
તા.26મી ડિસેમ્બર 2018ને બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ બોક્સિંગ ડે ના દિવસે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા છે.
દેનાબેંક, વિજયા બેંક અને બરોડા બેંકના એકત્રીકરણના નિર્ણયના વિરોધમાં તા.26મી ડિસેમ્બરે રાજકોટ સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવશે. આ હડતાલમાં દેશભરમાંથી 9 લાખ કર્મચારીઓ જોડાશે. રાજકોટમાં પરાબજાર ખાતે સવારે 10-30 કલાકે દેખાવ યોજવામાં આવશે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યા પ્રમાણે બેંકના એકત્રિકરણને લઇને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઇ નક્કર અણસાર દેખાતા નથી. પાંચ સ્ટેટ સેક્ટર બેંકોને એસબીઆઇમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકનાં ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષનાં ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે.
આ ત્રણ બેંકોનાં કુલ ડૂબત લેણાં રૂ.80,000 કરોડ છે. એકત્રિકરણને કારણે ડૂબત લેણામાં કોઇ ફેરફાર થશે નહીં. હાલ પૂરતી વસૂલીમાં એકત્રિકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ધ્યાન ડૂબત લેણાની વસૂલીને બદલે અન્ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.
ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જ્યાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેંકિંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 લાખ બેંક કર્મચારીઓ તા.26 ડિસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે, તેમ મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.