CIA ALERT

વાયરલ Archives - Page 82 of 82 - CIA Live

August 13, 2018
major1.jpg
1min6760

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 11, 2018
chikufarmbullet.jpg
1min11780

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.

 

August 11, 2018
lalit.jpg
1min6450

ધોરાજીના ભાદર ડેમ માં કેમિકલયુક્ત ગંદુ અને ઝેરી પાણી હોવાના મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ અહીં જળ સમાધિ લેવાની ચિમકી ઉચ્ચારતા ભૂખી ગામે આજે સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. દરમિયાન હાર્દિક પટેલે પણ લલીત વસોયાને સમર્થન આપીને જળસમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને આજે બન્નેની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. લલીત વસોયા ડેમમાં ભૂસકો મારે તે પહેલા જ પોલીસે તેમને જબરદસ્તી કરીને પકડી રાખ્યાના અહેવાલો સ્થળ પરથી મળ્યા હતા.

જળસમાધી પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ પર જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

August 8, 2018
maratha.jpg
1min11460

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 5, 2018
goat.jpg
1min13220

મસ્જિદ બંદર સ્ટેશન પર બુધવારે એક અજીબ ઘટના ઘટી.

goat

એક યાત્રી ટિકિટ વિના પોતાની બકરી લઈને સફર કરી રહ્યો હતો. રેલવેના નિયમ અનુસાર સામાન્ય ડબ્બામાં પ્રાણીઓને લઈને સફર કરવાની પરવાનગી નથી હોતી. ટિકિટચેકરે જ્યારે આ ભાઈ પાસે ટિકિટ માગી ત્યારે પહેલાં તો તે ગભરાઈ ગયો. ઊભો થઈને ખિસ્સાં ફંફોસવા લાગ્યો અને પછી ચકમો આપીને ત્યાંથી ભાગી ગયો. જોકે તેની બકરી ટ્રેનમાં જ રહી ગઈ.

આવા સંજોગોમાં હવે આ બકરીનું શું કરવું એ બાબતે ટિકિટચેકર મૂંઝવણમાં મુકાયા. તેમણે આ બકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી અને CSMTના લગેજ રૂમમાં બાંધી દીધી.

તા.3 ઓગસ્ટે આ બસંતી નામની આ બકરીની પણ હરાજી કરવામાં આવી હતી. લગેજ રૂમમાં બાંધેલી બકરી પર બાકાયદા ‘૩૦૦૦ રૂપિયામાં વેચાણ માટે’ એવી તકતી લગાવવામાં આવી હતી. રેલવે-અધિકારીઓને તા.3 ઓગસ્ટે એનો ખરીદદાર મળ્યો હતો અને એ ૨૫૦૦ રૂપિયામાં વેચાઈ હતી. અબ્દુલ રહેમાન નામની વ્યક્તિએ આ બકરી ખરીદી હતી અને તેણે કહ્યું હતું કે બકરીનું શું કરવું એ વિશે મેં હજી વિચાર્યું નથી.

July 25, 2018
mumbai1.jpeg
1min14030

મરાઠા અનામતની માંગને લઈને બીજા દિવસે પણ મહારાષ્ટ્ર બંધના એલાનના હિંસક પ્રત્યાઘાત પડ્યા છે. ટ્રેન, બસ, પબ્લિકપ્રોપર્ટી પર બેફામ પથ્થરમારો કરીને પારાવાર નુકસાની પહોંચાડવામાં આવી છે. માયા નગરી મુંબઇ જાણે ઠપ થઇ ગઇ છે. સ્કુલ કોલેજોને તકેદારીના પગલા રૂપે પહેલેથી જ બંધ રખાયા છે. પ્રાઇવેટ ઓફિસો પણ બંધ કરાવી દેવામાં આવી છે. કેટલાક માર્ગો પરથી કરફ્યુ હોય તેવી સ્થિતિ ભાસી રહી છે.

થાણે અને નવી મુંબઈમાં બંધ દરમિયાન રાજ્ય પરવિહન નિગમની બસોને નિશાન બનાવવામાં આવી હતી. ટોળા દ્વારા બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈમાં બંધને પગલે કંજુરમાર્ગ અને ભાંડુપમાં પણ બે બેસ્ટ બસને ટાર્ગેટ બનાવાવમાં આવી હતી. બસો પર પથ્થરમારો કરવાની ઘટનાને પગલે બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ કેટલાક ભાગોમાં સેવા સ્થગિત કરી દીધી હતી.

અનામતની માગણી સાથે થાણે પછી ઘંસોલી રેલવે સ્ટેશન પર ટ્રેક પર લોકો ઉતર્યા હતા અને ટ્રાંસ-હાર્બર સેવા ઠપ થઈ ગઈ હતી. થાણે-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મરાઠા સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન બાદ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી પડી હતી.