સંસદીય બાબતોમાં કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં
ચલાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બજેટ ગત વર્ષની જેમ જ પહેલી ફેબ્રુઆરીએ રજૂ
કરવામાં આવશે.
જણાવી દઈએ કે મોદી સરકાર દરમિયાન સામાન્ય
બજેટને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાની શરૂઆત થઈ છે. આ પહેલા
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેજટ રજૂ કરવાની પરંપરા હતી.
સૂત્રોએ જણાવ્યું કે બજેટ સત્રનો પહેલો
તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 2 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી સંસદ ચાલશે. બજેટ સત્રના બંને તબક્કામાં વચ્ચે સામાન્ય
રીતે એક મહિનાનો સમય રાખવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી
સંસદીય સમિતિઓ વિવિધ મંત્રાલયોને ફાળવેલા બજેટનું પરીક્ષણ કરી શકે.
કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ
બંને સદનના સત્રને ચલાવવાનો આદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા
કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.
08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.
કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.
ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.
હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (‘નિતિ’ આયોગ)એ તૈયાર કરેલી દરખાસ્તના મુસદ્દા મુજબ ખાનગી ટ્રેનો રેલમાર્ગો પર દોડતી અન્ય ટ્રેનોની સરખામણીમાં ૧૫ મિનિટ વહેલી દોડશે, તેની મહત્તમ ઝડપ કલાક દીઠ ૧૬૦ કિલોમીટર રહેશે અને તેમાં ખાનગી કંપનીના ગાર્ડ્સ અને કર્મચારીઓ રહેશે.
આ ઉપરાંત, ખાનગી ટ્રેનના ડબા આધુનિક હશે અને સુરક્ષાની વધુ સારી સુવિધા રહેશે.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાને પોતાની વૅબસાઇટ પર ખાનગી ૧૫૦ ટ્રેન ૧૦થી ૧૨ વિભાગમાં ૧૦૦ રેલમાર્ગ પર દોડાવવાની યોજના જાહેર કરી છે. આ ખાનગીકરણ પાછળ અંદાજે રૂપિયા ૨૨,૫૦૦ કરોડનું રોકાણ કરાશે.
ખાનગી ટ્રેનો દોડાવનારાઓ બજારના ભાવ પર આધારિત ભાડાં લઇ શકશે, તેઓને વિવિધ વર્ગ અને ટ્રેનના સ્ટૉપ નક્કી કરવાની છૂટ રહેશે.
રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાનના સંબંધિત મુસદ્દામાં ખાનગી ટ્રેનોના સંચાલકો માટે રિક્વૅસ્ટ ફૉર ક્વૉલિફિકેશન, ક્ધસૅશન ઍગ્રીમૅન્ટ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ, પ્રૉજેક્ટ ઇન્ફૉર્મેશન મેમૉરેન્ડમ સહિતની રૂપરેખા રજૂ કરાઇ છે.
રેલવે ખાનગી ટ્રેનોના સંચાલકોને પોતાના હાલના ડેપૉ કે વૉશિંગ લાઇન્સમાં કે તેની બાજુમાં જગ્યા પૂરી પાડશે.
ખાનગી ટ્રેનોના સંચાલકો પોતાની પસંદગીના સ્રોત ખાતેથી એન્જિન્સ કે ડબા ખરીદી શકશે.
આ ઉપરાંત, ખાનગી ટ્રેનોના ડબાની ડિઝાઇન આધુનિક હશે અને સલામતી માટે સુધારિત સગવડ હશે.
વિશ્ર્વની સંખ્યાબંધ વિમાની કંપનીઓએ બુધવારે ઈરાન-ઈરાકના આકાશમાંથી પસાર થતા રૂટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભારત, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, હોલેન્ડ, જર્મની, પોલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, જાપાન, હોંગકોંગ સહિતના દેશોએ ઈરાન-ઇરાકની ઍરસ્પેસ પરથી ઉડ્ડયન નહીં કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. ઍરફ્રાન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘હવાઈ હુમલાના સમાચાર પછી સાવચેતીના પગલાં તરીકે ઍરફ્રાન્સે ઈરાન, ઈરાક રૂટ પરથી જતી તમામ ફ્લાઈટસ રદ કરવાનો નિર્ણય
કર્યો છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને ઈરાક, ઈરાન, ગલ્ફ ક્ષેત્રની ઍરસ્પેસ પરથી અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફેડરલ ઍર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસની સલામતી સામેના જોખમને ધ્યાનમાં લઈ ઈરાન, ઈરાક, પર્શિયન ગલ્ફ, ઓમાન ગલ્ફની ઍરસ્પેસમાંથી ઉડ્ડયન નહીં કરવાની વિમાની કંપનીઓને ભલામણ કરવામાં આવે છે.
