
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બુધવારે યોજાનારી બેઠકને મમતા બેનરજીએ સૌજન્ય મુલાકાત ગણાવી છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાજ્યને ફંડ અને અન્ય પ્રશ્ર્ને વડા પ્રધાન સાથે ચર્ચા થશે.પશ્ર્ચિમ બંગાળનું નામ બદલવા વિશે પણ ચર્ચા થશે. નવી દિલ્હીની મુલાકાત રૂટીન કામના ભાગરૂપ છે.સ્ટેટ સેક્રેટરીએટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએમ અને પીએમ બુધવારે ૪.૩૦ વાગ્યે મળશે. રાજ્યની બહાર મમતા ભાગ્યે જ જાય છે. નવી દિલ્હી દેશની રાજધાની છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંસદ દિલ્હીમાં છે તેથી ત્યાં જવું જરૂરી બને છે.
જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જર, એર ઈન્ડિયા, બીએસએનએલ અને રેલવેના પ્રશ્ર્નો પણ છે, તેની પણ ચર્ચા થશે. પશ્ર્ચિમ બંગાળના નામમાં ફેરફારમાં દરખાસ્ત કેન્દ્રને અગાઉ મોકલાવી હતી તે વિશે ચર્ચા થશે. જો કે, નામમાં ફેરફાર માટે બંધારણીય સુધારો જરૂરી છે જે સંસદમાં થઈ શકે છે.મંગળવારે મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. બુધવારે સૌજન્ય મુલાકાત છે. બંનેના સંબંધોમાં કડવાશ દૂર થવાની શક્યતા છે.























