


આજે તા.19મી મે 2019ની સવારે 7ના ટકોરે ભારતની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન શરૂ થયું હતું. શાંતિ પૂર્ણ મતદાન માટે બધા વોટિંગ સેન્ટરની બહાર સુરક્ષા માટે કડક બંદોબશ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળમાં છેલ્લા દિવસે થયેલી હિંસાને જોતા સુરક્ષા દળોને વધારે અલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આજે બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4, પંજાબની 13, ચંદીગઢની 1 સીટ પર મતદાન છે. આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.
સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી.
મતદાન શરૂ થવા પહેલા પ્રત્યેક બૂથ પર પાર્ટીઓના પોલિંગ એજન્ટની ઉપસ્થિતિમાં મૉક પોલ નાખીને ઈવીએમ ચેક કરવામાં આવ્યા હતા. પ્રત્યેક બૂથ પર 50 મૉક નાખીને ઈવીએમ મશીન ચેક કરવામાં આવી. બાદ આ મૉક પોલને મશીનથી ડિલીટ કરી આધિકારીક મતદાન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 918 ઉમેદવાર મેદાનમાં છે. 2 વાગ્યા સુધીમાં લગભગ 41 ટકા મતદાન થયું છે.
ઝારખંડમાં સૌથી વધુ 53%, મધ્યપ્રદેશમાં 46% મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કામાં પણ હિંસા થઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેનાં રોજ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સની દેઓલ, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવાર મેદાનમાં છે.
વડોદરા- અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે. વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી ૧૧૦થી વધીને ૧૨૦ રૂપિયા કરવામાં આવી, જ્યારે એલસીવી ફી ૧૭૫થી વધીને ૧૮૫ રૂપિયા, બસ-ટ્રકનો ટોલ ટેક્સ ૩૮૫ કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી.
એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી ૧૧૦ રૂ., એલસીવીની ફી રૂ.૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂ.૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં ૨૦ રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે ૧લી એપ્રિલથી વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.
મોરબીની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસની ટિકીટ પરથી લોકસભા ચૂંટણી લડેલા લલિત કથગરાના પુત્ર વિશાલનું એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કલકત્તામાં મોત થયુ હોવાના અહેવાલોએ ગુજરાતભરમાં સન્નાટો મચાવી મૂક્યો હતો.
લલિત કથગરાનો પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા ત્યારે તેમની વોલ્વો બસનો એક ટ્રક સાથે ભયાનક અક્સ્માત થયો હતો. અકસ્માતમાં વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું
વિશાલ કગથરા તેમના ભાઈ રવિ સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્રિમ બંગાળના પ્રવાસે ગયા હતા. કોલકાતામાં ફ્લાઈટ ચૂકતા કલકત્તાથી બસમાં આવી રહ્યા હતા ત્યારે ટ્રેક પૂરઝડપે ટક્કર મારતા વિશાલને ઘટના સ્થળે બ્રેન હેમરેજ થતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું
વિશાલની મોતની સાથે કગથરા પરિવારમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. લલિત કગથરાના પુત્રના સમાચાર મળતા મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશાસનો વિશાલની મોતના સમાચાર આપ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી વિશાલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો
તાઇવાને શુક્રવારે સજાતીય લગ્નને કાયદેસર ગણવાનું નક્કી કર્યું હતું અને તે આવો નિર્ણય લેનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો.
તાઇવાનના સાંસદોએ ઠરાવો પસાર કરીને સજાતીય લોકોને લગ્ન માટે પરવાનગી આપી હતી અને તેઓને લગ્નની નોંધણી સરકારી એજન્સીઓમાં કરાવવા મંજૂરી આપી હતી. તાઇવાનના સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આ મોટો વિજય ગણાય છે અને તેની સીધી કે આડકતરી અસર એશિયાના અન્ય દેશો પર પણ પડી શકે છે. તાઇપેઇમાં ભારે વરસાદ પડતો હોવા છતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો મોટી સંખ્યામાં તાઇવાનની સંસદની બહાર ભેગા થયા હતા. તાઇવાન એલાયન્સ ટૂ પ્રમૉટ સિવિલ પાર્ટનરશિપ રાઇટ્સે જણાવ્યું હતું કે દેશની સંસદમાં સંબંધિત ઠરાવો પસાર થતાં સજાતીય સંબંધ ધરાવતા લોકો પોતાના લગ્નની ૨૪મી મેથી સરકાર પાસે નોંધણી કરાવી શકશે.

