

રાજદ્રોહના એક કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના નેતા અલ્પેશ કથિરીયાની 3 વર્ષ બાદ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો, આ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળે એની વાટ જોઇને બેઠેલા હજારો પાસ કાર્યકર્તાઓની આશા આજે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી જામીન અરજીની સુનવણી બાદ ઠગારી નિવડી હતી. હાઇકોર્ટે અલ્પેશ કથિરીયાને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે અને વધુ સુનવણી તા.19મી નવેમ્બર 2018ના રોજ સુનવણી ધરવાનો આદેશ કર્યો હતો. અલ્પેશ કથિરીયાએ હવે દિવાળી જેલમાં જ કાઢવી પડશે એ વાત નિશ્ચિત થઇ જવા પામી છે.

રાજદ્રોહના કેસમાં 3 વર્ષ બાદ ધરપકડ કરીને જેલમાં મોકલાયેલા પાસના સુરતના અાગેવાન નેતા અલ્પેશ કથિરીયા ની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને અલ્પેશને કોઇ રાહત નહીં આપીને આગામી તા. 19 નવેમ્બરના રોજ હાઇકોર્ટ અલ્પેશ કથિરીયાના જામીન અરજી પર ચુકાદો આપશે.
અલ્પેશ કથિરીયાના કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ ક્રિમિનલ કોન્સપિરન્સીની ગુજરાત સરકારની રજૂઆત હતી. સરકારે દલીલ કરી હતી કે, અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે અને તપાસ પણ હજુ બાકી છે. અલ્પેશ કથિરીયાના વકીલે પણ દલીલ કરી હતી કે, અલ્પેશ કથિરીયા ગુજરાતમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી.
અલ્પેશ કથિરીયાના વકીલે કહ્યું હતું કે, જે ઘટના પર સરકાર આધાર રાખી રહી છે, તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો. પોલીસે આ કેસમાં ત્રણ વર્ષ સુધી અલ્પેશ કથિરીયાની ધરપકડ ન કરી ત્યારે પણ અલ્પેશ ભાગેડું નહોતો અને તે કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એમ તેના વકીલે જણાવ્યું હતું. સરકારે પોતાની એફિડેવિટમાં એ ભાગેડું હતો એવું કહ્યું નથી, ફક્ત કાગળ પર જ તેને ભાગેડું બતાવવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એવી એફિડેવિટ ફાઇલ કરી છે કે, અલ્પેશ કથિરીયા સામે પૂરતા પુરાવા છે અને જો અલ્પેશ કથિરીયાને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે છે. આ સિવાય તે ટ્રાયલ દરમિયાન પણ કોર્ટમાં હાજર નહીં રહે.
31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ પ્રસંગને લઈ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન મોદી તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે ગાંધીનગરમાં રાતવાસો કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રાતવાસો કરશે જેને પગલે ગાંધીનગરમાં સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ છે. પીએમ મોદીની સુરક્ષા માટે 800 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

વડાપ્રધાન કેવડીયા જતા પહેલા ગાંધીનગરમાં 30મીએ રાતવાસો કરીને 31મીએ સવારે હવાઇ માર્ગે કેવડીયા જશે. ગાંધીનગરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને રીહર્સલ થઈ રહ્યુ છે. પીએમનાં રૂટમાં ઝાડીઓ તથા ગરનાળાઓમાં સર્ચ કરવામાં આવ્યુ હતુ. સુત્રોનાં જણાવ્યાનુંસાર વડાપ્રધાનની સુરક્ષા તથા પ્રોટોકોલ પ્રમાણે 1 આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 30 પીઆઇ, 60 પીએસઆઇ, 600 પોલીસ જવાનો, 50 મહિલા પોલીસ, એસઆરપી, ક્યુરઆરટી તથા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે ફાયર બ્રિગેડ તથા મેડીકલ ટીમો પણ તૈનાત રખાશે.
દિનેશ બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવતા પાસના જ આગેવાન દિનેશ બાંભણિયા સંગીન આરોપ લગાડતા કહ્યું છે કે અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. જેડી યુ સાથે મળીને હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા સક્રિય હોવાનો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે.

