સૂરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓના
પરિવારજનોનું અભિવાદન, સન્માન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદઃ
અંગદાન માટે કાર્યરત સૂરતની ડોનેટ લાઇફ સંસ્થાની સેવાપ્રવૃત્તિને બિરદાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યું છે -: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, સૂરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતું.

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સૂરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા શ્રી કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલશ્રીએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.
અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સૂરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના પ્રજાજનો વતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું હૃદયપૂર્વક સ્વાગત, આવકાર કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંગદાનની આ પ્રવૃત્તિને સતત વેગ મળતો રહે, અને સૌ કોઇ તેમાંથી પ્રેરણા મેળવતા રહે તેવા સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દ્રઢ નિર્ણય અને ઇચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં તેમની આહુતિ અર્પી રહ્યા છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાની નાજુક ક્ષણમાં અંગદાન માટે પરિવારજનોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી.
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતનાં આ કાર્યએ ગુજરાતને ગૌરવાન્તિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આવશ્યક ગ્રીન કોરિડોર, સ્પેશ્યલ સિક્યુરિટી, આદર્શ ટ્રાફિક નિયમન, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેના ખર્ચાળ ઓપરેશનો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી પણ આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલો દેશવિદેશમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
માનવતાનો સેતુ રચનાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી, અંગદાન એ જ જીવનદાન છે તેમ જણાવતા સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાએ મહાનુભાવોનું શાલ્યાર્પણ કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
દરમિયાન રાષ્ટ્રપતિશ્રી કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવોના હસ્તે અંગદાન અને દેહદાન અંગેના સંસ્થાકિય પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
સંસ્થા દ્વારા માનનિય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને અર્પણ કરાયેલા સ્મૃતિચિન્હ (શ્રીજીની પ્રતિમા)ને રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થા ખાતે જ પ્રસ્થાપિત કરવાનો નમ્ર આગ્રહ સેવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંભવતઃ પ્રથમ ઘટના શ્રી ગણેશજીના મસ્તક સાથે સંકળાયેલી છે તેમ જણાવી, તે હંમેશા અંગદાન, દેહદાન માટે સૌ કોઇને પ્રેરણા આપતી રહેશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અમૂલ્ય માનવ જિંદગીને નવજીવન બક્ષતી સૂરતની ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૪૯ કિડની, ૧૦૧ લીવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય, અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી, ૫૮૨ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ખૂબ જ સંવેદના સાથે માનવતાને અપ્રતિમ ગરિમા બક્ષતી આ કામગીરી અનેક પરિવારો માટે આધાર, આશિર્વાદ અને સંતોષનું કારણ બની રહી છે.
બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન મેળવીને, જરૂરિયાતમંદોને નવજીવન અર્પવાના આ યજ્ઞકાર્યમાં સહયોગી ૩૨ અંગદાતાઓના પરિજનો, સ્વજનોનું અહીં સન્માન કરાયુ હતું. સાથે સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જટિલ, સમયબદ્ધ અને કપરી કામગીરીને ખૂબ જ કૂનેહથી પાર પાડનારા તબીબો, હોસ્પિટલો, અને તેમના આ કાર્યમાં સીધો કે આડકતરો સહયોગ પુરો પાડનારી શહેર પોલિસ, ટ્રાફિક પોલિસ, એરપોર્ટ ઓથોરિટી વિગેરેનું પણ અહીં અભિવાદન કરાયુ હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં હાથ ધરાતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીના આંકડાઓ પૈકી ૪પ ટકા જેટલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય પણ સૂરતની આ ડોનેટ લાઇફ સંસ્થાને ફાળે જાય છે.
સરસાણાના કન્વેન્શન એક્ઝિબિશન હોલ ખાતે આયોજિત ડોનેટ લાઇફના આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), વિધાનસભાના દંડક શ્રી આર.સી.પટેલ, સૂરતના મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓ, મીડિયાકર્મીઓ, અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ માનવીય કાર્યને અનોખી ગરિમા બક્ષી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી મે એ કહ્યું હતું કે મારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણોનું વિતરણ કર્યું છે. તેમાં ગરીબ મહિલાઓને ચાર કરોડ નિ:શુલ્ક એલપીજીનો પણ સમાવેશ થાય છે. તે પૈકી ૪૫ ટકા લાભ મેળવનારાઓ દલિત અને આદિવાસી છે. આથી મોટું સામાજિક પરિવર્તન આવ્યું છે.
