CIA ALERT

ઇન્ડીયા Archives - Page 147 of 216 - CIA Live

December 23, 2019
tejash2.jpg
1min5240

ઓક્ટોબર 2019માં દેશની પહેલી ખાનગી તેજસ એક્સ્પ્રેસ દિલ્હીથી લખનઊ રૂટ પર દોડી હતી. એ બાદ ખાનગી એક્સ્પ્રેસ ટ્રેન દોડાવવા માટે મુંબઈ-અમદાવાદ રૂટની પસંદગી કરવામાં આવી હતી.

ખાનગી ધોરણે દોડનારી બીજી તેજસ એક્સ્પ્રેસ જાન્યુઆરી 2020માં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે એવી વકી છે. આ ટ્રેનના ટિકિટના દર અન્ય એક્સ્પ્રેસ ટ્રેનોની સરખામણીમાં વધારે હશે.
આ રૂટ પર આગામી 17 જાન્યુઆરીથી તેજસ એક્સ્પ્રેસ દોડવાની શક્યતા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા આ બંને ખાનગી એક્સ્પ્રેસ ટ્રેનને દોડાવાશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સ્પ્રેસની પ્રથમ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી રવાના થશે અને તે બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી તે બપોરે 3.40 વાગે રવાના થઈ અમદાવાદ રાતે 9.55 વાગે પહોંચશે. સપ્તાહમાં ગુરુવાર સિવાય અન્ય બધા દિવસે તે દોડશે.

A few months ago, a tentative schedule was shared by IRCTC for the upcoming Ahmedabad-Mumbai Tejas Express train. As per the tentative schedule of this private train service, the IRCTC Ahmedabad-Mumbai Tejas Express will start from Ahmedabad Junction railway station at 6:40 AM and will reach Mumbai Central railway station at 1:10 PM. On the return journey, the train will depart from Mumbai Central railway station at 3:40 PM and will reach Ahmedabad Junction railway station at 9:55 PM. En route both ways, the train will halt at Vadodara Junction railway station and at Surat railway station. The Ahmedabad-Mumbai Tejas Express is likely to run six days a week.

December 23, 2019
indiawon.jpg
1min4760

ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.

વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.

December 22, 2019
crimeagainstwomen.jpg
1min5530

મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે.
એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.

બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.

કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.

December 22, 2019
senameal.jpg
1min4780

વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.

December 22, 2019
pakwindies.jpg
1min4630

ભારતીય ક્રિકેટ ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે લાગલગાટ ૧૦મી ટેસ્ટ-સિરીઝ જીતવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. કૅરેબિયનો ભારતના પ્રવાસમાં આવ્યા ત્યાર બાદ ભારતીય ટીમે ફીલ્ડિંગમાં થોડી કચાશ બતાવવા ઉપરાંત એકંદરે સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું છે અને એ જોતાં આજે કટકના બારામતી સ્ટેડિયમ ખાતેની નિર્ણાયક વન-ડેમાં કીરોન પૉલાર્ડ ઍન્ડ કંપની સામે વિરાટસેના જીતશે એવી પાકી સંભાવના છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે ૧૩ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીતી શકી. એ જોતાં, તેમને આજે એ પરંપરા તોડવાની તક છે.

બન્ને ટીમો શ્રેણીમાં ૧-૧ની બરાબરીમાં છે અને આજે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિયન ટીમ આ પ્રવાસની આખરી મૅચ રમશે.

વિશાખાપટનમ ખાતેની બીજી વન-ડેમાં વિરાટ કોહલી અને કીરોન પોલાર્ડ, બન્ને હરીફ કૅપ્ટન પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા હતા. વિરાટ માટે એ લકી ગ્રાઉન્ડ હતું, પણ એના પર જ તે સાવ ફ્લૉપ ગયો હતો. જોકે, રોહિત શર્મા (૧૫૯) તથા કે. એલ. રાહુલ (૧૦૨) વચ્ચેની ૨૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપે ટીમની લાજ રાખી હતી અને છેવટે કૅરેબિયનો ૩૮૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે દબાઈ ગયા હતા અને ૨૮૦ રને ઑલઆઉટ થતાં ૧૦૭ રનથી હારી ગયા હતા.

રોહિત શર્માને ત્રણેય ફૉર્મેટમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રન-સ્કોરર બનાવનાર સનથ જયસૂર્યાનો બાવીસ વર્ષ જૂનો વિક્રમ તોડવાનો આજે મોકો છે અને એ માટે રોહિતને ફક્ત ૯ રનની જરૂર છે.

શ્રેયસ ઐયર અને રિષભ પંતની મિડલ-ઑર્ડરની જોડી પણ ભારતીય ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

પેસ બોલર દીપક ચહર ઈજા પામતાં દિલ્હીના પેસ બોલર નવદીપ સૈનીને ટીમમાં સમાવાયો છે. તે આજે વન-ડેમાં ડેબ્યૂ કરી શકે એમ છે.