બાંભણિયાના કહેવા મુજબ હાર્દિક પટેલનું JDU સાથે કનેક્શન છે. જેથી JDUના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.
એટલું જ નહીં હાર્દિક સારવારના બહાને દિલ્હી આનંદ કરવા ગયો હોવાનો આડકતરો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે,’આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.’

ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યાનો મામલે તા.26મીની રાતથી આગજની, તોડફોડના બનાવ બન્યા હતાં. તેના પગલે તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં.રાત દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવા અંગે 45 શખસની અટકાયત કરાઇ હતી. તા.26મી ઓક્ટોબર 2018ના રોજ આખો દિવસ મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું કલેકટર દ્વારા પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં હુકમ થયો છે.
ત્રણ દિવસ પહેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ચાર શખસે હત્યા કરી હતી. આ ખૂનના બનાવના પગલે મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન 26મીએ રાત્રે લોકોનું ટોળુ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને’ હોસ્પિટલ રોડ પર સાજન સજની નામની દુકાનમાં આગ લગાડી હતી. નેસવડ ચોકડી પાસે તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક વાહન સળગાવવામાં આવ્યું હતું અને રેંકડી, લારીઓ અને કેબીન, દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસના કહેવાતા ચાંપતા બંદોબસ્તની પરવા કર્યા વગર ટોળાએ શરૂ કરેલી તોડફોડ અને આગજનીના પગલે પોલીસે તોફાની ટોળા પર કાબુ લેવા માટે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં. એ પછી તોફાન કાબુમાં આવ્યા હતાં.

રાતના દસ વાગ્યાથી શરૂ થયેલા તોફાન સવારે ચાર વાગ્યાની આસપાસ કાબુમાં આવ્યા હતાં. આ છ કલાક દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોન, કપડા, કરિયાણા વગેરેની દુકાનોનો સમાવેશ થાય છે. આ તોફાનના પગલે આજે શુક્રવારે મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.’ હાલમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તોફાનના પગલે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડીને મહુવામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે.
શાંતિ માટે અપીલ: મહુવામાં ફરી ફેલાયેલી તંગદિલીના પગલે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આવતીકાલથી તલગાજરડામાં મોરારીબાપુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે.

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.
દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.19 ઓક્ટોબર 2018ના રોજ સુરત કલેક્ટર પદે ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયા છોડ્યાના રિપોર્ટ પહેલા વહેલા રજૂ કર્યા ત્યારે કહ્યું હતું કે સુરત કલેક્ટરે શરૂ કરેલો આ ટ્રેન્ડ વાઇરલ થશે અને થયું પણ એવું જ. સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલાને ચોમેરથી આવકાર મળ્યો અને અનેક લોકોએ પોતાના કલાકો વેડફી નાંખતા સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે મન બનાવી લીધા હોવાના ફિડબેક મળી રહ્યા છે.
સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા

આજે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલના પગલે સુરત કલેક્ટર બેડામાં ફરજ બજાવતા 5 ડેપ્યુટી કલેક્ટર્સ ( પ્રાંત અધિકારીઓ)એ પણ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાના નિર્ણયનો અમલ કર્યો છે. સુરત સિટી પ્રાંત અધિકારી, ઓલપાડ પ્રાંત અધિકારી, માંડવી પ્રાંત અધિકારી, બારડોલી પ્રાંત અધિકારી અને કામરેજ પ્રાંત અધિકારી આજે દિવસ દરમિયાન તમામ વ્હોટ્સ એપ ગ્રુપમાંથી એક પછી એક લેફ્ટ થઇ ગયા હતા. મિડીયા ગ્રુપ સમેત કર્મચારીઓ, અધિકારીઓ, સોશ્યલ ગ્રુપ તમામમાંથી આ અધિકારીઓ ફટાફટ લેફ્ટ થયા હતા.
સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનો આ ટ્રેન્ડ સામાન્ય કર્મચારીઓથી લઇને નાયબ મામલતદાર અને મામલતદારોમાં પણ ચર્ચાસ્પદ રહ્યો છે અને આગામી દિવસોમાં સુરત કલેક્ટરેટના વધુ કર્મચારીઓ સોશ્યલ મિડીયાને રામ રામ કરી દે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
Jayesh Brahmbhatt 98253 44944
સુરત કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા ડો. ધવલ પટેલે આજે તેમના સહકર્મચારીઓ તેમજ સહ અધિકારીઓને એક છેલ્લો મેસેજ (સોશ્યલ મિડીયા પર) આપીને અચરજમાં મૂકી દીધા હતા. ડો. ધવલ પટેલે કરેલા મેસેજનો સાર એ હતો કે તેઓ હવેથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાને કાયમ માટે તિલાંજલી આપી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન યુઝ કરશે, તેના પર ફોન કોલ કરીને, મેસેજ કરીને અગર તો ઇમેલ થકી તેમને (ડો. ધવલ પટેલનો) સંપર્ક કરી શકાશે.

સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ
સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે
પોતાના સહકર્મચારીઓ અને સહઅધિકારીઓને સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે પાઠવેલો આ મેસેજ જોતજોતામાં એટલો વાઇરલ થયો કે ન પૂછો વાત. બુદ્ધિજીવીઓથી લઇને સરકારી અધિકારીઓમાં આજે તા.19મી ઓક્ટોબર 2018ની સાંજથી આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મોટા ભાગના અધિકારીઓનું કહેવું હતું કે આઇ.એ.એસ. ડો. ધવલ પટેલે શરૂ કરેલો ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન સામાજિક સમસ્યાઓના સૌથી મોટા પરીબળ તરીકે ઉપસી રહ્યા છે.

(આ હતો સુરત કલેક્ટરનો તેમના સહકર્મચારીઓ, અધિકારીઓને અંતિમ સ્માર્ટ ફોન મેસેજ)
સનદી અધિકારી ડો.ધવલ પટેલએ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયા પર એક્ટીવ નહીં રહેવા પાછળ તેમનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. ભલે તેઓ અંગત કારણથી સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી પરહેઝ રાખશે. પણ હવે પછી તેમણે શરૂ કરેલો આ ટ્રેન્ડ સેંકડો નહીં પણ હજારો લોકો અપનાવતા થશે અને એટલે જ સી.આઇ.એ. લાઇવ વેબ પણ કહે છે કે ડો.ધવલ પટેલ શરૂ કરેલો આ ટ્રેન્ડ દૂર તક જાયેગા.
અનેક બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થઇ રહ્યા છે. સમાજના અનેક લોકો પ્રભાવશાળી વ્યક્તિઓનો ફોલો કરતા હોય છે. કોઇ સનદી અધિકારી, આઇ.એ.એસ. ઓફિસર જ્યારે સ્માર્ટ ફોને સોશ્યલ મિડીયા વગર સરળતાથી જીવી જાણતો હોય તો પછી સામાન્ય વ્યક્તિઓ તો સરળતાથી તેના વગર રહી શક્શે. અને એટલે જ સ્માર્ટ ફોન કે સોશ્યલ મિડીયાથી દૂર રહેવા માટે કોઇ પહેલની જ જાણે રાહ જોવાતી હોય એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે એમાં બે મત નથી.

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.
સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં એક તરફ નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ પોતાનો કેર યથાવત્ રાખ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1374 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પે.માં 584 કેસ છે.

તા.13મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પો. ખાતે 12, સુરત કોર્પો. અને કચ્છ ખાતે 4-4, ગાંધીનગર ખાતે 3, ભાવનગર ખાતે 2, વડોદરા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, આણંદ, અમરેલી, જામનગર અને નવસારી ખાતે 1-1 સ્વાઇન ફ્લૂના કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે આજ સુધીમાં કુલ 36 દર્દીઓનાં મૃત્યુ નોંધાયાં છે. જો કે સદ્નસીબે આજે સ્વાઇન ફ્લૂને કારણે વધુ કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક 36 જાહેર થયો તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પો.માં 15 મહેસાણામાં 3, રાજકોટ 2, બનાસકાંઠા 1, અરવલ્લી 2, પાટણ 2, સુરત 3, ખેડા 1, ગીર સોમનાથ 2 અને અન્ય જિલ્લા અને કોર્પોરેશન મળીને 4નો સમાવેશ છે.