મોદીએ પોતાની સરકારની ગરીબ તરફી ઉપલબ્ધીઓની ભારપૂર્વક ગણતરી કરાવતી વેળાએ અગાઉના શાસનોનો પણ બરાબર ઉધડો લેતાં કહ્યું હતું કે હું જ્યારે નાનો હતો તે વેળાએ સમૃદ્ધ અને વગદાર લોકોને એલપીજી જોડાણો મળી શકતા હતા. તેઓ ગરીબોને એમ કહેતા હતા કે ઘરમાં ગેસના જોડાણો હોવા અસુરક્ષિત છે. પરંતુ અમે એમ પૂછતા કે અસલામત વસ્તુ તમારે ઘેર કેમ? તો તેઓ એકદમ ચૂપ થઈ જતા હતા, એમ મોદીએ જણાવ્યું હતું.

‘ઉજ્જવલ યોજના’ અંતર્ગત નિ:શુલ્ક ગેસ જોડાણો લેનારી મહિલાઓની સાથે વિડિયો કોન્ફરન્સ મારફત વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરાજની નાગચૂડમાંથી આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી છ દાયકામાં ૧૩ કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યા છે તેની તુલનામાં છેલ્લા ૪ વર્ષમાં ૧૦ કરોડ એલપીજી જોડાણો દેવામાં આવ્યા છે. વાતચીત કરનારી મહિલાઓમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની નારીઓ પણ હતી.
મોદીએ શૈશવનાં સંભારણાં વાગોળતાં કહ્યું કે મારી માતા લાકડીઓ અને ગાયના છાણાંથી ચૂલો સળગાવી અમારે માટે ભોજન બનાવતી હતી.
આમ તો અમીરો કે પ્રભાવશાળીઓ એલપીજીના જોડાણ ઝટ મેળવી શકે છે. પરંતુ મારી સરકારે આ ઝુંબેશમાં કેન્દ્રસ્થાને ગરીબોને જ રાખ્યા છે.
દલિતો સંદર્ભે મોદીએ કહ્યું હતું કે મારી સરકારની યોજનાઓમાં દલિતોને ખૂબ લાભ મળ્યા છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેજાં હેઠળની સંયુક્ત પ્રગતિશીલ યુતિ (યુપીએ)ના શાસનકાળ વેળાએ ૨૦૧૦થી ૧૪ દરમિયાન દલિતોને ૪૪૫ પેટ્રોલ પંપ મળ્યા હતા તે પૈકી ૧૨૦૦ કરતાં વધારેને મારી સરકારના શાસનવેળાએ એટલે કે ૨૦૧૪-૧૮ દરમિયાન જ પેટ્રોલપંપ મળ્યા હતા. દલિત સમુદાય માટે ૨૦૧૦-૧૪માં ૯૦૦ થી વધારે તથા ૨૦૧૪-૧૮માં ૧૩૦૦ એલપીજી વિતરણ કેન્દ્રો હતા. ભારતના ૭૦ ટકા ગામડામાં હવે ૧૦૦ ટકા એલપીજી પહોંચ્યા છે. તેમાં ૮૧ ટકા ગામડામાં ૭૫ ટકા કરતાં વધારે પ્રમાણમાં એલપીજી છે.
તાજેતરમાં ગ્રામ સ્વરાજ્ય યોજના દરમિયાન ૧૧ લાખ લોકોને એક દિવસમાં એલપીજી જોડાણો મળ્યા હતા.
નૈર્ઋત્યના ચોમાસાનું કેરળના કાંઠે સોમવારે આગમન થઇ ગયું હોવાની માહિતી ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ હવામાનની આગાહી કરતી સરકારી સંસ્થા, ઈન્ડિયન મિટીરિઓલોજિકલ વિભાગ (આઇએમડી) દ્વારા તા.28મી મે એ સવારે ૮.૧૫ વાગ્યે બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું હતું કે આગામી ચોવીસ કલાકમાં કેરળમાં ચોમાસું શરૂ થશે.
