બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.
3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.
આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.
રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે.
સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના 21 કર્મચારીને પ્રસંશનીય સેવાનું મેડલ
સેવા મેડલ
વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે (Medal for Meritorious Service (MSM) પુરસ્કાર આપવામાં આવે છે.
99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે.
ભારત અને ઇંગ્લેન્ડવચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે.
આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. પાંચમી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય બેટરની સાથે બોલરમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની જોડીએ નવ વિકેટ ઝડપીને જીત અપાવવામાં મોટું પ્રદાન આપ્યું હતું. આકાશ દીપ સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર તથા મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે ઓવલ ટેસ્ટમાં છ રનથી જીત મેળવી છે, જેમાં પાંચમા દિવસે યજમાન ટીમ ઈંગ્લેન્ડને ફક્ત 35 રન બનાવવાના હતા, પરંતુ ફક્ત 28 રન બનાવી શક્યું હતું અને છ રનથી મેચ હારી ગયું.
એની સાથે એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2-2થી ડ્રોમાં પરિણમી છે. ઓવલ મેદાન પર ભારતની ત્રીજી ટેસ્ટમેચની જીત છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા રનથી જીતેલી ટેસ્ટમેચ છે. અજિત વાડેકર અને વિરાટ કોહલી પછી શુભમન ગિલ ત્રીજા ભારતીય કેપ્ટન બન્યો છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમે ઓવલમાં જીત મેળવી છે.
વરસાદથી પ્રભાવિત થયેલી ઓવલ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રને પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 247 રન બનાવ્યા હતા, જ્યારે પહેલી ઈનિંગની અંગ્રેજોની 23 રનની લીડ હતી.
બીજી ઈનિંગમાં ભારતીય ટીમવતીથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન મોટી ઈનિંગ રમી શક્યા નહોતા, પરંતુ યશસ્વી જયસ્વાલ 118 રનની શાનદાર બેટિંગ કરીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં નિમિત્ત બન્યો હતો, જેમાં આકાશદીપના 66 રન સાથે ભારતીય ટીમે 396 રન બનાવ્યા હતા, જેથી ઇંગ્લેન્ડને જીત માટે 374 રનનો સ્કોર જીતવા માટે કરવાનો હતો.
પાંચમા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજે સૌથી પહેલા જેમી સ્મિથની વિકેટ ઝડપી હતી, ત્યાર પછી જેમી ઓવર્ટનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. એના પછી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ જોશ ટંગને બોલ્ડ કર્યો હતો.
એના પછી જીત માટે ઇંગ્લેન્ડ 17 રન દૂર હતું, ત્યારે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ બેટિંગ માટે આવ્યો હતો. ગસ એટકિન્સન અને વોક્સની ભાગીદારીમાં બીજા દસ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીત માટે સાત રન જોઈતા હતા. 86મી ઓવરના પહેલા બોલે સિરાજે એટકિન્સનને આઉટ કરીને ભારતની જીત નક્કી કરી હતી.
ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ.
હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો.
ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.
ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’
ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’
ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી
સુનીલ ગાવસ્કર
બિશેન સિંહ બેદી
કપિલ દેવ
અનિલ કુંબલે
રાહુલ દ્રવિડ
સચિન તેંડુલકર
વીનુ માંકડ
ડાયના એડુલજી
વીરેન્દ્ર સેહવાગ
નીતુ ડેવિડ
એમએસ ધોની
ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.
અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે
ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.
‘નીતિ આયોગ’ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.
આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.
નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.
ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.
ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.
આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.
જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.
કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.
નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.
જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચે થાય છે. મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફનું એક પગલું છે.
મહિલા દિવસનો ઈતિહાસ
મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908 માં, યુ. એસ. માં કામ કરતી મહિલાઓએ ન્યૂ યોર્કમાં નીચા વેતન, લાંબા સમય સુધી કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ કરી હતી. એક વર્ષ બાદ, 1909માં, સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. બાદમાં, ક્લેરા ઝેટકિન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ 1911માં જર્મની, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
દર વર્ષે મહિલા દિવસના અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને પરિસંવાદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક થીમ નક્કી કરે છે. વર્ષ 2024ની થીમ Inspire Inclusion હતી. જેનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો અને ભાગીદારી પ્રદાન કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ Accelerate Action છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.