દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે.
આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી.
તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.
શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.
મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.
ભારતની ક્રિકેટ ટીમ આજે રવિવાર તા.2 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજય અભિયાન જારી રાખીને શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરવામાં આવશે.
બુમરાહની ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વકપમાં મહત્ત્વની હતી. જો કે ઝડપી બોલર પીઠની પરેશાનીના કારણે વિશ્વકપમાં રમી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન વિશ્વકપ પહેલા ટીમની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે છે. જો કે બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણા સવાલ ઉભા કરી દીધા છે. મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ બન્ને વિશ્વકપની ટીમમાં સામેલ નથી. સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહના સ્થાને અન્ય બોલરને અજમાવવાનો પર્યાપ્ત સમય મળી રહેશે કે નહીં.
વિશ્વકપના સ્ટેન્ડબાયમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનાથી બહાર આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો હિસ્સો નથી. તેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ભારત પાસે દીપક ચાહર છે. જે વિશ્વકપ માટે સ્ટેન્ડબાય છે. બીજી તરફ અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. ભારતીય ટીમ માટે મહત્ત્વની વાત એ છે કે સ્પીન વિભાગમાં અત્યારે કોઈ પરેશાની જોવા મળી રહી નથી. જાડેજા બહાર થયા બાદ ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં કોહલી સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.’ કેએલ રાહુલ પણ રન બનાવી રહ્યો છે. પહેલા મેચમાં તેણે અર્ધસદી પણ કરી છે.
મધ્યક્રમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને પૂરતી તક મળી નથી. પંતને એશિયા કપમાંથી પરત ફર્યા બાદ બેટિંગની તક નથી મળી. જ્યારે કાર્તિકે છેલ્લા સાત મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો છે. જ્યાં સુધી શ્રેણીની વાત છે તો ભારત દક્ષિણ આફિકા સામે દેશમાં જ પહેલી શ્રેણી જીતવાની કોશિશ કરશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ટી20 વિશ્વકપમાં હજી સુધી અપેક્ષિત રમત બતાવી શકી નથી. તેણે અંતિમ વખત 2016મા સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગયા વર્ષે નોકઆઉટમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. કગિસો રબાડા અને એનરિક નોર્કિયાના રૂપમાં આફ્રિકા પાસે બે સારા બોલર છે. જો કે તેમાં સટીકતા જોવા મળી રહી નથી. આ ઉપરાંત આફ્રિકાના બેટરોએ પણ સારુ પ્રદર્શન કરવું પડશે. જે ગયા મેચમાં નિષ્ફળ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં 27 લોકોના મોત થયા છે. કોરથા ગામના રહેવાસી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં ફતેહપુરમાં ચંદ્રિકા દેવી મંદિરે ગયા હતા. તેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે સાઢ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાના કિનારા પર આવેલા તળાવમાં ટ્રોલી પટલી ગઈ હતી જેમાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકોને ઈજા થઈ છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. જોકે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે કોરથામાં બાળકનું મુંડન કરાવવા માટે તેના માતા-પિતા સંબંધીઓ સાથે ગયા હતા. પિતા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. મુંડન વિધી પૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ભદેઉ ગામની સામે પાણી ભરેલા તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. અડધા કલાક સુધી ટ્રોલી બહાર કાઢી શકાઈ ન હતી. બાળક, માતા અને પિતા ત્રણેયનું પણ મોત થયું હતું. આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ચાલક સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યાં પાણી ભરેલું હતું. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરી હતી કે, જનપદ કાનપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લા અધિકારી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં 11 મહિલા અને 11 બાળકો પણ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50000-50000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થયા બાદ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને પીએચસી અને કાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવતા ગેસના ભાવમાં ૪૦ ટકાનો વધારો કર્યો છે, તેને પરિમાણે આજે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂ. ૩ અને રસોઈઘરમાં જતાં પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં રૂ.૩નો વધારો કરી દીધોે છે. જોકે, હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા કોમશયલ એલપીજીના ભાવમાં સિલિન્ડરે રૂ. ૨૫.૫નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ઘરોમાં વપરાતા ૧૪.૫ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. એ જ રીતે દેશમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી સાંજે વિવિધ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી. ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પીએનજીના ભાવ સીધા નહિ, પરંતુ આડકતરી રીતે વધારી દેવાયા છે, તેવી ઉદ્યોગોની રજૂઆત છે. એક અંદાજ મુજબ તેમને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. ૮નો વધારો ચૂકવવો પડી શકે છે. વાહનો દોડાવવા માટે વપરાતા સીએનજીનો કિલોદીઠ રૂ. ૮૩.૯૦ હતો તે વધારીને રૂ.૮૬.૯૦ કરી દેવાયો છે.