આઈએમડીના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પણ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જવાની આગાહી કરી છે. મુંબઈમાં આ વખતે ચાર દિવસ જલદી એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું દાખલ થઈ જશે એવી આગાહી ઈંડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે(આઈએમડી) કરી છે. આ દરમિયાન કેરળ-કર્ણાટકના કિનારા પર સર્જાયેલા હવાના ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું.
ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ મુંબઈ સહિત દેશમાં ચોમાસું દાખલ થવા માટે હવામાન અનુકૂળ છે. કેરળમાં ચોમાસું બેસી જતા ધીમી ગતિએ ચોમાસું દેશમાં આગળ વધશે. કોલાબા વેધશાળાના ડાયરેકટર બિશ્ર્વંભર સિંહના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું દાખલ થશે ત્યારબાદ આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકમાં ચોમાસું પ્રવેશ કરીને કોંકણ માર્ગે મુંબઈમાં બેસી જશે. જોકે મુંબઈમાં આ વખતે ચાર દિવસ વહેલું એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે.
સ્કાયમેટે કેરળમાં ચોમાસું ૨૮મી મેએ શરૂ થવાની આગાહી કરી હતી, જ્યારે આઇએમડીએ તે ૨૯મી મેએ ચોમાસાના આગમનની આગાહી કરી હતી. આઇએમડીના જણાવ્યા પ્રમાણે ૧૦ મે પછી ૧૪ સ્ટેશન- મિનીકોય, એમિની, તિરુવનંતપુરમ, પુનાલુર, કોલ્લમ, અલ્લાપુઝા, કોટ્ટાયમ, કોચી, થ્રિસૂર, કોઝિકોડે, થલાસ્સેરી, કુન્નુર, કુડાલુ અને મેંગલૂરુ પૈકી ૬૦ ટકા સ્ટેશનોમાં ૨.૫ મિ.મી. અથવા તેથી વધુ વરસાદ સતત બે દિવસ સુધી પડે તો બીજા દિવસે કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાની આગાહી કરવામાં આવે છે.
ચોમાસાના આગમનની આગાહી કરવાના નિર્ધારિત કરી શકાય એવા લક્ષણોમાં પશ્ર્ચિમી પવન કે વાયરો મુખ્ય દરિયાની સપાટીથી ૧૫,૦૦૦ ફૂટ ઊંચો ફૂૂકાતો હોવો જોઈએ. અને તે ૨૦૦ ડબ્લ્યુ-૨ કરતાં ઓછો હોવો જોઈએ. બધા સ્ટેશનો પર લોંગ વેવ રેડિયેશન ૧૪૦-૨ જેટલું નોંધવામાં આવ્યું હતું તે પવનના ક્રાઈટેરિયા સાથે મેચ થતું હોવાથી કહી શકાય કે કેરળમાં ચોમાસું આવી પહોંચ્યું છે, એમ સ્કાયમેટના ઉપાધ્યક્ષ મહેશ પાલવાતે જણાવ્યું હતું.
દિલ્હીમાં પારો ૪૫ ઊપર પહોંચતા શનિવાર આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતા બે દિવસ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઇ આસાર નથી અને તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ જ રહેશે. શનિવારે નોંધાયેલું ૪૫ ડિગ્રીનું તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે શનિવારનું તાપમાન પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધારે નોંધાયું હતું. આ અગાઉ ૨૬ મે, ૨૦૧૫ના દિવસે દિલ્હીમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનના પ્રમાણમાં ભેજ ઘટીને ૨૭ ડિગ્રી નોંધાયો હતો.
મુંબઈના સમુદ્રમાં ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાંએ શુક્રવારે જળસમાધિ લીધી હતી. જોકે ક્રૂઝ પરના તમામ કામદારોને બચાવી લેવામાં આવતાં જાનહાનિ ટળી હતી.
બાંદ્રા-વરલી સી લિંક પાસે એઆરકે ડેક બાર નામની ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાં શુક્રવારે બપોરે સમુદ્રમાં ડૂબી હતી. બપોરે બે વાગ્યાને સુમારે સમુદ્રનું પાણી ક્રૂઝમાં
ભરાયું હતું. હાઇટાઇડને કારણે બાંદ્રા જેટ્ટી ખાતે લાગેલું એન્કર છટકી ગયું હતું અને ક્રૂઝ સમુદ્રમાં જતી રહી હતી. પથ્થર સાથે અથડાતાં ક્રૂઝનો નીચેનો ભાગ તૂટ્યો હતો અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. ક્રૂઝમાં
પાણી ભરાઇ જવાને કારણે ક્રૂઝનો અડધો ભાગ નમી ગયો હતો.
