રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર દેશભરમાં આવેલી કો-ઓપરેટિવ બેંકોને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તબદીલ કરવામાં આવશે અને આ કારણે હાલમાં કરોડો રૂપિયાનું ધિરાણ બેરોકટોક આપી રહેલી કો-ઓપરેટિવ બેંકો કોઇ એક ક્લાયન્ટને રૂ.25 લાખનું જ ધિરાણ આપી શકશે. સહકારી બેંકોના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવતી સ્મોલ ફાઇનાન્સ બેંકની રિઝર્વ બેંક યોજના સામે દેશભરમાંથી ભારે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી ધિરાણ નીતિમાં શહેરી સહકારી બેન્કોને સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં પરિવર્તિત કરવા ટૂંક સમયમાં સ્કીમ બહાર પાડવા કરેલી જાહેરાતના સહકારી બેન્કો તરફથી ઘેરા પ્રત્યાઘાત સાંપડ્યા છે.
ફેડરેશન ઓફ અર્બન બેંકસ ઓફ ગુજરાતના સીઇઓ આર એન જોશીએ જણાવ્યું હતું કે, “જો કોઇ સહકારી બેંક સ્મોલ બેંક બને તો તે વધુમાં વધુ ₹25 લાખનું જ ધિરાણ કરી શકે. ઉદ્યોગો કે નાના ઉદ્યોગ સાહસિકોને ₹1 કરોડ થી ₹3 કરોડ કે તેનાથી પણ વધુ રકમની લોન આપી શકતી સહકારી બેન્કો સ્મોલ બેન્કો બને તો તેનો બિઝનેસ તો બંધ થઇ જશે. અગાઉ કરતાં ઓછો બિઝનેસ કરવાની આ પ્રકારની દરખાસ્ત સધ્ધર સહકારી બેંક સ્વીકારી શકે તેમ નથી.”
દેશના સહકારી માળખા સાથે સંકળાયેલા અને સહકાર ભારતીના વડા જયોતિન્દ્ર મહેતાએ આ જાહેરાતનો સીધો છેદ ઉડાડતા કહ્યું હતું કે અમે આ પ્રકારની ભલામણનો વિરોધ કરીએ છીએ.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન બેંક એન્ડ ક્રેડિટ સોસયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “આ ભલામણ જ સહકારી ક્ષેત્રના માળખાથી વિપરીત છે. કો-ઓપરેટીવ બેંકોની સ્થાપના જ નાના-મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓ માટે થઇ છે, ત્યારે આ બેન્કોની ખાનગી બેંક બનાવવી શકય નથી. તેના ખાનગી માલિકો બની જાય જેઓ હાલમાં ચૂટાઇને આવે છે.
અમે તો આ પગલાંનો વિરોધ કરીએ છીએ. એટલું જ નહીં સહકારી કાયદાઓમાં પણ સહકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની કોઇ જોગવાઇ નથી. તેવા સંજોગોમાં આવી ભલામણ સાથે હવે સહકારી કાયદાઓમાં પણ સુધારાઓ કરવામાં આવે તો આવી બાબત શકય બને,જે અંગે હાલમાં કોઇ જોગવાઇ જ નથી. ”
બુધવારે ધિરાણ નીતિની જાહેરાત કરતાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એન એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે, “બેન્કનો દરજ્જો બદલવા કેટલાંક વર્ગ તરફથી આરબીઆઇ સમક્ષ માગ કરવામાં આવી હતી. અમે શહેરી સહકારી બેન્કમાંથી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કન્વર્ઝન અંગે વિગતવાર સ્કીમ જાહેર કરીશું.”
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીના વડપણ હેઠળ રચાયેલી કમીટી ઓન અર્બન કો-ઓપરેટીવ બેંકે ભલામણ હતી કે મોટી અર્બન કો-ઓપરેટીવ બેંક પોતે ઇચ્છે તો, અને કેટલાંક માપદંડનું પાલન કરે તો તે સ્વૈચ્છિક રીતે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરી શકે છે. કમીટીએ ₹ 20,000 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ કરવાની પણ ભલામણ કરી હતી. કમીટીએ આપેલા રીપોર્ટમાં અર્બન કો-ઓપરેટીવ બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ થવા માટે ટ્રાન્ઝીશન સમય આપવાની પણ ભલામણ કરી હતી.















