોંચી
તા.21મીએ સવારે ગુજરાતના વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ફોરેનથી આવેલા એક નાગરીકનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કેસોની સંખ્યા 8 પર પહોંચી છે. અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ તથા સુરતમાં 1-1 કેસો મળીને કુલ 8 કેસ થયા છે.
શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
ટોલફ્રી 1075 નંબરનો ઉપયોગ કરો
કૉરોના વાઈરસ અંગે કોઈપણ પ્રકારની પુછપરછ કરવા ૧૦૭૫ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવાની લોકોને વિનંતી કરતા તેમણે કહ્યું હતું કે સરકાર સુરક્ષાનાં તમામ પગલાં લઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની હાકલ કરી છે. એક દિવસનો સહકાર કૉરોના વાઈરસના સંક્રમણની કડી તોડવામાં મદદ કરશે, એમ અગ્રવાલે કહ્યું હતું. જયપુરમાં શુક્રવારે મૃત્યુ પામેલા ઈટલીના નાગરિકની ભારતમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓમાં ગણતરી કરવામાં નહીં આવે એમ જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કૉરોના વાઈરસને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ચાર પર પહોંચ્યો છે.
કૉરોના વાઈરસ સામે લડવાની રાજ્યની ક્ષમતા વધારવા કેન્દ્રીય ટુકડીને મોકલવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે કૉરોના વાઈરસને મામલે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી.
લદાખમાં કૉરોનાના વધુ બે કેસ
લદાખમાં કૉરોનાના વધુ બે કેસ નોંધાવાની સાથે જ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૉરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૧૦ પર પહોંચ્યો હોવાનું વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે કહ્યું હતું.
કમિશનર સેક્રેટરી (આરોગ્ય) રિગઝિન સામ્ફલે કહ્યું હતું કે નવા બંને કેસ લેહના ચોશોટ ગામમાં નોંધાયા હતા.
કૉરોનાના નવા બે કેસ નોંધાયા બાદ તરત જ આરોગ્ય ખાતાના અધિકારીઓએ બંને દરદીને હૉસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં ખસેડ્યા હતા, એમ તેમણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
શુક્રવારે કરવામાં આવેલા ૧૧ પરીક્ષણ સહિત વધુ પંચાવન દરદીના ટૅસ્ટ રિપોર્ટ દિલ્હીસ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
લદાખમાં કૉરોના વાઈરસના તમામ દરદીઓની હાલત સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું.
લેહમાં બૅંકની શાખા બંધ કરવાના સરકારના નિર્ણય અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા સલામતીનાં પગલાંનાં ભાગરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના અધિકારીનો એક પારિવારિક સભ્ય સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયાની સ્થાનિક શાખામાં કામ કરે છે. અગાઉ આ કર્મચારીનો કૉરોના ટૅસ્ટ નૅગેટિવ આવ્યો હોવા છતાં એ જ પરિવારના અન્ય એક સભ્યનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હોવાને કારણે અમે કર્મચારીના નમૂનાનું પરીક્ષણ ફરી કરવા મોકલ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
એક વખત નમૂનાના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયા બાદ બૅંક ફરી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
અગાઉ લદાખમાં સેનાના જવાન સહિત આઠ જણમાં કૉરોનાનો ટૅસ્ટ પૉઝિટિવ આવ્યો હતો જેને પગલે વહીવટકર્તાઓને પ્રતિબંધિત આદેશ તેમ જ ચાર કરતા વધુ લોકો ભેગા ન થાય તે માટે બંધારણની કલમ ૧૪૪ લાગુ કરવાની ફરજ પડી હતી.
લેહ જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી વિદેશી પર્યટકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય રાજ્યના શ્રમિકોના લેહમાં પ્રવેશ પર પણ ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કોરોના વાઈરસની સાઈડ ઈફેક્ટ અનેક થઈ છે. વાઈરસથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા નાગરિકો – પેસેન્જરનું હવાઈમથકે – બંદરોએ સ્ક્રિનિંગ કરાઈ છે છતાં અમુક પેસેન્જર છટકી જાય છે અથવા વિદેશથી આવ્યા છે તે છુપાવે છે.
