સૌરાષ્ટ્ર Archives - Page 15 of 61 - CIA Live

February 17, 2022
bhavnath.jpg
1min691

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે

 ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ (Mahashivratri) ભરાતા ભવનાથના મેળાને (Bhavnath Melo) જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. આજે મળેલી જિલ્લાતંત્રની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં મસમોટો ઘટાડો થયો હોવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર (Girnar) પરિક્રમાને પણ છેલ્લી ઘડીએ જ મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.

સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વખતે અત્યારસુધીનો સૌથી સારો મેળો યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આજે મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાની તૈયારી કઈ રીતે કરવી અને કઈ-કઈ સમિતિ બનાવવી તેને લઈને ચર્ચા થઈ હતી.

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળાને કડક નિયમોના પાલનના શરતે જ મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્યમાં સ્થિતિ અલગ છે, અને કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ કેસોમાં રોજેરોજ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં કેસો ઘટતા રહે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે.

February 8, 2022
vaccination_gujarat.jpg
1min522

પહેલી માર્ચ 2021થી સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના કો.મોર્બિડ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત કોરોનાની રસી આપવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે આજે Dt.8/2/22, સવારે 10 વાગ્યે અને 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ અપાયાનો રેકોર્ડ સર્જાયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં અને રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

12મી જાન્યુઆરી-2021ના રોજ ગુજરાતને ભારત સરકાર તરફથી કોવિડ-19 રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. 31મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ, 2021થી આખા દેશની સાથે, ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

1 લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.1 લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18થી 44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ 4થી જુન, 2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.3 જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ હતી.10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ હતી.

February 8, 2022
blast_verdict.jpg
2min529

2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.

આ લોકો અમદાવાદના ગુનેગાર

  • ઈમરાન શેખ,
  • ઈકબાલ શેખ,
  • સમશુદ્દીન શેખ,
  • ગ્યાસુદ્દીન અન્સારી,
  • મહોમંદ આરીફ,
  • મહમંદ ઉસ્માન,
  • યુનુસ મન્સુરી,
  • કમરુદ્દીન નાગોરી,
  • આમીલ શેખ,
  • સિબલી અબ્દુલ કરીમ,
  • સફદર હુસૈન નાગોરી,
  • હાબિદ હુસૈન મુલ્લા,
  • મહંમદ સાજિદ,
  • મુક્તિ અબુ બશર,
  • અબ્બાસ સમેજા,
  • જાવેદ શેખ,
  • અતિકુર રહેમાન,
  • મહેંદી હસન,
  • ઈમરાન શેખ,
  • ઉમર કબીરા,
  • સલીમ સિપાહી,
  • અફઝલ ઉસ્માની,
  • મહંમદ સાદિક,
  • મહંમદ આરીફ,
  • આસિફ, રફિયુદ્દીન,
  • મહંમત આરીફ,
  • કયામુદ્દીન કાપડિયા,
  • મહંમત સૈફ,
  • જિશાન અહેમદ,
  • જિયાઉલ રહેમાન,
  • મહંમદ શકીલ,
  • અનિક,
  • મહંમદ અકબર,
  • ફઝલ રહેમાન,
  • મહંમદ નૌશાદ,
  • અહમદ બાવા,
  • સફરુદ્દીન,
  • સૈફુર રહેમાન,
  • મહંમદ અન્સાર,
  • સાદુ અલી,
  • મહંમદ તનવીર પઠાણ,
  • મહંમદ શકીલ,
  • આમીન ઉર્ફે રાજા,
  • મહંમદ મૌમીન,
  • મહંમદ અબરાર,
  • મહંમદ રફી ઉર્ફે જાવીદ

77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.

સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.

January 18, 2022
Coronavirus-death.jpg
1min433

રાજ્યમાં સત્તાવાર કોરોના મૃત્યઆંક હજુ પણ 10 હજાર છે જ્યારે વળતર માટેની અરજીઓ 90000 જેટલી થઈ ગઈ છે. જે પૈકી 68000ને તો સરકારે રુ. 50000 વળતર ચૂકવી પણ દીધું છે.

કોવિડ-19 માટે રૂ. 50,000 ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા 10,094 (જાન્યુઆરી 16 સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.

પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ-19 પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી છે. તેમાંથી, સરકારે પહેલેથી જ 68,370 દાવાઓને મંજૂરી આપી છે. જ્યારે ચકાસણી બાદ 4,234 અરજીઓ ફગાવી દીધી છે. જો કે, 17,000 થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.

અન્ય ઘણી રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે SCને માહિતગાર કરે છે. અગાઉ, રાજ્ય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજ્ય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરુ વલણ અપનાવ્યું હતું. જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.

પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-19 મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ. 17 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 10,164 કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી 53% મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે ICMR માર્ગદર્શિકાનું પાલન કરે છે.

“ICMR માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન 2020 અને 2021 બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર ‘કોવિડ મોર્ટાલિટી ઈન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયું છે અને તે કેનેડા, ભારત અને યુએસના 11 સંશોધકો દ્વારા લખવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે 2021 માં એકંદરે તમામ કારણે મૃત્યુ 2018-19ની સરખામણીએ ગુજરાતમાં 230% વધુ હતા – જે સર્વેમાં આવરી લેવામાં આવેલા અન્ય ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. અનુમાન મુજબ, ગુજરાતમાં મૃત્યુઆંક એપ્રિલ-મે 2021 દરમિયાન સરેરાશ 17,000 પ્રતિ માસથી વધીને 39,000 પ્રતિ મહિને નોંધાયો હતો. સર્વે હેઠળ આવરી લેવાયેલા 16 ભારતીય રાજ્યોમાં આ સૌથી વધુ હતું.