આ ક્ષેત્રની ઍરસ્પેસ યુરોપ અને એશિયા વચ્ચેની ફ્લાઈટસ માટે મહત્ત્વનું કોરિડોર છે. કેએલએમ, લુફથાન્સા, પોલેન્ડની એલઓટી ઍરલાઈને, ઑસ્ટ્રેલિયાની ક્વાન્ટસે, સિંગાપોર ઍરલાઈન્સ, મલયેશિયા ઍરલાઈન્સે, વિયેટનામ ઍરલાઈન્સે, જાપાનની એએનએ અને જેએએલ ઍરલાઈન્સે, હોંગકોંગની કેથેપ પેસિફિક ઍરલાઈન્સે પણ આવો જ નિર્ણય કર્યો હતો.
ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.
તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.
નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.
તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
વિશ્ર્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ધરાવવાના સંદર્ભે ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે અને ખાસ કરીને ડિસરપ્શન ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રિટેલ, ફૂડ, લોજિસ્ટિક, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જેવા ઉદ્યોગમાં તો સ્ટાર્ટઅપ્સ છવાઇ જ ગયા છે, પરંતુ હવે વિશ્ર્વની ટોચની કંપનીઓ પણ તેમને આવકારી રહી છે. ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને દતેમનો વાર્ષિક વિકાસ દર ૧૨થી ૧૫ ટકા જેવો છે. એ જ સાથે ૩૧ યુનિકોર્ન છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર કરતા વધુ છે.
વૈશ્ર્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી તેમને ફંડીંગ તો મળી રહ્યું છે પરંતુ જો યોગ્ય પ્રવેશ મળે તો ભારતીય સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન થકી વિશ્ર્વબજારનો મોટો હિસ્સો હસ્તગત કરી શકે છે, એમ ટોરંટો બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (ટીબીડીસી) અને કોર્પજીની વચ્ચે સંયુક્ત સાહસ સાધવા સંદર્ભે ભારત આવેલા કેનેડાના બ્રેમ્પ્ટન સિટીના મેયર પેટ્રીક બ્રાઉને કહ્યું હતું કે કેનેડામાં ઇનોવેશન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે પુષ્કળ અવકાશ છે.
કેનેડાની ટીબીડીસી, સિટી ઓફ બ્રેમ્પ્ટન અને કોર્પજીની વચ્ચેના આ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને પગલે વિદેશમાં વિસ્તરણ કરવા ઇચ્છનારા સ્ટાર્ટઅપ્સને માર્ગ મળશે અને કેનેડાના કોર્પોરેટ જગત સાથે સંપર્કિત થવાની તક મળશે. આ સંદર્ભે જ તેઓ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા સ્ટાર્ટઅપ્સ હબની મુલાકાતે આવ્યાં છે. કેનેડા સરકાર ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઇનેોવેશન એક્સચેન્જ ઇચ્છે છે.
ભૂસ્ખલન અને બરફવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને જમ્મુના કત્રામાં આવેલા વૈષ્ણોદેવીમાં નવેસરથી બરફવર્ષા થવાને કારણે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી હોવાના સમાચાર મળ્યા હતા.
કાશ્મીરનું પ્રવેશદ્વાર ગણાતી જવાહર ટનલ સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે બરફવર્ષા અને રામબન જિલ્લામાં પંથિયાલ-રામસુ વિસ્તારમાં એ સાથે ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા.
ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સાફ કરવાના કામમાં અડચણ ઊભી થઇ હતી. સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનને લીધે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાથી રામબન અને બનિહાલ વચ્ચે ૬૦૦થી વાહનો અટવાયા હતા.
જવાહર ટનલ વિસ્તારમાં સોમવારથી આઠ ઇંચ બરફ પડયો હતો. દરમિયાન, પંથિયાલ, ડિગડોલે, મારુગ અને મોમપાસી વિસ્તારમાં હાઇવે પર પહાડ પરથી સતત પથ્થરો પડતા રહ્યા હતા.
પ્રશાસનના જણાવ્યા અનુસાર હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરવાનો બધો આધાર હવામાન પર છે. હવામાન સુધરશે અને બરફવર્ષા તથા ભૂસ્ખલન બંધ થશે ત્યારે જ રસ્તો સાફ કરી શકાશે.
દરમિયાન, ખરાબ હવામાન અને બરફવર્ષાને લીધે વૈષ્ણોદેવીના દર્શને જવા માટે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી હતી.જોકે, પગપાળા જનાર ભક્તોની શ્રદ્ધામાં એથી ઓટ આવી નહોતી અને અંદાજે ૫૨૦૦ યાત્રાળુ માતાજીના દર્શન પહોંચ્યા હતા.
વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.
આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.
એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.
ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.
દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.
હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.
આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે
સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.
‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.
બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.
ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.
જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.
‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
૭૦ બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે અને પરિણામ ૧૧ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચે સોમવારે કરી હતી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ૧.૪૬ કરોડ કરતા પણ વધુ લોકો મતદાન કરવાને પાત્ર છે જેમાં ૮૦,૫૫,૬૮૬ પુરુષ મતદાર અને ૬૬,૩૫,૬૩૫ મહિલા મતદાર તો ૮૧૫ વ્યંઢળનો સમાવેશ થાય છે, એમ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું હતું. તમામ મતદારોને ક્યૂડીઆર કોડ અને વૉટર્સ સ્લિપ આપવામાં આવશે જેને કારણે ઓળખ સરળ અને મતદાન ઝડપી બનશે, એમ તેમણે કહ્યું હતું. દિલ્હીમાં ૧૧.૫૫ લાખ મતદાર એએસડી (ઍબસન્ટ-ગેરહાજર, શિફ્ટેડ-સ્થળાંતર કરી ગયેલા, ડિસિઝ્ડ-મૃત્યુ પામેલા)ની યાદીમાં આવે છે, એમ તેમણે કહ્યું હતું. આ વખતે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ-સીએએ હેઠળ મતદારયાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલા શરણાર્થીઓનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ સૂચના ન હોવાનું તેમણે કહ્યું હતું.
પહેલી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં આવી હોવા છતાં કોઈપણ પાત્ર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીનાં નામાંકનનાં અંતિમ દિવસ સુધી મતદાર તરીકે નામ નોંધાવવા અરજી કરી શકશે, એમ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું.
ગયા વર્ષના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં મતદારયાદીની ફેરતપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મતદારયાદીનો મુસદ્દો ૧૫ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ ૨૬ ડિસેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો મોકલી આપવા જણાવી દેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ અંતિમ મતદારયાદી બહાર પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની અંતિમ મતદારયાદીની સરખામણીએ ૧, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૯.૯૬ લાખનો વધારો જોવા મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલી મતદારયાદીની સરખામણીએ ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું.
મતદારયાદીમાંથી ૬૦૮૪૮ નામ કાઢી નાખવામાં આવ્યા હતા તો ૨૪૭૯૫૦ નામ ઉમેરવામાં આવ્યા હતા પરિણામે મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ૧૮૭૦૦૦નો વધારો નોંધાયો હતો, એમ તેમણે કહ્યું હતું.
વિવિધ શ્રેણીના મતદારોમાં વિદેશી (૪૮૯), સર્વિસ વૉટર (૧૧૫૫૬), ૧૮થી ૧૯ વર્ષના મતદાતા (૨૦૮૮૮૩), ૮૦ વર્ષથી વધુ વયના (૨૦૫૦૩૫), શારીરિક રીતે અક્ષમ (૫૫૮૨૩) મતદારોનો સમાવેશ થાય છે.
મતદારયાદીમાંથી નામ કાઢી નાખવા તેમ જ ઉમેદવારને મામલે ગીરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કોઈપણ રાજકીય પક્ષ તરફથી ન મળી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના ઈશારે મતદારયાદીમાંથી જુદી જુદી કોમના લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ આમઆદમી પાર્ટીએ કરી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવશે અને તેમને અંતિમ મતદારયાદી સુપરત કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીની મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં અંદાજે ત્રણ લાખનો વધારો થયો હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીની વૅબસાઈટ પર પણ આ મતદારયાદી ઉપલબ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીમાં ૨૬૮૯ સ્થળે કુલ ૧૩૭૫૦ મતદાન મથક ઊભા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી ‘આપ’ સરકારે કરેલા કામના મુદ્દે લડાશે.
અમારા પક્ષની પ્રચારઝુંબેશ હકારાત્મક હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે કોઈને ગાળો નહીં આપીએ કે કોઈના માટે ઘસાતું નહીં બોલીએ.
સોમવારે સાંજે પત્રકારોને આપેલી મુલાકાતમાં કેજરીવાલે મતદારોને અપીલ કરી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે સારું કામ કર્યું હોય એવું તમને લાગે તો જ અમને મત આપજો.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું જાહેરનામું ૧૪ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૨૪ જાન્યુઆરી હશે.
અમેરીકા અને ઇરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવી દહેશતને પગલે જેની અપેક્ષા સેવાતી હતી એવું જ આજે સોમવાર તા.6 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં ઉઘડતા બજારે જોવા મળ્યું હતું. મુંબઈ શેરબજાર આજે સોમવારે સવારે પહેલા કલાકમાં જ 400 પોઈન્ટ્સથી વધુ ડાઉન ટ્રેડ કરી રહ્યો હતો.
સવારે 9.40 વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 450.89 પોઈન્ટ્સ અથવા 1.09 ટકા ઘટીને 41,013.72 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 139.40 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 12,087.25 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સવારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.74 ટકા અને 1.78 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા.
આજે સવારથી જ શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજે સવારથી જ મેટલ, પાવર, ઓઈલ-ગેસ, પાવર, ઓટો, બેન્ક અને રિયલ્ટી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.