સાઉથ-વેસ્ટર્ન રેલવેના એક અધિકારીને સરકારે સસ્પેન્ડ કર્યા છે, કારણ કે તેનો પુત્ર જર્મનીથી અહીં આવ્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિશે માતાએ વાત છુપાવી હતી અને રેલવેના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. રેલવેની મહિલા અધિકારીએ પુત્રની વાત છુપાવવાની સાથે તે અન્ય લોકોના સંપર્કમાં આવીને ઘણાની લાઈફ સામે જોખમ ઊભું કર્યું છે. બેંગલોર સ્ટેશન નજીકના રેલવે રેસ્ટ રૂમમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રેલવેમાં આસિસ્ટન્ટ પર્સોનલ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. તેનો ૨૫ વર્ષનો પુત્ર વાયા સ્પેન, જર્મની અને ત્યાંથી ભારત આવ્યો હતો. સ્પેનમાં વાઈરસની મોટી અસર થઈ છે. પુત્રને હોમ ક્વૉરોન્ટાઈનમાં રાખ્યા બાદ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી હતી.
જનતા કર્ફ્યુ: દેશમાં કોઈ પ્રવાસી ટ્રેન નહીં દોડે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાવીસ માર્ચે જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુ દરમિયાન શનિવારે રાતના ૧૨ વાગ્યાથી રવિવારે રાત્રે ૧૦ વાગ્યા વચ્ચે દેશમાં એકપણ પેસેન્જર ટ્રેન દોડાવવામાં નહીં આવે, એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
રવિવારે સવારે ચાર વાગ્યથી મૅલ અને ઍક્સ્પ્રેસ ટ્રેનસેવા પણ રોકી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પરાંની લોકલ ટ્રેનસેવાની સંખ્યામાં પણ અસાધારણ ઘટાડો કરી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કૉરોના વાઈરસના ભયને કારણે અને તેને વધારે ફેલાતો રોકવા પ્રવાસીઓ બિનજરૂરી પ્રવાસ ન કરે તે માટે રેલવેએ અત્યાર સુધીમાં ૨૪૫ ટ્રેન રદ કરી છે. સામાજિક અંતર જાળવી રાખવાની હાકલ કરતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે એમ કહીને બાવીસ માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાની જાહેરાત કરી હતી. આ કર્ફ્યુ દરમિયાન કોઈ નાગરિક ઘરની બહાર નહીં નીકળે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે માત્ર અત્યાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો જ ઘરની બહાર નીકળે.
Reported on 20 March 2020
વિશ્વમાં મૃત્યુઆંક 10,000 ને પાર : કેસોની સંખ્યા અઢીલાખ નજીક : વાંચો કયા દેશોમાં કેટલા કેસ? સંપૂર્ણ માહિતી
તા.20મી માર્ચે બપોરે 4 કલાકે કોરોના અપડેટની માહિતી મૂકતા જણાવી દઇએ કે આંતર રાષ્ટ્રીય સ્તરે હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા કમનસીબોની સંખ્યા 10,000ને પાર પહોંચી ચૂકી છે. સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. કોરોનાનો જ્યાંથી ઉદભવ થયો એ ચીન કરતા પણ વધુ મોત ઇટલીમાં સામે આવ્યા છે. નીચે મુજબના અપડેટ્સ સમગ્ર વિશ્વની માહિતી સૂચવે છે.
તા.20મી માર્ચ 2020ને બપોરે 4 કલાકે
Corona virus Cases : 2,48,699
Deaths : 10,083
Recovered : 88,563
ACTIVE CASES 1,50,053
Currently Infected Patients 1,42,613 (95%) in Mild Condition
તા.20મી માર્ચે બપોરે 11.30 વાગ્યે ભારતમાં કોરોનાના કેસોની સત્તાવાર સંખ્યા 206ની થઇ છે. કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા ભારતમાં 181 હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.
