CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 16 of 60 - CIA Live

November 23, 2021
election_voting.jpg
1min559

ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’

ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.”
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.

November 19, 2021
rain_forecast.png
2min873

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ ભાગોમાં વાદળિયુ વાતાવરણ છવાયેલ રહ્યું હતું અને રાજ્યનાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે.’ અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ પડયો હતો. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતા. આજે આખો દિવસ વાદળછાયું વાતારણ રહ્યું હતું.

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. કેશોદના શેરગઢમાં આજે બપોરે જાણે કે ચોમાસું હોય તેમ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે અત્યારે ખેતરમાં તૈયાર પાક પડયો છે જેને નુકસાન થયું છે. તેમજ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને પણ અસર પહોંચશે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના એપીએમસી દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે વાતાવરણ ચોખ્ખુ ન થાય ત્યા સુધી જણસો લાવવી નહીં.’

શેરગઢ :

કેશોદ તાલુકાના શેરગઢ તથા આજુબાજુ વિસ્તારમાં આજરોજ બપોર પછી 1 ઈંચ વરસાદ પડયો હતો. આ વરસાદ પડતાં ખેતીમાં તૈયાર થતા મગફળી અને તેના ચારામાં મોટુ નુકસાન થયું છે.

જામનગર :

જામનગરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા જોરદાર પલટાના કારણે ગઈકાલે મિનિ વાવાઝોડા જેવો પવન ફૂંકાયા પછી આજ સવારથી જામનગર શહેર, જોડિયા અને લાલપુરમાં વાદળછાંયા વ્તાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડયા હતાં. સાથોસાથ બર્ફીલો પવન પણ અવિરત રહેતા શહેર જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું.

ગારિયાધાર :

ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ હળવા કમોસમી વરસાદના ઝાપટાં વરસી પડયા હતા. શહેર ઉપરાંત નાનીવાવડી, પરવડી, નવાગામ, વિરી જેવા ગામે પણ ઝાપટું વરસી પડયું હતું.

સરા :

મૂળી તાલુકાના સરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતાં. ઠંડાગાર વાતાવરણ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પાથરા કરેલ પાક બચાવવા પ્લાસ્ટિકથી ઢાકવા દોડધામ કરવી પડી હતી.

જામખંભાળિયા :

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંથકમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આજ વહેલી સવારથી વરસાદી માહોલ સાથે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે ખંભાળિયા પંથકના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદના છૂટા છવાયા છાંટાઓ પડયા હતાં. અત્યારે ખેડૂતોને ચોમાસુ પાક ખેતરમાં હોય અને માલ ઢોરના ચારા પણ ખુલ્લામાં પડયા હોય ત્યારે આ કમોસમી વરસાદ થવાની સંભાવના ઉભી થતા ચોમાસુ પાકની ઉત્પાદન થયેલ ખેત પેદાસને ભારે નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

મોરબી :

મોરબી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતાં. જેને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ખેડૂતોમાં પણ ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ :

સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં 1 થી 7 મી.મી.કમોસમી વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને સર્વત્ર ટાઢોડુ છવાઈ ગયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી છાંટા તથા ઝાપટા રૂપે કમોસમી વરસાદ શરૂ થયો હતો.

માણાવદર :

માણાવદર તાલુકાનામાં કમોસમી વરસાદથી પાકને નુકસાની થયેલ છે તેમજ ખુલ્લામાં પડેલ ચારો બગડયો છે. વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.

સુરત :

માવઠાની આગાહીની અસર સુરત જિલ્લાના બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કપરાડામાં કમોસમી વરસાદ પડયો હતો. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બારડોલીમાં બપોરના સમયે 2 થી 4 વાગ્યાના સુમારે અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

મોડાસા :

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ થતા કારતકે શ્રાવણ જેવો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. સુપ્રસિધ્ધ શામળાજી મંદિરમાં કાર્તકી પૂર્ણિમાના મેળા ટાણે વરસાદ ખાબકતા મેળામા લાગેલ ટેન્ટ પલળી ગયા હતાં. વહેલી સવારે વરસાદથી ભકતોએ ભારે હાલાકી અનુભવી હતી. સતત 15 મિનિટસ સુધી વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

અમદાવાદ :

રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ પડયો છે. રાજ્યમાં હજુ પણ 47 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ માવઠાની આગાહીના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તંત્રએ એપીએમસીમાં ચાર દિવસ દરમિયાન પાક લઈને ન આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

November 18, 2021
weather-forecast.jpg
1min433

આજે Dated 18/11/21 વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

November 15, 2021
drugs.jpg
1min409

ગુજરાત રાજ્ય પણ ધીમે ધીમે ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જાણકારી આપી છે. 

દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ એનસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાના ઘટસ્ફોટ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. 

આ પહેલાં 21 હજાર કરોડનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં 17 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં  35દ કરડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે મોરબીમાં 120 કિલો ડ્રગ્સ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.   

October 30, 2021
baapu.jpeg
1min406

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે. તા.29મી ઓક્ટોબર 2021ની બપોરે તેઓએ ભાવનગર જિલ્લાના તલગાજરડામાં ધાર્મિક ગુરુ મોરારિ બાપુની મુલાકાત કરી હતી. આ સમયે રાષ્ટ્રપતિના પત્ની પણ તેમની સાથે અહીં આવ્યા હતા. તલગાજરડામાં આવેલ હનુમંત હાઈસ્કૂલ પાસે બનેલ હેલિપેડમાં રાષ્ટ્રપતિના સ્વાગત લેવા માટે મોરારિ બાપુ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચિત્રકુટ ધામ પહોંચ્યા હતા, અને હનુમાન મંદિરમાં શીશ ઝુકાવી મોરારિ બાપુ સાથે વાતચીત કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે તેમના પત્ની સવિતા કોવિંદ અને દીકરી સ્વાતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. તલગાજરડા પહોંચતાં જ રાષ્ટ્રપતિએ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી, આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રથમ પરિવાર દ્વારા પ્રસાદ લેવામાં આવ્યો હતો અને મોરારિ બાપુ સાથે થોડો સમય વ્યતિત કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જવા માટે રવાના થયા હતા.

મોરારિ બાપુ 14 વર્ષની ઉંમરથી જ કથાનું વર્ણન કરવાનું શરૂ કરી દીધું હતું, અને તેઓ રામકથાથી વિશ્વભરમાં જાણીતા છે. તેઓનો જન્મ દરિયાકાંઠે આવેલા તલગાજરડાના સાધુ પરિવારમાં થયો હતો. તેઓને તેમના દાદા ત્રિભુવન દાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ હતી, મોરારિ બાપુ તેમને પોતાના સદગુરુ પણ માને છે.

2019માં 2 ઓક્ટોબર ગાંધી જયંતી અગાઉ માનસ હરિજન કથા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મોરારિ બાપુને રાષ્ટ્રપતિ ભવન આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રામાયણના દ્રશ્યોની પેઈન્ટિંગ્સ જોઈને મોરારિ બાપુએ ભારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ગત રોજ અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાંજના સમયે ગુજરાત હાઈકોર્ટના જજો સાથે તેમણે સંવાદ કર્યો હતો. ભાવનગર મુલાકાત સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, તેમજ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

October 29, 2021
Free-vaccinee-1280x720.jpg
1min552

રાજ્યના સનદી અધિકારી જયપ્રકાશ શિવહરેએ આજે બપોરે એવી જાણકારી સાર્વજનિક કરી હતી કે ગુજરાતમાં કોવીડ વિરોધી વેક્સીનના આજદિન સુધીમાં કુલ 7 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગુજરાતની વસતિ હાલમાં 6 કરોડ માનવામાં આવે છે, સો એ સો ટકા ગુજરાતીઓને વેક્સીન અપાઇ નથી પરંતુ, 7 કરોડમાં સિંગલ અને ડબલ ડોઝ એમ બન્ને લેનારાઓનો સમાવેશ થાય છે.

10 દિવસ અગાઉની સ્થિતિ અનુસાર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નીચે દર્શાવેલી સંખ્યા મુજબ વેક્સીન આપી દેવામાં આવી હતી.

October 29, 2021
gujarat-police.jpg
1min432

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી  હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું. 

October 23, 2021
Gujarat-Police.jpg
1min336

રાજ્ય સરકારે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શારીરિક કસોટી પાસ કરનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષામાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

તમામ ઉમેદવારોની માગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઈન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોક રક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટ મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.

એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેઓએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.

આ ભરતી અંગે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

October 16, 2021
girlion.jpg
1min464

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 2, 2021
Saurastra.png
1min404
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.

સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી  માગણી કરી છે.’