કૃક્ષિ ક્ષેત્ર સાથે સંબંધિત ત્રણ બિલ માટે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. ભારે વિરોધ પ્રદર્શન થવા છતા પણ કેન્દ્ર સરકાર પીછેહઠ કરવા માટે તૈયાર નથી. શુક્રવારના રોજ બિહારને કેટલીક યોજનાઓની ભેટ આપતા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાક પક્ષો ખેડૂતોને ભ્રમમાં નાખી રહ્યા છે. આ વટહુકમોથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે.
વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યા છે. આ ખરડાઓએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી દીધી છે. આ સુધારાઓથી પોતાની ઉપજ વેચવા માટે ખેડૂતોને વધારે વિકલ્પો અને વધારે અવસર મળી રહેશે. હું દેશના ખેડૂતોને આ ખરડાઓ માટે શુભેચ્છા પાઠવું છું.
વિપક્ષની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચોટિયાઓ હોય છે, કે જેઓ ખેડૂતોની કમાણીનો મોટા ભાગનો હિસ્સો પોતાની પાસે રાખી લેતા હોય છે તેમનાથી બચવા માટે આ આ ખરડા પસાર કરવા અત્યંત જરૂરી હતા. આ ખરડાઓ ખેડૂતો માટેનું રક્ષા કવચ બનીને આવ્યા છે. પરંતુ કેટલાક લોકો જે દશકાઓ સુધી સ્તાતમાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખોટુ બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા માટે મોટી-મોટી વાતો કરતા હતા, લેખિતમાં પણ આપતા હતા અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ખેડૂતો માટે કામ કરવાના દાવાઓ કરતા હતા પરંતુ ચૂંટણી બાદ બધું ભૂલી જતા હોય છે. આજે જ્યારે એ જ વસ્તુઓ ભાજપા-એનડીએ સરકાર કરી રહી છે તો વિપક્ષ જાત-જાતના ભ્રમ ફેલાવી રહી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યા પછી હવે વધુ એક કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ બાબતે જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હોય તેમને કાળજી જાળવવાની તેમજ પ્રોટોકોલ અનુસરવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને તાજેતરમાં આ પહેલા ચોમાસુ સત્રના પહેલા દિવસે જ આશરે 30 સાંસદ કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતાં.
Yesterday, I was feeling weak and consulted my Doctor. During the course of my check up, I have been tested COVID 19 positive. I am at present doing well with the blessings and good wishes of all. I have isolated myself.
સોમવારના રોજ સંસદના ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, સંસદ શરૂ થાય તે પહેલા લોકસભાના 17 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાંસદોનો કોરોનાનો રિપોર્ટમાં 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સંસદ ભવનમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત 17 સાંસદોમાં સૌથી વધારે 12 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. YRS કોંગ્રેસના બે, શિવસેના, DMK અને RLPના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે સંસદના ચોમાસા સત્ર શરૂ થાય તે અગાઉ નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ કર્મચારી તેમજ સાંસદ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને પરિસરમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમજ તે રિપોર્ટ 72 કલાકથી વધારે પહેલાનો ન હોવો જોઈએ.
ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ બંને સદનોના ઘણા બધા ઉંમરલાયક સાસંદોએ કોરોના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સત્ર શરૂ થાય તે અગાઉ ગાઈડલાઈન્સનું પાલન થશે તો પણ દરેક સમયે પરિસરમાં ઓછામાં ઓછા 2000 લોકો હાજર રહેશે.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી ચોમાસુ સત્ર શરૂ થયુ ત્યાં સુધીમાં કેન્દ્રીય મંત્રી અને બંને સદનોના કુલ મેળવીને લગભગ બે ડઝન જેટલા સાંસદો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લોકસભામાં તમિલનાડુના સાંસદ એચ વસંતકુમારનું તો કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન પણ થઈ ચૂક્યું છે.
કોરોના સંકટ મધ્યે પહેલીવાર’ સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલ સોમવારથી મળવાનું છે. ત્યારે એ પહેલા તમામ સાંસદોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેનાં રિપોર્ટ નેગેટિવ હશે તે જ સંસદની કાર્યવાહીમાં હિસ્સો લઈ શકશે. અત્યાર સુધીમાં કરવામાં આવેલા ટેસ્ટમાંલોકસભાનાં પાંચ સાંસદો કોરોના સંક્રમિત જણાયા છે.