ઇટલીના ટુરીસ્ટ કોવીડ-19થી રિકવર થયા બાદ કાર્ડીયાક એરેસ્ટથી મોત ને ભેટ્યા હોવાની જયપુર SMS હોસ્પિટલની સ્પષ્ટતા
તા.20મી માર્ચ 2020ને સવારે જયપુરમાં ઇટલીના એક ટુરીસ્ટનું મોત નિપજ્યું હતું. પહેલા એવા ન્યુઝ સ્પ્રેડ થયા હતા કે ઇટલીના આ ટુરીસ્ટનું મોત કોવીડ19થી થયું હતું. બાદમાં હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટલીના ટુરીસ્ટ કાવીડ19માંથી રીકવર થઇ ગયા હતા અને તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હતું. આથી કોરોનાને કારણ તેમનું મોત નથી થયું હોવાની પુષ્ટી જયપુર સ્થિત હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
અમદાવાદમાં 2 અને રાજકોટ, સુરત, વડોદરામાં 1-1 મળી કુલ 5 પોઝિટિવ કેસ
તા.20મી માર્ચે બપોરે 11.30 કલાકની માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 5 થઇ છે. રાજકોટ અને સુરતમાં તા.19મી માર્ચે એક એક કેસ પોઝીટીવ જાહેર થયા બાદ આજે તા.20મી માર્ચે સવારે અમદાવાદમાં 2 અને વડોદરામાં એક કેસ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં પણ કોરોના વાયરસ દાખલ થઈ ગયો છે. રાજ્યમાં 2 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા, સુરતની એક યુવતિ અને એક રાજકોટનો યુવક હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સુરતમાં 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી વિદેશથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનો પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 35 વર્ષીય વ્યક્તિ સાઉદી અરબથી આવ્યો હતો અને તે યુવક તથા તેના પરિવારજનોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે.
કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે તો બાકીના કર્મચારીઓને દરરોજ ઑફિસમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.
કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપ કર્મચારીઓને કામ માટે જુદા જુદા કલાકો ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ગ્રુપ બી અને ગ્રુપ સીના પચાસ ટકા કર્મચારીઓએ ઑફિસમાં દરરોજ હાજર રહેવું ને બાકીના પચાસ ટકા લોકોએ ઘરેથી કામ કરવું.
ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે અઠવાડિક ધોરણે વારાફરતી આ આદેશનો અમલ કરવાનું વિભાગીય વડાને જણાવી દેવામાં આવ્યું છે.
નવું સમયપત્રક બનાવતી વખતે પહેલા અઠવાડિયામાં ઑફિસની નજીકના વિસ્તારમાં રહેતા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવાની વિભાગીય વડાઓને સલાહ આપવામાં આવી છે.
આદેશમાં કરવામાં આવેલા સૂચન મુજબ કર્મચારીઓને ત્રણ જૂથમાં વિભાજિત કરી દેવા અને તેમનો ઑફિસનો સમય અનુક્રમે સવારે ૯:૦૦થી સાંજે ૫:૩૦, સવારે ૯:૩૦થી સાંજે ૬:૦૦ અને સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૩૦નો રાખવો. ઘરેથી કામ કરતી વ્યક્તિ સંપૂર્ણ સમય ટેલિફોન તેમ જ અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે સતત ઉપલબ્ધ રહેવી જોઈએ અને અનિવાર્ય સંજોગોમાં જો તેમને બોલાવવામાં આવે તો તેમણે ઑફિસે હાજર થવાનું રહેશે.
તાકીદની તેમ જ જરૂરી સેવામાં રોકાયેલા તેમ જ કૉરોના વાઈરસને ફેલાતો અટકાવવાના કામમાં રોકાયેલા કર્મચારીઓને આ નિયમ લાગુ નહીં પડે એમ બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઑફ ફાઈનાન્સ સર્વિસ તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઍન્ટરપ્રાઈસ પણ નાણાંકીય સંસ્થાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓને આ પ્રકારની સૂચના આપી શકે છે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
ઑફિસના પરિસરમાં ઓછામાં ઓછા મુલાકાતીઓ આવે કે પ્રવેશ લે તેની ખાતરી કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. વિઝિટર્સ કે ટૅમ્પરરી પાસ જારી કરવાનું પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું છે.
