બિઝનેસ Archives - Page 89 of 92 - CIA Live

June 23, 2018
plastic_feaure.png
1min9260

તા.23 જુન 2018

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ આજથી થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક વપરાશ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે થેલી, પ્લેટ, કપ, ચમચી તેમ જ આવી જ થર્મોકોલથી બનેલી વસ્તુઓના મેન્યુફેક્ચર, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્લાસ્ટિક વિક્રેતા અને મેન્યુફેક્ચરરને સ્ટોક પૂરો કરવા મુદત આપી હતી

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર તેમજ પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્રણ મહિના સ્ટોકને પૂરો કરવા કે નાશ કરવા માટે આપ્યા હતા. આ મુદત ગઇકાલ તા.22મી જૂને પૂરી થઇ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકાર અને પાલિકાઓ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે લોકોને વિશ્ર્વાસ આપ્યો હતો કે સામાન્ય જનતા અને નાના વેપારીઓને રંજાડવામાં નહીં આવે, પરંતુ દોષી મેન્યુફેક્ચરર પર જ સખત કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

સરકારે નક્કી કરેલા દંડની રકમ બહુ મોટી હોવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે જેઓ કાયદાનો ભંગ કરશે તેમની માટે દંડ છે, જો તમે ભંગ જ નહીં કરો તો દંડ આપવાની કોઈ જરૂરત નથી. દંડની રકમ ઓછી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે રિટેલ પેકેજિંગ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે પ્લાસ્ટિકના રિસાઈકલિંગ મામલે સોગંદનામું આપવાનું રહેશે. તેમના સોગંદનામાને હાઈ પાવર કમિટી સામે રજૂ કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક આયાત કરનારા સીધા જેલમાં જશે

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લાવનારાને સીધા જેલમાં ધકેલાય જશે એમ રામદાસ કદમે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું થાય છે અને મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી આવે છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે ૮૦ ટકા પ્લાસ્ટિક આઈટમ ગુજરાતમાંથી આવે છે. જો આમ થતાં કોઈ પકડાશે તો તેમને ૨૦૦૬ના વેસ્ટ મેનેજમેન્ટ એકટ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા થશે.

મહારાષ્ટ્ર હાઇકોર્ટે પણ પ્લાસ્ટિક વિક્રેતાઓને દાદ ન અાપી

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે બધી જ સ્થાનિક સંસ્થાઓને પ્લાસ્ટિકની વસ્તુઓ અને કચરાના કલેક્શન, પરિવહન અને નિકાલ માટે યંત્રણા વિકસાવવા આદેશ આપવામાં આવ્યો છે. 23મી માર્ચના રોજ રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકની ચમચી, પ્લેટ્સ, પેટ બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ આપખુદ, કાયદાની દ્રષ્ટિએ ખરાબ અને લોકોની આજીવિકા રળવાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે, એમ જણાવી પેટ બોટલ્સ અને થર્મોકોલ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન્સ દ્વારા આ નોટિફિકેશનને જોકે હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે સરકારી નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

નોટિફિકેશનમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને પ્લાસ્ટિકનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સામાન્ય લોકોને તેમના ઘરના પ્લાસ્ટિકની બેગ્સ સહિતની વસ્તુઓનો નિકાલ કરવા માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

June 16, 2018
carrats1.jpg
2min18100

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

ડાયમંડ નગરીથી જાણીતા સુરત શહેરના હાર્દ સમા અને હીરા ઉદ્યોગ જ્યાંથી વિસ્તરીને સમગ્ર વિશ્વમાં પહોંચ્યો છે એ વરાછા ખાતે આવેલા સૌરાષ્ટ્ર ભવન ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન વિશ્વસ્તરીય ડાયમંડ એક્સપો જેનું નામાભિધાન કેરેટ્સ કરવામાં આવ્યુ છે એનું આયોજન સુરત ડાયમંડ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હોવાની પહેલી વહેલી જાહેરાત આજે બાબુભાઇ એન. ગુજરાતી જેઓ આ સંસ્થાના પ્રમુખ છે એમણે કરી છે.