સત્રની શરૂઆત પૂર્વે તમામ સાંસદોની કોરોના ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ પાંચ સાંસદો પોઝિટિવ આવ્યા હતાં. હજી પણ અન્ય સાંસદોનાં પરીક્ષણો ચાલી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયનાં જણાવ્યા પ્રમાણે, રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડુએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. તમામ સાંસદોએ રાજ્યસભાની કામગીરીનાં 72 કલાક પહેલા પરીક્ષણો કરાવી લેવાના છે. સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સાંસદોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય બનાવાયો છે.
તો કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, ત્રણ દિવસ થઈ ગયા છે પણ હજી સુધી તેમનો કોરોના રિપોર્ટ આવ્યો નથી. ખાનગી કેન્દ્રોમાં તપાસ કરાવનાર કેટલાંક સહયોગીઓને તો રિપોર્ટ મળી ગયા છે પણ અમે હજીય રિપોર્ટ માટે ભાગદોડમાં છીએ. આનાં માટે કોઈને તો જવાબદાર બનાવવા જ જોઈએ.
કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનાર પત્ર બોમ્બનાં પડઘા હવે પક્ષમાં કરવામાં આવેલી સંગઠનાત્મક ફેરબદલમાં પડયા છે. વિવાદાસ્પદ પત્રમાં મહત્વની ભૂમિકા નિભાવનાર પક્ષનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ પાસેથી મહાસચિવ પદ છીનવી લેવામાં આવ્યું છે. તેઓ હરિયાણા કોંગ્રેસનાં પ્રભારી હતાં. કોંગ્રેસે આજે સંગઠનમાં કરેલી ઉલટફેરમાં સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીનાં વફાદાર રણદીપસિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલાને હવે કોંગ્રેસ અધ્યક્ષની ઉચ્ચસ્તરીય છ સદસ્યની બનેલી સલાહકાર સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે પક્ષનાં મહામંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે. તેમની પાસે કર્ણાટકનો પ્રભાર રહેશે. મધુસૂદન મિત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે પ્રિયંકા ગાંધીને યુપીનાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કે.સી.વેણુગોપાલને પણ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસનાં મહાસચિવોમાં મુકુલ વાસનિકને મધ્યપ્રદેશની, હરીશ રાવતને પંજાબ, ઓમાન ચંડીને આંધ્રપ્રદેશની, તારીક અનવરને કેરળ અને લક્ષદ્વીપની, જીતેન્દ્રસિંહને આસામ, અજય માકનને રાજસ્થાનની જવાબદારીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જિતિન પ્રસાદને કોંગ્રેસે પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબારનાં પ્રભારી નિયુક્ત કર્યા છે. સંગઠનમાં તેમના માટે આ મોટી બઢતી ગણવામાં આવે છે. અત્રે ખાસ નોંધનીય એ પણ છે કે વિવાદાસ્પદ પત્રમાં હસ્તાક્ષર કરનાર નેતાઓમાં જિતિન પ્રસાદનો પણ સમાવેશ થતો હતો. આ નવા ફેરફારો બાદ પવન કુમાર બંસલ સચિવ પ્રભારી રહેશે. આ ઉપરાંત રાહુલનાં જ અન્ય એક વફાદાર મનકીમ ટાગોરને તેલંગણનાં પ્રભારી સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.
કમલમ્ માં કોરોનાના કેસો મળ્યા ત્યાં સુધી આંખો ઉઘડી નહીં
તા.8મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રવક્ત પંડ્યા સમેત આઠેક જણા કોરોના પોઝીટીવ આવ્યાના સમાચારો બાદ ભાજપ કાર્યાલયમાં ગતિવિધિઓ પર બ્રેક લાગી, ઉલ્ટાનું તા.8મીએ પ્રદેશ યુવા પાંખની મિટીંગ પણ મોટા ઉપાડે યોજવામાં આવી, પરંતુ, બપોર બાદ ખુદ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તબિયત બગડતા ભાજપે કમલમમાં ગતિવિધિઓ પર રોક લગાડવાનું શરૂ કર્યું. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર.પાટીલના આગમન પછી રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં કાર્યકરોની ભીડ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કોરોનાએ દેખા દીધી છે. અહીં ચારેક જણાને કોરોના થયો છે.
