બિઝનેસ Archives - Page 91 of 92 - CIA Live

May 25, 2018
adanai.jpg
1min12890

ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ

ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.

બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે

એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

 

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.

 

 

May 24, 2018
millionares.jpg
1min13430

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
Maruti-Suzuki-Cars.jpg
1min12750
ભારતની સૌથી મોટી ઑટોમેકર કંપની મારુતિ સુઝુકીનો ડોમેસ્ટિક માર્કેટમાં દબદબો જળવાઈ રહ્યો છે. કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં દસ લાખથી પણ વધારે ગાડીઓ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2017માં મારુતિએ કુલ 16,02,522 વાહન વેચ્યા. કંપનીએ વેચાણનો પોતાનો જ રેકોર્ડ તોડતાં પ્રત્યેક મિનિટે સરેરાશ 3 ગાડીઓ વેચી છે.
માર્કેટ શેરની વાત કરીએ તો મારુતિની પાર્ટનરશિપ 49.6 ટકા છે, જે સૌથી વધારે છે. ઑલ્ટો મારુતિ સુઝુકીની સૌથી વધારે વેચાતી કાર છે. ડિઝાયર પણ સૌથી વધારે વેચાનારી કારની રેસમાં છે. 2017માં ઑલ્ટોના કુલ 2,57,732 યુનિટ્સ વેચાયા. જ્યારે મારુતિ સુઝુકી ડિઝાયરના કુલ 2,25,043 યુનિટ્સ વેચાયા.
May 24, 2018
stock.jpg
1min12720

રોકાણકારોએ મિડ-કેપ શેરો માટે સાવધ રહેવું જોઈએ, કારણ કે તાજેતરના કરેક્શન બાદ પણ આ શેરો લાર્જ-કેપ શેરો કરતાં પ્રીમિયમે ટ્રેડ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં લાર્જ-કેપ શેરો કરતાં મિડ-કેપ શેરોમાં ચડિયાતું વળતર મળ્યું છે. આ વર્ષે આ ટ્રેન્ડ પલટાયો છે. આ બ્રોકરેજ હાઉસ હવે લાર્જ-કેપ શેરો પર ફોકસ કરવાની સલાહ આપે છે.

બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમં 2018માં અત્યાર સુધી 11.7 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સમાં આ સમયગાળામાં 1.7 ટકાનો વધારો થયો છે. મિડકેપ ઇન્ડેક્સ નવ જાન્યુઆરીના રોજ 18,321.37ના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે સ્પર્શ્યો હતો. આ પછીથી તેમાં 14 ટકાનો ઘટાડો થયો છે. આમ છતાં બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 46.5 ગણા પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયોએ ટ્રેડ થાય છે. આની સામે સેન્સેક્સ 22.4ના પીઇ રેશિયોએ ટ્રેડ થાય છે.

ઘરેલુ ફંડ્સના મજબૂત નાણાપ્રવાહ વચ્ચે પણ મિડ-કેપ શેરોએ ઊતરતો દેખાવ કર્યો છે. માર્ચ 2018માં પૂરા થયેલા વર્ષમાં ચોખ્ખો નાણપ્રવાહ ₹36,200 કરોડ રહ્યો હતો, જે 2016-17ના નાણાકીય વર્ષમાં ₹21,400 કરોડ હતો. સિટી માને છે કે જો ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સના નાણાપ્રવાહમાં ઘટાડો થાય તો મિડ-કેપ શેરોમાં મોટું જોખમ આવી શકે છે.

એફઆઇઆઇની સતત વેચવાલી, પ્રીમિયમ વેલ્યુએશન અને નબળી આર્થિક સ્થિતિને કારણે પસંદગીનો અભિગમ અપનાવો. જો અર્નિંગમાં રિકવરી નહીં આવે તો બજારના ફંડામેન્ટલ સંપૂર્ણપણે ઘરેલુ નાણાપ્રવાહ પર આધારિત છે.

બજારમાં હંમેશા રસપ્રદ મિડ કેપ આઇડિયા હોય છે, પરંતુ એક કેટેગરી તરીકે તે મિડકેપ અંગે સાવધ વલણ ધરાવે છે અને તે લાર્જકેપ શેરોને વધુ પસંદ કરે છે. મિડકેપ ફોકસ્ડ ફંડ્સમાં રોકાણપ્રવાહ મજબૂત રહ્યો હોવા છતાં મિડકેપ શેરોમાં કરેક્શન આવ્યું છે.

