વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના ગૃહ ખાતા માટે રૂ. 1,19,025 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વરસની સરખામણીએ રૂ. 5,858 કરોડ વધુ છે.
ગૃહ ખાતા માટે ફાળવવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે પોલીસ, સરહદી વિસ્તારનું માળખું સુધારવા ઉપરાંત પોલીસ દળનું આધુનિકીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અમિત શાહ હાલ ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહ્યા હોવા છતાં વર્ષ 2018-19ના સુધારેલા રૂ. 1,13,167 કરોડ કરતાં માત્ર 5.17 ટકા જ વધુ રકમ ગૃહ ખાતા માટે ફાળવવામાં આવી છે.
રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી દિલ્હી પોલીસ માટે રૂ. 7496.91 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ભારત-પાક, ભારત-ચીન તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પર માળખાકીય સુવિધા સુધારવા રૂ. 2129 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી તેમ જ ઈશાન ભારતમાં નક્સલવાદવિરોધી કાર્યવાહીમાં રોકાયેલા તેમ જ ક્યારેક આંતરિક સુરક્ષા માટે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) માટે રૂ. 23,963.66 કરોડ ફાળવવામાં આવ્યા છે જે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 22,646.63 કરોડ કરતા વધુ છે.
ભારત-પાક અને ભારત-બાંગલાદેશ સરહદની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-બીએસએફ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 18585.96 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 19,650.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ-સીઆરપીએફ, બૉર્ડર સિક્ટોરિટી ફૉર્સ-બીએસએફ, ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ-આઈટીબીપી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ-સીઆઈએસએફ, સશસ્ત્ર સીમા બલ-એસએસબી, આસામ રાઈફલ્સ-એઆર અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ-એનએસજી સહિતના સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફૉર્સ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 67779.75 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ.કુલ મળીને રૂ. 71,713.9 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આંતરિક જાસૂસી માટે જવાબદાર ઈન્ટેલિજન્સ બ્યૂરો-આઈબી માટે અગાઉના વર્ષના રૂ. 2056.05 કરોડને બદલે આ વરસે રૂ. 2384.1 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના નિકટના પરિવારજનોની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ-એસપીજી માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 411.68 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 535.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
બૅરેક, નિવાસસ્થાન, વાહનો, શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી સહિત પોલીસ માળખામાં સુધારો કરવા રૂ. 4757 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસદળના અત્યાધુનિકીકરણ માટે વર્ષ 2018-19માં રૂ. 3462 કરોડ, સરહદી વિસ્તારમાં વિકાસના કાર્યક્રમ માટે રૂ. 825 કરોડ, જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા અને વતન પાછા ફરેલા લોકોનાં પુનર્વસન અને રાહત માટે રૂ. 842 કરોડ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શન માટે રૂ. 953 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહિલાઓની સુરક્ષા માટેની ‘નિર્ભયા’ યોજના માટે રૂ. 50 કરોડ, નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન માટે રૂ. 296 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વર્ષ 2021ની વસતિ ગણતરીને તૈયારી ચાલી રહી હોવા વચ્ચે એ માટે બજેટમાં રૂ. 621.33 કરોડ ફાળવવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિશેષ ઉદ્યોગ માટે રૂ. 50 કરોડ, હિન્દી ભાષાના પ્રસાર-પ્રચાર માટે રૂ. 78.09 કરોડ, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાય માટે રૂ. 4,895.81 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે રૂ. 4,817.48 કરોડ, ચંડીગઢ માટે રૂ. 4,291.70 કરોડ, દાદરા નગર હવેલી માટે રૂ. 1177.99 કરોડ, દીવ અને દમણ માટે રૂ. 821.4 કરોડ અને લક્ષદ્વીપ માટે રૂ. 1276.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.
બજેટમાં દિલ્હી માટે રૂ. 1112 કરોડ અને પુડુચેરી માટે રૂ. 1601 કરોડ ફાળવવામાં આવ્યા છે.