CIA ALERT

ગુજરાત Archives - Page 2 of 158 - CIA Live

July 7, 2026
image-10.png
3min176

મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.

મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.

સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.

IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.

IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદના કારણે મુંબઈ બન્યું ‘વર્ચ્યુઅલ ટાપુ’! ત્રણ તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ, હાઈવે બંધ

મહારાષ્ટ્રમાં 3 દિવસના ભારે વરસાદે મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ NDRF ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય હાઈવે ઠપ્પ કરોડોના ખર્ચે બનેલી ‘મિસિંગ લિંક’ પર ભૂસ્ખલન

સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર કાં તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: માત્ર બે મહિના પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ 2 ના એક્ઝિટ પાસે ભારે ભૂસ્ખલન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ ન હોવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘અભૂતપૂર્વ’ ગણાવી હતી, કારણ કે ત્યાં અંદાજે 100 ટન જેટલો કાટમાળ ખડકાયો હતો. જો કે, મોડી સાંજે આ રૂટ ફરી શરૂ કરાયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઈવે: ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.

કોંકણ રૂટ: નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.

ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર માઠી અસર પડી છે. પુણે અને મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી છે, જેથી મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (૮૦૦ વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. નાસિકમાં મંગળવારે ‘ક્લાઉડબર્સ્ટ’ (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર ૮ જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન અને BMC ના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.
નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પર્યટન સ્થળો કે ધોધ નજીક ન જવા અપીલ કરાઈ છે.
ખાનગી ઓફિસોને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) આપવા સલાહ અપાઈ છે, જ્યારે બિન-જરૂરી સરકારી કચેરીઓમાં હાફ-ડે જાહેર કરાયો છે.

July 5, 2026
rain-alert.png
1min68

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અપાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

5/7/206: 8 જિલ્લામાં રેડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ ‘હાઇ વેવ એલર્ટ’ એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

June 23, 2026
image-14.png
1min158

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

June 15, 2026
gujarat-police.jpg
1min186

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / હથિયારી પોલીસ કોન્સ્ટેબલ / જેલ સિપાઇ /એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની કુલ 12,733 પોસ્ટ માટે આજે 14 જૂનના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ મળી કુલ-7 શહેરોના મળીને કુલ 879 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. જેમાં, શિક્ષણ વિભાગના આશરે 17000 જેટલા અને પોલીસ વિભાગના આશરે 9000 જેટલા અધિકારી / કર્મચારીઓ દ્વારા ફરજ બજાવી હતી.

આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એ હેતુ દરેક જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાએથી તથા પોલીસ કમીશ્નર વિસ્તારમાં આઇ.જી.પી./ડી.આઇ.જી.પી. કક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં કુલ 19 જેટલા આઇ.પી.એસ. અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાનું CCTV રેકોર્ડીંગ તેમજ લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફીકેશન પણ કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષામાં કુલ 2,63,345 પૈકી, આશરે 2,40,000 ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારોના સરેરાશ 91% ઉમેદવારોએ હાજર રહીને પરીક્ષા આપી હતી. આમ આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. હાલ બોર્ડ દ્વારા દરેક ઉમેદવારોની OMR શીટની સ્કેનીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 24 કલાકમાં પરીક્ષામાં ભાગ લીધેલ તમામ ઉમેદવારોની સ્કેન કરેલ OMR શીટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે નહિ વધારે અઘરું કે નહિ વધારે સહેલું પણ એકંદરે સંતુલિત અને ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસનારું રહ્યું હતું. પ્રશ્નપત્રના વિષયવાર વિશ્લેષણ પર નજર કરીએ તો, ગણિત (Mathematics) અને રીઝનિંગ (Reasoning) વિભાગને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં કોડિંગ-ડીકોડિંગ , બેઠક વ્યવસ્થા (પઝલ) , લોહીના સંબંધો , નફો-નુકસાન , લ.સા.અ.-ગુ.સા.અ. , સંભાવના , અને સમય-અંતર-ઝડપને લગતા ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછાયા હતા.

