

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.
બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.
મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાહેર પ્રચાર આગામી રવિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. તે પૂર્વે ગુજરાતમાં 26 લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે.
છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કૉંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે તેમની સભા યોજવામાં આવી હતી. તેઓ ફરી સંભવત તા. 19મીએ ગુજરાત આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. 18મીએ આવી રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની તા. 17મીએ ધોરાજીમાં રોડ-શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ-શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.
ચૂંટણી પંચે સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બસપાનાં વડાં માયાવતીને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નિશ્ર્ચિત કલાકો માટે પ્રચાર બંધ કરવાની બંનેને ‘શિક્ષા’ કરી હતી. યોગી આદિત્યનાથ 72 કલાક માટે અને માયાવતી 48 કલાક માટે ચૂંટણી પ્રચાર કાર્ય કરી શકશે નહીં. મંગળવાર સવારના છ કલાક પછી બંને પ્રચારકાર્ય કરી શકશે નહીં. ચૂંટણી પંચે આદિત્યનાથના સંદર્ભમાં કહ્યું કે, તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 324 હેઠળ મળેલી સત્તાની રુએ ચૂંટણી પંચે આદિત્યનાથને ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલી જાહેરસભા, જાહેર સરઘસ, રૉડ શૉ, ઈન્ટરવ્યૂ વિગેરે પર 72 કલાક માટે પ્રતિબંધ મૂકયો હતો.

માયાવતીના નિવેદનને પણ વખોડી કાઢતા ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિ ન કરવા માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકયો હતો.
બંને નેતા માટે ‘પ્રતિબંધિત સમય’ ઓછોવત્તો હોવા બાબતમાં પૂછવામાં આવતા ચૂંટણી પંચે કહ્યું કે ‘ચૂંટણી પંચે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને શોકોઝ નોટિસ પાઠવી છે. આ અગાઉ પાંચમી એપ્રિલે આદિત્યનાથને ભવિષ્યમાં તકેદારી રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. બસપા પ્રમુખને પ્રથમવાર શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાથી તેમની સામેની ‘શિક્ષા’ પ્રમાણમાં હળવી છે.
આદિત્યનાથ અને માયાવતી સામેના આદેશ બાબતમાં દરેક રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આદિત્યનાથ પરના આદેશ બાબતમાં નોંધ કરી હતી કે, ‘તેમના પર ધર્મનિરપેક્ષતા સહિતના પાયાના સિદ્ધાંતો જાળવી રાખવાની અને આ અંગેની પ્રતિબદ્ધતા જાહેરમાં દર્શાવવાની વધારાની જવાબદારી છે. ચૂંટણી પંચને ખાતરી થઈ છે કે આદિત્યનાથે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી જેનો સૂર ધાર્મિક સમાજ વચ્ચે પારસ્પરિક ભેદભાવ વધે અથવા પારસ્પરિક ધિક્કારનું સર્જન થઈ શકે તેવો હતો.
ચૂંટણી પંચે માયાવતીને કહ્યું કે, મીડિયાની વ્યાપક પહોંચના કારણે ઘણાં મત વિસ્તારોમાં ચૂંટણીનું ધ્રૂવીકરણ સંભવ બને તેવો સૂર ધરાવતી ટિપ્પણી કરવાથી માયાવતી જેવા વરિષ્ઠ નેતાએ દૂર રહેવું જોઈએ.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મેરઠમાં એક રેલીમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી ‘અલી’ અને ‘બજરંગબલિ’ વચ્ચેની સ્પર્ધા છે. માયાવતીએ કૉંગ્રેસને મત ન આપવા દેવબંધમાં યોજાયેલી એક રેલીમાં મુસ્લિમોને અપીલ કરી હતી.
ચૂંટણી પંચે બંનેના નિવેદનો સામે નોટિસ મોકલી અને ઉપર જણાવેલી ‘શિક્ષા’ કરી હતી.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?
આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.
શોર્ટ ટર્મ અભ્યાસક્રમો
ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.
ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે
IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.
હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ
જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.
10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે
જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.
ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો
કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.
અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?
ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.
સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,
સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,
ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭
ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯
ઈમેલ : admission@diamondinstitute.net
web : www.diamondinstitute.net
–*-*-*-*-*-*-

