સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.
જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.
તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છેશહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.
ભૂતકાળમાં 1998 અને બાદમાં 2006ના પૂરની સ્થિતિ અને અનેક વર્ષે ચોમાસામાં સર્જાયેલી ફ્લડ લાઇક સિચુએશન્સમાંથી સુરતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એટલું બધું શીખ્યા છે કે હવે સુરતવાસીઓ અને સ્થાનિક તંત્રો ફ્લડ મેનેજમેન્ટમાં પાવરધા બન્યા છે. ઉકાઇ ડેમ અંદાજે 80 લાખની વસતિને સીધી રીતે અસર કરે છે. ઉકાઇ ડેમથી નીકળતું પાણી સુરત જિલ્લામાંથી પસાર થયા બાદ તાપી નદીમાં આવે છે અને છેક મગદલ્લા પાસે દરિયામાં ભળે ત્યાં સુધીની વસતિ ઉકાઇ ડેમની સપાટીથી સીધી રીતે અસરકર્તા છે.
છેલ્લા દોઢ દિવસથી તાપી નદીમાં છ લાખ ક્યુસેક્સ પાણીનો આવરો નોધાયો હતો, એટલી વિપુલ માત્રામાં પાણી ડેમમાં આવી રહ્યું હતું કે જો નવા નિશાળીયા જેવા તંત્રવાહકો હોય તો સુરત શહેરે ફરી ડૂબવાનો વખત જોવો પડે, પણ ફ્લડ મેનેજમેન્ટ એને જ કહેવાય કે ઉકાઇ ડેમમાં આવતા પાણીના જથ્થાનું મેનેજમેન્ટ અને તાપી નદીમાં રિલીઝ કરવાની માત્રા આ દરેક બાબતોને બેલેન્સ કરીને ફ્લડની સિચુએશન ટાળી શકાય અને આજે તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી છે.
તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જ્યારે જ્યારે પણ પૂરજનક સ્થિતિ ઉદભવી છે ત્યારે ત્યારે ફ્લડ મેનેજમેન્ટ થકી સુરતવાસીઓને બને તેટલું ઓછું નુકસાન, જાનમાલનું ઓછું નુકસાન થાય તેવી સ્થિતિ ફ્લડ મેનેજમેન્ટ થકી જ સર્જી શકાય છે અને એટલે જ સુરતવાસીઓ ફ્લડ લાઇક સિચુએશનમાં પણ ટેસથી ભજીયા ખાઇને ઉપાધીને ઉત્સવમાં પરિવર્તિત કરી શકે છે.
અત્રે એ નોંધનીય છે કે ઉકાઇ ડેમ આવ્યો છે તાપી જિલ્લામાં પરંતુ, તેનું મોનિટરિંગ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જ કરવામા આવે છે.
આ વખતે પણ તાપી નદીમાં ફ્લડ મેનેજમેન્ટ કાબિલેતારીફ રીતે થઇ રહ્યું છે. સિંચાઇ વિભાગ, સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, હવામાન ખાતું, ડીજીવીસીએલ સમેત અનેક તંત્રોના અધિકારીઓ વચ્ચે જબરદસ્ત સંકલન હોવાના કારણે ફ્લડ મેનેજમેન્ટ સટીક રીતે થઇ રહ્યું છે. અહીં જાણીએ ફ્લડ મેનેજમેન્ટમાં કોણ શું ભૂમિકા ભજવી રહ્યા છે.
સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી પસાર થઇને સુરતના મગદલ્લા નજીક દરિયાને મળતી તાપી નદીનો નકશો કે જે ચોમાસા દરમિયાન સુરતવાસીઓની ધડકન વધારી દે છે
સેન્ટ્રલ વોટર કમિશન
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તાપી નદીના આરંભથી અંત સુધીમાં પડતા વરસાદ અને પાણીનો આવરો, પ્રવાહની સ્થિતિ વગેરેની માહિતી તેમજ સતત અપડેટ્સ માટે દક્ષિણ ગુજરાત સિંચાઇ વર્તુળ સાથે સંકલન સાધે છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં તેમજ ગેજ સ્ટેશન પર વરસાદના આંકડાનું સચોટ મેઝરમેન્ટસ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મળે છે.
સિંચાઇ વિભાગની શું ભૂમિકા ?
ઉકાઇ ડેમમાં પાણીના આવરાથી લઇને પાણી રિલીઝ કરવાની બાબતો પર ઘનિષ્ટ વોચ રાખવામાં આવે છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના આધારે ડેમમાં કેટલું પાણી આવશે એ સઘળી બાબતો સંકલન કરીને મેળવે છે, રેકોર્ડ રાખે છે. સ્થાનિક કલેક્ટરેટને જાણકારી આપે છે.