આ ઉપરાંત, ઉમેદવારોની ભાષાકીય અને આકલન શક્તિની ચકાસણી કરવા માટે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ , પર્યાવરણ પ્રદૂષણ , સનદી સેવાઓ અને ગુપ્તચર સંસ્થા ‘રો’ (RAW) આધારિત લાંબા ફકરાઓ (Comprehension) મૂકવામાં આવ્યા હતા , જેના આધારે પ્રશ્નોના જવાબો શોધવાના હતા.

બીજી તરફ, સામાન્ય જ્ઞાન (GK) અને બંધારણ (Constitution) વિભાગમાં પણ પ્રશ્નોનું સ્તર ઘણું પ્રભાવશાળી જોવા મળ્યું હતું. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો , કટોકટીની જોગવાઈઓ , સંસદીય સમિતિઓ અને ન્યાયતંત્રને લગતા પ્રશ્નો વિગતવાર પૂછવામાં આવ્યા હતા.

ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની લોકસંસ્કૃતિ , આદિવાસી મેળાઓ , ભવાઈ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિકારી ઘટનાઓ જેમ કે કાકોરી ટ્રેન લૂંટ અને ભગતસિંહ પર વિશેષ ભાર મૂકાયો હતો. ભૂગોળમાં ખડકો , જ્વાળામુખી અને નદીઓ તેમજ વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો (Current Affairs) માં વર્ષ 2026ના અંદાજપત્રની જોગવાઈઓ , રાષ્ટ્રીય પુરસ્કારો અને નવીન સરકારી યોજનાઓ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

June 9, 2026
image-6.png
1min110

સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ચાલી રહેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં Date 7 June 2026 રવિવારે સ્ટેજ પાસે આવીને કેટલાક લોકો ધૂણતા તેમ જ એક મહિલાએ ધૂણતાં- ધૂણતાં આસપાસમાં ઊભેલા લોકો પર હુમલો કરતાં હોબાળો થયો હતો અને વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં લોકો ધૂણતા હોય એવા વિડિયો વાઇરલ થયા હતા જેના કારણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. આ મુદ્દે વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી.

સ્ટેજ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક બોલી રહ્યા હતા એ દરમ્યાન સ્ટેજની સામે કેટલીક મહિલાઓ, પુરુષો અને બાળક આવીને ધૂણવા માંડ્યાં હતાં. ધૂણતાં-ધૂણતાં કેટલાક લોકો ચીસો પાડતા હતા તો કેટલાક લોકો રડતા હતા. એટલું જ નહીં, કેટલાક જમીન પર આળોટતા હતા. ધૂણતા લોકોના વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર હુમલો કર્યો હતો. એક પત્રકાર પર પણ આ મહિલાએ હુમલો કર્યો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો. જોકે લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતમાં ગેરકાયદે છે : પુરુષોત્તમ પીપળિયા

રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતના પ્રવર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે છે તો શા માટે પોલીસ નથી રોકતી એને? શા માટે પ્રશાસન નથી રોકતું? શા માટે કલેક્ટર તંત્ર સરકારનું ધ્યાન દોરતી નથી? અને આવા ડખાળા થવા દે છે.’

બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું : મંગેશ દેસાઈ

કથાના આયોજકો પૈકીના મંગેશ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા મંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપ્યું નહોતું ધૂણવા માટે.’

May 17, 2026
image-11.png
1min200

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

May 17, 2026
image-10.png
1min84

અમદાવાદ ના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવારથી નવા સમયપત્રકનો અમલ થશે.

રાજ્ય સરકારની અપીલ અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધી દોડશે. જાહેર પરિવહનને (Public Transport) વધુ પ્રોત્સાહન આપવા અને મોડી રાત્રે મુસાફરી કરતા નોકરિયાતો તેમજ નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લી ટ્રેનનો સમય 11 વાગ્યા સુધી વધારી દેવાયો

વસ્ત્રાલ ગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે ઉપડતી હતી. જેને હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાઈ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. એપીએમસીથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10.10 વાગ્યે ઉપડતી હતી, જેને હવે 11.10 વાગ્યા સુધી જયારે કોટેશ્વરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી વધારી દેવાયો છે.