ક્રૂઝના કેપ્ટન ઇરફાન ઇસ્માઇલ શિરગાંવકરે ક્રૂઝ પર હાજર ૧૩ કામદારને લાઇફ બોટની મદદથી કિનારે પહોંચાડ્યા હતા, જેને કારણે જાનહાનિ થઇ નહોતી. આ ઘટનાને પગલે મુંબઈ મેરિટાઇમ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ચોમાસું આ વર્ષે જલદી દાખલ થવાનું હોઈ કરોડો રૂપિયા ખર્ચીને પણ નાળાસફાઈના કામ સમાધાનકારક નહીં હોવાને કારણે આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબવાની ભારોભાર શક્યતા છે. સ્થાયી સમિતિની બેઠકમાં વિરોધપક્ષે નાળાસફાઈના કામ અંગે અસંતોષ વ્યકત કરી ચોમાસામાં પાણી ભરાશે એવા આરોપ કર્યા હતા ત્યારે આ આરોપનું ખંડન નહીં કરતા સુધરાઈ પ્રશાસને અપ્રત્યક્ષ રીતે માન્ય કર્યું હતું. એટલું જ નહીં પણ દાદર, હિંદમાતા પરિસરમાં આ વર્ષે પણ પાણી ભરાશે તેથી લોકોને ત્રાસ સહન કરવો પડશે એવી કબૂલાત પણ પાલિકાના અધિકારીઓએ કરી છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ મુંબઈ પાણીમાં ડૂબશે એમ મનાય રહ્યું છે.
નાળામાંથી કાઢવામાં આવેલો ગાળ મુંબઈની બહાર નાખવામાં આવતા હોવાનું પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં કાંજુરમાર્ગ અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તેને નાખવામાં આવતો હોવાનો આરોપ વિરોધપક્ષ નેતા રવિ રાજાએ કર્યો હતો. મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવુ આશ્ર્વાસન પણ તેમણે પ્રશાસન પાસેથી માગ્યું હતું.
ચોમાસું જલદી બેસવાનું હોવા છતાં મુંબઈના નાળાઓની સફાઈ હજી સુધી થઈ નથી. અનેક ઠેકાણે મોટા નાળામાંથી કચરો કાઢવામાં આવ્યો નથી. નાળાસફાઈના કામ છેલ્લા તબક્કામાં છે છતાં નાળાઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. તો ‘ઈ ’વોર્ડમાં બે દિવસ પહેલા જ નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હોવાનો આરોપ સમાજવાદી પાર્ટીના નેતાએ કર્યો હતો. એક તરફ વિરોધપક્ષ આક્રમક થઈ ગયો હતો ત્યારે અનેક ઉપાય યોજના અમલમાં લાવ્યા બાદ પણ આ વર્ષે પણ હિંદમાતા પાણીમાં ડૂબશે એવી કબૂલાત પ્રસાસને કરતા સત્તાધારી શિવસેનાને નીચાજોણું થયું હતું.
અગાઉ મુંબઈમાં થોડો પણ વરસાદ પડતો તો દાદર-હિંદમાતા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતા હતા. ગયા વર્ષે બ્રિટાનિયા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું હતું છતાં ત્યાં ગયા વર્ષે ચોમાસામાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. ગયા વર્ષ દરમિયાન પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. અંગ્રેજોના જમાનાની જમીનની નીચે આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં મોટા મોટા ઝાડના મૂળિયાને કારણે અડચણો આવી રહી છે અને તેના પર ઉપાયયોજના કરવામાં આવી રહી છે છતાં પાણી ભરાવાની શકયતા નકારી શકાય નહીં, તેથી હજી થોડો વખત લોકોને ત્રાસ સહન કરવો પડશે એવું સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ ખાતાના ચીફ ઍન્જિનિયર વિદ્યાધર ખંડકરે કહ્યું હતું નાળાસફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું હોવા છતાં નાળાની ઉપર તથા તેની આજુબાજુ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો દ્વારા ફરી નાળામાં કચરો ફેંકવામાં આવતો હોય છે.
