CIA ALERT

ઇન્ડીયા Archives - Page 193 of 217 - CIA Live

March 20, 2019
ramjan_shaikh.jpg
1min5290

પોતાના કુટુંબને બચાવવા ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના રમજાન શેખ નામના કાશ્મીરી કિશોરને અપવાદ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.19મી માર્ચ 2019ના દિવસે શૌર્યચક્ર આપ્યું હતું. શૌર્ય ચક્ર સામાન્ય રીતે દુશ્મન સામે અસાધારણ બહાદુરી બતાવનાર સશસ્ત્ર સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને આપવામાં આવે છે.

16-17 ડિસેમ્બર, 2017ની રાતે ત્રણ ત્રાસવાદીઓ શોપિંયા જિલ્લામાં રહેતા રમજાનના ઘરને ઘેરીને ઊભા હતા. એના પિતા મોહમ્મદ રમજાન ભૂતપૂર્વ સરપંચ અને પીડીપીના સભ્ય હતા.

એ રાતે દરવાજો ખોલતા શેખને શસ્ત્ર અને ગ્રેનેડ સહિત ત્રણ ત્રાસવાદી વરંડામાં ઊભેલા દેખાયા. ત્રાસવાદીઓ પોતાના કુટુંબીઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાના અંદાજે શેખે અસાધારણ બહાદુરી દાખવતા એમને ઘરમાં ઘૂસતા રોક્યા હતા. દરમિયાન, એના પિતા ઘરની બહાર આવ્યા અને ત્રાસવાદીઓ એમના પર તૂટી પડયા. શેખે પોતાની પરવા કર્યા વગર ત્રાસવાદીઓનો સામનો કરવા માંડયો.

દરમિયાન, ત્રાસવાદીઓએ શેખના પિતા પર આડેધડ ગોળીબાર કરવો શરૂ કર્યો હતો અને એમાંથી અમુક ગોળીઓ એની સાથે બાખડી રહેલા એક ત્રાસવાદીને પણ વાગી હતી. પોતાના એક સાથીને ઘાયલ થયેલો જાણી ત્રાસવાદીઓ ભાગવા માંડયા હતા. શેખે એમનો પીછો કર્યો અને આખરે ત્રાસવાદીઓ પોતાના સાથીનો મૃતદેહ મૂકીને ભાગી ગયા હતા.

ગોળીબારમાં એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાછળથી તેઓ મરણ પામ્યા હતા. શેખે દાખવેલી પોતાની વય કરતા વધુ અપ્રતિમ બહાદૂરી વખાણવાલાયક છે. એ હાલ દસમા ધોરણમાં ભણે છે અને એની ઇચ્છા આઇપીએસ અધિકારી બનવાની છે.

March 19, 2019
jeeadv.png
1min12420

ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.19મી મે 2019ના રોજ લેવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં મતદાનો 7મો અને આખરી તબક્કો તા.19મી મે 2019ના રોજ છે. ચૂંટણી મતદાનના કારણે સંભવે છેકે પરીક્ષાર્થીઓથી શરૂ કરીને સ્કુલ સ્ટાફ, સ્કુલ બિલ્ડીંગ વગેરેનો પ્રશ્નો ઉપસ્થિત થતો હતો. આથી આ વખતની આઇ.આઇ.ટી. જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 2019 લેવાની જવાબદારી જેના શિરે છે એ આઇ.આઇ.ટી. રૂરકીના સંચાલકોએ જે.ઇ.ઇ. એડવાન્સ્ડ પરીક્ષા તા.19મી મેની જગ્યાએ તા.27મી મે 2019ના રોજ લેવાની જાહેરાત કરી છે.

  • અગાઉ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા તા.19-05-2019ના રોજ લેવાની જાહેરાત થઇ હતી
  • લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન તા.19-05-2019ના રોજ હોઇ જેઇઇ એડવાન્સ્ડની તારીખ બદલવી પડી
  • હવે જેઇઇ એડવાન્સ્ડ 2019ની પરીક્ષા તા.27-05-2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે

The Indian Institute of Technology (IIT), Roorkee has shifted the Joint Entrance Examination (JEE) Advanced date to May 27, 2019. Earlier, the JEE (Advanced) examination was to be conducted on May 19, 2019. The JEE Advanced examination will be conducted on Monday (May 27) in two shifts – Paper 1 from 09:00 am to 12:00 noon and Paper 2 from 02:00 pm to 05:00 pm.

The JEE (Advanced) exam date has been changed as it was clashing with the seventh phase polls, to be conducted on 59 seats of the Lok Sabha elections at 1. Bihar: 8 seats, 2. Jharkhand: 3 seats, 3. Madhya Pradesh: 8 seats, 4. Punjab: 13 seats, 5. West Bengal: 9 seats, 6. Chandigarh: 1 seat, 7. Uttar Pradesh: 13 seats, and 8. Himachal Pradesh: 4 seats.