સુરત કલેક્ટરેટની શું ભૂમિકા ?
સુરતના કલેક્ટર તમામ વહીવટીતંત્રો સાથે સંકલન સાધે છે. ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન સૌથી શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય એ માટે સુરત કલેક્ટર દરેક તંત્રવાહકોના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજે છે અને સૂચનો મેળવીને પરિસ્થિતિ અનુસાર શ્રેષ્ઠ નિર્ણય કરે છે. ઉકાઇ ડેમથી લઇને સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવે છે અને સુરત મહાનગરપાલિકાથી લઇને સંબંધિત દરેક તંત્રવાહકો સુધી માહિતી પહોંચાડે છે. ઇનપુટ્સ આપે છે, આગળ કઇ કાર્યવાહી કરવી તેની સૂચના આપે છે.
વર્તમાન કલેક્ટર ડો. ધવલ પટેલના ન્યુઝ ફોરકાસ્ટ ઓડિયો મેસેજીસ (ઓડિયો ક્લીપ્સ) ભારે વાઇરલ થયા છે, લોકોએ ધવલ પટેલના ઓડિયો મેસેજીસ વારંવાર વ્હોટ્સ એપ પર સેન્ડ કર્યા. ઓડિયો મેસેજીસના ન્યુઝ ફોરકાસ્ટ કરીને સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ નવો ચીલો ચાતર્યો છે, ભવિષ્યમાં આવનારા કલેક્ટરોએ ડો.ધવલ પટેલની પરંપરા જાળવી રાખવી પડશે
સુરત કલેક્ટર મિડીયાને માહિતી આપીને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડે છે. વર્તમાન કલેક્ટર ડો.ધવલ પટેલ તારીખ અને સમય સાથેના ઓડિયો મેસેજ મિડીયાને પાસ કરે છે અને મિડીયા સુરતવાસીઓ સુધી ઉકાઇ ડેમથી લઇને તાપી નદીમાં વોટર લેવલ સુધીની સચોટ માહિતી પૂરી પાડે છે.
ફાયર બ્રિગેડ
સુરત ફાયર બ્રિગેટ ચોમાસાની સીઝનમાં સૌથી વધુ સ્ટેન્ડ ટુ સિચુએશનમાં હોય છે. વરસાદી હોનારતો, પાણી ભરાવાની સ્થિતિ, ઝાડ પડવા કે શોર્ટ સર્કિટ થવો કે અન્ય અકસ્માતના સમય સંજોગોમા દિવસ રાત સ્ટેન્ડ ટુની સિચુએશનમાં હોય છે. આમેય ફાયર બ્રિગેડની કામગીરી ચોવીસે કલાકની જ હોય પરંતુ, ચોમાસામાં અકસ્માતો, આકસ્મિક સંજોગો વધુ ઉદભવતા હોવાથી ફાયર બ્રિગેડ તમામ ઔજારો, સાધનો સાથે તૈનાત રહે છે. ફાયર બ્રિગેડ પાસે અત્યાધુનિક ટુલ્સ ઉપરાંત પ્રારંભિક બચાવ રાહત માટેના વાહનો, બોટ વગેરે પણ રેડી પોઝીશનમાં હોય છે. કલેક્ટરેટની મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની સૌથી પહેલી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવે છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા શું ?
સુરત મહાનગરપાલિકા શહેરમાં ફ્લડની પરિસ્થિતિ સર્જાય, ગટરીયા પૂર આવે તો લોકોના સ્થળાંતરની કામગીરી, જરૂર જણાય તો શેલ્ટર હાઉસ ઉભા કરવા, નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવો, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સામાન્ય લોકો સુધી તાપીમાં પાણીના લેવલની જાણકારીની માહિતી, વિયર કમ કોઝવેને સંબંધિત તમામ સંચાલન, તાપી નદીમાં વોટર લેવલ વધે તો ફ્લેડ ગેટ બંધ કરવા વગેરે અગત્યની કામગીરી નિભાવે છે. શહેરની ખાડીઓ ઉભરાય ત્યારે ખાડી કિનારે વસેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, ફુડ પેકેટ્સ વિતરણ વગેરે પણ પાલિકા કરે છે. ફ્લડ પછી સેનિટેશન, સાફસફાઇ વગેરે કામગીરી સુરત મહાનગરપાલિકા હાથ ધરે છે.
ટૂંકમાં કહીએ તો સુરતીઓને સ્પર્શતી મોટા ભાગની કામગીરી સુરત મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા જ પાર પાડવામાં આવે છે.
