Corona Virus in India : મુંબઈમાં 3 અને પુણેમાં 2 શંકાસ્પદ દર્દીઓ મળ્યા
મુંબઈમાં ‘કોરોના’ વાઈરસના ત્રણ શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે. જ્યારે પુણેમાં બે શંકાસ્પદ દર્દીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ કલ્યાણ અને નાલાસોપારાના રહેવાસીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ ચીનથી આવ્યા હતા અને હાલ તેમને પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું
હતું. ચીનમાં ‘કોરોના’ વાઈરસે માથું ઊંચક્યું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં સ્વતંત્ર વોર્ડ ચાલુ કર્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હોઈ ત્યાં જ તેમના પર સારવાર કરવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પદમજા કેસકરે જણાવ્યું હતું. ‘કોરોના’ વાઈરસના આતંકને કારણે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ૧,૭૮૯ જેટલા પ્રવાસીનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી જેઓ ચીનથી આવ્યા હતા તેમનામાં આ વાઈરસના લક્ષણો જણાયા હતા.
ડૉ. કેસકરે જણાવ્યા મુજબ ચીનથી મુંબઈ આવેલા ત્રણ શંકાસ્પદ દર્દીને ઉધરસ અને શરદીનો ત્રાસ થઈ રહ્યો હતો, તેથી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતરનારા પ્રવાસીઓમાં ‘કોરોના’ વાઈરસનાં અમુક લક્ષણો જણાઈ આવે તો તેમને તાત્કાલિક પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની સૂચના પાલિકા તરફથી ઍરપોર્ટ પ્રશાસનને આાપવામાં આવી હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી કસ્તુરબા હૉસ્પિટલમાં ‘કોરોના’ વાયરસ સંબંધિત દર્દીઓની વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન ‘કોરોના’ વાઈરસના ઈન્ફેક્શનના શંકાસ્પદ કોઈ દર્દી જણાયા હતા, પણ સ્ક્રિનિંગ દરમિયાન જ ત્રણ મુંબઈના અને ત્રણ પુણેના એમ છ દર્દીઓને મેડિકલ ઍક્ઝામિનેશનલ કરવા માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જેમાં ચાર લોકોમાં કોઈ ઈન્ફેકશન જણાયું નહોતું, તો બેને મામૂલી શરદી અને ઉધરસ હોવાથી તકેદારીના પગલારૂપે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય ખાતાના કહેવા મુજબ છેલ્લા ૧૪ દિવસમાં ચીનના વુહાન શહેરથી આવેલા કોઈ પ્રવાસી થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન પોઝિટિવ (‘કોરોના’ વાઈરસ) જણાયો નથી.
ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ ‘કોરોના’ વાઈરસનો દર્દી નોંધાયો હતો. ‘કોરોના’ વાઈરસનની ચપેટમાં આવી જવાને કારણે અત્યાર સુધી ૨૫નાં મોત થયા છે. આ વાઈરસનો ચેપ લાગ્યા બાદ ઉધરસ થવી, શ્ર્વાસ લેવામાં ત્રાસ થવા જેવાં લક્ષણો જણાતા હોવાનું વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઈઝેશને જણાવ્યું હતું.
‘કોરોના’ વાઈરસને પગલે પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં અલાયદો સ્વતંત્ર વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસનું ઈન્ફેકશન થયું હોવાની શંકા હોય તેવા દર્દીની તપાસ કરીને તેની સારવાર કરવામાં આવશે એવું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ડૉકટરોને ચીનથી આવનારા પ્રવાસીઓમાં જો ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક કસ્તુરબા હૉસ્પિટલ મોકલી દેવાની સૂચના પણ આપવામાં આવી છે.
પાલિકાએ તો ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દી માટે કસ્તુરબા હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી છે, પણ ચીનથી જો કોઈ પ્રવાસી મુંબઈ આવ્યો હોય અને તેનામાં ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તે માટે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરનારા ડૉકટરો તથા ખાનગી હૉસ્પિટલોનેે પણ ઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now