CIA ALERT

ઇન્ડીયા Archives - Page 148 of 217 - CIA Live

December 26, 2019
bhu.jpg
1min6470

વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.

‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

આ છે પાઠ્યક્રમ નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

December 26, 2019
UddhavFadnavis.jpg
1min6100

સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.

આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.

December 26, 2019
npa.jpg
1min5180

સાત વર્ષ સુધી વધતી રહ્યા બાદ એનપીએ ઘટતી જતી હોવાનુ જોવા મળ્યાનું બેન્કો જણાવે છે. સાનુરૂપ નીતિવિષયક માહોલ અને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ (આઈબીસી) આમાં મદદરૂપ થયાનું રીઝર્વ બેન્કે દેશમાં બેન્કિંગના વહેણ અને પ્રગતિ વિશેના તેના રિપોર્ટમાં જણાવ્યું છે. આ ગતિવિધિએ આર્થિક સેકટરમાં અને બેડ લોન્સની સમસ્યા સાથે ઝઝૂમતા નીતિઘડવૈયાઓમાં કંઈક ખુશાલી ફેલાવી છે.

શાખમાંની વૃદ્ધિ ય દબાયેલી રહેવા પામી છે, જ્યારે સહકારી બેન્કોનું સ્વાસ્થ્ય પણ કથળતું રહેવાનું ચાલુ રહ્યું છે તેમાં પીએમસી બેન્કની કટોકટી ધ્યાનાર્હ રહી છે. કુલ એનપીએ માર્ચ ’18માં 11.2 ટકા રહેલી તે ઘટીને માર્ચ ’19માં 9.1 ટકા રહી હતી.

સ્લીપેજ’ ગુણોત્તરનો ઘટાડો અને બાકી કુલ એનપીએનો ઘટાડો કુલ એનપીએ ગુણોત્તર સુધારવામાં મદદરૂપ થયા છે. જ્યારે માંડવાળનો કેટલોક હિસ્સો લોનો ઘણી જૂની થવાના કારણે છે, જ્યારે રીકવરીને આઈબીસીમાંથી પુષ્ટી મળી છે.

રીપોર્ટમાં દર્શાવાયુ છે કે તમામ બેન્ક જૂથોએ એસેટ કવોલિટીમાં સુધારો થયાનું નોધ્યુ છે. તેમાંય જાહેર ક્ષેત્રની બેન્કોને કુલ એનપીએ અને ચોખ્ખા એનપીએ -બેઉના ગુણોત્તર નીચા ગયાનો અનુભવ થયો છે.

’18-’19 દરમિયાન સ્ટ્રેસ્ડ એસેટ્સની રીકવરીમાં સુધારો જોવા મળ્યો છે તે મુખ્યત્વે આઈબીસી હેઠળના ઉકેલના કારણે છે, રીકવર થયેલી કુલ રકમમાંથી અર્ધી તેના કારણે છે. જો કે ઉકેલના મોટા માળખા (લોક અદાલત સિવાય) દ્વારા મેળવાતા રીકવરી દરો ’18-’19માં ઘટયા છે.

December 26, 2019
modi_temple.jpg
1min6710

તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

December 24, 2019
after_Jharkhand.jpg
1min5080

એક જ વર્ષનાં ગાળામાં ભાજપને પાંચમા રાજ્યમાં શિકસ્તનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઝારખંડમાં આજે જેએમએમ-કોંગ્રેસનાં મોરચાની જીત સાથે જ વધુ એક રાજ્ય ભાજપનાં હાથમાંથી સરકી ગયું છે. આ પહેલા ભાજપે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા પોતાનાં ગઢ સમાન મહત્વપૂર્ણ રાજ્યોમાં સત્તા ગુમાવી દીધી હતી અને હવે તેમાં ઝારખંડનો ઉમેરો થયો છે.

ભાજપ પાસે 21 રાજ્ય હતાં

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો હતો અને ત્યારબાદ ભાજપની જીતનો સિલસિલો શરૂ થયેલો. 2014માં ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ મોરચાનાં કબજામાં માત્ર 7 રાજ્ય હતાં. પછી જાણે આખો દેશ ભગવા રંગે રંગાવા લાગ્યો હતો. 2017માં રાજકીય રીતે સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત 2018 આવતા ભાજપે 21 રાજ્યોમાં સિંહાસન હસ્તગત કરી લીધું હતું. તો 2019 આવતાં તેનો શાસકીય નક્શો સંકોચાઈને 1પ રાજ્યો ઉપર આવી ગયો છે.