અધિકારીની યોગ્ય પરવાનગી બાદ મુલાકાતીની યોગ્ય ચકાસણી કરીને જ સંબંધિત વ્યક્તિને મળવાની પરવાનગી આપવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.
તમામ સરકારી વિભાગોને થર્મલ સ્કૅનર ગોઠવી દેવા જણાવી દેવામાં આવ્યું છે. બની શકે ત્યાં સુધી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જ મીટિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મોદી સાહેબની કોરોના સામે લડવાની યુદ્ધ જેવી વ્યૂહરચના
Jayesh Brahmbhatt 98253 44944
ભારતમાં કોરોનાને આગળ વધતો અટકાવવા માટે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી જ વ્યૂહરચના ઘડી કાઢી છે. યુદ્ધમાં સૈનિકો લડતા હોય છે, કોરોના સામેના યુધ્ધમાં સિટિઝન્સે લડવાનું છે. સૈનિક જેમ શિસ્તબદ્ધ હોય છે, નિષ્ઠાવાન હોય છે એમ હવે સિટીઝન્સે રવિવારે બતાવવાનું છે કે તેઓ પણ શિસ્તબદ્ધ સૈનિકથી કમ નથી.
ભારતે કોરોના માટે જે પગલાં અત્યાર સુધી ભર્યા છે તેને કારણે જ કોરોના હાલમાં મર્યાદિત બની શક્યો છે
ભારતમાં કોરોના જે ગતિએ આગળ વધી રહ્યો છે જો તેને અટકાવવો હોય તો લોકોની સામૂહિક મૂવમેન્ટ સ્ટોપ કરવી પડે. જો ભારત ને એક દિવસ અટકાવવામાં આવે તો પારાવાર નુકસાન થાય, એટલે મોદી સાહેબ અને તેમની સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો. રવિવારે આમેય બધું બંધ હોય, ફક્ત લોકોની મૂવમેન્ટ અટકે તો પણ કોરોના માટે સ્પીડબ્રેકર સમાન બની રહે રવિવાર. એટલે રવિવારને જનતા કરર્ફ્યુ માટે પસંદ કરવામાં આવ્યો.
આ સિવાય પણ મોદી સાહેબની વ્યૂહાત્મક નીતિ જોઇએ તો તા.22મી માર્ચથી ભારતમાં કોરોના થર્ડ સ્ટેજમાં દેખા દે તેવું પ્રોજેક્શન હતું, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ 22મીથી એક સપ્તાહ સુધી બેન કરી દીધી છે. એવા તમામ ભયસ્થાનો માનવવિહોણા કરી દીધા છે જ્યાંથી કોરોનાની ચેઇન ભારતમાં આગળ વધી શકે. હવે સિટીઝન્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરવાનું છે કે કોરોનાને સ્ટોપ કરવો છે કે આગળ વધવા દેવો છે. જો કોરોનાને સ્ટોપ કરવો હોય તો આપણે રવિવારે સ્ટોપ થવું પડશે.
જનતા કરફ્યુ છે કે નહીં એ જોવા પણ બહાર નહીં નીકળતા
વિશ્વભરના દેશોમાં જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે એ જોતા ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમયસર ભરેલા પગલાં અને ભરવામાં આવી રહેલા પગલાને કારણે કોરોનાને હજુ સુધી અંકુશમાં રાખી શકાયો છે. 130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં કોરોનાના કેસ 206 સુધી પહોંચી શક્યા છે. આનું કારણ કેન્દ્ર સરકારની વ્યૂહાત્મક નીતિ રહી છે. કેન્દ્રએ એક પછી એક નક્કર પગલાંભર્યા છે. હવે રવિવારે જનતા કરફ્યું પણ વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.