ક્લીનઅપ માર્શલને નાળા પર નજર રાખવા બાબતે પાલિકા વિચાર કરી રહી છે. ઠેર ઠેર કચરો ફેંકનારા પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવેલ ક્લીનઅપ માર્શલ દ્વારા લોકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવતા હોવાના આરોપને કારણે પાલિકાની ક્લીનઅપ માર્શલની યોજના ભારે વિવાદાસ્પદ બની હતી. તેને પગલે થોડા સમય માટે આ યોજનાને બંધ કરવામાં આવ્યા બાદ ફરી ક્લીનઅપ માર્શલને તહેનાત કરવામાં આવ્યા હતા. હવે કચરો કરનારાને પકડવાની સાથે જ નાળામાં કચરો નાખનારા પર પણ નજર રાખવા ક્લીનઅપ માર્શલ બાબત પાલિકા વિચારાધીન હોવાનું કહેવાય છે.
ચોમાસા દરમિયાન મધ્ય રેલવેના સૌથી વધુ પાણી ભરાતા સ્ટેશન એટલે કે કુર્લા અને સાયન ખાતે વધારે ક્ષમતા ધરાવતા પાણી ફેંકનારા પંપ બેસાડવામાં આવશે, એવું મધ્ય રેલવેના સાધનોએ જણાવ્યું હતું.
દર વર્ષે લગભગ મધ્ય રેલવેના કુર્લા અને સાયન ખાતે ભારે વરસાદમાં ટ્રેકમાં પાણી ભરાતું હોય છે અને આ પાણી ટ્રેકમાંથી બહાર ફેંકવા માટે મધ્ય રેલવે દ્વારા પંપ બેસાડવામાં આવે છે. આ વર્ષે ૧૦૦૦ હૉર્સ પાવર (એચપી)ની ક્ષમતા ધરાવતા પંપ મધ્ય રેલવે દ્વારા બેસાડવામાં આવશે. જેથી ટ્રેકમાંથી પાણી ખૂબ જ ઝડપથી બહાર કાઢી શકાશે, એવું મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) એસ. કે. પંકજે જણાવ્યું હતું. ૧૦૦૦ એચપીના પંપ ઉપરાંત મધ્ય રેલવેની ૪૨ જગ્યા પર ૩૨ એચપીના પંપ બેસાડવામાં આવશે. આ ઉપરાંત સુધરાઈ દ્વારા પણ ૧૬ ઠેકાણે પંપ બેસાડવામાં આવશે. ગયા વર્ષે મધ્ય રેલવે દ્વારા ૧૨ એચપીના ૨૭ પંપ બેસાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા હવામાન ખાતા સાથે પણ સતત સંપર્કમાં રહીને ભારે વરસાદની માહિતી લેવામાં આવશે. આ વર્ષે રેલવે દ્વારા નાળા સફાઈ માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ ૮૦,૦૦૦ ક્યુબિક મીટરનો કચરો કાઢવામાં આવ્યો હતો, એવું પંકજે વધુમાં જણાવ્યું હતું.
રૂ. ૬૦ લાખના ખર્ચે ‘ઉત્કૃષ્ટ’ પ્રોજેક્ટ હેઠળ મધ્ય રેલવે દ્વારા ડેક્કન ક્વીન, એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસને અપગ્રેડ કરવામાં આવશે. ડેક્કન ક્વીનનું અપગ્રેડેશન ઑગસ્ટ, ૨૦૧૮ અને એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસનું કામ ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.
PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.
વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.
ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૧૭માં ૨.૬ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન બરાબર ૧૦૦૦ બિલ્યન) ડૉલરમાંથી વધીને ૨૦૨૫મા પાંચ ટ્રિલ્યન ડા÷લર થશે એવો આશાવાદ ગયે મહિને મળેલી વિશ્વબૅન્કની મીટિંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭થી ૨૦૧૪ના સાત વરસના ગાળામાં ભારતનું અર્થતંત્ર એક ટ્રિલ્યન ડૉલરમાંથી વધીને બે ટ્રિલ્યન ડૉલરનું થયું. વિકાસનો આ દસ ટકાનો વાર્ષિક દર જોતાં આવતાં આઠ વરસ (૨૦૧૮થી ૨૦૨૫)માં આર્થિક વિકાસનો વાર્ષિક દર ૪.૭ ટકાનો રહે તો પાંચ ટકાના ભાવવધારા સાથે ચાલુ ભાવે અર્થતંત્ર ૯.૭ ટકાના દરે વધતું રહેવું જોઈએ, પણ શરત એટલી કે આ વરસો દરમ્યાન રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ઘટાડો થવો ન જોઈએ. આમ થાય તો આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ફળે.