કેરેટ્સ, સુરત ડાયમંડ એક્સપો અંગેની વિગતવાર માહિતી આપતા બાબુભાઇ એન. ગુજરાતી, ગૌરવ શેઠી વગેરે આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત ખાતે યોજાનારું હીરા ઉદ્યોગનું આ પ્રદર્શન અનોખું એટલા માટે છે કેમકે તેમાં ટૂર્કી, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા, ચાઇના વગેરે જેવા દેશો સમેત વિશ્વભરમાંથી અંદાજે 10 હજારથી પણ વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. આ એક્સપો એટલા માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે કેમકે એ બીટુબી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર હશે અને હીરા ઉદ્યોગના ધંધાર્થીઓને નવા જોડાણોથી વાકેફ કરાવશે. કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સપોમાં રાઉન્ડ શેપ અને ફેન્સી શેપ્સના પોલ્કી, રોઝ કટ, ફેન્સી કલર્સ ડાયમંડની આખી રેન્જ પણ જોવા મળશે.

સુરત ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સપોમાં ભાગ લેનારા 60 ટકા પ્રદર્શકો પહેલી જ વખત કોઇ એક્સપોમાં ભાગ લઇ રહ્યા છે, બાયર્સ અને ટ્રેડર્સ માટે આ જ કારણે નવા જોડાણો શક્ય બની શકશે.

રેપાપોર્ટના માર્ટિન ખાસ ઉપસ્થિત રહેશે

સમગ્ર વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રે વિશ્વસનીય નામ રેપાપોર્ટના માર્ટીન રેપાપોર્ટ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો માટે ખાસ ઉત્તેજિત છે અને તા.10મી જુલાઇએ ખાસ ઉદઘાટનમાં પધારીને એક કલાકની કોન્ફરન્સને તેઓ સંબોધન પણ કરશે.

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો માટે ભારતમાં અનેક શહેરોમાં રૉડ શૉ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોને ભારતમાં હાઇલાઇટ કરવા માટે દિલ્હી, કોલકાત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ, જયપુર જેવા મોટા શહેરો તેમજ ટૂ ટાયર કક્ષામાં આવતા ભારતના અન્ય શહેરોમાં પણ ખાસ રોડ શૉ કરવામાં આવશે. જેમાં સુરત ખાતે યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોમાં પધારવા માટે રજિસ્ટ્રેશન, ઇન્વિટેશન વગેરે આપવામાં આવશે.

રૂ.200 વિઝીટર ચાર્જ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો નિહાળવા માટેની ઇચ્છા ધરાવનાર દરેક મુલાકાતીઓએ ઓન ધ સ્પોટ રૂ.200નો ચાર્જ ચૂકવવા પડશે.

જ્યારે હાલમાં તા.30મી જુન સુધી www.sdasurat.org ખાતે રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી થઇ રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોશીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

 

NEWS for English Readers

B2B LOOSE DIAMOND EXHIBITION – 10, 11, 12 JULY 2018.

SDA is consistently working towards the growth of diamond industry and endeavors to keep it on the forefront of the world map. SDA takes great pride in announcing an exclusive showcase of loose diamonds “CARATS – Surat Diamond Expo” which will prove as a landmark event by opening new avenues for the Small and Medium scale diamond enterprises and boost B2B transactions by bringing SME’s directly in touch with big buyers.  The exhibition will be held on 10, 11, 12 July 2018 in Surat .

The exhibition brings together on a single platform in three days all operators of retail and wholesale trade, distributors, importers and exporters. The event will welcome around 10,000 global visitors and showcase comprehensive varieties of diamonds including round and fancy shapes, polki, rose cut and fancy color.

June 16, 2018
chatri1.jpeg
1min26130

ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.

આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.

                                                                                                                                                            (સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)

પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે

June 14, 2018
bank1.jpg
1min16250

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર દેશભરમાં આવેલી કો-ઓપરેટિવ બેંકોને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તબદીલ કરવામાં આવશે અને આ કારણે હાલમાં કરોડો રૂપિયાનું ધિરાણ બેરોકટોક આપી રહેલી કો-ઓપરેટિવ બેંકો કોઇ એક ક્લાયન્ટને રૂ.25 લાખનું જ ધિરાણ આપી શકશે. સહકારી બેંકોના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવતી સ્મોલ ફાઇનાન્સ બેંકની રિઝર્વ બેંક યોજના સામે દેશભરમાંથી ભારે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી ધિરાણ નીતિમાં શહેરી સહકારી બેન્કોને સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં પરિવર્તિત કરવા ટૂંક સમયમાં સ્કીમ બહાર પાડવા કરેલી જાહેરાતના સહકારી બેન્કો તરફથી ઘેરા પ્રત્યાઘાત સાંપડ્યા છે.