અગાઉ, તાઇવાનની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓને લગ્ન કરવા નહિ દઇને તેઓના બંધારણીય અધિકારનો ભંગ કરાય છે. અમે સરકારને આવા લગ્નને માન્યતા આપવા ૨૦૧૯ની ૨૪મી મે સુધીનો સમય આપીએ છીએ.
સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહેલા સંગઠનોએ જણાવ્યું હતું કે અમારા સજાતીય લગ્નને મળેલી માન્યતા મહત્ત્વની છે અને અમે હવે આવા દંપતીઓના બાળકો દત્તક લેવાના હક અને સરોગસીના મુદ્દે કાયદેસર લડતને આગળ વધારીશું.
તાઇવાનમાં એશિયાની સૌથી મોટી ગૅ પ્રાઇડ પરેડ યોજાય છે અને તે સામાજિક પ્રગતિવાળો દેશ ગણાય છે.
એક લશ્કરી જવાન સહિત ભારતના વધુ બે પર્વતારોહકોનાં નેપાળમાં પર્વતારોહણ દરમિયાન મૃત્યુ થયા છે અને ત્રીજો પર્વતારોહક લાપતા છે. બુધવારે નેપાળના કાંચનજંગા પર્વત પર બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયાં હતાં એ જોતાં ભારતીયોનો મરણાંક શુક્રવારે ચાર ઉપર પહોંચ્યો હતો. બુધવારે ચિલીનો એક પર્વતારોહક કાંચનજંગા પર્વત પર ગુમ થઈ ગયો હતો.

શુક્રવારે મળેલા અહેવાલ મુજબ ૨૮ વર્ષીય લશ્કરી સૈનિક રવિ ઠાકર વિશ્ર્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સવારે આ જ સર્વોચ્ચ શિખર પરના કૅમ્પ-૪ ખાતેના તેના તંબુમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે નારાયણ સિંહ વિશ્ર્વના પાંચમા ક્રમના સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુની ૮,૪૮૫ મીટરની ઊંચાઈએથી નીચે ઉતરતી વખતે ગુરુવારે રાત્રે કૅમ્પ-૪ ખાતે મૃત્યુ પામ્યો હતો. આ માહિતી પર્વતારોહણના આયોજકે આપી હતી.
કોલકતાનો બાવન વર્ષીય દીપનકર ઘોષ માઉન્ટ મકાલુ પર્વત પરથી પાછા આવતી વખતે કૅમ્પ-૪ની ઉપરના ભાગમાં ગુમ થઈ ગયો હતો, એમ સેવન સમિટ ટ્રેક્સના ચૅરમૅન મિન્ગમા શેરપાએ જણાવ્યું હતું.
ઘોષને શોધવા એક સર્ચ-ટીમે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તે નહોતો મળ્યો. ઘોષ ૨૦૧૧ની સાલમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયો હતો. એ ઉપરાંત તેણે માઉન્ટ કાંચનજંગા સહિત બીજા ચાર ઊંચા પર્વતો પણ સર કર્યા હતા.
લશ્કરી જવાન ઠાકર ઊંચાઈ પરના વાતાવરણમાં માંદો પડી ગયો હતો અને તેની માંદગી વધતી ગઈ હતી અને સંભાવના મુજબ તેણે શુક્રવારે સવારે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તે આઠ મેમ્બરોવાળી ટુકડીનો સભ્ય હતો. એ ટીમનું નેતૃત્વ આયર્લેન્ડના જાણીતા પર્વતારોહક નોએલ રિચર્ડ હૅન્નાએ સંભાળ્યું હતું. ઠાકર સહિત તમામ આઠ જણે ગુરુવારે સવારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.
દરમિયાન, આયર્લેન્ડનો સીમસ શૉન લૉલેસ નામનો પર્વતારોહક એવરેસ્ટ પરથી પાછા આવતી વખતે પર્વતની એક ધાર પરથી નીચે પડ્યો હતો અને ત્યાર બાદ સાથીઓને તેની ભાળ નહોતી મળી શકી.
બુધવારે કાંચનજંગા પર્વત પર માંદગીને લીધે મૃત્યુ પામેલા બે ભારતીયોમાં કોલકતાના ૪૮ વર્ષીય બિપ્લબ બૈદ્યનો અને ૪૬ વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો.
દરમિયાન, પશ્ર્ચિમ બંગાળ સરકાર બિપ્લબ અને કુંતલના મૃતદેહ મેળવવા બે મેમ્બરોની એક ટુકડીને મોકલી રહી છે. જોકે, એક અહેવાલ મુજબ બન્નેના મૃતદેહ ૮૫૮૬ મીટર ઊંચે કંચનજંગા પર્વત અને કૅમ્પ-૪ વચ્ચે ક્યાંક પડ્યા છે. જો બે દિવસમાં તેમના મૃતદેહ નહીં મળે તો એ શોધવાનું અભિયાન સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં લેતાં લગભગ એક વર્ષ માટે મુલતવી રાખવું પડશે.
વિશ્ર્વના કેટલાક સૌથી ઊંચા પર્વતો નેપાળમાં છે અને એ સર કરવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પર્વતારોહકો નેપાળ આવતા હોય છે. તેઓ ખાસ કરીને વસંત ઋતુ (માર્ચથી જૂન)માં પર્વતારોહણ કરતા હોય છે.
આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.
વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’
શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.
શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.

