CIA ALERT

ઇન્ડીયા Archives - Page 142 of 217 - CIA Live

January 23, 2020
supreme.jpg
1min5050

સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાનો અમલ હાલમાં અટકાવવાનો બુધવારે ઇનકાર કર્યો હતો અને કેન્દ્રને સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ બંધારણીય બૅન્ચને સુનાવણી માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે અમે કાયદાના અમલને એકપક્ષી રીતે હાલમાં અટકાવી ન શકીએ. અમે બધી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઇશું. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં આ ધારાને મુદ્દે મોટા પાયે ચર્ચા થઇ રહી છે અને અમે કેન્દ્રની દલીલ સાંભળ્યા વિના કોઇ નિર્ણય નહિ લઇએ.

સર્વોચ્ચ અદાલતમાં આ ધારાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ૧૪૩ અરજી કરાઇ છે. આ અરજીઓની સુનાવણી કરનારી બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં નાગરિકત્વ (સુધારા) ધારા હેઠળ નાગરિકત્વ આપવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. જેઓને નાગરિકત્વ અપાઇ જશે, તેઓ પાસેથી પાછું લેવાશે નહિ અને તેથી આ કાયદાના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

વકીલ વિકાસ સિંહે આસામમાં નાગરિકત્વ (સુધારા) ધારાના અમલના સંબંધમાં એકપક્ષી ચુકાદાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે આ કિસ્સામાં આસામની હાલત અલગ છે. આ કેસને લગતી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો રાજ્યમાં ઘૂસી ગયા છે.

દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આસામ અને ત્રિપુરાના કિસ્સાને અન્ય રાજ્યોથી અલગ રીતે હાથ ધરાશે.

વકીલ કપિલ સિબલે નાગરિકત્વ સુધારા કાયદાનો બે મહિના અમલ નહિ કરવા, આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરનો એપ્રિલથી થનારો અમલ રોકવાની વિનંતિ કરી હતી.

ઍટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં માત્ર ૬૦ અરજીની નકલ મળી છે. કેન્દ્ર સરકારને બધી અરજીની નકલ આપવા અરજ કરીએ છીએ. અમને જવાબ આપવા માટે છ અઠવાડિયાંનો સમય લાગશે.

તેમણે જણાવ્યું હતું કે દેશની બધી વડી અદાલતોને નાગરિકત્વ સુધારા ધારાને લગતી અરજીઓની હાલમાં સુનાવણી નહિ કરવાની સૂચના આપવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને વડી અદાલતોને સંબંધિત સુનાવણી હાલમાં નહિ કરવાનો આદેશ આપવા સહમત થઇ હતી.

નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અગાઉ ૬૦ અરજી કરાઇ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસ દરમિયાન નવી ૮૩ અરજી કરાઇ હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આસામ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાંના આ કાયદાના અમલને પડકારતી અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછી અલગથી જ કરાશે. જે અરજીઓ કેન્દ્રને નથી મળી તેઓનો જવાબ આપવા ચાર અઠવાડિયાંનો સમય આપીએ છીએ. અમે અમુક અરજીની સુનાવણી ચૅમ્બરમાં કરીશું.

January 22, 2020
cars.jpeg
1min5370

મોટર વીમા ઉદ્યોગમાં ટૂંક સમયમાં વપરાશ આધારિત પ્રીમિયમ લાગુ થવાની શક્યતા છે. વીમા કંપનીઓ એકથી વધારે કાર ધરાવતા સિંગલ માલિકને પ્રત્યેક કારના અપેક્ષિત વપરાશ આધારિત કવર આપવાના પ્લાન લોન્ચ કરી રહી છે. આમ, પહેલીવાર ગ્રાહકને મલ્ટિપલ વ્હિકલ્સ માટે સિંગલ પોલિસી ખરીદવાનો વિકલ્પ મળશે, જેમાં પ્રત્યેક કારની સબ-લિમિટ અલગ-અલગ હશે.

ICICI લોમ્બાર્ડ દ્વારા ‘ફ્લોટર’ પોલિસી વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો જ્યાં સુધી એકસાથે બે વાહનો નહીં ચલાવે ત્યાં સુધી તેમની સમ ઇન્સ્યોર્ડનો ઉપયોગ કરી શકશે. ICICI લોમ્બાર્ડની ‘સિંગલ ઓનર, મલ્ટિપલ વ્હિકલ’ ફ્લોટર પોલિસી એપ્લિકેશન આધારિત ઇન્ટરફેસ છે, જેનાથી મલ્ટિપલ વાહનોને એકસાથે લિન્ક કરવામાં મદદ મળશે. આ ‘ફ્લોટર’ વિકલ્પ અત્યારે ફેમિલી હેલ્થ પોલિસીમાં ઉપલબ્ધ છે, જેમાં પરિવારનો એક સભ્ય સિંગલ સમ ઇન્શ્યોર્ડ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લે છે.

