Gujarat : કોરોનાથી સત્તાવાર 10,094 મોત સામે વળતર માટે કુલ 90,000 અરજીઓ મળી
રાજ્યમાં સત્તાવાર કોરોના મૃત્યઆંક હજુ પણ 10 હજાર છે જ્યારે વળતર માટેની અરજીઓ 90000 જેટલી થઈ ગઈ છે. જે પૈકી 68000ને તો સરકારે રુ. 50000 વળતર ચૂકવી પણ દીધું છે.
કોવિડ-19 માટે રૂ. 50,000 ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા 10,094 (જાન્યુઆરી 16 સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.
પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ-19 પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી છે. તેમાંથી, સરકારે પહેલેથી જ 68,370 દાવાઓને મંજૂરી આપી છે. જ્યારે ચકાસણી બાદ 4,234 અરજીઓ ફગાવી દીધી છે. જો કે, 17,000 થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.
અન્ય ઘણી રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે SCને માહિતગાર કરે છે. અગાઉ, રાજ્ય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજ્ય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરુ વલણ અપનાવ્યું હતું. જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.
પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-19 મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ. 17 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 10,164 કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી 53% મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે ICMR માર્ગદર્શિકાનું પાલન કરે છે.
“ICMR માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન 2020 અને 2021 બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.
તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર ‘કોવિડ મોર્ટાલિટી ઈન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયું છે અને તે કેનેડા, ભારત અને યુએસના 11 સંશોધકો દ્વારા લખવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે 2021 માં એકંદરે તમામ કારણે મૃત્યુ 2018-19ની સરખામણીએ ગુજરાતમાં 230% વધુ હતા – જે સર્વેમાં આવરી લેવામાં આવેલા અન્ય ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. અનુમાન મુજબ, ગુજરાતમાં મૃત્યુઆંક એપ્રિલ-મે 2021 દરમિયાન સરેરાશ 17,000 પ્રતિ માસથી વધીને 39,000 પ્રતિ મહિને નોંધાયો હતો. સર્વે હેઠળ આવરી લેવાયેલા 16 ભારતીય રાજ્યોમાં આ સૌથી વધુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now