સુરત પોલીસ તંત્રની શુ ભૂમિકા ?
સુરત પોલીસ તંત્ર જ્યારે જ્યારે તાપી નદીમાં ફ્લડ લાઇક સિચુએશન હોય ત્યારે ત્યારે હરકતમાં હોય છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપરાંત શહેરના બ્રિજો, નદી કિનારાઓ પર બિનજરૂરી રીતે ઉમટી પડતા લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરે છે. જરૂર જણાય એવા પોઇન્ટસ પર હંગામી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. અફવા ફેલાવતા લોકોને શોધી કાઢવાનું કામ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે.
જિલ્લા પંચાયત તંત્રની શું ભૂમિકા ?
જે રીતે સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન લોકોને સ્પર્શતી સીધી બાબતોની દેખરેખ રાખે છે એ જ રીતે જિલ્લા પંચાયતનું તંત્ર સુરત જિલ્લામાં આવેલા ગામડાઓમાં પૂર, પાણી ભરાવા, સેનિટેશન વગેરેની બાબતો પર ધ્યાન આપે છે. જરૂરીયાત સમયે બચાવ રાહતની કામગીરી, સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સેલ્ટર હાઉસ ઉભા કરવાની કામગીરી વગેરે જિલ્લા વિસ્તારમાં આવેલી સઘળી કામગીરી જિલ્લાપંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે.
ડીજીવીસીએલ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એવી સૂચના આપવામાં આવે છે કે જો વરસાદી હોનારત કે ફ્લડ સિચુએશનમાં વીજ પુરવઠો ખોરવાય, કોઇ સ્થળે ભંગાણ થાય તો સત્વરે વીજ પ્રવાહ રીસ્ટોર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાવી જોઇએ. તદુપરાંત વરસાદી માહોલ દરમિયાન શોર્ટ સર્કિટ તેમજ અન્ય બનાવો દરમિયાન ડીજીવીસીએલએ સ્ટેન્ડ ટુ ની પોઝીશનમાં તૈનાત રહેવાનું હોય છે.
જાહેર બાંધકામ વિભાગ
જાહેર બાંધકામ વિભાગની જવાબદારીએ હોય છે કે કોઇ સરકારી કચેરી, સરકારી મિલકતમાં વરસાદી હોનારત, પાણી ભરાવા કે પુરની સ્થિતિમાં બને એટલું નુકસાન ઓછું થાય અને રૂટીન કામગીરી ન ખોરવાય એ જોવાની સઘળી જવાબદારી જાહેર બાંધકામ વિભાગની હોય છે.
Increase in qty: 4801.41 MCM (w.r.t to mini storage of this yr)
ઉકાઇ ડેમમાંથી પોણા બે લાખથી વધુ ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુરત મધ્યેથી પસાર થતી તાપી નદી હાલ બે કાંઠે છે, તાપી બે કાંઠે હોવાથી ફ્લેડ ગેટ્સ બંધ કરાયા છે અને તેના કારણે કારદશાની નાળ, અડાજણ મક્કાઇ પુલથી સ્વામીનારાયણ મંદિર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં નદીના પાણી ફરીવળ્યા છે અગર તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, આ સિવાય સુરત પર હાલ તુરત કોઇ જ જળ સંકટ કે પૂરનું સંકટ નથી.
જવલ્લેજ જોવા મળતો અદભૂત નજારો, શાસ્ત્રોએ જેને પૂણ્ય સલિલાનું ઉપનામ આપ્યું છે એ સૂર્યપૂત્રી તાપી નદી આજે બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઇતિહાસમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે તાપી નદી આજે વહી રહી હતી. અદભૂત નજારો જોવા માટે સુરતીઓ શહેરના બ્રીજો પર ઉમટી પડ્યા હતા. ફોટો બાય સુનિલ પટેલ (ભરીમાતા)
સુરત શહેર પર પૂરનું સંકટ ન આવે એટલા માટે ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ જેટલી જાળવવામાં આવી રહી છે એમ સુરતના અધિકારીઓ જણાવી રહ્યા છે.
સુરત શહેર માટે સૌથી નસીબવંતી વાત એ પણ છે કે ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણી આવી રહ્યું છે એ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા વરસાદના આંકડાઓ જોતા ત્યાં વરસાદ સાવ સામાન્ય છે, એટલે આગામી 10-12 કલાકમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે.
