
રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.




















