CIA ALERT

Slider Archives - Page 445 of 491 - CIA Live

September 26, 2018
gujcmdcm.jpg
1min5870

રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહે છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગમાં ગુજરાતીઓને નોકરીથી વંચિત રાખવામાં આવતો હોવાના મુદ્દે નવરાત્રિ બાદ દશેરાથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત 8500 યુવાનોને કરારપત્રોનું વિતરણ સમારંભને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારીભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ મેઇક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત માં માર્ચ 2019 પહેલા 1 લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માં કૌશલ્યવાન બનાવવા છે.

રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ 140 જેટલા નવા કોર્સ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.

September 26, 2018
missing-kids.jpg
1min8440

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 25, 2018
rajkot-civil-hospital.jpg
1min8360

Jayesh Brahmbhatt 98253 44944

સમગ્ર ગુજરાતમાં સુરતના ડો. પ્રફુલ દોશી વિરુદ્ધ મહિલા પેશન્ટ પર દુષ્કર્મ કરવાની ફરીયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો હજુ પણ ડો.પ્રફુલ દોશીને સબક મળે તે માટે પ્રદર્શનો કરી રહ્યા છે એવામાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સિનિયર તબીબે નાઇટ ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ તેની જુનિયર મહિલા તબીબ પર રેપ કર્યો હતો. સમાજમાં બદનામીના ડરથી અમદાવાદની તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી ન હતી પણ બાદમાં પોલીસ કમિશનરની સમજાવટથી યુવતિએ તબીબને ઉઘાડો પાડવા માટે ફરીયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. ગુજરાતમાં તબીબ દ્વારા દુષ્કર્મની આ બીજી ગંભીર ફરીયાદ બહાર આવતા સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અને વાસનાલોલુપ તબીબો સામે ફીટકાર વરસી રહી છે.

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી એક તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.30મી ઓગસ્ટના રોજ એ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતી હતી ત્યારે તેમના ઉપરી તબીબ ડો. સચીન સિંહ એ તેને હોસ્પિટલના પાંચમા માળે નર્સિંગ કમ્પાર્ટમેન્ટની પાછળ આવેલા રેસ્ટ રૂમમાં તેની મરજી વિરુધ શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી કે જો એ આ વાત કોઇને કહેશે કે ફરીયાદ કરશે તો સમાજનમાં તેની જ બદનામી થશે.

30મી ઓગસ્ટ 2018ના રોજ ઘટેલી આ ઘટના અંગે તબીબ યુવતિ ગભરાઇ ગઇ હતી. પરંતુ, બાદમાં તેણે અમદાવાદ ખાતે રહેતા તેના પિતાને આ બાબત જણાવતા પિતાએ રાજકોટ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે નિર્ભય થઇને ફરીયાદ કરવા સમજાવતા આખરે ડો.સચીન શર્મા સામે બળાત્કારની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ પોલીસે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી ડો.સચીન શર્માની એરેસ્ટ કરી હોવાનું જાણવા મળે છે.

આ ઘટના બની એ પછી યુવતિએ કોલેજના સર્જરી વિભાગ કે જ્યાં બન્નેની ડયૂટી હતી તેના વડાને તેમજ ડીનને ફરીયાદ કરી હતી. રાજકોટ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામીએ જણાવ્યું કે તેમને કરેલી ફરીયાદમાં યુવતિએ રેપ થયાનું જણાવ્યું ન હતું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વર્બલ હેરેસેમેન્ટનું જણાવ્યું હતું. આ અંગે તાકીદે એકશન લેવાયા હતા અને એ સમયે જ ડો.સચીન શર્માને 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પ્રફુલ દોશી હોય કે સચીન સિંહ હોય બન્નેએ ફરજના સ્થળે જ દુષ્કર્મ આચર્યા

સુરતનો ડો. પ્રફુલ દોશી હોય કે રાજકોટનો ડો. સચીન સિંહ હોય બન્ને વાસનાભૂખ્યા તબીબોએ પોતાના ધંધાના સ્થળ એટલે કે જ્યાંથી તેમને પેશન્ટની સારવાર કરવાની હોય ત્યાં જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા છે. પોલીસે બન્નેના ધંધાકીય સ્થળો પર તલાશી લીધી હતી. સમાજમાં તબીબો પર ફીટકાર એટલે જ વરસી રહી છે કે જેમને ભગવાન માનવામાં આવે છે એ તબીબો જ પોતાની વાસનાનો શિકાર નિર્દોષ મહિલાઓને બનાવી રહ્યા છે.