January 8, 2022
Naresh-Patel.jpg
1min579

આજે તા.8મી જાન્યુઆરી 2022ના રોજ રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલે બેઠક યોજીને ખોડલધામ પાટોત્સવની મહાસભા મૌકૂફ રાખીને સમગ્ર કાર્યક્રમ ભાવિકો માટે ઓનલાઇન લાઇવ દર્શાવવાની યોજના અંગે માહિતગાર કર્યા હતા.

બાદમાં નરેશ પટેલે આ બાબતોની જાણકારી આપવા માટે યોજાયેલા પ્રેસ-કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે સરકારી ગાઇડલાઇન અનુસાર ફક્ત 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો જુદા જુદા સોશ્યલ મિડીયા માધ્યમ દ્વારા ઓનલાઈન આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.

રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ.

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

December 23, 2021
aap.jpg
1min656

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડેન્ટ ગોપાલ ઇટાલિયા સમેત 70થી વધુ કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય પર બબાલ કરવાના ગુનામાં હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં છે, અમદાવાદ સ્થિત આપના પ્રદેશ કાર્યાલય પર ઉપવાસ આંદોલન શરૂ થયું છે અને એ દરમિયાન આજે તા.23મી ડિસેમ્બરે સવારે સુરતમાં આપ ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

આજે ગુરુવાર તા.23 ડિસેમ્બરની સવારે સુરતના આપ ના કેટલાક કાર્યકરો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી.

આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાની યોજના હેઠળ તેઓ આવેદનપત્ર આપે તે પહેલા જ કચેરી સંકુલમાં પ્રવેશ દ્વારા પરથી જ તેમને ડિટેઈન કરી લેવાયા હતા. પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ બૂમાબૂમ કરીને સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

December 21, 2021
harsh_shanghvi_CiA_live-1.jpg
1min559

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ પર હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા અન્વયે યોજાયેલી લેખિત પરીક્ષાનું પેપર લીક થયું હતું.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત તા.21મી ડિસેમ્બર 2021ના રોજ બપોરે ગાંધીનગર ખાતે કરી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે. જે ઉમેદવારોની નિર્ધારિત વય હવે પછી વધી ગઇ હશે તો પણ તેમને પરીક્ષા આપવા માટે લાયક ગણાવાશે. એટલું જ નહીં પણ જે ઉમેદવારોનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયું છે એ તમામ હવે પછીની પરીક્ષા માટે લાયક ગણાશે.

12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

December 21, 2021
gopal.jpg
1min763

તા.20મી ડિસેમ્બર 2021ને સોમવારે બપોરે અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોફન મચાવવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ તથા કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. એ પછી ભાજપાએ પોલીસની મદદથી આપના તોફાનીઓને એવા ભગાડ્યા હતા કે ધમાચકડીમાં અનેકને માર પણ પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આપના નેતા ઈસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી. હવે આ મામલો ઝડપથી સૂલઝે એમ જણાતો નથી

આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈસુદાન ગઢવી નશાની હાલતમાં હતા. પોલીસે ઈસુદાનની અટકાયત કરી હતી અને ટેસ્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર અને નિખીલ સવાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે બિનજામીન પાત્ર કલમ પણ ઉમેરી છે.

ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન નશાની હાલતમાં હોવાનો દાવો કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ આક્ષેપોને AAPના નેતાને બદનામ હોવાનું કાવતરું હોવાનો દાવો કરતા આ આક્ષેપોને ફગાવી દેવાયા હતા.

December 19, 2021
election_voting.jpg
1min543

સમગ્ર રાજ્યની તમામ ગ્રામ પંચાયતો મળીને 8560 સરપંચ, 53 હજાર સભ્યો માટે આજે તા.19મી ઓક્ટોબર 2021ના રોજ સવારે 7 કલાકથી શરૂ થયું મતદાન

આજે રવિવાર તા.19મી ડિસેમ્બર 2021ની સવારે 7 કલાકે ગુજરાતમાં આવેલી 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે મતદાન શરૂ થયું છે. આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની રાજ્યવ્યાપી ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 27200 ઉમેદવારો અને 53,507 સભ્યોની બેઠક માટે 119998 ઉમેદવાર મેદાનમાં છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે તમામ જિલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કોરોનાની ચૂસ્ત ગાઈડલાઈન અમલની તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે સૌથી મહત્વની ગણાતી સ્થાનિક અને ગ્રામ્ય સ્તરની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની ચિહ્નનો ઉપયોગ કર્યા વગર પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા તમામ પ્રયાસ કર્ છે. આ ચૂંટણીમાં પહેલી વખત મોટી ચૂંટણીની જેમ અનેક ગામોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારોએ પરંપરાગત પ્રયોગો સાથે વિવિધ પ્રકારની ગિફ્ટની વહેંચણી કરીને સ્પર્ધાનું તત્વું ઉમેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચે ગયા મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો-વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ સિવાય 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ થઈ હતી. એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા, જ્યારે 2651 ગ્રામ પંચાયત, 65 સરપંચ અને 3155 સભ્યની જગ્યા માટે રાજકીય પક્ષો વચ્ચે બળાબળનાં પારખાં થશે.

December 17, 2021
gsssb.jpg
1min510

Reported on 17/12/21

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reported on 16/12/21

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Assistant Social Welfare Officer,  Surveyor, Accountant/ Inspector & Junior Inspector All Candidates Marks  (Result - Marugujaratupdates.com

પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.

પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.