CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 4 of 12 - CIA Live

August 13, 2021
bilungualpic-2.jpg
4min1290

એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.

આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો. 

2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી)  સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.

1.  ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.

2.  અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય  શીખવવો.

3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.

બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. 

દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.  દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.

સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ  ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના  પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના  માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.

1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.

2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.

3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં,.

4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.

5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે જીલ્લાશિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે.

. ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ  

શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”

બી. જે તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.

સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.

દ્વિભાષી માધ્યમ અંગે વિગતવાર માર્ગદર્શન ક્યાંથી મળશે

સુરતની શાળાઓ દ્વારા એક માર્ગદર્શક વેબસાઈટ શરૂ કરવામાં આવશે

https://bilingualmedium.in/

જેનાથી આ માધ્યમ વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

July 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min628

રાઇટુ એજ્યુકેશન એક્ટ અન્વયે સુરત શહેરની પ્રાથમિક શાળાઓના પહેલા ધોરણમાં ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવેલી કુલ 25 ટકા બેઠકો પર આજરોજ તા.27મી જુલાઇએ અંદાજે 7956 ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે પહેલા ધોરણમાં ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને આવનાર વાલીઓના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલોએ પહેલા ધોરણમાં બિલકુલ ફ્રીમાં પ્રવેશ આપવો જ પડશે.

રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબ વર્ગના બાળકોને કહેવાતી હાઇફાઇ, સેન્ટ્રલ બોર્ડની, ઉંચી ફી ધરાવતી કોઇપણ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલના પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે છે, પણ શરત એક જ છે કે એ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ વાલી-વિદ્યાર્થીના રહેઠાણથી એકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોવી જોઇએ.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જાહેર કરાયેલી પહેલી એડમિશન યાદી અન્વયે જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ફાળવેલી સ્કુલે જઇને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે.

July 26, 2021
kids-social.jpg
1min562

નવી પેઢીના ભાવિ સાથે જોડાયેલા ચિંતા જગાવતા સમાચારમાં ભારતમાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેવો ખુલસો દેશના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરાયો છે. પંચના અભ્યાસ અનુસાર દેશમાં 10 વર્ષની વયના 37.8 ટકા બાળકો ફેસબૂક એકાઉંટ અને 24.3 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ધરાવે છે.

બાળ અધિકાર સંરક્ષણ પંચનો સર્વે : 37.8 ટકાનાં ફેસબુક, 24.3 ટકાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ખાસ ઉલ્લેખનીય છે કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર અકાઉંટ ખોલવા માટે નિર્ધારિત માપદંડો મુજબ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષની નક્કી કરાઇ છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે મોટાભાગના બાળકો પોતાના માતા-િપતાના મોબાઇલ ફોન પરથી ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા પર સક્રિય છે.

કોરોના મહામારી વચ્ચે આ સર્વેમાં જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પરની ઘણી સામગ્રી હિંસક, અશ્લીલ, ઓનલાઇન દુર્વ્યવહારની હોય છે જે બાળકો માટે યોગ્ય નથી.

કોરોના કાળમાં શાળાઓ બંધ રહેતાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું છે એ જોતાં શિક્ષણ માટે ઉપયોગ ભલે યોગ્ય હોય પરંતુ સોશ્યલ મીડિયામાં ઘણી નાની વયે બાળકો સક્રિય થતાં હોઇ યોગ્ય નિરીક્ષણ અને કડક નિયમો જરૂરી હોવાનું પંચ સૂચવે છે.

June 17, 2021
covid_cia.jpg
1min493

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 11, 2021
kids-mask.png
1min723

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 2, 2021
cbse1.jpg
1min526

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

May 30, 2021
coronavictims.jpg
3min661

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min543

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

April 16, 2021
corona-gujarat.jpg
1min499

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.

April 5, 2021
CIA_Live_Logo_New2.jpg
1min563

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે કોરોનાના વધતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં બઢતી આપવામાં આવશે. ધો.૧થી ૮માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોઇપણ પ્રકારે વાર્ષિક પરીક્ષા નહીં લેવાય.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધો.૯થી ૧૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઇને જાણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શું કહ્યું સાંભળો