ઉપરવાસમાં વરસાદ સાવ સામાન્ય છે, શનિવારે રાત સુધીમાં ઉકાઇમાં પાણીનો ઇનફ્લો ઓછો થઇ જશે
સુરત શહેરના પાણીના મુખ્યસ્ત્રોત ઉકાઇ ડેમમાં જ્યાંથી પાણીનો આવરો થઇ રહ્યો છે એ કેચમેન્ટ એટલેકે ઉપરવાસના વિસ્તારોમાં આજે તા.10મી ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ સાવ સામાન્ય છે, એટલે ડેમમાં પાણીનો આવરો તબક્કાવાર ઘટી જશે અને શનિવાર તા.10મી એ રાત સુધીમાં ડેમમાં પાણીનો આવરો ઓછો થઇ જશે. આમ છતાં ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવાનું જારી રાખવામાં આવશે. એવું જાણવા મળે છે કે ઉકાઇ ડેમની સપાટી હાલ 330 ફૂટની આસપાસ જાળવવામાં આવશે.
આમ છતાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 330 ફૂટ સુધી જાળવી રાખવા માટે આ લેવલથી ઉપર જેટલું પાણી આવશે એટલું છોડી દેવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. એ ખાસ યાદ રાખવું જોઇએ કે 335 એ રૂલ લેવલ છે, અધિકારીઓએ અગાઉના પાણીના આવરાને ધ્યાને લઇને આ લેવલ બનાવ્યું છે. ઉકાઇ ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે. હજુ એકાદ મહિના વરસાદ પડે અને એક સામટું પાણી આવે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય એ માટે હાલમાં બે લાખ ક્યુસેક્સ પાણી છોડવાામાં આવી રહ્યું છે.
દરમિયાન તા.9મી ઓગસ્ટને બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 75 હજાર ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું, જે આજરોજ તા.10મી ઓગસ્ટે સવારે 10 કલાકે વધારીને 1.84 લાખ ક્યુસેક્સ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે સ્વાભાવિક છે કે સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીમાં પાણીનો આવરો થાય અને તાપી બે કાંઠે વહેતી જોવા મળે. આજે સવારથી જ તાપી નદીને બે કાંઠે જોવા માટે લોકોની ભીડ જામી હતી અને ત્યાંથી જ વાતો વહેતી થઇ કે સુરતમાં પૂર આવી રહ્યું છે.
તાપી નદી બે કાંઠે વહેતી હોઇ, સુરત શહેરની વરસાદી ગટર તથા ફ્લેડગેટ્સ બંધ કરાયા હોઇ નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પાણી બેક થઇને પાણીનો ભરાવો શરૂ થયો હોવાની વિગતો જાણવા મળી છે.
અમારા એસોસીએટ સુનીલભાઇ પટેલ (ભરીમાતા)એ આજે સવારે બે કાંઠે વહેતી તાપી નદીના પીક્ચર્સ ક્લીક કર્યા હતા જે અહીં પ્રસ્તુત છે.
પૂણ્યસલિલા તાપી મૈયા આ સીઝનમાં બે કાંઠે જોવાનો અદભૂત નજારો , ફોટો સુનીલ પટેલ (ભરીમાતા)ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપી નદીના ઉપરવાસમાં ઘર કરી ગયેલી લીલ-વેલ, જળકુંભી જેવી વનસ્પતિઓ ફ્લશ આઉટ થઇને દરીયા ભેગી થઇ હતી. તાપી નદીનું પાણી શુધ્ધ થવા પામ્યું છે. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)તાપી નદીને બે કાંઠે વહેતી જોવાનો લ્હાવો સુરતીઓ છોડે ખરા..આજે સવારથી જ બે કાંઠે વહેતી સૂર્યપૂત્રી તાપી નદીને જોવા માટે લોકો બ્રીજ પર ઉમટ્યા હતા. ફોટો બાય સુનીલ પટેલ (ભરીમાતા)
ભાજપના કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાનો પુત્ર શરદના કારનામાઓથી ભાજપા કલંકિત થઇ રહ્યો છે. શરદ ઝાલાવડીયાએ જાણે સુપર સીએમ નો દિકરો હોય એ રીતે કામરેજ વિસ્તારમાં ગુંડાગર્દી કરી રહ્યો છે. આ વખતે આ મહાશયે કામરેજ વિસ્તારમાં આવતા પાસોદરા ગામના મહિલા સરપંચની સાથે એટલે ભદ્દી ગાળાગાળી કરી કેમકે મહિલા સરપંચના પતિ કેટલીક લોક સમસ્યાઓને સોશ્યલમ મિડીયામાં ઉછાળતા હતા અને શરદ ઝાલાવડીયાને આ બાબત તેમના એમ.એલ.એ. પિતા માટે શરમજનક લાગતી હતી.