ઇંધણ બચાવવા સરકારન નિર્ણય

કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અગાઉ સાંજે 7.43 વાગ્યે હતી, જેને હવે રાત્રે 9.20 વાગ્યા સુધી લંબાવાઈ છે. તે જ રીતે મહાત્મા મંદિરથી કોટેશ્વર અને એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી અપડાઉન કરનારા તેમજ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને ફાયદો થશે. ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલ ગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે.

એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.

May 11, 2026
image-8.png
1min214

સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ ટેક્સ ચોરી અને છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરત સ્થિત “સદ્દગુરુ શિવમ ટ્રાવેલ્સ” ના માલિક અજયકુમાર વામજા સરકારી ટેક્સ બચાવવા માટે પોતાની અલગ-અલગ પેસેન્જર બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર લગાવીને ગેરકાયદેસર રીતે પરિવહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસની ટીમે કડોદરા ખાતેથી નાશિક-સુરત રૂટની બસને અટકાવી હતી. આ જ સમયે બાતમી મળી હતી કે આ જ નંબરની બીજી બસ અમરેલીથી સુરત તરફ આવી રહી છે, જેથી પોલીસે સુરત શહેરમાં રેઈડ કરી બીજી બસ પણ ઝડપી પાડી હતી. આશ્ચર્યજનક રીતે, બંને બસોમાં એક જ રજીસ્ટ્રેશન નંબર હોવા ઉપરાંત તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે પણ ચેડા કરી તેને એકસરખા બનાવ્યા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સરકારને લાખો રૂપિયાનો પેસેન્જર ટેક્સ ન ચૂકવવો પડે તે માટે માલિક દ્વારા આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.

આ કામગીરીમાં પોલીસે બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (રહે. ભાવનગર) ની ધરપકડ કરી છે, જ્યારે ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા (રહે. વરાછા, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બંને લક્ઝરી બસો જપ્ત કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

May 6, 2026
SS_Logo_Red-1280x986.png
6min651

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-10 (SSC)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે ગત વર્ષ 2025ના 83.08% પરિણામની સરખામણીએ 0.78%નો સાધારણ સુધારો દર્શાવે છે. જોકે, સૌથી આશ્ચર્યજનક અને આનંદદાયક પાસું ‘A1’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો તોતિંગ વધારો છે.

પરિણામના આંકડા અને તુલનાત્મક અભ્યાસ

આ વર્ષે પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષે (2025) 7,46,892 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા છતાં પરિણામની ટકાવારી ઊંચી જવી એ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સૂચવે છે.

મેધાવી વિદ્યાર્થીઓનો દબદબો: A1 ગ્રેડમાં ઉછાળો

આ વર્ષના પરિણામની સૌથી મોટી હાઈલાઈટ ‘ગ્રેડ વાઈઝ સિદ્ધિ’ છે. વર્ષ 2026માં કુલ 35,508 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે આ સંખ્યા 28,055 હતી. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આશરે 7,453 વધુ વિદ્યાર્થીઓએ ટોચનો ગ્રેડ હાંસલ કર્યો છે. તેવી જ રીતે, ‘A2’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 86,459 થી વધીને 90,863 થઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ગુણવત્તાલક્ષી દેખાવ વધ્યો છે.

જિલ્લાવાર દેખાવ: નર્મદા જિલ્લો મોખરે

જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2026માં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લો 89.29% સાથે મોખરે હતો. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું (76.42%) રહ્યું છે, જોકે ગત વર્ષના સૌથી ઓછા પરિણામ ધરાવતા ખેડા જિલ્લા (72.55%) કરતા આ આંકડો ઘણો સારો છે.

કેન્દ્રની વાત કરીએ તો, ગાંધીનગર જિલ્લાનું ‘આજોલ’ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં સર્વોત્તમ રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું ‘મુનખોસલા’ કેન્દ્ર 33.74% પરિણામ સાથે સૌથી પાછળ રહ્યું છે.