વેસ્ટ ઇન્ડિઝને ઓપનર અને વિકેટકીપર શાઇ હોપ તથા શિમરોન હેટમાયર પર આધાર છે. શાઇ હોપને તાજેતરમાં આઇપીએલ માટેની હરાજીમાં કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો, જ્યારે હેટમાયરને દિલ્હી કૅપિટલ્સ ટીમે ૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે હોપ નારાજગીમાં જબરદસ્ત રમીને આઇપીએલની ટીમોના માલિકોને બતાવી દેવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, હેટમાયર પોણાઆઠ કરોડ રૂપિયાના પોતાના ખરીદભાવને સાર્થક ઠરાવવાના પ્રયાસમાં આજે ભારત સામે જોરદાર પર્ફોર્મ કરશે તો નવાઈ નહીં લાગે.

કટકમાં છેલ્લે ૨૦૧૭માં વન-ડે રમાઈ હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને ૩૮૩ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ૧૫ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

ભારત છેલ્લે વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે ૧-૨થી હારી ગયું હતું, પરંતુ આજે કૅરેબિયનો સામે ૨-૧થી જીતવાનો ચાન્સ છે.

વિરાટ કોહલી માટે કટકનું બારામતી સ્ટેડિયમ નસીબવંતુ નથી. અહીં તેણે ત્રણ વન-ડે તથા એક ટી-ટ્વેન્ટીમાં કુલ મળીને માત્ર ૩૪ રન બનાવ્યા છે. તેના આ ચાર મૅચના સ્કોર આ મુજબ રહ્યા છે: ૩, ૨૨, ૧, ૮.

બન્ને દેશોની સંભવિત ઇલેવન

ભારત: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહંમદ શમી, નવદીપ સૈની તેમ જ શાર્દુલ ઠાકુર અથવા યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડિઝ: કીરૉન પોલાર્ડ (કૅપ્ટન), શાઇ હોપ (વિકેટકીપર), એવિન લુઇસ, શિમરોન હેટમાયર, રૉસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, ખેરી પિયેર અને શેલ્ડન કૉટ્રેલ.

December 22, 2019
nrc.jpg
1min10430

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 22, 2019
dada_amitabh.jpg
1min5390

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અહીંના વિજ્ઞાનભવનમાં યોજાનારા વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે. આમ છતાં, આ વખતે રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ માત્ર વિજેતાઓ માટે ‘ચા-નાસ્તા’નો કાર્યક્રમ યોજવાના છે.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ છે.

વિકી કૌશલને ‘ઉરી’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાની ટ્રૉફી અપાશે.

કીર્તિ સુરેશને તેલુગુ મુવી ‘મહંતી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાયા છે.

આદિત્ય ધારે ‘ઉરી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો છે.

December 21, 2019
navy.jpg
1min4950

ભારતીય નૌસેનામાં જાસૂસીનાં મોટા ષડયંત્રનો ભાંડો ફૂટયો છે. આંધ્રપ્રદેશની પોલીસ, ગુપ્તચર તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડતાં જાસૂસીનાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને નૌસેનાનાં 7 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.

આંધ્રની પોલીસે હવે આ મામલે કેસ નોંધીને ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકાદળનાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી અધિકૃત જાણકારી અનુસાર પોલીસ, કેન્દ્રીય અને નૌસેનાની ગુપ્તચર શાખાઓએ સાથે મળીને ઓપરેશન ડોલ્ફીન નોઝ ચલાવ્યું હતું અને આ જાસૂસીનાં કૌભાંડને ઉઘાડું કર્યુ છે.

જેમાં નૈસેનાનાં 7 કર્મચારી અને હવાલા ઓપરેટરને દેશનાં વિભિન્ન ભાગોમાં પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કેટલાંક શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે વધુ કોઈ વિગતો આપવાનો ઈનકાર કરતાં પોલીસે કહ્યું હતું કે આની વધુ તપાસ ચાલી રહી છે. આ જાસૂસી રેકેટનાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની પૂરી આશંકા છે.

December 21, 2019
yashawi.jpg
1min4990

ક્રિકેટ કલબના ટેંટમાં રાત પસાર કરવાથી લઇને ગુજરાન ચલાવવા અર્થે પાણીપૂરી વેંચવા સુધીને સંઘર્ષમય સફર કાપનાર યશસ્વી જાયસ્વાલને તેના જન્મદિવસના 9 દિવસ પહેલા મોટી ભેટ મળી ચૂકી છે. તે 28 ડિસેમ્બરે 18 વર્ષનો થવાનો છે. મુંબઇના આ પ્રતિભાશાળી બેટધરને આઇપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયાની કીંમત ચૂકવીને ખરીદ કર્યોં છે.’

