ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે.
આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં. એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.
2016માં કોંગ્રેસના તમામ હોદ્દા છોડનારા જગદીશ ઠાકોરનું નામ પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થયું. માધવસિંહ સોલંકીના નજીકના નેતા ગણાય છે જગદીશ ઠાકોર.
ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.
ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.
પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મંગળવારે 1/12/21 મુંબઈમાં આવી પહોંચ્યા હતા. મમતાના નજીકના સુત્રો દ્વારા આ રાજકીય મુલાકાત ન હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેઓ મહારાષ્ટ્રના પ્રધાન અને આદિત્ય ઠાકરેને અને એનસીપીસુપ્રીમો શરદ પવારને મળવાના હોવાથી મમતાની મુંબઈ મુલાકાતને લઈને રાજકીય અટકળો ફેલાઈ હતી. મુંબઈમાં આવીને તેઓ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા.
1/12/21 મંગળવારે સાંજે તેમની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે નિર્ધારિત હતી, પરંતુ તેમની હાલત નાદુરસ્ત હોવાથી મમતા મુંબઈની એક પંચતારાંકિત હોટેલમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા અને રાજ્યની મહાવિકાસ આઘાડીના ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતને મળ્યા હતા. આ બેઠક બંધ બારણે યોજાઈ હોવાથી તેમાં શું ચર્ચા કરવામાં આવી તે જાણવા મળ્યું નહોતું.
Dt.1/12/21 બુધવારે મમતા એનસીપીસુપ્રીમો અને મહાવિકાસ આઘાડીના સંઘટક શરદ પવારને મળવાના છે. આ સંબંધે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જ માહિતી આપી હતી. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાને થવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે મમતા સંસદના શિયાળુસત્રના પ્રારંભ પહેલાં કૉંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી વિપક્ષની બેઠકમાં સહભાગી થયા નહોતા અને મુંબઈ મુલાકાત વખતે પણ તેઓ કોઈપણ કૉંગ્રેસના નેતાને મળવાના નથી.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવી અટકળો થઈ રહી છે કે કૉંગ્રેસથી અલગ મમતા પોતાનો મોરચો બનાવવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ મમતાની પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાથી મમતાનો પક્ષને રાષ્ટ્રીય કદ આપવાનો ઈરાદો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મમતાની ત્રણ દિવસની મુલાકાત પુરી થયા બાદ જ તેની ફળશ્રુતી વિશે કહી શકાશે.
સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.
જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.
આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.
અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.
આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત મારફતે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, તેઓ આજે સત્તામાં નથી અને ભવિષ્યમાં સત્તામાં જવા માગતા નથી. તેઓ માત્ર સેવામાં રહેવા માગે છે. તેઓ માટે વડાપ્રધાનનું પદ અને બધી વસ્તુઓ સત્તા માટે છે જ નહીં. સેવા માટે છે. સાથે જ પીએમ મોદીએ પ્રકૃતિને માતા ગણાવી હતી અને તેનાં સંરક્ષણની અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિથી જોખમ ત્યારે જ ઉભું થાય છે જ્યારે સંતુલન બગડે છે અથવા તેની પવિત્રતા નષ્ટ કરવામાં આવે છે. પીએમ મોદીએ કોરોનાને લઇને પણ ચેતવણી આપી હતી અને લોકોને સાવધાન રહેવા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિ માતા છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધન છે તેને બચાવવા અને યોગ્ય રૂપમાં પરત કરવા જોઈએ. આ કામગીરીમાં જ તમામનું હિત છે. પીએમએ આગળ ઉમેર્યું હતું કે, આપણા દેશમાં અનેક રાજ્ય છે, અનેક ક્ષેત્ર છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાને સંભાળીને રાખ્યો છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને જીવવાની કળા પણ જીવંત રાખી છે.
ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.” આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે Dt.19/11/21 સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે.
નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદીએ હાથ જોડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.
આ સાથે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.
ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો હેતુ ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો. તેમને તેમની પેદાશો વેચવા માટે વધુને વધુ વિકલ્પો મળવા જોઈએ. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી છે. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણેથી અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. આ તમામ બાબતો દેશ આખો જાણે છે માટે તેમાં વધુ નથી કહેવા માગતો પરંતુ અમારી સરકાર હંમેશા દેશ હિતમાં પગલા લેશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં 5 ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
– આપત્તિ સમયે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળી રહે તે માટે નિયમો પણ બદલાયા હતા. છેલ્લા 4 વર્ષમાં ખેડૂત ભાઈ-બહેનોને 1 લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1.62 લાખ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
– પીએમ મોદીએ કહ્યું કે 5 દાયકાના મારા જાહેર જીવનમાં મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. 2014માં જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે અમે કૃષિ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી.
– નાની જમીનની મદદથી નાના ખેડૂતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારોનું પેઢી દર પેઢીનું વિભાજન તેને વધુ નાનું બનાવી રહ્યું છે. નાના ખેડૂતના પડકારોને ઘટાડવા માટે બિયારણ, વીમો, બજાર અને બજેટ પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું છે.
– ગુરુ પર્વના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. દોઢ વર્ષના અંતરાલ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે.
અમારી સરકાર સેવાની ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જોવા માંગતી હતી, આજે ભારત એ સપનાઓને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહત્ત્વનું એલાન કર્યું છે. બુલંદશહેરમાં જનસભાને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા પોતાના દમ ઉપર લડશે. પક્ષના કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવા માટે અપીલ કરી છે. જેને લઈને તમામ કાર્યકરોને આશ્વાસન આપે છે કે યુપીમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે.
યુપીનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને એક ગઠબંધનની દરકાર છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલાં પ્લેનમાં અખિલેશ સાથે મુલાકાત અને બાદમાં એરપોર્ટના વીઆઇપી લોજમાં આરએલડી ચીફ જયંત ચૌધરી સાથે મુલાકાતની તસવીરો ગઠબંધન તરફ ઈશારો કરી રહી હતી. જો કે બુલંદશહેરમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા લોકોએ ગઠબંધન ન કરવાની અપીલ કરી છે.’
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.
ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું.
કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.
શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.
તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.
ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે.
બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે.
મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે.
રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.