
કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.
એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.
કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે.
