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.
બોર્ડ દ્વારા ગુજકેટની તારીખમાં ચાર વાર ફેરફાર કરાયો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષાના કાર્યક્રમને લઈને બે વાર ફેરફાર કરાયો હતો. છેલ્લે ૨૩ એપ્રિલે ગુજકેટ લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી બોર્ડને ફરીવાર ગુજકેટની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. હવે, રાજ્યમાં ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ લેવાશે.
આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),
રોહિત શર્મા,
શિખર ધવન,
લોકેશ રાહુલ,
વિજય શંકર,
મહેન્દ્રસિંહ ધોની,
કેદાર જાધવ,
દિનેશ કાર્તિક,
યુઝવેન્દ્રસિંહ ચહલ,
કુલદીપ યાદવ,
ભુવનેશ્વર કુમાર,
જસપ્રિત બુમરાહ,
હાર્દિક પંડ્યા,
રવીન્દ્ર જાડેજા,
મોહમ્મદ શમી.
લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે
અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મોટાપાયે રોકડની હેરફેર થતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને ઈન્કમટૅક્સ વિભાગ સક્રિય બની શુક્રવારે સવારથી જ એક જાણીતી આંગડિયા પેઢીઓની અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ, સહિતના સ્થળે આવેલી ઑફિસો પર દરોડા પાડીને કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈન્કમટૅક્સ વિભાગ વધુ સક્રિય થઈ આંગડિયા પેઢીઓ, ટૂર ઓપરેટરના ઑફિસ, એન્ટ્રી ઓપરેટર અને સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરીને અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
રૂ. ત્રણ કરોડના દાગીના, ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં જાણીતા એન્ટ્રી ઓપરેટરના ત્યાંથી રૂ. 46 લાખની રોકડ સાથે કરોડોની એન્ટ્રીની વિગતો મળી આવી હતી. નવરંગપુરામાં એક ટૂર ઓપરેટરના ત્યાં દરોડા પાડીને રૂ. 47.26 લાખ અને ઝવેરાત કબજે કરી હતી. ટૂર ઓપરેટરની સરદાર પટેલ કોલોની- નવરંગપુરામાં આવેલ ઑફિસ તેમ જ ધનંજય ટાવરમાં આવેલ બંગલોમાં સર્ચ ચાલી રહી હતી. અમેરિકા, માલ્ટામાં આવેલી કંપનીઓમાં તેમનું કરોડોનું રોકાણ કર્યાનું અને દુબઈમાં પણ ઑફિસો અને કંપની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ટૂર ઓપરેટર દ્વારા હવાલા મારફતે વિદેશોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. ઈન્કમટૅક્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે મોટાપાયે કરચોરીઓ સામે આવવાની શક્યતા છે.
ગુજરાતમાં ઠાકોર સમાજને વ્યસન મુક્તિ આંદોલનના નામે એક તાંતણે બાંધીને ભાજપની ઉંઘ હરામ કર્યા બાદ કૉંગ્રેસમાં પ્રવેશ મેળવીને આખરે કૉંગ્રેસને પણ નાટકીય રીતે અલવિદા કરનારા અલ્પેશ ઠાકોર માટે હાલ પૂરતા ભાજપમાં પણ દરવાજા પણ બંધ થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઊભા એનસીપીમાંથી ચૂૂંટણી લડી રહેલા ઠાકોર સમાજના ઉમેદવારને ખુલ્લેઆમ ટેકો આપીને તેનો પ્રચાર શરૂ કરતા હવે ઠાકોર માટે તેમના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલાની જેમ જ એનસીપીમાં જગ્યા મળે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપવાની મામલે આજે સતત બીજી વાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નનૈયો ભણ્યો છે.

છેલ્લાં 6 મહિનાથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યાર બાદ 10 એપ્રિલના રોજ અલ્પેશે કૉંગ્રેસમાંથી રાજીનામું આપતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જો કે આ અંગે આજે મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અમારી સાથે જોડાવાની કોઈપણ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કૉંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.
એવુ પણ ચર્ચાઇ રહ્યું છે કે, અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છે, ત્યારે ભાજપને ય ચિંતા છે કે, જો અલ્પેશ પાર્ટીમાં જોડાય તો પરપ્રાંતીયોના મતોમાં ગાબડાં પડી શકે છે અને માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નુકસાન સહન કરવું પડે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વની બેઠકમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મતદારો હોવાથી તેમાં પણ નુકસાન થઇ શકે છે. ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. જેમાં અલ્પેશ ઠાકોરનો દોરીસંચાર હોવાની ચર્ચા ચાલી હતી.
બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસ દ્વારા તેમનું ધારાસભ્યપદ છીનવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. 7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મજબૂત કાયદાકીય લડત માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કૉંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવવા કૉંગ્રેસ સંભવત: સોમવારે મેદાને ઊતરશે.