શાળાઓનું પ્રદર્શન: 100% પરિણામ ધરાવતી શાળાઓ વધી

રાજ્યની શાળાઓના પ્રદર્શનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે:

  • 100% પરિણામ ધરાવતી શાળાઓ: ગત વર્ષે 1,574 શાળાઓનું પરિણામ સો ટકા હતું, જે આ વર્ષે વધીને 1,697 થયું છે.
  • ઝીરો ટકા પરિણામ: શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 45 થી ઘટીને 39 થઈ છે, જે શિક્ષણ વિભાગ માટે રાહતના સમાચાર છે.
  • 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં પણ ઘટાડો થયો છે (201 થી ઘટીને 164).

પુનરાવર્તિત અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ

નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત, પુનરાવર્તિત (Repeater) વિદ્યાર્થીઓનું પરિણામ 33.53% આવ્યું છે, જે ગત વર્ષના 32.26% કરતા વધુ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ના વિદ્યાર્થીઓના પરિણામમાં પણ આંશિક સુધારો જોવા મળ્યો છે, જે 27.18% થી વધીને 28.22% નોંધાયું છે.

નિષ્કર્ષ

સમગ્ર રીતે જોતા, 2026નું ધોરણ-10નું પરિણામ શૈક્ષણિક પ્રગતિનું પ્રતીક છે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 989 થી વધારીને 1,006 કરવામાં આવી હતી, જે વ્યવસ્થાપનની સરળતા દર્શાવે છે. A1 અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓની વધતી સંખ્યા ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને ઉચ્ચ અભ્યાસ માટે નવી તકોના દ્વાર ખોલશે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, અને જેઓ પાછળ રહી ગયા છે તેમને પૂરક પરીક્ષા દ્વારા ફરી તક આપવામાં આવશે.

૧. નર્મદા જિલ્લો: રાજ્યમાં અવ્વલ (૯૦.૮૫%)

સામાન્ય રીતે મોટા શહેરો કે જે શૈક્ષણિક હબ ગણાય છે (જેમ કે અમદાવાદ કે રાજકોટ) તે મોખરે રહેતા હોય છે, પરંતુ ૨૦૨૬માં નર્મદા જિલ્લાએ બાજી મારી છે:

  • ઐતિહાસિક સિદ્ધિ: ગત વર્ષે (૨૦૨૫) બનાસકાંઠા જિલ્લો ૮૯.૨૯% સાથે પ્રથમ હતો. આ વર્ષે નર્મદા જિલ્લાએ ન માત્ર પ્રથમ સ્થાન મેળવ્યું છે, પરંતુ રાજ્યની સરેરાશ (૮૩.૮૬%) કરતા પણ ૭% જેટલું ઊંચું પરિણામ આપ્યું છે.
  • ગરીબ અને ગ્રામીણ વિસ્તારોનો દબદબો: નર્મદા જેવા આદિવાસી બહુલ જિલ્લાનું આ પ્રદર્શન સૂચવે છે કે છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની મહેનત વધી રહી છે.

૨. A1 ગ્રેડ: રેકોર્ડબ્રેક સફળતા

A1 ગ્રેડ મેળવવો એટલે કે ૯૦% થી વધુ ગુણ મેળવવા. આ વર્ષે તેમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે:

  • આંકડાકીય તફાવત: ૨૦૨૫માં ૨૮,૦૫૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા, જે ૨૦૨૬માં વધીને ૩૫,૫૦૮ થયા છે. આ લગભગ ૨૬% નો વધારો છે.
  • આનું કારણ શું હોઈ શકે?
    • વિદ્યાર્થીઓમાં વધેલી સ્પર્ધાત્મકતા.
    • પરીક્ષા પદ્ધતિમાં થયેલા અનુકૂળ ફેરફારો.
    • ડિજિટલ લર્નિંગ અને સંસાધનોની સુલભતા.

૩. ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ

આ વર્ષે ૧,૬૯૭ શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. ૨૦૨૫માં આવી ૧,૫૭૪ શાળાઓ હતી. આ વધારો દર્શાવે છે કે શાળાઓ હવે માત્ર પાસ થવા પર નહીં, પણ ગુણવત્તાયુક્ત પરિણામ લાવવા પર ધ્યાન આપી રહી છે.