ભાજપનો ગ્રાફ નીચે સરક્યો

વર્ષ 2018નાં અંતે દેશની રાજનીતિનો નક્શો ઝડપથી પલટાવા લાગ્યો. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા મહત્વનાં રાજ્યોમાંથી ભાજપે સત્તા ગુમાવી દીધી. તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ફટકો ભાજપ માટે કડવા ઘૂંટડા સમાન બની રહ્યો. કારણ કે ત્યાં ભાજપ દોઢ દાયકાથી એકધારું શાસન કરતો હતો. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરીથી ધમાકેદાર પ્રદર્શન કર્યુ અને 2014 કરતાં પણ વધુ શક્તિશાળી બનીને ઉપસી આવ્યો. પરંતુ કેન્દ્રમાં સરકાર રચ્યા બાદ ઓક્ટોબર 2019માં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનાં પરિણામોએ ભાજપને ફરીથી આચકો સહન કરવાનો આવ્યો. હરિયાણામાં ગમે તેમ કરીને ભાજપ સત્તા જાળવી શક્યો પણ મહારાષ્ટ્ર તેનાં હાથમાંથી સરકી ગયું હતું. વર્ષ 2019 જતાં જતાં તેને છેલ્લો ઝટકો ઝારખંડ રૂપે આપતું ગયું છે.

અમિત શાહની સ્ટ્રાઈક રેટ પ0 ટકા ઘટી ગઈ

વર્ષ 2019માં ભાજપે કુલ મળીને 212 વિધાનસભા બેઠકો ઉપર પછડાટ ખાધી છે. આ સીવાય ભાજપને હરિયાણામાં 7, આંધ્રપ્રદેશ અને તેલંગણમાં ચાર-ચાર બેઠકોનું નુકસાન થયું છે. જુલાઈ 2014માં અમિત શાહ ભાજપનાં અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ઝારખંડને બાદ કરતાં 31 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે પ1 ટકા રાજ્યોમાં સરકાર બનાવી છે. 2014માં ભાજપની સ્ટ્રાઈક રેટ 100 ટકા રહી હતી. 201પમાં તે શૂન્ય થઈ ગઈ. 2014નાં ડિસેમ્બરમાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ગઠબંધન સરકારો બનાવી હતી. 2016માં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપ માત્ર એક જ જીત હાંસલ કરી શક્યો હતો. જો કે 2017માં ભાજપને બહેતર પરિણામો મળ્યા. ફેબ્રુઆરી-માર્ચમાં સાત રાજ્યોની ચૂંટણીઓ થઈ અને તેમાંથી છમાં તેને સત્તાનો તાજ મળ્યો. તો 2018માં કુલ નવ રાજ્યોમાં ચૂંટણી થઈ અને ભાજપનું પ્રદર્શન 4પ સુધી સમેટાઈ ગયું. ભાજપ નવમાંથી માત્ર ચાર રાજ્યોમાં જ સરકાર બનાવવામાં સફળ થયો. 2019માં કુલ છ રાજ્યોમાં ચૂંટણી થઈ અને તેને ત્રણમાં સત્તા મળી.

સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસની બીજી જીત

એક તરફ અમિત શાહનાં અધ્યક્ષસ્થાનેથી ભાજપને એક વર્ષમાં પાંચ રાજ્યોમાં નુકસાન થયું છે તો કોંગ્રેસનાં અધ્યક્ષસ્થાને સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસ સતત બીજા રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યો છે.

December 24, 2019
jharkhand.jpg
1min4840

ભાજપને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સર્વેક્ષણોનાં અનુમાન મુજબ જ ઝટકો લાગ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાજદનાં ગઠબંધને બહુમત મેળવીને ભાજપ પાસેથી સત્તા ખૂંચવીને કબજો જમાવી દીધો છે. મોડી સાંજ સુધીમાં 81 બેઠકો ધરાવતી વિધાનસભામાંથી 3પ બેઠકોનાં પરિણામ જાહેર થયા ત્યારે જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી અને સામે છેડે જેએમએમ-કોંગ્રેસ ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ હતી.’ હેમંત સોરેન 28મીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદેથી રઘુબરદાસે રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસે પરિણામ પછી નાયબ મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવી હતી.