 

You can Find us on Google Play store too.. Free Application

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10190

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 25, 2018
Nobel-Prize-MGN.jpg
1min8270

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આયુષ્યમાન ભારત યોજના માટે નોબલ પીશ પારિતોષિક મળવું જોઇએ એવી માગણી સાથે નોબેલ એવોર્ડ એનાયત કરવારી સંસ્થા સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરન્દ્ર મોદીનું  નામ નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ભલામણ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઈ સુંદરરાજને કરી છે નોમિનેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાનાં સ્વરૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી યુનિવર્સિટીમાં નેફ્રોલોજી વિભાગના વડા છે.

અમીર સ્વીડિસ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌ પહેલા નોબલ 1901માં આલ્ફ્રેડના મોતના પાંચ વર્ષ બાદ અપાયો હતો. આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડન તરફથી અપાય છે. જેની શરૂઆત 1968માં થઇ હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેમાં એનાયત કરે છે જ્યારે અન્ય પુરસ્કાર સ્વીડનમાં અપાય છે. આનું કારણ છે કે, આલ્ફ્રેડ નોબલ આવું ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે, 1905ના પહેલા સુધી તે સ્વીડન અને નોર્વ એક જ હતા, બાદમાં તે છૂટા પડ્યા હતા.  અત્યાર સુધી મધર ટેરેસા અને કૈલાશા સત્યાર્થીને શાંતિ પુરસ્કાર અપાયો છે. આ સિવાય સાહિત્યમાં ક્ષેત્રમાં રવિન્દ્ર નાથ ટાગોર, ભૌતિકના ક્ષેત્રમાં ડૉક્ટર સીવી રમન, અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનને પણ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

September 25, 2018
EWAY-10-1-18.jpg
1min8400

રાજ્ય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન દ્વારા જોબવર્કના હેતુસર રાજ્યમાં આંતરિક ટ્રાન્સપોર્ટ થતા હેન્ક, યાર્ન, ફેબ્રિક્સ તથા ગાર્મેન્ટ સિવાયની તમામ આઇટમો માટે ૧ ઓક્ટોબરથી ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જોગવાઈ મુજબ ₹50,000થી વધારે કિંમતના તમામ માલ માટે ઇ-વે બિલ ફરજિયાત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેવન્યુ લિકેજ રોકવા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેનો વેપાર-ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટરો અને નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. 

રાજ્યમાં 19 આઇટમો માટે એપ્રિલ મહિનાથી ઇ-વે બિલ અમલી છે અને અન્ય પ્રોડક્ટ્સમાં કોઈ મોટી કરચોરી ઝડપાઈ નથી ત્યારે સરકારે તમામ આઇટમો માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તેના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે એમ નિષ્ણાતો જણાવે છે. ઉપરાંત શહેરોમાં માત્ર મ્યુનિસિપલ લિમિટમાં ઇ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે તે વિસ્તારવી જોઈએ એવી માંગ થઈ રહી છે.

કરચોરીની મહત્તમ સંભાવના ધરાવતી 19 આઇટમોમાં 15 એપ્રિલથી જ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત છે અને તેના સિવાયની આઇટમોમાં મોટા પાયે કરચોરી થઈ હોવાના કોઈ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી ત્યારે અચાનક રાજ્ય સરકારે શા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તે અસ્પષ્ટ છે. આ પગલાંથી ઇન્સ્પેક્ટર રાજ ફરી આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે. એવું નિષ્ણાંતો પણ માની રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોએ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલમાંથી મુક્તિ આપી છે કારણ કે તે માટે જરૂરી સ્ટાફ પણ નથી.