શરદ ઝાલાવડીયાએ પાસોદરા ગામના સરપંચના પતિને ફોન પર ધમકી આપી હોવાની ફરીયાદ આખરે સરથાણા પોલીસ ચોપડે દર્ઝ થઇ છે.
પાસોદરાના મહિલા સરંપચના પતિ રાજેન્દ્ર વસાણીએ ફેસબુક પર સરકારી શાળાની બદતર હાલત સંદર્ભે પોસ્ટ કર્યું હતું. એ ધારાસભ્યના પુત્રએ ફોન પર માપમાં રહેવાની ધમકી આપી હતી અને ગાળાગાળી કરી હતી.
પાસોદરા ગામના સરપંચ અનિતા વસાણીના પતિ રાજેન્દ્ર વસાણીએ સરથાણા પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તાજેતરમાં કામરેજની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળાની હાલત બદતર જણાઇ હતી. આ બાબતે મે મારા ફેસબુક વોલ પર પોષ્ટ મુકી હતી. મારો ઇરાદો સરકારનું ધ્યાન દોરાઇ તે બાબતે હતો. મે. પોષ્ટમાં કોઇ ધારાસભ્નું નામ પણ લખ્યું નથી. મારી પોષ્ટ જોઇને કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયાએ મને ફોન પર ધમકી આપી હતી કે માપમાં રહેજો. બીજી વખત ઘારાસભ્ય વિરુધ્ધની પોષ્ટ મુકતા નહીં. શરદ ઝાલવડીયાએ બેફામ ગાળા ગાળી કરી હતી. વસાણીએ કહ્યું હતું કે શરદની વાતચીતનું મેં રેકોડીંગ કર્યું છે અને સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાજપાના કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયા પોતે પણ અનેક વિવાદો કરી ચૂક્યા છે અને તેમનો દિકરો તો અસામાજિક કારનામાઓ માટે પંકાયેલો છે. બન્નેથી હવે ભાજપાના નેતાઓ પણ કંટાળી ચૂક્યા છે. શરદ ઝાલાવડીયાના કારનામાઓ અંગે ભાજપાના નેતાઓએ સી.એમ. અને જીતુ વાઘાણીને પણ ફરીયાદો કરી છે.
કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ, પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા અને સ્થાનિક ઉદ્યોગપતિ શ્રીજીતુભાઇ વખારીયા, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળ્યા હતા. વાટાઘાટો ઘણા અંશે ફળદાયી નિવડશે એવો આશાવાદ પ્રતિનિધિ મંડળે વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ ગુજરાતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કનડતા જી.એસ.ટી., ટફ સમેતના પડતર પ્રશ્નોના નિકાલ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇની આગેવાની હેઠળ ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ ગઇ તા.5મી ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમનને અને કેન્દ્રીય કપડા મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા. પ્રતિનિધિ મંડળમાં પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા તેમજ પ્રોસેસર્સ એસોસીએશનના શ્રી જીતુભાઇ વખારીયા પણ જોડાયા હતા. સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમને મંત્રીઓ સુધી દોરી ગયા હતા.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ, પૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતા અને સ્થાનિક ઉદ્યોગપતિ શ્રીજીતુભાઇ વખારીયા, સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળ્યા હતા. વાટાઘાટો ઘણા અંશે ફળદાયી નિવડશે એવો આશાવાદ પ્રતિનિધિ મંડળે વ્યક્ત કર્યો હતો.
ચેમ્બરના વર્તમાન પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ ચેમ્બરના પ્રતિનિધિમંડળએ સુરતને સ્પર્શતા પ્રશ્નો અંગે ઘનિષ્ઠ ચર્ચા કરી હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે તો સુરતના અર્થતંત્રને વેગ મળશે, પરીણામે જે પડતર પ્રશ્નો છે એનો સત્વરે ઉકેલ લાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.
ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો
તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.
તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.
ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.
Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.
Rule Level : 335.00 ft.
Present Water Level : 311.06 ft.
Inflow: 387968 cusecs.
G.S. : 2700.89 MCM
Percentage filling: 36.43 %
Increase in qty: 1827.16
MCM (w.r.t to mini storage of this yr)
Hathnur Level: 209.53 mt.
Outflow: 18743.08 Cusecs
ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.
