રવિવાર મધરાતથી ઈન્ટરનેશનલ ફલાઈટ્સને ભારતમાં સપ્તાહ સુધી નહીં આવે
ભારતે ૨૨ અને ૨૩ માર્ચ વચ્ચેની રાતના ૧.૩૦ વાગ્યાથી એક અઠવાડિયું બધી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ફ્લાઇટ્સના આગમન પર પ્રતિબંધ મૂકવાની ગુરુવારે જાહેરાત કરી હતી.
દરમિયાન, દેશમાં કોરોના વાઇરસના રોગચાળામાં ચોથી વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેના દરદીઓની સંખ્યા વધીને ૧૭૩ થઇ હતી.
દેશના મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રોગચાળાને નાથવા માટે વિવિધ નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પંજાબમાં કોરોના વાઇરસને લીધે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેને મધુપ્રમેહ અને હૃદયની અગાઉથી જ તકલીફ હતી.
છત્તીસગઢમાં કોરોના વાઇરસના ૨૪ કલાકમાં ૨૦થી વધુ દરદી મળ્યા હતા, જ્યારે ચંડીગઢમાં પ્રથમ દરદી નોંધાયો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી તંત્રે અનેક વિસ્તારમાં લોકોની હરફર પર નિયંત્રણ મૂક્યા છે. શ્રીનગર શહેરમાં બધા સાર્વજનિક પરિવહન સેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દેખીતી રીતે મોટા ભાગનું વ્યાપારી કામકાજ બંધ થઇ ગયેલું જોવા મળે છે.
પંજાબ સરકારે શુક્રવારે મધરાતથી જાહેર પરિવહન સેવા બંધ કરી દીધી છે. મોટી સંખ્યામાં લોકોને ટોળે નહિ વળવા આદેશ અપાયો હતો. લગ્ન સમારંભના સ્થળો, હૉટેલ્સ, રેસ્ટૉરાં, બૅન્ક્વૅટ્સ, ડાઇનિંગ હૉલ્સ જેવી જગ્યાઓ બંધ કરાવાઇ છે.
દિલ્હીમાં કેજરીવાલની સરકારે રાજધાનીમાં રેસ્ટૉરાં બંધ કરાવી છે, પરંતુ રેસ્ટૉરાંમાંથી ઘરે લઇ જવાનું અને ઘેર ભોજન પહોંચાડતી સેવા ચાલુ રખાઇ છે.
વિશ્ર્વભરમાં કોરોના વાઇરસથી ૯,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને તેના બે લાખથી વધુ દરદી છે.
ભારતે ૨૨મી થી ૨૯મી માર્ચ સુધી બધા આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પૅસૅન્જર ઍરક્રાફ્ટનું ઉતરાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે અતિ આવશ્યક સેવા સિવાયની બધી ખાનગી કંપનીઓને પણ કર્મચારીઓને ઘેર બેસીને કામ આપવાની સૂચના આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now