ટ્રાન્સપોર્ટર્સની નોંધણી વગર ઇ-વે બિલ સિસ્ટમ કામ કેવી રીતે કરશે

એવી પણ માગ ઉઠી છે કે તામિલનાડુ, પંજાબ, કર્ણાટક સિહતનાં રાજ્યોમાં ₹1 લાખના માલ સુધી ઇ-વે બિલ જરૂરી નથી તેવું ગુજરાતમાં કરવું જોઈએ. ઇ-વે બિલમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડવા માટે જે મુદત આપવામાં આવી છે તે અયોગ્ય છે કારણ કે રજાઓના દિવસોમાં અથવા તો પૂરતા બૂકિંગના અભાવે માલ મોડો પહોંચે તેવી સંભાવના રહેતી હોય છે. રાજ્યમાં લગભગ 1.50 લાખ જેટલા ટ્રાન્સપોર્ટરો છે અને મોટા ભાગનાએ એનરોલમેન્ટ પણ કરાવ્યું નથી ત્યારે 1 ઓક્ટોબરથી કઈ રીતે તેઓ ઇ-વે બિલ બનાવી શકશે તે મોટો પ્રશ્ન છે. તમામ આઇટમો માટે ફરજિયાત ઇ-વે બિલથી નાના વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમના એક ટ્રક ચાલતા હોય તેમને ઘણી તકલીફ થશે. અનેક નાના વેપારીઓનો માલ એક જ ટ્રકમાં જતો હોય ત્યારે વ્યક્તિગત માલ ₹50,000થી ઓછો હોય પરંતુ કુલ માલ ₹50,000થી વધારે થતો હોય ત્યારે ઇ-વે બિલ કેવી રીતે જનરેટ થશે તે સમસ્યા છે. રાજ્ય સરકારે આ મર્યાદા વધારીને ₹1 લાખની કરવી જોઈએ.

September 24, 2018
careerguidance.jpg
1min6740

650 શાળાઓના શિક્ષકોને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલીના તરસાડી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮” ની ઉજવણી કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓમાં શાળાકીય શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના ગુણો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી ‘કરિયર કોર્નર વીક’નું આયોજન થયું છે. સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરી, સુરત અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલા “કારકિર્દી આયોજન સપ્તાહ’ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન (એસ.એસ.સી.), યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉપરાંત સુરત જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે NCERT અભ્યાસક્રમ અને એડોલેસેન્ટ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલે ‘કરિયર કોર્નર વીક’ વિષે વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો છે, જેની મોટાભાગના વિદ્યાર્થીઓને પાયાની જાણકારી હોતી નથી. પૂરતી માહિતીના અભાવે તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કારકિર્દી આયોજન સપ્તાહના આયોજન દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો ઝડપવા માટે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર વિષયક કાર્યક્રમો તેમજ રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દ્વારા શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.

‘કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત કારકિર્દી ઘડતરના તેમજ આયોજનના વિવિધ પગથિયા તેમજ લશ્કર, ફેશન, ટેકનોલોજી, ખેતીક્ષેત્રે તેમજ મેડિકલ અને એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ પ્રકારની રોજગારની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ.એન.રાઠોડ, રોજગાર અધિકારીશ્રી મુકેશભાઈ વસાવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

September 24, 2018
sandesara.jpg
1min13310

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા પાંચ હજાર કરોડના બેંક કૌંભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડીરેક્ટરો ચેતન સાંડેસરા, દિપ્તિ સાંડેસરા, રાજભુષણ દિક્ષિત, નિતિન સાંડેસરા, વિલાસ જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમન્ત હાથી સામે ગુનો નોંધાયો છે.

સાંડેસરા પર એવો આરોપ છે કે, તેમની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટમાં ગઇ અને નોન-પર્ફોમિંગ એસેટ બની ગઇ. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જેમાં દિલ્હી સ્થિતિ વેપારી ગગન ધવન, આંધ્રા બેંકના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેક લિ. ના ડાયરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ કરવામાં આવી હતી.