આજરોજ તા.3 ઓગસ્ટ 2019ને શનિવારના મળસ્કે હજુ તો મોટા ભાગના સુરતીઓ મીઠી નિંદરમાં હતા અને વરસાદે જાણે ટીમ ઇન્ડીયા કરતા પહેલા જ ટી ટ્વેન્ટી રમવી હતી એમ બેટિંગ શરૂ કરી દીધું. હવામાન ખાતાના આંકડા મુજબ તો બે કલાકમાં ત્રણથી સાડાત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીંકાયો કહેવાય.
મળસ્કે વરસાદે શરૂ કરેલા તોફાનનો ભોગ બનેલા કેટલાક લોકોએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આજનો વરસાદ એટલો ઝંઝાવતી હતો કે રોડ પર વાહન કે સાઇકલ ચલાવવાની પણ તકલીફ પડતી હતી. વરસાદનું જોર એટલું હતું કે અત્યાર સુધી સુરતમાં ક્યાંયે પાણી ભરાવાની ફરીયાદ ન હતી પણ શનિવારે મળસ્કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી.
અડધું સુરત ઉંઘતું હતું ત્યારે તો મેઘરાજાની તોફાની બેટિંગની અસરો સુરત પર વર્તાવાની શરૂ થઇ ચૂકી હતી. પહેલી અસર સુરતના એરપોર્ટ પર વર્તાય હતી. એક પછી એક ચાર ફ્લાઇટને અસર પહોંચી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇશ જેટ એમ ત્રણેય ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલીટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની ત્રણેય ફ્લાઇટ્સને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.
ભારે વરસાદને કારણે દિલ્હીથી સુરત આવી રહેલા પેસેન્જરોને રિસિવ કરવા માટે એરપોર્ટ પર પહોંચેલા લોકો પણ અટવાય ગયા હતા. મુસાફરો પણ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થતા તેમણે પણ મોટી મુશ્કેલીમાં મુકાયાની ફરીયાદ કરી હતી.
સુરતમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉપડેલી ફ્લાઇટ પણ અમદાવાદ ખાતે ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી.
મેઘરાજાની તોફાની બેટિંગની બીજી મોટી અસર શહેરના શિક્ષણ જગત પર પડી હતી. સવારે સાડા છ વાગ્યે વરસાદનું જોર જોતા સુરત શિક્ષણાધિકારી કચેરીએ જે તે વિસ્તારની ઇફેક્ટેડ સ્કુલોના આચાર્યોને પોતાની વિવેકબુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છુટ આપી હતી. જોકે, વરસાદને પગલે મોટા ભાગની સ્કુલોમાં રજા આપી દેવામાં આવી હતી. સવારના પહોરમાં ઘણાં વિદ્યાર્થીઓ તૈયાર થઇને નીકળ્યા હતા તેઓ પણ વરસાદી તોફાનમાં અટવાય જવા પામ્યા હતા.
સવારે સાડા આઠ વાગ્યે વરસાદી તોફાન થોડુ શમ્યું હતું અને વરસાદે ઝરમરીયા સ્વરૂપ ધારણ કર્યું હતું. અઢી કલાકમાં તો વરસાદે સુરતને ઘમરોળી મૂક્યું હતું.
આજે શનિવાર તા3જી ઓગસ્ટની સવારે સુરતમાં 2:00 કલાક દરમિયાન કોટ વિસ્તારના ઝોનમાં 76.એમ.એમ., વરાછા એ જોન.72 એમ. એમ., વરાછા બી જોન ૪૮ એમ એમ, રાંદેર ઝોન 89 એમ એમ, કતારગામ ઝોન 79એમ.એમ., ઉધના ઝોન ૪૯ એમ.એમ., લિંબાયત 70 એમ એમ, અઠવા ઝોન 56 એમ એમ. વરસાદ ઝીકાયો હતો.
બુદ્ધિશાળી લોકો જે જંગ લડવાની ના પાડતા હતા, કેટલાક ટેક્સ એક્સપર્ટ સુરતના વિવીંગ કારખાનેદારોને મગજ વગરના સમજતા હતા એ સુરતના નાના કારખાનેદારોના બનેલા સંગઠન ફોગવાએ ભારતમાં જી.એસ.ટી. કાઉન્સિલ અને કેન્દ્ર સરકાર સામે સિમાચિન્હ રૂપી પહેલી કાનૂની જીત મેળવી છે. પ્રત્યેક લૂમ્સ દીઠ રૂ.7 હજાર જેવી રકમ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે વિવિંગ કારખાનેદારને પાછી મળશે.