“એક ફ્લોટર પોલિસી હેઠળ જ ત્રણથી ચાર કારનો વીમો લઈ શકાશે, જેનો અર્થ એ થયો કે, એક જ પોલિસી દ્વારા ત્રણ કારનું કવર મળશે. આ પ્રોટોટાઇપ છ મહિના માટે માન્ય રહેશે અને આ સમયગાળામાં તે કારગત નીવડશે તો કંપનીઓ તેને લોન્ચ કરી શકશે. કંપનીઓ વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ લોન્ચ કરશે, જેથી ગ્રાહકને તેની ડ્રાઇવિંગ પસંદગીના આધારે તેમના પ્રીમિયમની ચુકવણી કરવાનો વિકલ્પ મળશે.

મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અત્યારે ગ્રાહકો પાસેથી ‘ઓન ડેમેજ પ્રીમિયમ’ ચાર્જ કરે છે, જેનો આધાર વાહનોના મોડલ, બનાવટના વર્ષ, સ્થળ પર રહેલો છે અને આ પોલિસી પર નો-ક્લેમ બોનસ લાગુ પડે છે. નવી પોલિસીમાં વાહન માલિકની ડ્રાઇવિંગ આદતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગ્રાહક કેટલી ઝડપથી વાહન ચલાવે છે, કેટલું ટ્રાવેલ કરે છે અને કેટલીવાર સખત બ્રેક મારે છે જેવી બાબતોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. ડ્રાઇવિંગની આદતનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થશે અને જો ગ્રાહક સલામત સવારી કરતો હશે તો તેને રિવોર્ડ પણ મળશે. રિન્યુઅલ વખતે ગ્રાહકના ‘ઓન ડેમેજ પ્રીમિયમ’માં ગ્રાહકો તેમનો સ્કોર જોઈ શકશે. ગ્રાહકો એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ વિકલ્પ પસંદ કરી શકશે.

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5370

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min10000

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 22, 2020
indiavsnz.jpg
1min5000

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગઈ કાલે છ અઠવાડિયાના પ્રવાસ માટે ન્યૂ ઝીલૅન્ડ પહોંચી ગયા હતા. તેઓ શુક્રવાર (૨૪ જાન્યુઆરી)થી કિવીઓ સામે પાંચ ટી-ટ્વેન્ટીની શ્રેણી રમશે. ત્યાર પછી બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને છેલ્લે બે ટેસ્ટ-મૅચ રમાશે. ટેસ્ટ-સિરીઝ બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપ રમાવાની છે.

વિરાટે કિવીલૅન્ડ પર પગ મૂકતાંની સાથે જ શાર્દુલ ઠાકુર તથા શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવીને એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને એ સાથે લખ્યું હતું, ‘ઑકલૅન્ડમાં થોડી જ વાર પહેલાં અમે પગ મૂક્યો. લેટ્સ ગો.’

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને, શ્રીલંકાના અને છેલ્લે ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા છે. કિવી ખેલાડીઓને પહેલા બૉલથી જ પ્રેશરમાં લાવવાની વિરાટે સાથી-ખેલાડીઓને સૂચના આપી દીધી છે.

ભારતીયો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા હતા જ્યાં તેમણે કિવી ટીમને વન-ડે શ્રેણીમાં ૪-૧થી હરાવી હતી. જોકે, ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.

January 20, 2020
jpnadda.jpg
1min6020

આજે કેન્દ્રમાં જેની પાસે સત્તા છે એ ભાજપાને અમિત શાહની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા મળ્યા છે. પાર્ટીની હેડ ઓફિસમાં નવા અધ્યક્ષ પદ માટે નોમિનેશન પ્રક્રિયા દરમિયાન ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ સંગઠનના પ્રભારી રાધામોહનસિંહને નવા અધ્યક્ષ માટે નોમિનેશન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને નવા અધ્યક્ષ બનાવવા સંદર્ભે રાજનાથસિંહે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે અન્ય કોઇ નેતા તરફથી ઉમેદવારીનો દાવો કરવામાં આવ્યો ન હતો. છેવટે જે.પી. નડ્ડાને ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ માટે ભાજપાના સુકાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પાર્ટીના નવા અધ્યક્ષનું સન્માન પણ કરવાના છે.

વિદ્યાર્થી સંઘથી નડ્ડાએ રાજકારણની શરુઆત કરી છે. સંગઠનમાં તેમનો દાયકાઓ જૂનો અનુભવ છે, આરએસએસથી તેમની નીકટતા અને સ્વચ્છ છબી તેમની તાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહનસિંહે પાર્ટીના સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન 20 જાન્યુઆરીએ નાખવામાં આવશે અને જરુર પડ્યે બીજા દિવસે ચૂંટણી થશે.