યૂપીના ભદોહી સાથે નાતો ધરાવનાર યશસ્વીએ આ વર્ષે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં ઝારખંડ વિરૂધ્ધ 1પ4 દડામાં 203 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તે પ્રથમ કક્ષાના મેચમાં ડબલ સેન્ચૂરી કરનારો સૌથી નાની વયનો ભારતીય ખેલાડી બની ગયો હતો. હવે આઇપીએલમાં 20 લાખની બેઝ પ્રાઇસ સામે તેને 2.4 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ વિશે યશસ્વી જયસ્વાલ કહે છે કે હાલ તો મારા મગજમાં આઇપીએલ નથી. મારું પૂરું ધ્યાન અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરવા પર છે. જેથી ભારત ચેમ્પિયન બને.

December 20, 2019
itc.jpg
1min5280

જીએસટી લાગુ થયો ત્યારથી વેપાર – ઉદ્યોગની એક અથવા બીજા કારણોસર પરેશાન થઇ રહ્યા છે. ટેક્સની આંટીઘૂંટી અને દિર્ઘદૃષ્ટિ વિનાના નિર્ણયોને લીધે પાછલા અઢી વર્ષમાં તમામ વર્ગ કોઇને કોઇ રીતે મુશ્કેલીમાં મુકાયો જ છે. તા.18મી ડિસેમ્બર 2019ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટકાવારી 20 ટકામાંથી 10 ટકા સુધી મર્યાદિત કરી દેવાતા હવે વેપારીઓ અને ડીલરોની કાર્યશીલ મૂડી બ્લોક થઈ જવાની છે જેને કારણે મંદીના માહોલમાં સ્થિતિ વધુ કથળે એમ છે. નાના વેપારીઓનો ધંધો પણ પીંખાઈ જાય તેમ છે.

કાઉન્સિલની જાહેરાત અનુસાર માલના સપ્લાયર દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં કોઈ મિસમેચ હોય, ભર્યા ન હોય કે કોઇ વિગત ન આપવામાં આવી હોય તેવા સંજોગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 ટકા કરતા વધારે આપવામાં આવશે નહીં. સરકાર આ નિયમ ઓક્ટોબરમાં ચાલુ વર્ષે લાવી હતી પણ દર 20 ટકા ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે 10 ટકા ઘટાડવામાં આવતા પેઢી કે કંપનીઓની મોટી રોકડ રકમ ફસાયેલી રહેશે.

એક અભ્યાસુ કહે છે, દાખલા તરીકે નવેમ્બર મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 1500ની ચોપડા પ્રમાણે થાય છે. આમાંના કેટલાક વેન્ડરે જીએસટીઆર-1માં રૂ. 500ની ક્રેડિટ ફાઇલ નથી કરી. એ કિસ્સામાં હવે નવા નિયમ મુજબ ખરીદનારને ફક્ત રૂ. 1100ની મર્યાદામાં જ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકશે. (રૂ. 1000ના 10 ટકા પ્રમાણે). આગઉની સ્થિતિમાં રૂ. 1500 પૂરા મળતા હતા. હવે બાકીની રકમ સરકાર પાસે પડતર રહેશે.

એક ટેક્સ પ્રેક્ટિશનરે કહ્યું કે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિએ રૂ. 100નો માલ ખરીદ્યો હોય તો 18 ટકા લેખે રૂ. 18 જીએસટી બીજી વ્યક્તિ ભરતી હતી. તેના ઉપર 20 ટકા અર્થાત્ રૂ. 18 ઉપર રૂ. 3.6 ક્રેડિટ ખરીદનારને મળતી. હવે કોઇ વેચનાર ઇનવોઇસ અપલોડ ન કરે તો તેવા કિસ્સામાં રૂ. 1.80 જ ક્રેડિટ મળશે. આ બચેલી પૂરેપૂરી ક્રેડિટ ફરી મેળવતા લગભગ 19 મહિના લાગી જશે. આ નિયમથી ત્રિમાસિક રીટર્ન ભરતો હોય તેવો વેચનાર કે ખરીદનાર બન્ને હેરાન થશે.

સરકાર નવો ફેરફાર કરવા માગતી હોય તો તે નવા નાણાકીય વર્ષથી કરવો જોઈએ. અધવચ્ચે અમલ કરવાથી નાણાકીય અંધાધૂંધી સર્જાશે. ત્રિમાસિક ફાઇલ કરતો વેપારી હવે મંથલીમાં જવા ઇચ્છે તો તે નવા નાણા વર્ષથી જ કરી શકે છે એટલે તેનો ઉકેલ આવશે નહીં. જો સરકાર ત્વરિત માસિક રીટર્ન તરફ વેપારીને જવા દેશે તો મુશ્કેલી હળવી થઈ જશે. રોકડની વ્યાપક અછતથી વેપાર-ઉદ્યોગ પરેશાન છે ત્યારે સરકારે આ નવી મુસિબત ખડી કરી દીધી છે.