Symbolic Photo Weaving Industry
ભારતમાં જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યો એ 1 જૂન 2016થી 31 જુલાઇ 2016 સુધી વીવીંગ કારખાનેદારોએ ભરેલો ટેક્સ રિફંડ કે ક્રેડિટ કરવા માટે જીએસટી કાઉન્સિલે નનૈયો ભણી દીધો હતો. દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાર્યરત 24 લાખ જેટલા લૂમ્સ પેટે ભરવામાં આવેલી રૂ.700 કરોડ જેટલી રકમની ટેક્સ ક્રેડિટ લેપ્સ કરી દેવામાં આવી હતી.
સુરતથી મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ વકીલ પ્રકાશ શાહ સાથે વાતચીત માટે મુંબઇ ગયા હતા
સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતમાં કાર્યરત હોઇ, સુરતમાં ફોગવાએ 13 મહિનાની રૂ.700 કરોડ જેટલી ટેક્સ ક્રેડિટ પાછી મેળવવા માટે કાનૂની માર્ગે લડત આપવાનું નક્કી કર્યું અને સુરતથી ફોગવાના અગ્રણીઓ મયુર ગોળવાલા, આશિષ ગુજરાતી, રમન મેગોટીયા અને મુકુંદ ચૌહાણ મુંબઇ ખાતે ખાસ એક્સપર્ટ એડવોકેટ પીડીએસ લિગલના પ્રકાશ શાહને મળવા ગયા હતા.
મુંબઇના વકીલ પ્રકાશ શાહે 15 લાખ ફી માગી હતી, ફોગવાએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવી લીધા
સુરતના ફોગવાના નેજા હેઠળ રૂ.700 કરોડની ટેક્સ ક્રેડિટ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા મુંબઇના ખ્યાતનામ વકીલ પ્રકાશ શાહને રોકવામાં આવ્યા હતા. પ્રકાશ શાહે કુલ રૂ.15 લાખ ફી થશે એમ જણાવ્યું હતું, ફોગવાના અગ્રણીઓએ તેમને રૂ.7.50 લાખ ફી માટે સમજાવ્યા હતા. અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ શરૂ થયો હતો.
બે મુદત બાદ જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને જ્યારે એફિડેવિટ ફાઇલ કરવા માટે જણાવાયું અને એ મુજબની કાર્યવાહી જીએસટી કાઉન્સિલે કરી, એ પછીની મુદતમાં ગુજરાત હાઇકોર્ટે વિવર્સને 13 મહિનાની ટેક્સ ક્રેડિટ પાછી આપવા સંદર્ભનો આદેશ જારી કર્યો.
કેન્દ્રના નાણાં ખાતું તો અગાઉ અનેક કેસ હારી ચૂક્યું હશે પરંતુ, જીએસટી કાઉન્સિલને પહેલી વખત કાનૂની પછડાટ મળી છે અને એ પણ સિમાચિન્હ રૂપી પછડાટ છે.
દેશમાં 24 લાખ જેટલા લૂમ્સ કાર્યરત છે અને તે મોટા ભાગે 12, 18, 24, 36, 48 જેટલી સંખ્યામાં લૂમ્સ ધારક નાના કારખાનેદારોની વ્યાખ્યામાં આવે છે. જીએસટીનો અમલ થયો ત્યારથી 13 મહિના આ કારખાનેદારોએ ભરેલા જીએસટીની બાકી નીકળતી રકમ ક્રેડિટ આપવા કે રિફંડ આપવાને બદલે સીધી જ લેપ્સ કરી દેવાની પેરવી ખરેખર અન્યાયી હતી, અને ટેક્સના જાણકારો, ચેમ્બરના કેટલાક ભેજાબાજ ટેક્સ કન્સલ્ટન્ટોને વિવર્સની આ લડાઇમાં રસ ન હતો. પણ છેલ્લે વિવિર્સનો વિજય થયો છે.
પ્રત્યેક લૂમ્સ દીઠ અંદાજે રૂ.7 હજારની ટેક્સ ક્રેડિટ મળશે અને તા.1 ઓગસ્ટ 2018થી ભરેલા જીએસટીમાં મળવાપાત્ર રકમ રિફંડ તરીકે મળશે.
ઘણા લોકોને સવાલ થાય છે કે 1400 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, એની પણ ગણતરી એવી છે કે વિવીંગ કારખાનેદારો જે ટેક્સ ક્રેડિટ માટે લડત ચલાવી રહ્યા હતા એ ટેક્સ તેમણે જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો હતો એ તા.1લી જુન 2017થી તા.31મી જુલાઇ 2018 સુધી ભરેલા જીએસટીની રકમ પૈકી મળવાપાત્ર પરત ક્રેડિટ કે રિફંડ પેટેની રકમ રૂ.700 કરોડ થાય છે. એ પછી તા.1લી ઓગસ્ટ 2018થી જીએસટી કાઉન્સિલે વિવીંગ ઇન્ડસ્ટ્રીને મળવાપાત્ર ટેક્સ રિફંડ આપવાનો સરક્યુલર જારી કર્યો હતો પરંતુ, વિવર્સે હજુ સુધી એ સ્વીકાર્યો નથી કે ક્લેઇમ કર્યો નથી. એટલે એના બીજા રૂ.700 કરોડ મળીને કુલ 1400 કરોડનો આંકડો બોલાય રહ્યો છે.