કુલ ૭૦.૨૭ કરોડ રૂપિયાના ઇનામો: રનર્સ-અપ ટીમને મળશે ₹ ૧૪ કરોડ

આગામી ૩૦મી મેએ ઈંગ્લૅન્ડમાં શરૂ થનારા આઈ. સી. સી. વર્લ્ડ કપની વિજેતા ટીમને ૪૦ લાખ અમેરિકન ડૉલર (૨૮ કરોડ રૂપિયા)નો રોકડ અવૉર્ડ મળશે, જે સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી વધુ ઈનામની રકમ છે.
દસ ટીમના હિસ્સા સાથેની આ સ્પર્ધાના વિજેતાને ટ્રોફી પણ ભેટ કરાશે જે માટે ઐતિહાસિક લોર્ડ્સના ગ્રાઉન્ડ પર ૧૬મી જુલાઈએ ફાઈનલ મેચ રમાનાર છે, એમ આઈ. સી. સી. તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં કુલ એક કરોડ અમેરિકન ડૉલરના ઈનામ અપાનાર છે જેમાંથી રનર્સ-અપ ટીમના ફાળે ૨૦ લાખ ડૉલર (૧૪ કરોડ રૂપિયા)આવશે તથા સેમી-ફાઈનલ રાઉન્ડમાં હારી જનારી ટીમોને પ્રત્યેકને ૮૦૦,૦૦૦ (૫.૬૨ કરોડ રૂપિયા) ડૉલર મળશે.
૪૬ દિવસના કાર્યક્રમની આ સ્પર્ધાનો ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી પ્રારંભ થનાર છે અને તેની મેચો જુદા જુદા ૧૧ સ્થળે ભાગ લેનારી બધી ટીમ વચ્ચે રાઉન્ડ-રોબિન પદ્ધતિએ રમાશે.
દરેક લીગ મેચમાં વિજય માટે પણ ઈનામ રાખવામાં
આવ્યા છે.
આઈ. સી. સી. વર્લ્ડ કપ-૨૦૧૯ના ઈનામ
વિજેતા ટીમ (૧): ૪,૦૦૦,૦૦૦ અમેરિકન ડૉલર.
રનર્સ-અપ ટીમ (૧): ૨,૦૦૦,૦૦૦ અમેરિકન ડૉલર.
સેમી-ફાઈનલમાં હારી જનાર ટીમ (૨): ૮૦૦,૦૦૦ અમેરિકન ડૉલર.
દરેક લીગ મેચની વિજેતા ટીમ (૪૫): પ્રત્યેકને ૪૦,૦૦૦ અમેરિકન ડૉલર.
લીગ તબક્કાથી આગળ વધનાર ટીમ (૬): પ્રત્યેક્ને ૧૦૦,૦૦૦ અમેરિકન ડૉલર.