ફેડરેશન ઓફ અર્બન બેંકસ ઓફ ગુજરાતના સીઇઓ આર એન જોશીએ જણાવ્યું હતું કે, “જો કોઇ સહકારી બેંક સ્મોલ બેંક બને તો તે વધુમાં વધુ ₹25 લાખનું જ ધિરાણ કરી શકે. ઉદ્યોગો કે નાના ઉદ્યોગ સાહસિકોને ₹1 કરોડ થી ₹3 કરોડ કે તેનાથી પણ વધુ રકમની લોન આપી શકતી સહકારી બેન્કો સ્મોલ બેન્કો બને તો તેનો બિઝનેસ તો બંધ થઇ જશે. અગાઉ કરતાં ઓછો બિઝનેસ કરવાની આ પ્રકારની દરખાસ્ત સધ્ધર સહકારી બેંક સ્વીકારી શકે તેમ નથી.”

દેશના સહકારી માળખા સાથે સંકળાયેલા અને સહકાર ભારતીના વડા જયોતિન્દ્ર મહેતાએ આ જાહેરાતનો સીધો છેદ ઉડાડતા કહ્યું હતું કે અમે આ પ્રકારની ભલામણનો વિરોધ કરીએ છીએ.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન બેંક એન્ડ ક્રેડિટ સોસયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “આ ભલામણ જ સહકારી ક્ષેત્રના માળખાથી વિપરીત છે. કો-ઓપરેટીવ બેંકોની સ્થાપના જ નાના-મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓ માટે થઇ છે, ત્યારે આ બેન્કોની ખાનગી બેંક બનાવવી શકય નથી. તેના ખાનગી માલિકો બની જાય જેઓ હાલમાં ચૂટાઇને આવે છે.

અમે તો આ પગલાંનો વિરોધ કરીએ છીએ. એટલું જ નહીં સહકારી કાયદાઓમાં પણ સહકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની કોઇ જોગવાઇ નથી. તેવા સંજોગોમાં આવી ભલામણ સાથે હવે સહકારી કાયદાઓમાં પણ સુધારાઓ કરવામાં આવે તો આવી બાબત શકય બને,જે અંગે હાલમાં કોઇ જોગવાઇ જ નથી. ”

બુધવારે ધિરાણ નીતિની જાહેરાત કરતાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એન એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે, “બેન્કનો દરજ્જો બદલવા કેટલાંક વર્ગ તરફથી આરબીઆઇ સમક્ષ માગ કરવામાં આવી હતી. અમે શહેરી સહકારી બેન્કમાંથી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કન્વર્ઝન અંગે વિગતવાર સ્કીમ જાહેર કરીશું.”

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીના વડપણ હેઠળ રચાયેલી કમીટી ઓન અર્બન કો-ઓપરેટીવ બેંકે ભલામણ હતી કે મોટી અર્બન કો-ઓપરેટીવ બેંક પોતે ઇચ્છે તો, અને કેટલાંક માપદંડનું પાલન કરે તો તે સ્વૈચ્છિક રીતે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરી શકે છે. કમીટીએ ₹ 20,000 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ કરવાની પણ ભલામણ કરી હતી. કમીટીએ આપેલા રીપોર્ટમાં અર્બન કો-ઓપરેટીવ બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ થવા માટે ટ્રાન્ઝીશન સમય આપવાની પણ ભલામણ કરી હતી.

June 14, 2018
samsung-tv-suhd-overview-smart.jpg
1min12820

ટેલિવિઝન માર્કેટની નં 1 કંપની સેમસંગે પહેલીવાર ટીવીના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. શાઓમી સહિતની ચાઇનીઝ બ્રાન્ડ્સને કારણે ગભરાયેલી સેમસંગે મોટી સ્ક્રીન સાઇઝના એન્ટ્રી-લેવલનાં મોડલ્સના ભાવમાં મહત્તમ ઘટાડો કર્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓએ દક્ષિણ કોરિયાની સેમસંગને પછાડી દીધી છે અને હવે ટીવી માર્કેટમાં પણ ચાઇનીઝ બ્રાન્ડ્સનું વેચાણ વધી રહ્યું છે.

સેમસંગે ભાવ ઘટાડ્યા બાદ શાઓમી, Vu અને TCL જેવી ચાઇનીઝ કંપનીઓના ભાવ સામેનું પ્રીમિયમ ૧૦૦ ટકાથી ઘટીને 50-60 ટકા થઈ ગયું છે. આ ભાવ ઘટાડીને સેમસંગ તેનો બજારહિસ્સો સલામત રાખી શકશે તેમજ નવા ગ્રાહકો પણ ખેંચી શકશે.

કંપનીઓ નવાં મોડલ્સ આવે ત્યારે જૂનાં મોડલ્સના ભાવમાં નિયમિતપણે પાંચ ટકા જેટલો ઘટાડો કરતી હોય છે પરંતુ સેમસંગે 10-20 ટકા સુધી ભાવ ઘટાડ્યો છે, જે તેની પ્રાઇસિંગ સ્ટ્રેટેજીમાં કરેલા વ્યાપક ફેરફારને દર્શાવે છે. તેનાં નવાં મોડલ્સના ભાવ પણ નીચા છે.
જે ગ્રાહકો વાજબી બ્રાન્ડ્સ તરફ ખેંચાઈ રહ્યા છે તેમને આકર્ષીને બજારહિસ્સો કબજે કરવા માટે સેમસંગે ટીવી માટે ખૂબ જ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી છે.

ભારતના ₹22,000 કરોડનું મૂલ્ય ધરાવતા ટીવી માર્કેટમાં મુખ્યત્વે સેમસંગ, સોની અને LG વચ્ચે સ્પર્ધા છે અને હવે આ માર્કેટમાં શાઓમી, TCL, થોમ્સન, શાર્પ, BPL અને સ્કાયવર્થ જેવી નવી સ્પર્ધકો પણ આવી છે.

શાઓમીએ ફેબ્રુઆરીમાં ભારતમાં ટીવીનું વેચાણ શરૂ કર્યું હતું અને ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે તેનું ૪૩ ઈંચનું મોડલ ₹22,999માં, 55 ઈંચનું ₹44,999માં મળે છે. આની સામે સેમસંગે તેના ૫૫ ઈંચના ટીવીનો ભાવ ₹1,00,000થી ઘટાડીને ₹70,000 જ્યારે 43 ઈંચના ટીવીનો ભાવ ₹39,900થી ઘટાડીને ₹33,500 કર્યો છે.

મોટી બ્રાન્ડ્સ જેવા જ ફીચર ધરાવતી નવી બ્રાન્ડ્સને કારણે મોટી કંપનીઓને ભાવની સ્ટ્રેટેજી બદલવાની ફરજ પડી છે.

ભારતના ટીવી માર્કેટમાં સેમસંગનો હિસ્સો 30 ટકા છે. 55 ઈંચથી મોટાં ટીવીના માર્કેટમાં સેમસંગ 37 ટકા બજારહિસ્સો ધરાવે છે જ્યારે સોનીનો હિસ્સો 29 ટકા છે. જોકે, આ સેગમેન્ટમાં તેનો હિસ્સો જાન્યુઆરીના 39 ટકાથી ઘટીને એપ્રિલમાં 33 ટકા થયો હતો.

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15560

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.

June 12, 2018
nalin_kotadia.jpg
1min13670

પોલીસ પેપર જોતા કોટડિયા સામે બીન જામીનપાત્ર ગુનો અને ષડયંત્રમાં સામેલ હોવાનું કોર્ટે નોંધ્યું 

સુરતથી આકાર પામેલા અને ગુજરાતભરમાં ફેલાયેલા હજારો કરોડો રૂપિયાના બીટ-કોઇન ખંડણી કેસમાં પોલીસને મચક નહીં આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું ધરપકડ વોરંટ સેશન્સ કોર્ટે ઇશ્યૂ કર્યા બાદ પણ તેઓ ઘણાં સમયથી હાજર થતા નથી. પરીણામે ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચએ ધારીના પૂર્વ ભાજપી ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડૂ જાહેર કરવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા હવે સત્તાવાર રીતે કોટડિયાને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઇમે કોટડિયાને સીઆરપીસીની કલમ 82 મુજબ ભાગેડૂ જાહેર કરવા સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,  બિટકોઈન ખંડણી કેસમાં કુલ છ આરોપી પકડાયા છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી ઉઘરાવવા માટે કાવતરૂં રચાયું હતું. આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ, જતિન પટેલ અને નલિન કોટડિયા સુરત સર્કિટ હાઉસમાં મળ્યાં હતાં. કાવતરૂં ઘડીને કેતન પટેલે અમરેલી એસ.પી. જગદિશ પટેલ સાથે વાત કરી હતી.

અગાઉ વિવાદાસ્પદ રાજકારણી નલીન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

 

June 9, 2018
jiru.jpg
1min20940

ડુપ્લીકેટ જીરું જેને માનવામાં આવી રહ્યું છે એ સિમેન્ટ અને ઘાંસમાંથી બનાવાયું હતું ઃ ભેળસેળનો અંતિમ નિર્ણય વડોદરા લેબોરેટરીના રિપોર્ટના આધારે લેવાશે

વિશ્ર્વમાં જીરાંના હબ ગણાતા ગુજરાતના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાંથી ખોરાક અને ઔષધ વિભાગે દરોડો પાડી સિમેન્ટ અને ઘાસ મેળવીને બનાવેલું નકલી જીરું પકડી પાડ્યું છે. બ્રાહ્મણ વાડામાં બનતું નકલી જીરું પાલડિયા કોર્પોરેશન દ્વારા ઇજિપ્ત મોકલવાનું હતું. જેની બજાર કિંમત ૮૦ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ જીરુંમાં ભરત જગદીશ પટેલ નામના વેપારીએ તેમાં ભેળસેળ કરી હોવાની બાતમી મળતા તેના પર દરોડો પાડવામાં આવ્યો હતો. મહેસાણા ડેજીગેટેડ અધિકારી કે. આર. પટેલ, મહેસાણા ફૂડ સેફ્ટી ઓફિસર એસ. કે. પ્રજાપતિ તથા પાટણના એસ. બી. પટેલે સંયુક્ત દરોડો પાડ્યો છે. કમિશનર કચેરીના દીપિકા ચૌહાણે માર્ગદર્શન આપી સફળતાપૂર્વક દરોડો પાડી મોટો જથ્થો જપ્ત કર્યો છે.

આ જીરાના જ્થ્થાને ક્ધટેનરમાં ભરીને એક્સપોર્ટ એટલે કે ઇજિપ્ત રવાના કરવાની તૈયારી ચાલી રહી હતી, બરાબસ એ જ સમયે ખોરાક અને ઔષધ વિભાગે દરોડા પાડી જીરાના જથ્થાને જપ્ત કર્યું છે.

ઘાંસ અને સિમેન્ટનો ઉપયોગ કરાયો

ડુપ્લીકેટ મનાતા જીરાનો જથ્થો ઘાંસ અને સિમેન્ટમાં મિશ્રણ કરીને તૈયાર કરાયું હોવાની શંકાના આધારે નમૂના લઈને વડોદરાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પાટણની ક્રાઈમ બ્રાંચની મદદથી પકડી પાડવામાં આવેલું ૨૫ કિલોની ૨૮૦ બેગ ભરેલી છે. જે લગભગ ૫૨,૦૦૦ કિલો થવા જાય છે. જપ્ત કરાયેલા જીરાના જથ્થાની કિંમત અંદાજે રૂ. ૮૦ લાખ છે.

ભેળસેળની રાષાયણિક તપાસ

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાંથી ઝડપાયેલા ડુપ્લીકેટ મનાતા જીરુંના જથ્થામાં ખરેખર ભેળસેળવાળું છે કે કેમ, તે તપાસ કરવા માટે વડાદરા લેબોરેટરીને સેમ્પલ્સ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

June 8, 2018
ambani1.jpeg
1min15610
મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે રિલાયન્સના ચેરમેન તરીકે રૂ. 15 કરોડનો જ પગાર પેટે લીધા–  મળવાપાત્ર રૂ. 24 કરોડ જતા કર્યા
દેશના સૌથી લોકપ્રિય બનેલા ઉદ્યોગપતિ સ્વ.ધીરુભાઇ અંબાણીના મોટા દિકરા અને હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક પગાર પેટે નિશ્ચિત કરેલી ૧૫ કરોડ રૂપિયાની રકમ જ લીધી હતી. અંબાણીએ વેતન, અન્ય લાભ, ભથ્થા, કમિશન મળીને ૧૫ કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. તેઓ ૨૦૦૮-૦૯થી દર વર્ષે આટલો જ પગાર લે છે અને એ રીતે દર વર્ષે ૨૪ કરોડ રૂપિયા ઓછા લે છે. અને આવું તેઓ છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં તેમણે પગાર સાથે મળવાપાત્ર રૂ.240 કરોડની રકમ જતી કરી હોવાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓફિશ્યલ રિપોર્ટમાં જણાવાયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તાજેતરના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે ‘ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ધીરુભાઈ અંબાણીને તેમની ઈચ્છા મુજબ જ નિશ્ચિત કરેલી ૧૫ કરોડ રૂપિયાની રકમ મોકલી દેવામાં આવી છે. તેમણે આ રીતે ટોચના પદ પર ઓછા વેતન માટે વ્યક્તિગત રીતે ઉદાહરણ પૂરું પાડવાનું ચાલું રાખ્યું છે.’
એક તરફ ૨૦૧૭-૧૮ના વર્ષમાં કંપનીના ડિરેક્ટરો સર્વશ્રી નિખીલ મેસવાણી અને શ્રી મેસવાણીના વેતનમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે ત્યારે મુકેશ અંબાણીએ તેમના પગાર પેટે મળતી ખાસ્સી રકમ લેવાનું ટાળ્યું છે.
૨૦૧૭-૧૮ માટે તેમના વેતનમાં ૪.૪૯ કરોડ રૂપિયા પગાર અને ભથ્થાંનો સમાવેશ છે, જે ૨૦૧૬-૧૭માં મળેલા ૪.૧૬ કરોડ રૂપિયા કરતાં થોડો વધારે છે. કમિશન ગયા વર્ષ જેટલું જ ૯.૫૩ કરોડ રૂપિયા મળ્યું છે, જ્યારે અન્ય લાભ ૬૦ લાખ રૂપિયાથી ઘટાડીને ૨૭ લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. નિવૃત્તિના લાભ પેટે ૭૧ લાખ રૂપિયાનો સમાવેશ છે.
June 2, 2018
cbdt1.jpeg
1min13910

બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર

દાયકાઓ અગાઉ એટલે કે જૂના જમાનામાં જેની બોલબાલા હતી અને જે સ્કીમ અન્વયે બાતમીદારોએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કાળુ નાણું હોવાની બાતમી આપીને લાખો રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું એ બાતમીદાર સ્કીમને ફરીથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અપનાવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેનામી ટ્રાન્ઝેકશન કે બેનામી પ્રોપર્ટી વિશેની ‘ગુપ્ત બાતમી’ આપનારને ₹ એક કરોડ સુધીનો રિવોર્ડ મળશે. એ જ રીતે વિદેશમાં નાણાં ગોઠવનારાની ‘ગુપ્ત બાતમી’ આપનારને પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલી અજય દેવગણની ફિલ્મ રેઇડ માં પણ બાતમીદારે આપેલી માહિતીને આધારે જ સર્ચ ઓપરેશ  હાથ ધરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ કરોડોની બ્લેક મનીનો દલ્લો ઝડપી પાડ્યો હતો.

સાથો સાથ ‘ઈન્કમ ટેક્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ’ માં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧ હેઠળ પગલાં લઈ શકાય એવા ભારતમાં આવક કે એસેટોમાં મોટાપાયે કરચોરી થઈ હોય એવા કેસોની ‘ચોક્કસ બાતમી’ આપનારને રૂા. ૫૦ લાખ સુધીનું ઈનામ મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તા.1લી જુન 2018ના રોજ બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ કોઈપણ પ્રકારની બેનામી ટ્રાન્ઝેકશનો અને પ્રોપર્ટીઓ વિશે વિદેશીઓ સહિત કોઈપણ વ્યક્તિ જોઈન્ટ કે એડિશનલ કમિશનરોને ગુપ્ત માહિતી આપી શકે છે. આવા ટ્રાન્ઝેકશનો કરનારાઓ સામે બેનામી ટ્રાન્ઝેકશન્સ (પ્રોહિબિશન) એેમેન્ડેડ એક્ટ – ૨૦૧૬ હેઠળ કામ ચલાવી શકાશે.

CBDTએ જણાવ્યું હતું કે છુપા રોકાણકારો અને લાભ ખાટનારા પ્રોપર્ટી માલિકોએ કરેલી કમાણી તેમ જ બેનામી ટ્રાન્ઝેકશનો તેમ જ પ્રોપર્ટીઓની છુપી માહિતી આપવા માટે લોકોને પ્રોત્સાહન કરવાના આશયથી આ રિવોર્ડ સ્કીમ બનાવાઈ છે.

૨૦૧૮ની બેનામી ટ્રાન્ઝેકશન્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ હેઠળ બેનામી ટ્રાન્ઝેકશનો તથા પ્રોપર્ટીઓ વિશેની ચોક્કસ માહિતી છે એમાંથી કરવામાં આવેલી કમાણી વિશેની સ્પષ્ટ ચોક્કસ માહિતી જોઈન્ટ અથવા એડિશનલ કમિશનરો (બેનામી પ્રોહિબિશન યુનિટ્સ-બીપીયુ)ને આપનારી વ્યક્તિ રૂા. એક કરોડ સુધીનું ઈનામ મેળવી શકશે. આ તમામ ઈનામી સ્કીમ માટે માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.