જેઇઇ મેઇન્સમાં ટોપ 2.24 લાખમાં સામેલ વિદ્યાર્થીઓ જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે

 

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min1054

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 18, 2019
eci_logo.jpg
1min14460

ચૂંટણી સંબંધી ખર્ચ પર નિગરાની રાખવા ચૂંટણી પંચે ચૂંટણીના હેતુસર વપરાતા હેલિકોપ્ટર, ચાર્ટર્ડ ફલાઇટની વિગતો એર ટ્રાફિક ક્ધટ્રોલ વિભાગ પાસેથી મગાવી છે. જે વિસ્તારમાં એરપોર્ટ છે ત્યાંના ડિસ્ટ્રિકટ ઈલેકશન ઑફિસર સાથે જરૂરી આંકડા મેળવવા એર ટ્રાફિક ક્ધટ્રોલને જણાવ્યું છે. બિહારના વધારાના ચીફ ઈલેકટોરલ ઑફિસર સંજયકુમાર સિંહે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય સરકારના તમામ અધિકારીઓને જણાવી દેવાયો છે.

પટના અને ગયાના એર ટ્રાફિક ક્ધટ્રોલે તમામ ચાર્ટર્ડ ફલાઈટ, હેલિકોપ્ટર અને પેસેન્જરની વિગતો સીઇઓની ઓફિસ અને પટના – ગયાના ડીઈઓને આપવી પડશે. પેસેન્જરોના સામાનની તપાસ થશે.

મતદાનના પ્રથમ તબક્કા માટે નોમિનેશન ફાઈલિંગનું નોટિફિકેશન ૧૮ માર્ચથી શરૂ થશે. આવકવેરાના અધિકારી રૂ. ૧૦ લાખથી ઉપરના કોઈપણ શંકાસ્પદ સોદા પર ચાંપતી નજર રાખશે. બૅન્કમાંથી રોકડ લઈ જતી વેનના સ્ટાફે યોગ્ય ઓળખપત્ર પહેરવું પડશે. કાનૂની રોકડ હેરફેર પર કોઈ અંકુશ નથી.

March 18, 2019
pari_modi.jpg
1min7650

હજારો લોકોની જનમેદની વચ્ચે પૂરા રાજકીય સમ્માન સાથે ગોવાના CM મનોહર પર્રિકરના અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા. માહોલ ગમગીન હતો તો કેન્દ્રીય સ્મૃતિ ઇરાની પણ પોતાના આંસુને રોકી શકયા નહીં. આપને જણાવી દઇએ કે કેન્સરથી પીડિત મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે રવિવારના રોજ નિધન થયું છે.

શ્રદ્ધાંજલી આપ્યા બાદ પીએમ મોદી અહીં તેમના બંને દીકરાને પણ મળ્યા હતા. PM ખૂબ લાંબા સમય સુધી તેમની પાસે જ મૌન ઉભા રહ્યા હતા. પર્રિકરના બંને દીકરાઓ પૈકી એક એન્જિનિયર છે જ્યારે બીજો દીકરાને પોતાનો વ્યવસાય છે. વર્ષ 2000માં પર્રિકરના પત્નિનું પણ કેન્સરના કારણે અવસાન થયું હતું.

 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા.

દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું ૬૩ વર્ષની વયે પણજીમાં સાંજે ૬.૪૦ વાગ્યે એમના નિવાસસ્થાને રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ માંદા હતા. પર્રિકરના અવસાનથી ગોવામાં ભાજપનો ચહેરો અને સ્વચ્છ ચરિત્ર ધરાવતા નેતા ગુમાવ્યા હોવાની ભાવના ભાજપે વ્યક્ત કરી હતી. સાદગીસભર અને સજ્જન વ્યક્તિ તરીકે જીવન વિતાવતા પર્રિકરે પોતાની સ્વચ્છ છબિને કારણે ગોવાવાસીઓના મન જીતી લીધા હતા. વર્ષોથી ગોવામાં ચાલતી રાજકીય અસ્થિરતાને પર્રિકરે પોતાની કુશળતાથી સ્થિરતામાં ફેરવી હતી અને મુખ્ય પ્રધાન તરીકે એમણે ગોવામાં સફળ નેતૃત્વ કર્યું હતું.

પર્રિકરને આ કારણસર ત્રણ વખત ગોવાના મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સૌ પ્રથમ ભાજપ તરફથી ૧૯૯૪માં તેઓ પણજીની બેઠક જીત્યા હતા. જૂન થી નવેમ્બર ૧૯૯૯ સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૧૪મી માર્ચ ૨૦૧૭થી એમના મૃત્યુપર્યંત ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. ગોવામાં ૨૦૧૩માં યોજાયેલી ભાજપની બેઠક વખતે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ પણ એમણે જ કર્યો હતો.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ દેશના સંરક્ષણ પ્રધાનની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. એમણે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

