કૉંગ્રેસે 41 વર્ષ પછી પહેલીવાર રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીનો હારનો સામનો કરવો પડ્યો છે અને બિનકોંગ્રેસી સાંસદ ચૂંટાયા છે. જોકે, હજુ આ પદ પર ભાજપના સાંસદ હજુ બેસી શક્યા નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની ચાલ’ને સમજવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ગોથું ખાધું છે. રાહુલ ગાંધીએ એવી ઘણી ભૂલો કરી કે રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો ?

જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પાંચ ભૂલ ન કરી હોત અને સક્રિય રહ્યાં હોત તો હરિવંશ સામે બીકે હરિપ્રસાદ કદાચ જીતી પણ શક્યા હોત. બી.કે. હરિપ્રસાદની પસંદગી સાવ છેલ્લી ઘડીએ કરાઇ. જ્યારે એનડીએ દ્વારા ચૂટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર નક્કી કરાયો. વિપક્ષમાં ફોર્મ ભરવાના દિવસ સાથે ઉમેદવાર મામલે માથાકૂટ ચાલતી રહી. વિપક્ષ તરફથી પહેલાં એનસીપીના વંદના ચવ્હાણનું નામ આવ્યું, બાદમાં રાહુલે અંતિમ પત્તુ ખોલ્યું અને બીકે હરિપ્રસાદના નામની જાહેરાત કરી.
કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા, એટલે આ ચૂંટણીજંગ વિપક્ષોની સંયુક્ત રીતે નહીં પરંતુ કોંગ્રેસનો વ્યક્તિગત જંગ બની ગયો. એટલે કોંગ્રેસ તરફથી સમર્થન મેળવવાની કોશિશ કરાઈ, પરંતુ યુપીએના બાકી પક્ષોની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી સિમિત થઈ ગઈ. જ્યારે એનડીએ તરફથી હરિવંશ ઉમેદવાર હતા, તેમ છતાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એનડીએના સહયોગી દળો અને વિપક્ષના કેટલાક દળોના સમર્થન માટે વાતચીત કરી હતી.
રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવામાં એનડીએ પહેલાંથી જ સક્રિય રહ્યું. જ્યારે કોંગ્રેસ તરફથી ખાસ સક્રિયતા જોવા મળી નહીં.
ભાજપના નેતૃત્વયુક્ત એનડીએમાં જેડીયૂના ઉમેદવાર હરિવંશને જાહેર કર્યા ત્યારથી જ શિવસેના અને અકાલીદળે ખુલ્લીને નારાજગી જાહેર કરી હતી. આ બંને પક્ષો જેડી (યુ)ને બદલે પોતાના ઉમેદવારની પસંદગી થાય તેમ ઈચ્છતા હતા. તેમ છતાં આ પક્ષોની નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકી નહીં. જ્યારે સમયને વહેણને જોઈને મોદી અને અમિત શાહે શિવસેના અને અકાળી દળ સાથે વાતચીત કરીને મનાવી લીધા.



