જનતા કર્ફ્યુનું પાલન કરો, સંકલ્પ કરો અને સંયમ રાખો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ માર્ચ, રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી દેશભરમાં ‘જનતા કર્ફ્યુ’ (લોકોએ જાતે રાખેલી સંચારબંધી)ની ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે બે દિવસ પછી એટલે કે રવિવારે દેશભરમાં સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી કોઇએ બહુ જ જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવું અને ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરવું. તેમણે સંકલ્પ અને સંયમની વાત કહી હતી. આપણે સંકલ્પ કરીએ કે આપણે સંક્રમિત થવાથી બચીએ અને અન્યોને પણ બચાવીએ. ભારત અને માનવતા આ યુદ્ધ જીતશે જ એમ મોદી જણાવ્યુંં હતું.
સંયમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ભીડથી બચવું અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકોએ નિશ્ર્ચિંત બનવાને બદલે સજાગ બનવું જોઇએ. આપણે બધા સંકટનો સાથે મળીને સામનો કરીશું.મોદીએ દેશસેવા કરનારા ડૉક્ટરો, પ્રસારમાધ્યમના લોકો, સરકારી કર્મચારીઓ સહિત લોકોનો આભાર માનવા માટે જનતાને રવિવારે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના દરવાજા, અગાશી, બારી પાસે ઊભા રહીને તાળી પાડવા તેમ જ થાળી અને ઘંટડી વગાડવા અનુરોધ કર્યો હતો.વડા પ્રધાને સ્થાનિક પ્રશાસનને રવિવારે સાંજે પાંચ વાગ્યે આ માટે સાયરન વગાડવાની સૂચના પણ આપી હતી. મોદીએ ખાનગી કંપનીઓને
કર્મચારીઓ પોતાની કે સગાંની બીમારીના સંબંધમાં હાલમાં ગેરહાજર રહે તો માનવતાને ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓનો પગાર નહિ કાપવા સૂચના આપી હતી.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં વિશ્ર્વયુદ્ધની સરખામણીમાં કોરોના વાઇરસના રોગચાળાથી વધુ દેશો પ્રભાવિત થયા છે. અમુક દેશમાં પ્રારંભિક દિવસો બાદ રોગચાળાનો વિસ્ફોટ થયો હતો અને દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે.
તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ફેલાયેલા રોગચાળાને લીધે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે. અમારી સરકારે કેન્દ્રનાં નાણાં પ્રધાનના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફૉર્સ રચ્યું છે અને તે આર્થિક મુશ્કેલી ઘટાડવા પગલાં લેશે.
મોદીએ જણાવ્યું હતું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. આપણે સ્વસ્થ રહીશું, તો જગત સ્વસ્થ રહેશે. કોઇએ પોતાનું અને અન્ય કોઇનું જીવન જોખમમાં ન મૂકવું. જાહેરમાં ટોળે નહિ વળવું અને કાર્યક્રમો નહિ યોજવા.
તેમણે જનતાને, ખાસ કરીને ૬૦ વર્ષથી મોટી વયની વ્યક્તિને જરૂરિયાત વિના ઘરની બહાર નહિ નીકળવાની વિનંતિ કરી હતી.
મોદીએ જીવનાવશ્યક ચીજોની સંગ્રહખોરી ન કરવા ચેતવણી આપી હતી. આમ છતાં, દેશમાં કેટલાક ઠેકાણે સંગ્રહખોરી થતી અથવા વધુ ભાવ વસૂલ કરવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધના સમયે ‘બ્લૅક આઉટ’ જેવી સ્થિતિ હોય છે એવી જ વ્યવસ્થા દેશભરમાં ઊભી કરવી જોઇએ અને લોકોએ જરૂરી ન હોય તો ઘરમાં જ રહીને તબિયતનું ધ્યાન રાખવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે જનતાને સંકલ્પ સાથે સંયમ જાળવીને પોતાના, આસપાસ રહેતા લોકોના અને સમગ્ર દેશના લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ. ડૉક્ટરોની સલાહ ફૉન પર લેવી અને બિનજરૂરી સર્જરી પણ મુલતવી રાખવી જોઇએ.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયામાં હજી સુધી કોરોના વાઇરસની દવા કે રસી શોધાઇ નહિ હોવાથી આપણે બધાએ સતર્ક રહેવાની જરૂર વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશો સહિતના અનેક વિકસેલા રાષ્ટ્રમાં રોગચાળો ફેલાયો છે. આગામી થોડા દિવસ દેશની જનતાના આરોગ્ય માટે મહત્ત્વના છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, પરંતુ તેમાં નાગરિકોની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિકોએ પોતાની ફરજ અને કર્તવ્યનું પાલન કરવું જોઇએ.