ભાજપમાં અધ્યક્ષ સામાન્ય સહમતિ સાથે ચૂંટવાની પરંપરા છે અને તેની ઓછી સંભાવના છે કે તેના સિવાય અન્ય કોઈ નિર્ણય લેવાય. નવા અધ્યક્ષની પસંદગી સાથે અમિત શાહના સાડા પાંચ વર્ષ કરતા વધુના કાર્યકાળનો પણ અંત આવશે, આ દરમિયાન ભાજપે દેશમાં પોતાના આધારનો વિસ્તાર કર્યો છે. શાહનો કાર્યકાળ ભાજપ માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સર્વશ્રેષ્ઠ હતો, જોકે, પાર્ટીને કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ઝાટકા વાગ્યા છે.

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min5980

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
Arvind-kejriwal.jpg
1min6070

દિલ્હીમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. તમામ પક્ષે મોટાભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ઘોષણાપત્ર જાહેર થશે. આપના વડા અરવિંદ કેજરીવાલે ચૂંટણી ઢંઢેરાના બદલે રવિવારે પક્ષનું ગેરન્ટી કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં ૧૦ ગેરન્ટી/ખાતરી અપાઈ છે,

જેમાં વિદ્યાર્થીઓને મફત બસ સેવા, મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ, ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી, મફત આરોગ્ય સવલત, યમુના નદીને ક્લિન કરવી, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સમાવેશ છે. દિલ્હીમાં આપની સરકાર ફરીથી આવશે તો તમામ ખાતરી પરિપૂર્ણ કરાશે, એવી ગેરન્ટી આપી હતી. સર્વગ્રાહી ચૂંટણી ઢંઢેરો એકાદ અઠવાડિયામાં બહાર પડાશે, એમ કહ્યું હતું. વિપક્ષોએ કહ્યું હતું કે આપની સ્કીમ ૩૧ માર્ચ સુધી ચાલશે, પરંતુ અમે ગેરન્ટી કાર્ડ રજૂ કયું છે, જે પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગેરન્ટી કાર્ડ પર કેજરીવાલે સહી કરી હતી. દિલ્હી મેટ્રોનું નેટવર્ક લંબાવવાની પણ ખાતરી આપી છે. 

January 20, 2020
HYDERABAD.jpg
1min5380

વિશ્ર્વના ૧૩૦ ગતિશીલ શહેરોની યાદીમાં હૈદ્રાબાદને પ્રથમ અને બેંગ્લૂરુને દ્વિતીય ક્રમ મળ્યો છે. વૈશ્ર્વિક કક્ષાના એક ક્ધસલ્ટન્ટે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. જીડીપી, વૃદ્ધિ, છૂટક વેચાણ અને એરપોર્ટ પેસેન્જર વૃદ્ધિ વિગેરે પાસાઓમાં હૈદ્રાબાદને પ્રથમ, બેંગ્લૂરુ દ્વિતીય, ચેન્નાઈ પાંચમા ક્રમે, દિલ્હી છઠ્ઠા સ્થાને, પૂણે બારમા, કોલકતા ૧૬મા અને મુંબઈને ૨૦મો ક્રમ મળ્યો છે. ગયા વર્ષે બેંગ્લૂરુને પ્રથમ અને હૈદ્રાબાદને બીજો ક્રમ મળ્યો હતો.

વિશ્ર્વના ‘ટોપ ટ્વેન્ટી’ શહેરોમાંથી પોણા ભાગના શહેરો એશિયા પેસિફિક ક્ષેત્રમાં આવેલા છે.

આર્થિક મંદી હોવા છતાં ૨૦૧૯ના ‘ટોપ ટ્વેન્ટી’માં ભારતના સાત શહેરને સ્થાન મળ્યું છે. અહેવાલ બહાર પાડનારી કંપનીના ભારતના સીઈઓ રમેશ નાયરે કહ્યું કે, ‘ભારતીય શહેરોના વિકાસમાં વિદેશી રોકાણકારો રસ લઈ રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિઓમાં સુધારાઓ કરવામાં આવ્યા છે તેના ફળ હવે મળી રહ્યા છે.’

કાર્બન ફૂટપ્રિન્ટ (પ્રદૂષણ) ઘટાડવામાં હૈદ્રાબાદ સહિતના શહેરો શહેરી વાતાવરણમાં મહત્ત્વના બદલાવ દાખલ કરી રહ્યા છે. હૈદ્રાબાદમાં કોરલરૂફનો ઉપયોગ કરી એરકંડિશનિંગની જરૂરિયાતમાં ઘટાડો કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. સૂર્ય-પ્રકાશને પાછો ફેંકવાથી અને આમ ઓછી ગરમી શોષવામાં કોરલરૂફ ઉપયોગી નીવડે છે.

સ્માર્ટ બાઈક અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવી હૈદ્રાબાદમાં પ્રદૂષણ સ્તરનો ઘટાડો થઈ રહ્યો છે.

January 20, 2020
parixapecharcha.jpg
1min5760

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.