તુલનાત્મક સારાંશ (૨૦૨૫ vs ૨૦૨૬):

વિગત૨૦૨૫૨૦૨૬
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લોબનાસકાંઠા (૮૯.૨૯%)નર્મદા (૯૦.૮૫%)
૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ૧,૫૭૪૧,૬૯૭
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ૨૮,૦૫૫૩૫,૫૦૮

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાનો તુલનાત્મક અભ્યાસ

ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓએ (સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ) સરેરાશ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ સાત જિલ્લાઓમાં સુરત જિલ્લો 86.04% સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોખરે રહ્યો છે, જ્યારે નર્મદા જિલ્લો 90.85% (રાજ્યમાં પ્રથમ) હોવા છતાં સુરતની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ સુરતનો દબદબો વધુ જણાય છે. ભરૂચ (84.15%) અને નવસારી (84.61%) જિલ્લાઓએ પણ ગૌરવશાળી પ્રદર્શન કર્યું છે. તાપી જિલ્લો 83.22% અને વલસાડ 79.80% પરિણામ સાથે મધ્યમ સ્તરે રહ્યા છે. ડાંગ (આહવા) જિલ્લાએ ભૌગોલિક પડકારો છતાં 88.17% જેવું ઊંચું પરિણામ લાવીને સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર રીતે જોતા, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ રાજ્યના સરેરાશ પરિણામ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે.

સુરત જિલ્લાનું શાનદાર પ્રદર્શન: આંકડાની દ્રષ્ટિએ વિશ્લેષણ

સુરત જિલ્લાએ આ વર્ષે તેની શૈક્ષણિક ગુણવત્તાનો પરચો આપતા 86.04% પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામની વિશેષતા એ છે કે સુરતમાં રાજ્યના સૌથી વધુ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 70,254 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (EQC) થયા છે. સૌથી મહત્વની બાબત ‘A’ ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યા છે. સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ 6,475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13,534 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે સુરત માત્ર વેપારનું જ નહીં, પરંતુ શિક્ષણનું પણ પાવરહાઉસ બની રહ્યું છે. ગત વર્ષના પરિણામની તુલનામાં સુરતે તેની ગરિમા જાળવી રાખી છે અને વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે.

સુરત જિલ્લો: રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા શા માટે ચઢીયાતો?

૧. મેધાવી વિદ્યાર્થીઓનો ગઢ: A1 અને A2 ગ્રેડમાં એકહથ્થુ શાસન

સુરતની સૌથી મોટી તાકાત તેના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. આખા રાજ્યમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ સુરત જિલ્લાના ફાળે ગયા છે.

  • A1 ગ્રેડ: સુરતમાં ૬,૪૭૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેની સરખામણીએ અમદાવાદ સિટી (૧,૭૫૫) અને રાજકોટ (૪,૨૬૨) જેવા મોટા શહેરો ઘણા પાછળ છે.
  • A2 ગ્રેડ: અહીં ૧૩,૫૩૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે રાજ્યમાં સર્વોચ્ચ છે.
  • આ સાબિત કરે છે કે સુરતમાં માત્ર પાસ થવાનું પ્રમાણ જ નથી, પણ ‘ટોપર’ બનવાનું પ્રમાણ પણ અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે.

૨. સૌથી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં ઊંચું પરિણામ

કોઈપણ જિલ્લા માટે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધે ત્યારે પરિણામની ટકાવારી જાળવવી પડકારજનક હોય છે.

  • સંખ્યાનું ગણિત: સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ૮૧,૬૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
  • આટલી મોટી સંખ્યા હોવા છતાં સુરતે ૮૬.૦૪% જેવું ઊંચું પરિણામ મેળવ્યું છે. તેની સરખામણીએ અમદાવાદ સિટી (૭૯.૯૯%) અને વડોદરા (૭૮.૩૮%) જેવા મોટા જિલ્લાઓ પાછળ રહી ગયા છે.

૩. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં રાજ્યમાં પ્રથમ

જો આપણે ટકાવારીને બાજુ પર મૂકીને સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ, તો સુરત અજેય છે.

  • સુરતમાંથી કુલ ૭૦,૨૫૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
  • રાજ્યના ઘણા નાના જિલ્લાઓના કુલ વિદ્યાર્થીઓ કરતા પણ સુરતના પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ આંકડો સુરતની શૈક્ષણિક ક્ષમતાનો પુરાવો છે.