ભારતનું અર્થતંત્ર જે રીતે વિશ્વના અર્થતંત્ર પર આધાર રાખે છે એ જોતાં વિકાસના ૯.૭ ટકાના દરે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું થોડું મુશ્કેલ બની શકે. વિશ્વમાં વધવા માંડેલા વ્યાજના દર અને બૉન્ડ પરના યીલ્ડને કારણે વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમની દક્ષિણ કોરિયા અને ચીનની મુલાકાત પછી અને અમેરિકાની ગોઠવાઈ રહેલી મુલાકાતને કારણે એના પરમાણુશસ્ત્રોના ઉપયોગના વલણના અકલ્પનીય ફેરફારને લીધે વિશ્વની તણાવભરી ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ હળવી બની શકે એમાં ટ્રમ્પે ઉત્તર કોરિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય.
વડા પ્રધાન મોદીની ચીનની અનૌપચારિક મુલાકાત દરમ્યાન જિનપિંગ સાથે થયેલી વાતચીતના અંજામનો તાગ મેળવવો મુશ્કેલ છે. એમ છતાં ચીનની અમેરિકા સાથેની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે ચીનને ભારત જેવું વિશ્વનું સૌથી મોટું બજાર ગુમાવવું પરવડે એમ નથી.
અમેરિકાએ બહુ સ્પષ્ટ અને મક્કમ રીતે ચીનને અમેરિકા સાથેની એની ટ્રેડ સરપ્લસમાં તાત્કાલિક ધોરણે ૧૦૦ બિલ્યન ડૉલરનો અને ૨૦૨૦ સુધીમાં ૨૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો કરવાની તથા ચીન દ્વારા ૨૦૨૫ માટેના મેડ ઇન ચાઈના પ્લાન અન્વયે સ્થાનિક ઉદ્યોગોને અપાતી રોકડ સહાય (જેના દ્વારા ચીનની ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા વધે છે) બંધ કરવાની તાકીદ કરી છે. આ માટે ચીને અમેરિકાથી થતી આયાતો વધારવાની ઑફર કરી છે.
આમ ચારે બાજુથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીને છેલ્લાં ૧૭ વરસમાં પહેલી જ વાર ૨૦૧૮ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૨૮ બિલ્યન ડૉલર)નો અનુભવ કર્યો છે (છેલ્લે ૨૦૦૧ના એપ્રિલ-જૂન દરમ્યાન આવો અનુભવ કરેલો). છેલ્લાં સત્તર વરસથી વિશ્વના એક મોટા નિકાસકાર દેશ તરીકે સતત ટ્રેડ સરપ્લસ અને નેગેટિવ CAD દ્વારા ત્રણ ટિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ જમા કરનાર ચીન માટે આ હકીકત સ્વીકારવી અને વિદેશવેપારક્ષેત્રે આવી હાર પચાવવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં જિનપિંગ માટે ચીનમાં પોતાનું સ્થાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચીનના ભારત સહિત અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા અનિવાર્ય ગણાય. ભૂતકાળના અનુભવોને આધારે ચીનનો વિશ્વાસ કરવો અઘરું ગણાય એમ છતાં એની આવી નબળાઈઓનો અણધાર્યો લાભ ભારતને મળી શકે.
પાકિસ્તાનની શાંતિ અને સમૃદ્ધિ પાકિસ્તાનના લશ્કરના ભારતના લશ્કર સાથેના સુમેળભર્યા સંબંધો સિવાય શક્ય નથી એવું પાકિસ્તાનના લશ્કરી વડાનું વિધાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી આશા જન્માવે છે. આજે લશ્કરી અને સંરક્ષણ ખર્ચની બાબતમાં ભારતનો વિશ્વના ટોચના દેશોમાં અમેરિકા, રશિયા, ચીન અને સાઉદી અરેબિયા પછી પાંચમો નંબર છે. વિશ્વમાં પ્રવર્તતા ભૌગોલિક-રાજનીતિ વિષયક તણાવમાં સુધારો થવાની જન્મેલી આશાને લીધે આ ખર્ચ સીમિત બનવાની સંભાવના ખરી જે આપણા અર્થતંત્રના લાભમાં હશે. જોકે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો અને સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ કેવો વળાંક લે છે એના પર પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિનો મોટો આધાર છે. અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર મૂકવામાં આવેલા અંકુશો વધે તો પરિસ્થિતિ વણસી પણ શકે.
ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ૨૦૧૫માં કરવામાં આવેલા પરમાણુકરારની શરતો બદલવાની કે એ બહાના હેઠળ ઈરાન પર વેપાર પ્રતિબંધ લાદવાની ગુસ્તાખી કરશે તો એનાં માઠાં પરિણામ ભોગવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ તૈયાર રહેવું પડશે.
આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા એના પરમાણુપરીક્ષણ બંધ કરવા માટે તૈયાર ન પણ થાય. લિબિયા અને ઇરાકે પોતપોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ છોડી દીધા પછી એમના જે હાલહવાલ થયા એ પણ ઉત્તર કોરિયાને પરમાણુપરીક્ષણ બંધ કરવામાંથી અટકાવી શકે. આ સંજોગોમાં વિશ્વની ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ બગડે તો વિશ્વના અને ભારતના આર્થિક વિકાસ પર એના છાંટા ઊડ્યા વિના ન રહે.
બીજા શબ્દોમાં રૂપિયાનું છેલ્લાં સાત વરસ (૨૦૧૧-૨૦૧૭)માં થયું એટલું અવમૂલ્યન ૨૦૧૮થી ૨૦૨૫મા થાય તો ભારતે ચાલુ ભાવે હવે પછીનાં આઠ વરસમાં વિકાસનો વાર્ષિક દર ૧૫.૩ ટકા જેટલો વધારવો પડે અને તો જ આપણું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થઈ શકે. એટલે કે પાંચ ટકાના ભાવવધારા સાથે સ્થિર ભાવે આર્થિક વિકાસનો વાર્ષિક દર ૧૦ ટકાથી પણ વધુ રહેવો જોઈએ જે અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ.
૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી (૭ મે) ડૉલર સામે રૂપિયો ૪.૫ ટકા જેટલો ઘસાયો છે અને આમ રૂપિયાની કિંમત ૬૭ રૂપિયાથી પણ ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટી પર ઊતરી ગઈ છે. ક્રૂડના ભાવ નવેમ્બર-૨૦૧૪ પછીના સૌથી ઊંચા છે. અમેરિકા ઈરાન પર વેપાર વિષયક પ્રતિબંધ મૂકે એનાથી અને વેનેઝુએલાની આર્થિક કટોકટીથી પણ ક્રૂડની તેજી વણથંભી આગળ વધી શકે.
આર્જેન્ટિનાનો પિઝો ડૉલર સામે ગગડી ન જાય એટલે હાલમાં એની સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધારીને ૪૦ ટકા જેટલા કર્યા છે. ભારતને અને એનાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને આર્જેન્ટિના સાથે સરખાવીને ખતરાની ઘંટી વગાડવાનો આ પ્રયાસ નથી. આર્જેન્ટિનાના કડવા અનુભવે ઊભરતા અને વિકસતા દેશોએ સાવધ બની જવું જોઈએ. એમ છતાં સારી રીતે મૅનેજ કરતા ઊભરતા દેશો પર પણ આની ખરાબ અસર થોડેઘણે અંશે પડવાની જ.
ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો વિકાસના આપણા તબક્કે હોય એવા દેશો કરતાં ઘણાં મજબૂત છે. જુલાઈ-૨૦૧૩માં અમેરિકાએ નરમ મૉનિટરી પૉલિસી પાછી ખેંચી લેવાની શરૂઆત કરી ત્યાર કરતાં પણ ભારતની સ્થિતિ આજે મજબૂત છે.
GSTની મન્થ્લી સરેરાશ આવક ફિસ્કલ ૨૦૧૮ના લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સામે ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ મહિને પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને ૧.૦૩ લાખ કરોડની થઈ છે. ફિસ્કલ ૨૦૧૯નો ૧૨ લાખ કરોડ રૂપિયાનો GSTનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરે એવી સંભાવના છે. એ માટેનાં બે કારણો છે- (૧) ફિસ્કલ ૨૦૧૯માં આર્થિક વિકાસનો દર સાત ટકા ઉપર (ફિસ્કલ ૨૦૧૮મા સંભવિત ૬.૬ ટકા) રહેવાની ધારણા છે. (૨) GSTના સરળીકરણ સાથે વધુ ને વધુ ઉદ્યોગ-ધંધા GSTના દાયરામાં આવી શકે.