કાર્યાલય મંત્રી પરેશ પટેલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી કારના ડ્રાઇવર, બે સફાઇ કર્મચારીઓને કોરોના થયો છે. આને પગલે મંગળવારથી કાર્યાલયમાં તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરી દેવાઇ છે. અંદર દાખલ થનારનું ટેમ્પરેચર માપવા માટે ગનનો ઉપયોગ શરૂ કરાયો છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે પટ્ટીઓ ગોઠવવામાં આવી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે આજે યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં પાટીલ અનુપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મંગળવારે જયદ્રથસિંહ પરમારે હાજર રહી કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.
ખુદ સી.આર. પાટીલ સપડાયા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલ મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા પછી એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાની મહામારી વચ્ચે ગયા મહિને રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હતો છતાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હમણાં ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજ્યા પછી પાટીલે હોસ્પિટલની વાટ પકડતાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. પાટીલે પોતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે, તેમનો એન્ટીજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાય છે. એક માહિતી મુજબ એમના ચેસ્ટ સીટી સ્કેન રિપોર્ટમાં સંક્રરમણ હોવાની ચર્ચા છે. જોકે, હોસ્પિટલે પાટીલ અંગે સત્તાવાર કોઇ હેલ્થ બુલેટિન બહાર પાડ્યું નથી.
70 વર્ષીય પાટીલને ગયા મહિને જ ભાજપ નેતૃત્વએ પ્રદેશની જવાબદારી સોંપી હતી અને એ સાથે જ એમણે રાજ્યભરનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ પ્રવાસને પગલે વેરાવળ તાલુકા ભાજપના મહામંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા અને ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટ્યા હતાં.. ત્યાર બાદ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પાટીલની સાથે જ યાત્રામાં જોડાયા હતા, એમને ચેપ લાગ્યો હતો. ભાજપના જ સાંસદો અભય ભારદ્વાજ અને રમેશ ધડુક, ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, મહામંત્રી જગદીશ મકવાણા સહિત અનેક આગેવાનો, કાર્યકરોને સંક્રમણ થયું હતું. ઉત્તર ગુજરાતની રેલીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર, ધારાસભ્યો અને સાંસદો સાથે રહ્યાં હતા. આ પૈકી મોટાભાગના ઉંમરલાયક હોવાથી એમના માટે કોરોનાનું સંક્રમણ લાગી જવાની શક્યતાઓ વધારે હતું. ઉત્તર ગુજરાતની રેલી બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કોરોનામાં સપડાતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે.
પાટીલે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતમાં કોરોનાની કોઇ સ્થિતિ જ ન હોય એવી રીતે શરૂ કરેલા પ્રવાસ, રેલીઓ અને મેળાવડાની ચોમેરથી આકરી ટીકાઓ થઇ હતી. રાજ્યમાં સવા સો વર્ષ કરતાં વધુ સમયથી, કોમી હુલ્લડોમાં પણ નીકળતી અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ટોકન સ્વરૂપે પણ યોજવા દેવાનો ઇન્કાર કરનાર રૂપાણી સરકારની આ મુદ્દે આંખમીચામણાં કરવા બદલ આકરી ટીકા થઇ હતી. ખુદ ભાજપના અનેક કાર્યકરોએ પણ આવા કપરા સમયમાં ભીડ એકત્રિત કરી સ્વાગત, રેલીઓ પ્રત્યે નાખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાજપ તેના કાર્યકરોના સેવાકીય કાર્યોને લઇ કોરોના વોરિયર તરીકે પ્રસ્થાપિત થવા મથામણ કરતો હતો, તે હવે કોરોના કેરિયર સાબિત થતાં શાસક પક્ષ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે.
કોંગ્રેસમાં જારી ઘમાસાણ સતત ચાલી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ હવે વધુ એક લેટર બોમ્બ સાથે પક્ષમાં થનારા વિસ્ફોટ માટે તૈયાર છે. આ વખતે પત્ર ઉત્તર પ્રદેશથી લખાયો છે. ગયા વર્ષે પક્ષમાંથી બહાર કરવામાં આવેલા નવ વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીને માત્ર ઈતિહાસનો ભાગ બનીને રહી જતા બચાવી લેવામાં આવે. આ સાથે પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ વિધાયક વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવ સિંહના હસ્તાક્ષર ધરાવતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.’ ઉત્તર પ્રદેશના પ્રભારી સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર પરોક્ષ રીતે નિશાન તાકતા ચાર પેજના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે પરિવારના મોહથી આગળ વધવામાં આવે અને પક્ષની લોકતાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આશંકા છે કે રાજ્યોના મામલામાં પ્રભારી તરફથી વર્તમાન સ્થિતિ અંગે પુરતી માહિતી આપવામાં આવી રહી નથી. લગભગ એક વર્ષથી મળવા માટે એપોઈન્ટમેન્ટ માગવામાં આવી રહી છે પણ ઈનકાર કરી દેવામાં આવે છે.
નિષ્કાસન સામે પણ અપીલ કરવામાં આવી હતી પણ કેન્દ્રીય અનુશાસન સમિતિને અપીલ ઉપર વિચાર કરવાનો સમય જ મળ્યો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો હતો કે પક્ષના પદો ઉપર એવા લોકોનો કબજો છે જેઓ વેતનના આધારે કામ કરે છે અને પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. નેતા પાર્ટીની વિચારધારાથી પણ પરિચિત નથી. પરંતુ તેઓને ઉત્તર પ્રદેશમાં પક્ષને દિશા આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. પત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પક્ષમાં વરિષ્ઠ નેતાઓનું અપમાન થઈ રહ્યું છે અને બહાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ અને પક્ષના કાર્યકરો વચ્ચે સંવાદની પણ કમી છે. જો વર્તમાન સ્થિતિ અંગે આંખ આડા કાન કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં ભારે નુકસાન થશે.
કેલેન્ડર વર્ષ 2020એ વિશ્વના અનેક પ્રતિભાઓના જીવ હણી લીધા છે. તેમાં ભારતને સવિશેષ ક્ષતિ પહોંચી છે. આજરોજ તા.31મી ઓગસ્ટે સાંજે એ સમાચાર વાયુવેગે પ્રસર્યા કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અસામાન્ય પ્રતિભા ધરાવતા આગેવાન શ્રી પ્રણવ મુખરજીનું નિધન થયું છે. આ સમાચાર તેમના પુત્રએ જ ટ્વીટર મારફતે દેશને આપ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ ડો.પ્રણવ મુખર્જી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટર પર આની જાણકારી આપી છે.
તેમના પુત્રએ ટ્વિટ કરતા લખ્યું છે કે, ભારે હ્રદય સાથે તમને જણાવી રહ્યું છું કે મારા પિતા પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. આરઆર હોસ્પિટલના ડોક્ટરો અને દેશવાસીઓની પ્રાર્થના અને દુવા છતાં તેમનું નિધન થયું છે. તમારા બધાનો આભાર.
કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ કાર્ય સમિતિની સોમવારે યોજાનાર બેઠક પહેલા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં પરિવર્તનની માંગ કરતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં 20થી વધારે પાર્ટી નેતાઓએ આંતરિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચાની માંગ ઉઠાવી હતી. બીજી તરફ માનવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં વર્તમાન સ્થિતિ સામે સવાલ ઉઠાવતા સામૂહિક નેતૃત્વનો મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે કોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ કાર્ય સમિતિની મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી સંભાવના છે.
જોકે વિતેલા કેટલાક સમયથી કોંગ્રેસમાં કેટલાક વરિષ્ઠ નતાઓ હવે ખુલીને માંગ કરી રહ્યા છે કે પાર્ટીની કમાન રાહુલ ગાંધીને સોંપી દેવી જોઇએ. હાલમાં સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસના દરેક કાર્યકર્તાની ભાવના છે કે રાહુલ ગાંધી પાર્ટી નેતૃત્વ સંભાળે. બીજી બાજુ રાહુલ અને પ્રિયંકા ગાંધી જાહેર કરી ચૂક્યા છે કે, હવે પછી પાર્ટી અધ્યક્ષનુ પદ ગાંધી પરિવારથી બહારનુ વ્યક્તિ સંભાળશે.
વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.
બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.
અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.