
સરકારના પ્રોત્સાહનને કારણે સસ્તુ ભોજન બનાવવા અને વેચવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યા બાદ હવે કેરળના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યા છે. તમિળનાડુ અને પંજાબ પાસેથી પ્રેરણા મેળવીને જેલ પ્રશાસન કેરળની ત્રણ સેન્ટ્રલ જેલના પરિસરમાં ચોક્કસ પસંદ કરાયેલા કેદીઓ દ્વારા પેટ્રોલપંપ ચલાવવાની તૈયારી થઇ રહી છે. જેલ પ્રશાસને પસંદ કરેલા સ્થળે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પેટ્રોલપંપ શરૂ કરશે. દરેક પેટ્રોલપંપ માટે સજા પામેલા કેદીઓમાંથી પંદર કેદીની પસંદગી કરવામાં આવશે. એમને તાલીમ આપવામાં આવશે અને તેઓ આ પેટ્રોલપંપ પર શિફ્ટ પ્રમાણે જે ડ્યૂટી કરશે એ માટે જેલ પ્રશાસનના નિયમ પ્રમાણે એમને પગાર આપવામાં આવશે.






