GST કાઉન્સિલની છેલ્લી મીટિંગના નિર્ણય પ્રમાણે GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને છ મહિના પછી દર મહિને એક જ રિટર્ન (હાલના રિટર્નને બદલે) ફાઇલ કરવાનું રહેશે. વેચાણકારે ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. GSTના અમલની શરૂઆતની મુશ્કેલીઓ દૂર થયા પછી GST દ્વારા કરવેરાની આવક અને આર્થિક વિકાસનો દર વધવાની સરકારને આશા છે.
મોટરકારના વેચાણમાં એપ્રિલ-૨૦૧૮માં ૧૨ ટકાનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડના વધારાનો એમાં મોટો ફાળો છે. સેવાક્ષેત્રનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. ઉત્પાદનક્ષેત્રનો PMI પણ એપ્રિલમાં સતત નવ મહિનાથી સુધરતો રહ્યો છે. પરિણામે સર્વિસ અને ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ હતો.
વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં મૂડીબજારમાંથી લગભગ ૨૫૦૦ મિલ્યન ડૉલર પાછા ખેંચ્યા છે. આગલા મહિને વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડીબજારમાં ૪૫૦ મિલ્યન ડૉલરનું રોકાણ કરવામાં આવેલું.
દેશના મજબૂત મૅક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ અને વિશ્વનાં ભૌગોલિક-રાજકીય વિષયક પરિબળોમાં કોનો હાથ ઉપર રહે છે એના ઉપર દેશના આર્થિક વિકાસનો દર નિર્ભર છે, પણ એ વિશે અડસટ્ટો લગાવવો મુશ્કેલ ગણાય
ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સૌથી ખરાબ 10 રેલ્વે સ્ટેશનોમાં ઉત્તરપ્રદેશના ચાર સ્ટેશન સામેલ છે. ટોચના 10ની યાદીમાં કાનપુર સેન્ટ્રલ દેશનું સૌથી ખરાબ સ્ટેશન છે, જ્યારે પીએમ નેરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વરાણાસી ચોથા નંબર પર છે. લખનઉનું ચારબાગ આ લિસ્ટમાં 9મા નબર પર છે.
ભારતીય રેલવેએ 11 મી થી 17 મે વચ્ચે મુસાફરોની વાતચીતના આધાર પર સર્વે કર્યો. ત્યારબાદ આ સ્ટેશનોને રેટીંગ આપવામાં આવી. આ યાદી અનુસાર, ટોચના 10 સૌથી વધુ ખરાબ રેલવે સ્ટેશનમાં યુપીનું કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન દેશનું સૌથી વધારે ખરાબ રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત દેશમાંથી દસ સૌથી ખરાબ રેલવે સ્ટેશનોમાં મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમાં મુંબઈના કલ્યાણ ત્રીજુ, લોકમાન્ય ટિલક ટર્મિનલ પાંચમું અને થાણે આઠમું સૌથી ખરાબ સ્ટેશન છે.
સર્વે અનુસાર, કાનપુરમાં સૌથી વધુ 61.06 ટકા લોકોએ ખરાબ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પટના જંક્શનનો નંબર હતો, જે 60.16 ટકા લોકો અત્યંત ખરાબ હોવાનું જણાવ્યુ. યાદીમાં 56 ટકા મત સાથે વરાણસી ચોથા નંબર પર અને આ ઉપરાંત અલ્હાબાદ છઠ્ઠા, જૂની દિલ્હી સાતમાં, લખનઉ નવમાં અને ચંડીગઢ 10માં નંબર પર ખરાબ હોવાનું સામે આવ્યુ છે.
રેલવે અધિકારીઓના મતે આ સર્વે પાછળનો હેતુ લોકોની તકલીફને જોતા સ્ટેશન પરિસરને સૌથી સાફ બનાવવાનો છે. હાલ લોકો પાસેથી નિવેદન લઇને તેને સાફ-સુથરુ બનાવવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવશે.