
ગયા મહિને રાષ્ટ્રવ્યાપી દરોડા પાડયા બાદ આવકવેરા વિભાગે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સગાંઓની અંદાજે ૧૪૦૦ કરોડની કિંમતની મુંબઇ, નવી દિલ્હી, પુણે, ગોવા અને રાજ્યભરમાં આવેલી મિલકતો તથા બે ડઝનથી વધુ જમીનના પ્લોટ પર ટાંચ મારવાના ઔપચારિક આદેશ બહાર પાડયા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના બેનામી સંપત્તિ માટેના ખાતા તરફથી બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન ઍક્ટ, ૧૯૮૮ હેઠળ એનસીપીના નેતા અજિત પવાર, એના પુત્ર પાર્થ પવાર અને કુટુંબીઓની સંપત્તિ પર ટાંચ મારવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત પવારના કુટુંબીઓને સંપત્તિ કાયદેસર પોતાની હોવાની અને કાળાં નાણાંથી ખરીદી ન હોવાની વાત પુરવાર કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તપાસના સમયગાળામાં તેઓ પોતાની કોઇપણ સંપત્તિને વેચી નહીં શકે. ટાંચ મરાયેલી સંપત્તિઓમાં રૂ. ૬૦૦ કરોડની સાતારાની જારેડેશ્ર્વર સુગર ફૅક્ટરી, રૂ. ૨૫૦ કરોડના ગોવામાં આવેલા નિલયા નામના રિસોર્ટ, પાર્થ પવારની દક્ષિણ મુંબઇમાં રૂ. ૨૫ કરોડની ઑફિસ, દક્ષિણ દિલ્હીમાં આવેલો રૂ. ૨૦ કરોડનો ફ્લેટ અને રાજ્યભરમાં અનેક સ્થળે આવેલી કુલ રૂ. ૫૦૦ કરોડની જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે રૂ. ૭૫૦ કરોડની લૉનના કૌભાંડના કેસમાં અજિત પવારના કુટુંબના સભ્યો દ્વારા સંચાલિત સાતારામાં આવેલી જારેડેશ્ર્વર સહકારી સુગર ફૅક્ટરીની ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરી રહી છે.