સુરત અને સુરતવાસીઓના પાણીનો મુખ્ય સ્ત્રોત સમા ઉકાઇ ડેમમાં પાણીની સપાટી અંગે સુરતનો બચ્ચેબચ્ચો સજાગ હોય અને ચર્ચા કરતો હોય છે. ગયા વર્ષે ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઓછી હતી અને ચાલુ વર્ષે પાણીની પ્રવર્તેલી તંગીને જોતા આ ચોમાસામાં ઉકાઇ ડેમની સ્થિતિની ચર્ચા સુરતમાં ચૌરેને ચૌટે થઇ રહી છે.
સુરતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા સતત વરસાદના પાણીનો આવરો થતાં આજરોજ તા.2જી ઓગસ્ટ 2019ની સાંજે 5 કલાકે ઉકાઇ ડેમની સ્થિતિ 304.12 ફૂટને આંબી ગઇ હતી.
ચોમાસાનો વિધિવત જ્યારે આરંભ થયો ત્યારથી લઇને 24મી જુલાઇ સુધી ઉકાઇ ડેમની સપાટીમાં કોઇ વધારો નહીં નોંધાતા સરકાર સમેત સમગ્ર સુરતીવાસીઓમાં ચિંતા પેસી ગઇ હતી. પરંતુ, હવે ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી રહી છે.
સિંચાઇ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આજે તા.2જી ઓગસ્ટે સાંજે 5 કલાકે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 1.68 લાખ ક્યુસેક્સ નોંધાયો હતો. અને ડેમની સપાટી કૂદકેને ભૂસકે વધી રહી છે.
પોસ્કોના કાયદામાં કરાયેલા સુધારા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફાંસી સજા ફરમાવવામાં આવી છે. સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર’ શખસ અનિલ યાદવને સુરતની કોર્ટે ફાંસીની સજા કરી હતી. આ કેસ માત્ર 289 દિવસમાં જ ચુકાદો અપાયો હતો. અહીના લિબાયત ગોડાદરા વિસ્તારમાં’ રહેતો મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર ગામનો વતની અનિલ યાદવ નામનો શખસ તેના ઘર પાસે રહેતી ત્રણ વર્ષની માસુમ બાળાને ફોસલાવી અને લલચાવીને તેના રૂમમાં લઇ ગયો હતો. રૂમમાં અનિલે બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં બાળાની હત્યા કરીને લાશને કોથળામાં ભરીને રૂમમાં રાખીને રૂમને તાળુ મારી દીધુ હતું.’ બાદમાં બાળાની તેના માવતરે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તે તેની સાથે રહ્યો હતો અને બાળાને શોધવાનું નાટક કર્યુ હતું. એ પછી તે તેના વતન તરફ નાસી ગયો હતો.’ નવ માસ પહેલા તા. 15-10-18ના રોજ બનેલી આ ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે’ અનિલ યાદવને’ બિહારમાંથી ઝડપી લીધો હતો.
સુરતની ત્રણ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર શખસને અપાઇ ફાંસીની સજા: 289 દી’માં અપાયો ચુકાદો
સરકારના આદેશના પગલે આ કેસને સ્પીડ ટ્રાયલ તરીકે લેવામાં આવ્યો હતો અને સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલાએ કેસની સુનાવણી દરમિયાન 35 સાક્ષીની જુબાની લીધી હતી. મેડિકલ પુરાવા, સીસીટીવી કેમેરાના ફુટેજ સહિતના દસ્તાવેજી પુરાવા’ રજુ કરીને આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય કડક સજા કરવા રજુઆત કરી હતી. માત્ર 289 દિવસમાં આ કેસની સુનાવણી પુરી થઇ ગઇ હતી. બન્ને પક્ષને સાંભળી અને પુરાવાની તુલના કરી’ સેશન્સ જજે આરોપી અનિલ યાદવને ફાંસીની સજા કરી હતી. પોસ્કોના ગુનામાં ફાંસીની સજા કરાયાનો ગુજરાતનો આ પ્રથમ કેસ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.