આ સાથે જ ભાજપ માટે વર્ષ 2019 મિશ્ર પરિણામો લાવનારું બની ગયું હતું. એકબાજુ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી તો બીજીબાજુ ઉપરાઉપરી રાજ્યોની ચૂંટણીમાં તેને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં આ વર્ષ જતાં-જતાં તેને ઝારખંડનાં રૂપમાં વધુ એક આંચકો આપતું ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશનો સ્વીકાર કરતાં સાંજે ઝારખંડ મુક્તિ મોરચા અને જેમની સરકાર બનવા જઈ રહી છે તે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતાં. આવી જ રીતે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતું કે, જનાદેશનો આદર છે. તેમણે ટ્વિટરનાં માધ્યમથી ઝારખંડની જનતાનો પણ પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો અને પક્ષ વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યુ હતું. તો તમામ બેઠકોનાં પરિણામો બહાર આવે તે પહેલા જ મુખ્યમંત્રી રઘુબર દાસે પણ હાર કબૂલતા કહ્યું હતું કે, તેઓ અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે પણ જો ભાજપનો પરાજય થાય તો આ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત પરાજય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુબર દાસ પહેલા ઝારખંડ મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પરિણામોમાં જીત લગભગ સુનિશ્ચિત દેખાતા હેમંત સોરેને જનાદેશને વધાવતા કહ્યું હતું કે, તેઓ બધાને ખાતરી આપવા માગે છે કે, કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર તમામ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

રાત્રે 8 કલાકે કુલ 81 બેઠકોમાંથી 37નાં પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપની 13, કોંગ્રેસની 8 અને જેએમએમની 13 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે.

12 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 17 બેઠકો ઉપર જેએમએમ આગળ છે. જો આ વલણ પ્રમાણે જ અંતિમ પરિણામો રહે તો ભાજપ 2પ બેઠકો ઉપર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેએમએમનાં ગઠબંધનને કુલ મળીને 46 બેઠકો મળે તેવી સંભાવના છે. આમ તે બહુમતનો જાદુઈ આંક આસાનીથી પાર કરી લેશે તેવું ટ્રેન્ડ ઉપરથી દેખાય છે.

મુખ્યમંત્રી રઘુબર દાસ 4000 મતે અપક્ષ લડનાર પૂર્વ મુખ્યમંત્રી સર્યુ રોય સામે જમશેદપુર – પૂર્વ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે અને તેમની હાર નિશ્ચિત જણાવાય છે. સામે પક્ષે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠક ઉપરથી જીતી ગયા હતાં અને આ વિજયથી ગદગદ સોરેન સાઈકલ લઈને અભિવાદન ઝીલવા નીકળી ગયા હતાં.

December 23, 2019
tejash2.jpg
1min5490

ઓક્ટોબર 2019માં દેશની પહેલી ખાનગી તેજસ એક્સ્પ્રેસ દિલ્હીથી લખનઊ રૂટ પર દોડી હતી. એ બાદ ખાનગી એક્સ્પ્રેસ ટ્રેન દોડાવવા માટે મુંબઈ-અમદાવાદ રૂટની પસંદગી કરવામાં આવી હતી.

ખાનગી ધોરણે દોડનારી બીજી તેજસ એક્સ્પ્રેસ જાન્યુઆરી 2020માં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે એવી વકી છે. આ ટ્રેનના ટિકિટના દર અન્ય એક્સ્પ્રેસ ટ્રેનોની સરખામણીમાં વધારે હશે.
આ રૂટ પર આગામી 17 જાન્યુઆરીથી તેજસ એક્સ્પ્રેસ દોડવાની શક્યતા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા આ બંને ખાનગી એક્સ્પ્રેસ ટ્રેનને દોડાવાશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સ્પ્રેસની પ્રથમ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી રવાના થશે અને તે બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી તે બપોરે 3.40 વાગે રવાના થઈ અમદાવાદ રાતે 9.55 વાગે પહોંચશે. સપ્તાહમાં ગુરુવાર સિવાય અન્ય બધા દિવસે તે દોડશે.

A few months ago, a tentative schedule was shared by IRCTC for the upcoming Ahmedabad-Mumbai Tejas Express train. As per the tentative schedule of this private train service, the IRCTC Ahmedabad-Mumbai Tejas Express will start from Ahmedabad Junction railway station at 6:40 AM and will reach Mumbai Central railway station at 1:10 PM. On the return journey, the train will depart from Mumbai Central railway station at 3:40 PM and will reach Ahmedabad Junction railway station at 9:55 PM. En route both ways, the train will halt at Vadodara Junction railway station and at Surat railway station. The Ahmedabad-Mumbai Tejas Express is likely to run six days a week.

December 23, 2019
indiawon.jpg
1min4870

ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.

વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.

December 22, 2019
crimeagainstwomen.jpg
1min5810

મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે.
એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.

બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.

કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.

December 22, 2019
senameal.jpg
1min4870

વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.