ગુજરાતમાં મોટાભાગની ઓટોરિક્ષાઓ માત્ર સીએનજી પર જ દોડતી હોવાથી તેમના પર તેની મોટી અસર આવશે. તેઓ આ બોજ ગ્રાહકને માથે નાખી દેશે. તેથી છેવટે ઓટોરિક્ષમાં પ્રવાસ કરનાર ગ્રાહ દંડાશે. પરિણામે સીએનજીથી દોડતી ઓટોરિક્ષાઓ અને વાહન માલિકો પર ખર્ચ બોજ વધશે. તેની સાથે દરેક ઘરના રસોડામાં જતી રાંધણગેસ-પાઈપ્ડ નેચરલ ગેસની લાઈનો મારફતે આપવામાં આવતા ગેસનો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ભાવ ૫૦.૯૦થી વારીને રૂ. ૫૩.૯૦ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી ગૃહિણીઓનો ખર્ચ બોજ પણ વધી જશે. કારણ કે રસોડામાં આવતા પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂ. ૫૦.૯૦ હતા તે વધારીને રૂ.૫૩.૯૦ કરવામાં આવ્યા છે. એકલા અમદાવાદમાં જ બે લાખથી વધુ પરિવારની ગૃહિણીઓના ઘરખર્ચમાં તેનાથી વધારો થશે.
ઔદ્યોગિક એકમોએ જે પીએનજીનો સપ્લાય નિશ્ચિત કરાવેલો તેના ૭૫ ટકા પીએનજી જ વાપરવાની સૂચના આપી દેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૧૦૦ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પીએનજીનો સપ્લાય બુક કરાવનારાઓએ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ જ વાપરવાની સૂચના આપી છે. આ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર માટે અગાઉથી નક્કી કરેલા એટલે એસસીએમ દીઠ રૂ. ૭૭ના ભાવે બિલ વસૂલવામાં આવશે. ત્યારબાદ ૭૬થી ૧૦૦ની વચ્ચે જે યુનિટ વાપરે તેને માટે એસસીએમ દીઠ રૂ. ૯૬ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો એસસીએમ દીઠ રૂ. ૮નો અંદાજે વધારો ઔદ્યોગિક એકમોએ ભોગવવાનો આવી રહ્યો છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રી પર તેનો ખાસ્સો બોજ આવવાની સંભાવના છે. મોરબીના વિટ્રીફાઈડ ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગને પણ આગામી દિવસમાં આ ભાવ વધારાનો બોજ ખમવાની નોબત આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એનર્જીના ભાવમાં ઘટાડો આવવા માંડયો હોવાથી સરકારે કોમશયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત છઠ્ઠીવાર ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કોમશયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૮૮૫થી ઘટીને રૂ. ૧૮૫૯.૫૦ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૃા. ૧૮૭૨.૫૦નો થયો છે. સતત છ વાર કરવામાં આવેલા ઘટાડાને પરિણામે કોમશયલ સિલિન્ડરના ભાવમાં કુલ રૂ.૪૯૪.૫૦નો ઘટાડો થયોછે. જૂન ૨૦૨૨ પછી આ છઠ્ઠીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. કોમશયલ સિલિન્ડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થતી વધઘટ પ્રમાણે વધઘટ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોમશયલ એલપીજીના દરમાં મહિને એકવાર ફેરફાર કરવામાં આવે છે.
રહેઠાણમાં વપરાતા એલપીસીના સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર ન કરીને ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ રૂ.૧૦૫૩ પર જાળવી રાખ્યો છે. અમદાવાદમાં તેનો ભાવ રૃા.૧૦૬૦નો થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ઘટી જતાં હવે સરકારને તેમાં કોઈ નુકસાન ભોગવવાનું આવતું નથી. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા છ મહિનાથી ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વધારો ન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એટીએફનો ભાવ 4.5 ટકા ઘટાડી કિલોલીટરે રૂ. 1,15,520 કરાયો
જેટ એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કિલોલિટરદીઠ ભાવ દિલ્હીમાં રૂ. ૧,૧૫,૫૨૦.૨૭ હતા. તેમાં ૪.૫ ટકાનો એટલે કે રૂ.૫૫૨૧.૧૭નો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્થાનિક વેરાઓ લાગતા હોવાથી દરેક રાજ્યમાં તેના દર અલગ અલગ આવે છે. સ્થાનિક ટેક્સના તફાવત પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં દર પખવાડિયે ફેરફાર કરવામાં આવે છે. ૧૬મી સપ્ટેમ્બરે એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેની પહેલા એટલે કે ૩૧મી ઓગસ્ટે તેના ભાવમાં ૦.૭ ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો.
સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.
પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ
પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી સિમીત બની ગઇ હતી.
એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.
સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર
સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.
ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે. સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.
સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.
જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી
રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.
વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.
હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે
– GSM અથવા GPRS
– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
– સીસીટીવી કેમેરા
– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
– વેક્યૂમ બાયોટોયલેટ્સ
– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
– વાઈફાઈની સુવિધા
– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ
KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન
ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.
વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.
અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.
ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.
RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.
ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.
મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.
જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.
રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.
ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.
79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.
આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.
ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.