માગણી કરતાં ઓછી રકમના પગાર વધારાના વિરોધમાં અંદાજે દસ લાખ બૅંક કર્મચારીઓ આજરોજ તા.૩૦ મે, 2018 બુધવારથી બે દિવસની હડતાળ પર ઉતરશે. કેન્દ્ર સરકાર અને બૅંક યુનિયનો વચ્ચે સમાધાન ન થતાં આખરે કર્મચારી યુનિયનોએ આ નિર્ણય જાહેર કર્યો હતો. આને કારણે દેશભરમાં માત્ર બૅંકોની કામગીરી જ નહીં પણ એટીએમની કામગીરી પર પણ અસર થવાની સંભાવના છે.

અતિરિક્ત ચીફ લેબર કમિશનર (સીએલસી) રાજન વર્મા, યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)ના બેનર હેઠળ નાણાં મંત્રાલયના અધિકારીઓ અને બૅંક મેનેજમેન્ટ ઈન્ડિયન બૅંકેસ એસોસિએશન (આઈબીએ)ના પ્રતિનિધિઓને મળ્યા હતા પરંતુ હડતાળ નિવારી શકાઈ નહોતી.
લેબર કમિશનરે હડતાળ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળ ગયા હતા. જોકે, બૅંકર્સ આઈબીએ દ્વારા કહેવડાવ્યું હતું કે, તેઓ પ્રસ્તાવિત પગાર વધારા અંગે પુનર્વિચાર કરવા તૈયાર છે, પરંતુ અસરકારક પ્રસ્તાવ નથી. ઓલ ઈન્ડિયા બૅંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએમ વૅંકટચલમે કહ્યું હતું કે, હડતાળ થશે.
ઓલ ઈન્ડિયા બૅંક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી ડી. ટી. ફ્રાન્કોએ કહ્યું હતું કે, અંદાજે દસ લાખ બૅંક અધિકારીઓ આ બે દિવસની હડતાળમાં જોડાશે. તેમણે કહ્યું હતું કે સમાધાનની પ્રક્રિયા વખતે બૅંક યુનિયનોએ સીએલસીને જણાવ્યું હતું કે પાંચમી મેના રોજ મળેલી બેઠકમાં બે ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મુકાયો હતો, એ એમને કોઈ રીતે મંજૂર નહોતો, કારણ કે જીવનધોરણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે.
આઈબીએના અધિકારીઓએ કહ્યું હતું કે અમે એકથી વધારે વખત પગાર વધારા અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા અને બૅંકોમાં થયેલા એનપીએ કે બેડલોન્સમાં વધારાના કારણે બે ટકાથી વધારે પગાર વધારો કરી શકાય તેમ નથી તેવું યુનિયનના નેતાઓને સમજાવ્યું હતું.
બૅંક યુનિયનોનો એવો દાવો હતો કે બૅંકોની બેડલોન્સને પગાર વધારાની બાબત સાથે જોડી શકાય નહીં. ૨૦૧૨માં થયેલા વેજ રિવિઝનની મુદત ૩૧ ઓકટોબર, ૨૦૧૭ સુધી હતી, તે વખતે બૅંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી આ વખતે સારા પગાર વધારાની અપેક્ષા હતી.