તેમણે એનસીસી, એનએસએસ સહિતના સામાજિક સંગઠનોને આ રોગચાળા અંગે જનતામાં જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ ‘સેવા પરમ ધર્મ’માં માને છે. દુનિયામાં હાલમાં એક દેશ બીજાને મદદ કરી નથી શકતો. આગામી થોડા દિવસમાં નવરાત્રિ શરૂ થવાની હોવાથી આશા રાખીએ કે શક્તિના આ તહેવારમાં આપણો દેશ પૂરી શક્તિ, સંયમ, સંકલ્પ દ્વારા આ રોગચાળાથી બચી જશે અને અન્યને બચાવી લેશે.
ભારતે ૨૨ અને ૨૩ માર્ચ વચ્ચેની રાતના ૧.૩૦ વાગ્યાથી એક અઠવાડિયું બધી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ફ્લાઇટ્સના આગમન પર પ્રતિબંધ મૂકવાની ગુરુવારે જાહેરાત કરી હતી.
દરમિયાન, દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં ચોથી વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેના દરદીઓની સંખ્યા વધીને ૧૭૩ થઇ હતી.
દેશના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રોગચાળાને નાથવા માટે વિવિધ નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પંજાબમાં કોરોના વાઇરસને લીધે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેને મધુપ્રમેહ અને હૃદયની અગાઉથી જ તકલીફ હતી.
છત્તીસગઢમાં કોરોના વાઇરસના ૨૪ કલાકમાં ૨૦થી વધુ દરદી મળ્યા હતા, જ્યારે ચંડીગઢમાં પ્રથમ દરદી નોંધાયો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી તંત્રે અનેક વિસ્તારમાં લોકોની હરફર પર નિયંત્રણ મૂક્યા છે. શ્રીનગર શહેરમાં બધા સાર્વજનિક પરિવહન સેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દેખીતી રીતે મોટા ભાગનું વ્યાપારી કામકાજ બંધ થઇ ગયેલું જોવા મળે છે.
પંજાબ સરકારે શુક્રવારે મધરાતથી જાહેર પરિવહન સેવા બંધ કરી દીધી છે. મોટી સંખ્યામાં લોકોને ટોળે નહિ વળવા આદેશ અપાયો હતો. લગ્ન સમારંભના સ્થળો, હૉટેલ્સ, રેસ્ટૉરાં, બૅન્ક્વૅટ્સ, ડાઇનિંગ હૉલ્સ જેવી જગ્યાઓ બંધ કરાવાઇ છે.
દિલ્હીમાં કેજરીવાલની સરકારે રાજધાનીમાં રેસ્ટૉરાં બંધ કરાવી છે, પરંતુ રેસ્ટૉરાંમાંથી ઘરે લઇ જવાનું અને ઘેર ભોજન પહોંચાડતી સેવા ચાલુ રખાઇ છે.
વિશ્ર્વભરમાં કોરોના વાઇરસથી ૯,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને તેના બે લાખથી વધુ દરદી છે.
ભારતે ૨૨મી થી ૨૯મી માર્ચ સુધી બધા આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ઍરક્રાફ્ટનું ઉતરાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે અતિ આવશ્યક સેવા સિવાયની બધી ખાનગી કંપનીઓને પણ કર્મચારીઓને ઘેર બેસીને કામ આપવાની સૂચના આપી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.