વિજય માલ્યા અને નિરવ મોદી બાદ ભાગેડુ બિઝનેસ મેનની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાંચ હજાર કરોડના બેન્ક કૌભાંડનો આરોપી નીતિન સાંડેસરા દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. હાલ આ ગુજરાતી બિઝનેસમેન નીતિન સાંડેસરા નાઈજીરિયામાં હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે નીતિન સાંડેસરાની ગુજરાત સ્થિત ફાર્મા કંપનીના બેન્ક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ગત મહિને નીતિન સાંડેસરા યુએઈમાં છુપાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતિન સાંડેસરા, ભાઈ ચેતન સાંડેસરા, ભાભી દિપ્તીબહેન સાંડેસર અને પરિવારના અન્ય લોકો નાઈજીરીયામાં છુપાયેલાં છે. ભારતની નાઈજીરીયા સાથે કોઈ પ્રત્યાર્પણ સમજૂતી નથી ત્યારે તેમને આફ્રિકી દેશમાંથી પરત લાવવા મુશ્કેલ બની શકે છે.

પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, યુ.એ.ઇ દ્વારા નિતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી પણ આ સમાચાર ખોટા સાબિત થયા. તેની દુબઇમાં ક્યારેય ધરપકડ થઇ નહોતી. હજી સુધી તે વાતની જાણકારી નથી મળી કે સાંડેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈજીરીયા પહોંચ્યા છે કે પછી અન્ય કોઈ દેશનાં પાસપોર્ટની મદદથી તેઓ નાઈજીરિયા પહોંચ્યા છે

 

September 22, 2018
manvendra.jpg
1min8120

આણંદની સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ એમ એસ ડબ્લ્યુ વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાંઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.ૅ એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, ૅઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્ઝ મેડલ જરૂર જીતી લીધો છે.

September 22, 2018
gujcmdcm.jpg
1min5440

ગુજરાતમાં ખેડૂતો અંગેની નીતિ ઘડવામાં રાજ્યની ભાજપા સરકાર સદંતર નિષ્ફળ નિવડી રહી છે અને જે પણ કરી રહી છે એની ભારોભાર ટીકાઓ થઇ રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખેડૂતોને અકસ્માત મોતના કિસ્સામાં રૂ.2 લાખનું વળતર આપવાની કરેલી જાહેરાતના ઉલ્ટા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોએ એવી ટીકા કરી છે કે લઠ્ઠાકાંડમાં દારૂ પીને મોતને ભેટનારાઓને રૂ.4 લાખ આપતી સરકાર ખેડૂતોને મોતના બદલામાં રૂ.2 લાખ આપવાનું કેવી રીતે વિચારી શકે.

ગુજરાતમાં ધારાસભ્યોના તોતિગ પગાર વધારાના બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ખેડૂતોને અકસ્માતે મોત માટેની રૂ. એક લાખની સહાયને વધારીને રૂ. બે લાખ કરવાની કરેલી જાહેરાતના રાજ્યભરમાં અવળા પ્રત્યાઘાતો પડ્યા છે. લઠ્ઠાકાંડમાં મરી જાય એને રૂ. ચાર લાખ મળે છે. જ્યારે ખેડૂતોને મૃત્યુ બાદ બાદ બે લાખ આપવાની વાત સરકાર કરે છે એવો સૂર ઠેર ઠેર ઊઠી રહ્યો છે તેમ જ સોશિયલ મીડીયામાં પણ સરકારની ઠેકડી ઉડાવતા મેસેજોનો મારો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ખેડૂતોએ શાકભાજીના પુરતા ભાવ ન મળતા ચક્કાજામ કરીને રોડ પર પડેલા ખાડાઓમાં શાકભાજી ભરીને તેને પૂરવાનો અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. તેમ જ નીતિન પટેલની જાહેરાતને ખેડૂતોની ગંભીર મજાક હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતો આક્રમક બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહામહેનતે સમજાવટથી ખેડૂતોને શાંત કરી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાવનગર હાઇવે પર અનોખો વિરોધ કર્યો હતો. મહીકા ગામના પાટિયા પાસે રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગ્રુપ અને ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પરના ખાડા પણ શાકભાજીથી બૂરી દીધા હતા.