રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.


પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.
ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.
આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.






























