દિલ્હી એનસીઆર વિસ્તારના ફોનધારકોનો ફોન ખોવાઈ જાય તો શોધી આપે અથવા તેને બ્લોક કરે તેવું પોર્ટલ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આવું પોર્ટલ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી હવે દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું હતું કે દેશ મોટા પાયા પર ડિજિટલ થઈ રહ્યો છે તેવા સમયે ફોનની સુરક્ષા આગવું મહત્ત્વ ધરાવે છે. ‘આપણે ટૅક્નોલોજીનો ઉપયોગ વિકાસ માટે કરીએ છીએ ત્યારે નિષ્ણાત ગુનેગારો પોતાના ફાયદા માટે ટૅક્નોલૉજીનો દુરુપયોગ કરતાં હોય છે, તેવું રવિશંકર પ્રસાદે કહ્યું હતું. આ પોર્ટલથી પાંચ કરોડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે.
ટેલિકોમ સચિવ અંશુપ્રકાશે પત્રકારોને કહ્યું કે “જેમના ફોન ખોવાયા હોય તેઓ વેબપોર્ટલમાં લોગઈન કરી ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ ફરિયાદ અને તેમના આઈડી પ્રૂફ પણ ‘અપલોડ’ કરવાના રહેશે. તે પછી ખોવાયેલો ફોન બ્લોક કરવામાં આવશે. મુંબઈમાં વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું તે પછી ૫૦૦-૬૦૦ ફરિયાદ પોર્ટલમાં નોંધવામાં આવી હતી. ૫૦ ટકા કિસ્સાઓમાં ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો અને પોલીસને માહિતી આપવામાં આવી છે. આ વેબપોર્ટલ ૨૦૨૦માં દેશના અન્ય વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવશે.
નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી એ જોનસન એન્ડ જોનસનને ૨૩૦.૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મૂકવામાં આવેલા કાપનો યોગ્ય ફાયદો ગ્રાહકોને ન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોનસન એન્ડ જોનસને ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવાની ગણતરી ખોટી રીતે કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ કેટલીક વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો ન હતો.
જોનસન એન્ડ જોનસનને ત્રણ મહિનામાં દંડની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપની પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સ ન હોવાના કારણે કંપનીએ પોતાની રીતે ગણતરી કરી હતી. ઓથોરિટીએ જોકે કંપની પાસેથી મળેલી માહિતી અને આંકડાઓને અધૂરા હોવાનું જણાવીને આ દાવાને નકાર્યો હતો.
કેન્દ્ર સરકારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સમાં ફેરફારની જાહેરાત કરી છે અને જો ઇન્વોઇસ કે ડેબીટ નોટ ફાઈલીંગમાં રીફલેક્ટ ન થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટ 20% થી ઘટાડીને 10% કરી છે. આ ઘટાડો માન્ય ક્રેડિટને લાગુ પડશે. આની સાથોસાથ કમિશનર સુધીના સ્તરના અધિકારીઓને જો ક્રેડિટ ખોટી રીતે પ્રાપ્ત કરી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવાની સત્તા આપી છે. જીએસટી કાઉન્સીલે તેની 18 ડીસેમ્બરની બેઠકમાં કરચોરી અટકાવવા અને બનાવટી પગલાં ટાળવા માટે આ અંગેની દરખાસ્તો મંજૂર કરી હતી.
આ નવા નિયમ 1લી જાન્યુઆરી 2020થી અમલી બનશે. જો કમિશનરને વાજબીપણે લાગે કે ઇનપુટ ટેક્સની ક્રેડીટ ખોટી રીતે લેવામાં આવી છે તો કોઇ જાતની ડેબીટના ડીસ્ચાર્જની છૂટ નહીં આપે કે કોઇ જાતના રીફંડને મંજૂર નહીં કરે.
આ ઉપરાંત જે કરદાતાઓએ તેમના ફોર્મ જીએસટીઆર-1ને બે માસ માટે કે બે ક્વાર્ટર માટે ઇ-વે બીલ ફાઈલ નહીં કર્યા હોય તે બ્લોક કરી દેવામાં આવશે.
ભારતીય વાયુ દળની શાન ગણાતા મિગ-27 વિમાનો આજરોજ તા.27મી ડિસેમ્બર 2019થી સેવા નિવૃત થઇ રહ્યા છે. મિગ-27 બનાવટના 7 વિમાનો આજે જયપુર ખાતે પોતાની છેલ્લી ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે. સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ 1958નાં રોજ વાયુસેના સ્ટેશન હલવારામાં ઓરાગન વિમાનથી કરવામાં આવી હતી.
પાકિસ્તાન સામેના વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27 આજે છેલ્લી વખત ઉડાન ભરશે.
