
રિઝર્વ બેંક દ્વારા આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ને બુધવારે પોતાની ત્રિમાસિક આર્થિક નીતિ અંગેની જાહેરાત કરતા 0.35 ટકાનો વ્યાજના દરમાં ઘટાડો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ હિસાબી વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથીવાર વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે.
અગાઉ 2019-20ના હિસાબી વર્ષમાં જ રિઝર્બ બેંક દ્વારા રેપો રેટ એટલે કે વ્યાજના દરમાં 0.25 ટકાનો ઘટાડો ત્રણ વખત કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં મંદીનો માહોલ સર્વત્ર વ્યાપી ગયો હોઇ આ વખતે રિઝર્વે બેંકે અપેક્ષા મુજબ 0.35 ટકાનો ઘટાડો કર્યો છે.
રેપોરેટ એટલે શું
રેપો રેટ એટલે રિઝર્વ બેંક જે દર પર અન્ય બેંકોને નાણાં ધીરે છે તે રેટ. આજે થયેલા ઘટાડા બાદ હવે આરબીઆઈ દ્વારા બેંકોને ધીરવામાં આવતા નાણાં પરનું વ્યાજ ઘટીડને 5.40 ટકા થઈ ગયું છે.
સામાન્ય રીતે બેંકો આરબીઆઈ પાસેથી મળતા નાણાં કસ્ટમર્સને પોતાનું કમિશન ઉમેરીને ધીરતી હોય છે. જોકે, હવે આરબીઆઈએ વ્યાજ દરમાં મસમોટો ઘટાડો કરતા બેંકો પણ હોમ લોન, કાર લોન તેમજ અન્ય લોન્સ સસ્તી બનાવે તેવી શક્યતા છે.
રિઝર્વ બેંકના ગવર્નરે તાજેતરમાં જ બેંકોને ઘટેલા રેપો રેટનો ફાયદો ગ્રાહકોને આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. સરકાર પણ બેંકો લોન્સના વ્યાજ દર ઘટાડે તે માટે પ્રયાસો કરી રહી છે. આ વર્ષમાં જ ઘટેલા વ્યાજ દરનો આંકડો જોવામાં આવે તો, ત્રણ વાર 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ આજે 0.35 ટકાનો ઘટાડો ગણતરીમાં લઈએ તો આરબીઆઈ અત્યારસુધીમાં વ્યાજના દર 1.10 ટકા ઘટાડી ચૂકી છે. જોકે, ગણતરીની બેંકોએ જ તેનો લાભ ગ્રાહકોને આપ્યો છે.
હાલ અર્થતંત્રમાં જોરદાર મંદીનો માહોલ છે, ઉત્પાદન ક્ષેત્ર ઠપ્પ છે, ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ માંગમાં તીવ્ર ઘટાડાનો સામનો કરી રહ્યું છે ત્યારે આરબીઆઈ પાસેથી વ્યાજ દરમાં અડધા ટકાની અપેક્ષા સેવાઈ રહી હતી.


















