રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજના જે કર્મચારીઓને વસતિ ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશનને વસતિ ગણતરી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી સોંપાશે, તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એકટ, 1948 અને સિટિઝનશિપ રુલ્સ, 2003થી બંધાયેલા રહેશે. ભારતીય જનગણના અધિનિયમની કલમ 11 મુજબ જનગણના પ્રક્રિયામાં સામેલ થવા ઈનકાર કરનાર સરકારી કે અન્ય કર્મચારીઓને ત્રણ વર્ષની જેલસજા કે દંડ અથવા જેલ સાથે દંડ ભરપાઈ કરવાની જોગવાઈ હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે ઉકત બેઉ કાનૂન હેઠળ ચિહ્નિત કરાયેલા સરકારી કર્મચારી જનગણના અને એનપીઆર માટે આંકડા એકત્ર કરવાની નિર્ધારિત જવાબદારી વહન કરવાને બાધ્ય છે. આ બાધ્યતા એનપીઆર આંકડા એકત્ર કરતી વખતે મકાનોની સૂચિ તૈયાર કરવાની જવાબદારી નિભાવનારા કર્મચારીઓ અને જનગણના અધિકારીઓ બેઉ માટે છે.
ભારતીય જનગણના અધિનિયમ મુજબ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોને પોતાના વિસ્તારની જનગણના માટે અધિકારીઓની નિયુકિત કરવી અનિવાર્ય છે. તેમાં પ્રમુખ જનગણના અધિકારી (ડીએમ) જિલ્લા અને ઉપજિલ્લા જનગણના અધિકારી, પર્યવેક્ષક અને પ્રગણક (ન્યુમરેટર) સામેલ છે.
એનપીઆર ડયુટીનો ઈનકાર કરનારાને ય સિટીઝનશિપ રુલના નિયમ 17 હેઠળ રૂ.1 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આવા સ્ટાફ પર અનુશાસનિક કારવાઈ પણ થઈ શકે છે. 2021 જનગણના માટે આ વર્ષના એપ્રિલની સપ્ટેમ્બર વચ્ચે મકાનોની ગણતરી કરાશે. સાથોસાથ એનપીઆરનું કામ પણ નિપટાવી લેવાશે. આ દરમિયાન પ.બંગાળમાં સમસ્યા સર્જાવા સંભવ છે, કારણ કે રાજ્ય સરકારે એનપીઆર પ્રક્રિયા રોકી દીધી છે.



