વર્ષો સુધી સ્કવોડ્રનમાં અનેક વિમાનો ઉમેરાયા જેમાં મિગ 21 ટાઈપ 77, મિગ 21 ટાઈપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડ સામેલ છે. મિગ 27 ફાઈટર પ્લેનને રિટાયર્ડ કરવા માટે જોધપુર એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરાશે.આ સમારંભની અધ્યક્ષતા દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડનાં એર ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસકે ઘોટિયા કરશે. ત્રણ દશકા સુધી દુશ્મનોના દાંત ખાટા કરનાર મિગ 27ની વિદાયને લઈને વાયુસેનાએ એક ટ્વીટ પણ કર્યુ હતું જેમાં તેઓ લખ્યું કે ભારતીય વાયુસેના મિગ 27ને વિદાય આપશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાનોએ શાંતિકાળ અને યુદ્ધ સમયે રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
નાગરિકતા કાયદા(CAA) પર થઈ રહેલા આંદોલન અને વિરોધને જોતા આજે ઉત્તરપ્રદેશ યુપીમાં જુમ્માની નમાજ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે.
સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર
પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકારે
લાલ આંખ કરી છે.જિલ્લા વહીવટીતંત્ર તમામને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં
અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ
કરીને 373
લોકોને નોટિસ મોકલવામાં આવી છે.
હકીકતમાં લખનઉમાં 19 ડિસેમ્બરના રોજ
થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતાં કે જે લોકોએ
પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરવામાં આવે
અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની
ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ
છે.
રામપુર,
સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110,
ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34,
રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી
કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની
નોટિસ ફટકારી છે.
તોડફોડ અને સંપત્તિઓને નુકસાન
પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ
મોકલવામાં આવી છે. સંભલમાં 26
લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર
પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ
તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક
રાજકીય પક્ષો,
સંગઠન, અને વ્યક્તિગત આધાર
પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક
અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી
છે. જેમાંથી બુલંદશહેરમાં 6
લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે.
સંભલમાં 15
લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના
નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર
સુધી 19
લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર
આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ
નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના
ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ
કરાવવાના નિર્દેશ આપ્યાં છે
2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજરોજ તા.26 ડિસેમ્બર 2019ને સવારે પોણા અગિયાર વાગ્યાના ભારતીય સમય અનુસાર પૂર્ણ થયું હતું. વર્ષ-૨૦૧૯નું છેલ્લું સૂર્યગ્રહણને લઇને ભારતમાં આધ્યાત્મિક, પરંપરાગત, વૈજ્ઞાનિક એમ અલગ અલગ દ્રષ્ટીએ લોકોએ જોયું જાણ્યું હતું.
આજે ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે ચાલુ વર્ષનું પાંચમુ અને અંતિમ ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભૂત નજારો આકાશમાં જોવા મળ્યો હતો. આ પહેલા આ વર્ષમાં બે સૂર્યગ્રહણો (સોનાર ઈેક્લિપ્સ) અને બે ચંદ્રગ્રહણો (લુનાર ઈક્લિપ્સ) થયા છે. સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે દેખાનાર આ સૂર્યગ્રહણ ગુજરાતમાં સવારે ૮ કલાક ૪ મિનિટ ૪૦ સેકન્ડે શરૂ થયું હતું, સવારે ૯.૧૯ વાગ્યે તે મહત્તમ દેખાયું હતું અને ૧૦ ક.૪૮ મિ.૪૦ સેકન્ડે પૂર્ણ થયું હતું.
ગ્રહણનું કોઇ શૂતક ના લાગે, વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાએ જણાવ્યા મૂજબ ગ્રહણથી કોઈ સૂતક લાગતા નથી અને આ બધી ગેરમાન્યતાઓ ચાલી આવે છે તેના ખંડનનો કાર્યક્રમ પણ યોજાયો છે. તેણે અપીલ કરી હતી કે ગ્રહણ વખતે રાંધેલા ખોરાકને બહાર નહીં ફેંકી દેતા ભુખ્યા લોકોને જમાડવા જોઈએ. તો બીજી તરફ ગ્રહણ અન્વયે આપત્તિ સહિતની આગાહીઓ પણ થઈ હતી અને લોકો આ દિવસે પરંપરાગત રીતે કેટલીક વિધિઓ કરતા રહ્યા છે.
વધુમાં ગુજરાતમાં સૌથી વધુ ૨ ક. ૪૮ મિ.માટે સૂર્યગ્રહણનો સમય (પૂણ્યકાળ) સુરતમાં રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૨ક. ૪૪ મિ. ૨૮ સેકન્ડ અને એ રીતે અમદાવાદ ૨ઃ૪૫ઃ૫૭, જુનાગઢમાં ૨:૪૪ઃ૪૮, જામનગરમાં ૨ઃ૪૩ઃ૧૬, પોરબંદરમાં ૨ઃ૪૩ઃ૨૯, વેરાવળમાં ૨ઃ૪૫ઃ૦૪ સે.સુધી દેખાયું હતું. આ રીતે સૂર્યગ્રહણ શરુ થવાના સમયમાં પણ એક બે મિનિટનો ફરક રહ્યો હતો. જેમાં દ્વારકા, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ખાતે ૮.૦૩ વાગ્યે, રાજકોટ, જામનગર, ભાવનગર, ભૂજ ,મુંબઈ ખાતે ૮ઃ૦૪ વાગ્યે, સુરેન્દ્રનગર, સુરત, ખાતે ૮ઃ૦૫ વાગ્યે, અમદાવાદમાં ૮ઃ૦૬ વાગ્યે ગ્રહણ શરુ થશે તો દિલ્હીમાં ૮ઃ૧૭ વાગ્યે આરંભ થયો હોવાના અહેવાલો મળ્યા હતા.