દરમિયાન, ૨૦૧૭માં ગોવાની વિધાનસભાની ચૂંટણી બાદ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે પર્રિકરને ગોવા મોકલ્યા અને એમણે અહીં આવીને ગોવા ફોરવર્ડ પક્ષ અને એમજીપીનો ટેકો મેળવીને ફરીથી ભાજપની સત્તા સ્થાપી હતી. આ વખતે ભાજપે એમને ફરીથી મુખ્ય પ્રધાનપદની જવાબદારી સોંપી અને પર્રિકરે પોતાના નવા હોદ્દાને શાનદાર રીતે નીભાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ પર્રિકરને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું. પાછલા એકાદ વર્ષથી તેઓ સતત માંદા રહેતા હતા અને પાછલા બે દિવસ દરમિયાન એમની તબિયત વધુ કથળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી એમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યમ વર્ગના કુટુંબમાં ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫ના દિવસે જન્મેલા પર્રિકરે પોતાનું રાજકીય જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂ કર્યું હતું. આઇઆઇટી-મુંબઇમાંથી સ્નાતક થયા બાદ પણ એમણે સંઘનું કાર્ય કરવાનું ચાલું રાખ્યું હતું. સંઘ સાથેના એમના સંબંધને એમણે કદી છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સંઘના કાર્યક્રમમાં યુનિફોર્મ પહેરીને લાઠી ફેરવતા હોય એવા એમના ફોટા પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા અને ભારતે પીઓકેમાં જઇને ત્રાસવાદીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય એમણે સંઘના શિક્ષણનું પરિણામ ગણાવ્યું હતું.

એમનું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી ૨૦૧૮થી કથળવા માંડયું હતું. સૌ પ્રથમ એમને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાર બાદ માર્ચમાં અમેરિકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જૂન સુધી સારવાર લેતા રહ્યા હતા. ત્યાર બાદ ઑગસ્ટમાં ફરીથી એમને અમેરિકામાં સારવાર માટે લઇ જવાયા હતા. અંદાજે એક મહિનો સારવાર લીધા બાદ તેઓ ૧૪મી ઑક્ટોબરે ભારત પાછા ફર્યા હતા.

લગભગ અઢી મહિનાના ગાળા બાદ તેઓ ૨જી જાન્યુઆરીએ જ્યારે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું હતું. ત્યાર બાદ એમણે અનેક રાજકીય કાર્યક્રમો અને વિધાનસભા તથા સંસદના કાર્યમાં ભાગ લીધો હતો. પાછલા કેટલાક દિવસોથી એમને વારંવાર સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં જવું પડતું હતું, પણ મોટેભાગે તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

આજે ૧૧ વાગ્યે અપાશે શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સોમવારે પણજી ખાતે આપવામાં આવશે અને સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાન, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીવાડરા, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક રાજકીય નેતાએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

March 17, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7400

જયેશ બ્રહ્મભટ્ટ

92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ  મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.

(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)

ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે

આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.

ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.

March 16, 2019
tejaswi.jpg
1min3419

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min7500
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
pak_jet.jpg
1min7580

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન પણ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં પાકિસ્તાને તે પછી ભારતીય સૈન્યની જગ્યાઓ પર હુમલાની કોશિશ પણ કરી હતી. જેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવી હતી. હુમલાની કોશિશ કરનાર પાકિસ્તાનના એક F16 જેટને IAFએ તોડી પાડ્યું હતું. જોકે, આ ડોગ ફાઈટમાં ભારતીય પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 બાઈસન પણ ક્રેશ થયું હતું. એ પછી પાકિસ્તાનીઓએ આજે તા.14મી માર્ચ 2019ની સવારે ફરીથી એલ.ઓ.સી. પાસે પોતાના હવાઇજહાજો ઉડાડવાની હરકત કરી હતી. ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાનની આ હરકત સામે એલર્ટ પોઝિશન અખત્યાર કરી લીધી હતી.

આજે સવારે કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOC પાસે POKમાં પાકિસ્તાનના બે ફાઈટર વિમાન જોવા મળ્યા હતાં. જે પછી ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડમાં લાવી દીધી છે. ભારતીય એર ડિફેન્સના રડાર પર  લાઇન ઓફ કન્ટ્રોલથી દસેક કિ.મીના વિસ્તારમાં બે પાકિસ્તાની એરફોર્સના જેટની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં ફાઈટર જેટનો અવાજ પણ સંભળાયો હતો. ઈન્ડિયન એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.

લાઇન ઓફ કન્ટ્રોલની આસપાસ છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનીઓ મિસ્ચીફ કરી રહ્યા છે, આજે જે રીતે પાકિસ્તાનના બે ફાઈટર જેટ ઉડ્ડયન કરી રહ્યાં હતાં એના પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ફરી કોઈ અવળચંડાઈ કરી શકે છે.

જો પાકિસ્તાનનું કોઈ જેટ ભારતની સરહદમાં દાખલ થાય તો તેને તરત જ તોડી પડાશે. જોકે, આ મામલે પાક જેટે ભારતની હવાઈ સરહદનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ સરહદ નજીક આશરે 10 કિ.મીના વિસ્તારમાં પાડોશી દેશના ફાઈટર જેટનું આવવું તે પાકિસ્તાન તરફથી ભારતને ઉશ્કેરવાનું પગલું છે.

March 14, 2019
income_tax-1280x853.jpg
1min6610

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.