May 24, 2018
finance-management-2.jpg
1min13550

ફ્રીલાન્સર્સ, સ્વરોજગારી ધરાવતા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો જાણે છે કે, આવક અનિયમિત હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. કારણ કે વ્યક્તિએ ખર્ચ નિયમિત રીતે કરવો પડે છે, પણ એ ખર્ચ માટે આવક નિશ્ચિત હોતી નથી. ઓપ્ટિમા મની મેનેજર્સના સીઇઓ પંકજ મઠપાલ જણાવે છે કે, અનિયમિત આવક ધરાવતા લોકોને ખર્ચનો અંદાજ હોય છે, આવકનો નહીં. એટલે જ તેમના માટે નાણાકીય આયોજન મુશ્કેલ બને છે.” જોકે, સમજણપૂર્વકના આયોજન સાથે આ પડકારનો સામનો કરી શકાય.

ઇમરજન્સી માટે સૌથી પહેલાં વ્યવસ્થા

વ્યક્તિએ ઇમરજન્સી ખર્ચ માટે સૌથી પહેલાં વ્યવસ્થા કરવી જરૂરી છે. એક વર્ષના ખર્ચ જેટલાં નાણાંની FD કરો અથવા લિક્વિડ ફંડમાં મૂકો. એક્સેલન્ટ એડ્વાઇઝર્સના ડિરેક્ટર પુનિત ઓબેરોયના જણાવ્યા અનુસાર સ્વરોજગાર કરતી વ્યક્તિએ એક વર્ષની આવક જેટલું કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ. તેમાં વર્ષનો ઘરખર્ચ અને બિઝનેસના ફિક્સ્ડ ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ.

ઇમરજન્સી ફંડ ન હોય તો નાણાંની જરૂર પડે ત્યારે વ્યક્તિ એસેટ્સનું વેચાણ કરે છે. તેને લીધે મહત્ત્વના લક્ષ્યાંક માટેની ગણતરી ખોરવાઈ જાય છે. દર મહિને થતી આવકનું લક્ષ્યાંક આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અન્ય રોકાણકારોની જેમ સ્વરોજગારમાં સક્રિય પ્રોફેશનલ્સે લાંબા ગાળાના લક્ષ્ય સિદ્ધ કરવા ઇક્વિટીનો ઉપયોગ કરવો જોઈએ. તાત્કાલિક જરૂરિયાત માટે લિક્વિડ અને ડેટ ફંડ્સ સારો વિકલ્પ છે. ઉપરાંત, રહેઠાણની ખરીદી જેવા મધ્યમ ગાળાના લક્ષ્ય માટે તેમાં નાણાં રોકી શકાય.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવા જોઈએ. TBNG કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાનીએ જણાવ્યું હતું કે, “તમે પોતાની જાતને વેતન ચૂકવતા થઈ જશો ત્યારે તમે તેને અન્ય બિઝનેસ ખર્ચની જેમ ગણશો.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવાથી ફાઇનાન્શિયલ પ્લાન માટે સ્પષ્ટ ચિત્રનો ખ્યાલ આવશે. બિરાની SIPને બદલે તબક્કાવાર રોકાણની ભલામણ કરે છે. Oyepaisa.comના સ્થાપક ઉદય ધૂતના જણાવ્યા અનુસાર વ્યક્તિએ લઘુતમ રોકાણ કે બચતના કમિટમેન્ટની આદત રાખવી જોઈએ. ઉચ્ચક રકમનું રોકાણ લિક્વિડ ફંડ્સમાં કરવું હિતાવહ છે. ચોક્કસ લક્ષ્ય માટે આ પ્રકારના રોકાણની ટેવ રાખો.

નાણાકીય આયોજનને વળગી રહો

વ્યક્તિ નક્કી કરેલી યોજનાને વળગી ન રહે તો અસરકારક નાણાકીય આયોજન માટે ફાળવેલો સમય અને ઊર્જા નિરર્થક નીવડે છે. મઠપાલના જણાવ્યા અનુસાર “લોકો કમાય ત્યારે વધુ ખર્ચ કરે છે અને મુશ્કેલીના સમય માટે ખાસ બચત કરતા નથી. તેઓ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઊંચા વ્યાજે લોન લે છે.

આવી વ્યક્તિએ લાંબા ગાલાના નાણાકીય આયોજન સાથે વારંવાર સમાધાન કરવું પડે છે. એ વાત યાદ રાખો કે, અંકુશ વગરના ખર્ચા વ્યક્તિને જીવનના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યમાંથી વિચલિત કરે છે.

બિરાનીના જણાવ્યા અનુસાર ઘણા લોકો રોકાણને ટૂંકા ગાળાની તકવાદી નજરથી જુએ છે. રોકાણમાં સાતત્યનો અભાવ તેના લાંબા ગાળાના લાભમાં સતત નુકસાન કરાવે છે.વ્યક્તિ લાંબા ગાળા માટે નાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તેના ભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે.

આવક વધારતા વિકલ્પો

અનિયમિત આવક ધરાવતી વ્યક્તિએ સતત આવક રળી આપતા વિકલ્પો પર ધ્યાન આપવું જોઇએ. ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક પૂરતી ન હોય ત્યારે ઇમરજન્સી ભંડોળ તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે આવકના અન્ય સ્રોત તેને સ્થિરતા આપે છે. મઠપાલના જણાવ્યા અનુસાર આવક રળી આપતી એસેટ્સ ઊભી કરો. જેમકે, વ્યાજની આવક, ડિવિડન્ડ આવક કે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો.

ઇન્શ્યોરન્સને અગ્રિમતા આપો

વ્યક્તિ માટે પૂરતો જીવન વીમો અને હેલ્થ ઇન્શ્યોરન્સ રાખવો ફરજિયાત છે. કારણ કે સ્વરોજગાર કરતી વ્યક્તિ પાસે અન્ય કર્મચારીઓની જેમ કંપની તરફથી ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ હોતો નથી. મહાનગરમાં જીવનસાથી અને બે બાળક સાથે રહેતી વ્યક્તિ માટે ઓછામાં ઓછું ₹5 લાખનું વીમાકવચ જરૂરી છે. દર પાંચ વર્ષે વીમાની રકમની સમીક્ષા કરી તેમાં વધારો કરવો હિતાવહ છે. જીવન વીમો વ્યક્તિની વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઇએ.

May 24, 2018
fraud.jpg
1min13960

નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

nirav1

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.

CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.

એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

nirav2

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

nirav

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.

May 22, 2018
dollor.jpg
1min15280

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
mutual.jpg
1min14180

શેરબજારમાં ભારે વોલેટિલિટી હોવા છતાં રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સના ફોલિયોની સંખ્યા આશરે આઠ લાખ વધીને એપ્રિલ 2018ના અંતે 7.22 કરોડના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. આ અગાઉ 2017-18ના નાણાકીય વર્ષમાં 1.6 કરોડ નવા ફોલિયો ઉમેરાયા હતા, 2016-17ના નાણાકીય વર્ષમાં 67 લાખ તથા 2015-’16માં 59 લાખ નવા ફોલિયો ઉમેરાયા હતા.

દેશમાં કાર્યરત 42 ફંડ હાઉસિસના કુલ ફોલિયોની સંખ્યા ચાલુ વર્ષે વધીને 7,21,85,970 નોંધાઈ હતી, જે માર્ચ 2018માં નોંધાયેલા 7,13,47,301ની તુલનાએ 8.38 લાખની વૃદ્ધિ દર્શાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિટેલ રોકાણકારો ખાસ કરીને નાનાં શહેરના રોકાણકારોએ દાખવેલા અભૂતપૂર્વ ઉત્સાહ તથા ઇક્વિટી સ્કીમ્સમાં જંગી રોકાણને કારણે ઇન્વેસ્ટર એકાઉન્ટ્સમાં નોંધપાત્ર વધારો જોવાયો છે.

ટેક્સ સેવિંગ સાધન તરીકે રોકાણકારોમાં લોકપ્રિય એવી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં ફોલિયોની સંખ્યા 7.35 લાખ વધી 5.43 કરોડ થઈ હતી, જ્યારે બેલેન્સ્ડ કેટેગરીમાં ફોલિયોની સંખ્યા 1 લાખ વધી 60 લાખ થઈ હતી. જોકે ઇન્ક્મ ફંડ્સ અને ઇટીએફની અન્ય કેટેગરીમાં ફોલિયોની સંખ્યામાં સમીક્ષાના સમયગાળા દરમિયાન ઘટાડો જોવાયો હતો તેમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડામાં દર્શાવાયું છે.

આશરે બે મહિનાની અનિશ્ચિતતા પછી એપ્રિલમાં બજારમાં સાતત્યપૂર્ણ રિકવરી નોંધાઈ છે. નવું નાણાવર્ષ હકારાત્મક સેન્ટિમેન્ટ સાથે શરૂ થયું છે જે નવા રોકાણકારોના વધેલા વિશ્વાસમાં જોવા મળે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં નબળી કામગીરી જોવાઈ તેનું કારણ બજેટમાં લાગુ કરાયેલો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો તેમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના સીઓઓ હર્ષ જૈને જણાવ્યું હતું.

એપ્રિલ મહિનામાં નવા ફોલિયોમાં થયેલો વધારો દર્શાવે છે કે નવા રોકાણકારોનો ભય દૂર થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળા માટે વિશ્વસનીય અને ફ્લેક્સિબલ રોકાણ સાધન તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ ₹1.4 લાખ કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે. આમાંથી ઇક્વિટ અને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં આશરે ₹12,400 કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે.

May 22, 2018
mukesh-ambani.jpg
1min12500

ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા.

માત્ર બે વર્ષથી ઓછા સમયમાં રિલાયન્સ જીઓએ ભારતને મોબાઇલ બ્રૉડબૅન્ડ ડેટાનો ઉપયોગ કરનારો સૌથી મોટો દેશ બનાવ્યો છે. જોકે આ કંપની શરૂ કરવાનો આઇડિયો સૌથી પહેલાં કોને આવ્યો એનો ખુલાસો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ ગુરુવારે કર્યો હતો.

લંડનમાં ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ આર્સેલરમિત્તલ બોલ્ડનેસ ઇન બિઝનેસ અવૉર્ડ્સ સમારોહમાં વિવિધ બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ડ્રાઇવર્સ ઑફ ચેન્જ’નો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ‘ફાઇનૅન્શ્યલ ટાઇમ્સ’ના પત્રકારો તથા નિષ્પક્ષ નિર્ણાયકોએ છેવટે બાકી રહેલી છ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પસંદગી કરી હતી. રિલાયન્સે હાઇડ્રોકાર્બનના એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ ઍન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રીટેલ અને ૪G ડિજિટલ સર્વિસિસ ક્ષેત્રે હિંમતભરી પહેલ કરીને પોતાનું ગજું કાઢ્યું એ બદલ એને બિરદાવવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ આ પુરસ્કાર ડીપમાઇન્ડ ટેક્નૉલૉજીઝ, ઍમેઝૉન, ઍપલ, અલીબાબા વગેરે કંપનીઓને મળી ચૂક્યો છે.

આ સમારોહમાં બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘રિલાયન્સ જીઓનો સૌપ્રથમ આઇડિયા ઈશાએ ૨૦૧૧માં આપ્યો હતો. ૨૦૧૧માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને રજાઓમાં ઘરે આવી હતી. તે કંઈક કોર્સ-વર્ક સબમિટ કરવા માગતી હતી અને ત્યારે તેણે મને કહ્યું હતું કે ડૅડી, આપણા ઘરનું ઇન્ટરનેટ એકદમ સ્લો છે. એ વખતે મારા પુત્ર આકાશે કહ્યું કે એક સમયે ટેલિકૉમમાં કંપનીઓએ વૉઇસ-કૉલ દ્વારા કમાણી કરી, પણ હવે આધુનિક સમયમાં બધું ડિજિટલ છે. ભાઈ-બહેન બન્નેએ મારા ગળે વાત ઉતારી કે બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ આધુનિક સમયની આવશ્યક ટેક્નૉલૉજી છે અને ભારત એમાં પાછળ ન રહી શકે. એ અરસામાં ભારતમાં કનેક્ટિવિટી ઘણી જ નબળી હતી અને ડેટા મોંઘો મળતો હતો. આથી જીઓએ સસ્તા ભાવે ભરપૂર પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ કરાવ્યો અને આજે એ આખા દેશમાં ઉપલબ્ધ છે.’

May 22, 2018
bitcoin_1.jpg
1min13580

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.