વધુમાં જણાવાયા મૂજબ ચંદ્ર દ્વારા સૂર્યનો જે ભાગ ઢંકાયો હતો તેમાં રાજકોટ, જુનાગઢ ખાતે મહત્તમ ૭૯ ટકા ભાગ સવારે ૯.૧૯ વાગ્યે. તો અમદાવાદમાં મહત્તમ ૭૨ ટકા ભાગ પણ આ જ સમયે ઢંકાયેલો નજરે પડયો હતો. આમ, રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ વધુ માત્રામાં જોવા મળી હતી.
આ ગ્રહણ ભારત ઉપરાંત સમગ્ર એશિયા,આફ્રિકા ખંડો, ઈથોપિયા, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં દેખાયું હતું. જેનો વૈજ્ઞાાનિકો સઘન અભ્યાસ કર્યો હતો. ગ્રહણને નરી આંખે કે ફિલ્ટર ચશ્મા પહેર્યા વગર જોવું તે આંખ માટે અતિ જોખમકારક છે અને લોકોએ આ રીતે ગ્રહણ અર્થાત્ સૂર્ય સામે નજર કરવાનું ટાળવું જોઈએ એવી જાગૃતિ પણ જોવા મળી હતી.
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડતા સૂર્યગ્રહણ
થાય છે અને ગુરુવારે સૂર્યગ્રહણમાં સૂર્ય સો ટકા ઢંકાવાનો નથી ત્યારે સૂર્ય સળગતી
વિંટી જેવો કે બંગડી (કંકણ) જેવો નજરે પડશે તેથી તેને કંકણાકૃતિ ખંડગ્રાસ
સૂર્યગ્રહણ પણ કહે છે.
વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.
‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.
આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.
જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ
BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ
ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ
કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.
આ છે પાઠ્યક્રમ
નવા કોર્સમાં ભૂત
વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની
અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને
આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં
ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.
સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.
છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.
આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.
અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.
સાત વર્ષ સુધી વધતી રહ્યા બાદ એનપીએ ઘટતી જતી હોવાનુ જોવા મળ્યાનું બેન્કો જણાવે છે. સાનુરૂપ નીતિવિષયક માહોલ અને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ (આઈબીસી) આમાં મદદરૂપ થયાનું રીઝર્વ બેન્કે દેશમાં બેન્કિંગના વહેણ અને પ્રગતિ વિશેના તેના રિપોર્ટમાં જણાવ્યું છે. આ ગતિવિધિએ આર્થિક સેકટરમાં અને બેડ લોન્સની સમસ્યા સાથે ઝઝૂમતા નીતિઘડવૈયાઓમાં કંઈક ખુશાલી ફેલાવી છે.
શાખમાંની વૃદ્ધિ ય દબાયેલી રહેવા પામી છે, જ્યારે સહકારી બેન્કોનું સ્વાસ્થ્ય પણ કથળતું રહેવાનું ચાલુ રહ્યું છે તેમાં પીએમસી બેન્કની કટોકટી ધ્યાનાર્હ રહી છે. કુલ એનપીએ માર્ચ ’18માં 11.2 ટકા રહેલી તે ઘટીને માર્ચ ’19માં 9.1 ટકા રહી હતી.
સ્લીપેજ’ ગુણોત્તરનો ઘટાડો અને બાકી કુલ એનપીએનો ઘટાડો કુલ એનપીએ ગુણોત્તર સુધારવામાં મદદરૂપ થયા છે. જ્યારે માંડવાળનો કેટલોક હિસ્સો લોનો ઘણી જૂની થવાના કારણે છે, જ્યારે રીકવરીને આઈબીસીમાંથી પુષ્ટી મળી છે.
રીપોર્ટમાં દર્શાવાયુ છે કે તમામ બેન્ક જૂથોએ એસેટ કવોલિટીમાં સુધારો થયાનું નોધ્યુ છે. તેમાંય જાહેર ક્ષેત્રની બેન્કોને કુલ એનપીએ અને ચોખ્ખા એનપીએ -બેઉના ગુણોત્તર નીચા ગયાનો અનુભવ થયો છે.
’18-’19 દરમિયાન સ્ટ્રેસ્ડ એસેટ્સની રીકવરીમાં સુધારો જોવા મળ્યો છે તે મુખ્યત્વે આઈબીસી હેઠળના ઉકેલના કારણે છે, રીકવર થયેલી કુલ રકમમાંથી અર્ધી તેના કારણે છે. જો કે ઉકેલના મોટા માળખા (લોક અદાલત સિવાય) દ્વારા મેળવાતા રીકવરી દરો ’18-’19માં ઘટયા છે.
તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.
સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.
મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.
મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’
આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.
મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’
સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.
ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’
મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.
સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.