કેન્દ્ર સરકારે ગુજરાતને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ વધુ બે મહત્વકાંક્ષી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરત ખાતે સ્થપાવવાના છે, જે દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઈક્રો-LED ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ હશે. આ બંને પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે અને તેનાથી અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની તકો ઊભી થશે.
મળતી વિગતો અનુસાર, ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે. આ એકમમાં ગેલિયમ નાઈટ્રાઈડ ટેકનોલોજી આધારિત મિની/માઈક્રો-LED ડિસ્પ્લે મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વાફર્સની રહેશે. અહીં તૈયાર થનારા ઉત્પાદનોનો ઉપયોગ સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, ઇન-કાર ડિસ્પ્લે તેમજ સ્માર્ટ વોચ અને એક્સટેન્ડેડ રિયાલિટી (XR) ગ્લાસ જેવા આધુનિક ઉપકરણોમાં કરવામાં આવશે.
બીજી તરફ, સુરત ખાતે સુચી સેમીકોન પ્રાઈવેટ લિમિટેડ (SSPL) દ્વારા ‘આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ’ (OSAT) ફેસિલિટી શરૂ કરવામાં આવશે. આ યુનિટ વાર્ષિક 1,033.20 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આ ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ IC અને ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સમાં થશે, જે ખાસ કરીને ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરશે. સુરત અને ધોલેરાના આ પ્રોજેક્ટ્સથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનશે.
આ બે નવી મંજૂરીઓ સાથે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે, જેમાં કુલ રોકાણ રૂ. 1.64 લાખ કરોડને પાર કરી ગયું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 315 શૈક્ષણિક સંસ્થાઓ અને 104 સ્ટાર્ટ-અપ્સને ચિપ ડિઝાઇન માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાંથી બે એકમોએ ભારતીય બજારમાં કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરી દીધું છે અને અન્ય બે પ્રોજેક્ટ્સ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
ર ફેસિલિટીને મંજૂરી આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વાડીનાર ખાતે નવી શિપ રિપેર ફેસિલિટી (જહાજ સમારકામ સુવિધા) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દીનદાયલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1,570 કરોડનું મોટું રોકાણ કરવામાં આવશે. આ નવી સુવિધાથી ગુજરાતના દરિયાકાંઠે જહાજોના સમારકામની ક્ષમતામાં વધારો થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
:: મુખ્યમંત્રી ::
કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.
ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.
રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાનથી વિવિધ સેક્ટર્સના સર્વગ્રાહી વિકાસનો ધ્યેય રાખ્યો છે.
સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે.
* સુરત જળ, જમીન અને હવાઈ કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ધરાવતું વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી-:
ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે રાજ્ય સરકાર:
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા મળશે
ગુજરાત દેશના કુલ જીડીપીમાં ૮.૨ ટકા યોગદાન સાથે અગ્રેસર: રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન ૨૦૪૭ * સુધીમાં ૨૦ ટકા સુધી લઈ જવાનું સરકારનું લક્ષ્ય
* ઔદ્યોગિક ઇન્સેન્ટીવ માટે હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે, સરકારે પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે
વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ વચ્ચે પણ ભારત અડગ: છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં ઈંધણના ભાવમાં કોઈ વધારો નહીં: હરદીપસિંહ પુરી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ:-
સુરતના ઉદ્યોગોએ દેશના સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સમાં પાયાનું યોગદાન આપ્યું છે:
* દુનિયાનો સૌથી ઊંચો ‘ચેનાબ રેલ બ્રિજ’ અને સંરક્ષણ ક્ષેત્રની આધુનિક તોપોના નિર્માણમાં સુરતના ઉદ્યોગોનું ગૌરવભર્યું યોગદાન
દક્ષિણ ગુજરાત રિજીયનના પાંચ જિલ્લાઓમાં નિર્માણ પામનાર ૮ નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
સુરતના ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ત્રીજી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.
તેમણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં આવી અગાઉ યોજાયેલી બે VGRCની સફળતાનો સંદર્ભ આપતા ઉમેર્યું કે, ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.
દક્ષિણ ગુજરાત રીજીયનની VGRCમાં સુરત સહિત તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વિકાસની ક્ષમતાઓ અને સંભાવનાઓને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું જે પોટેન્શિયલ રહેલું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે એમ પણ ઉમેર્યું કે, સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં વીસ ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશે તેવા અંદાજ સાથે નીતિ આયોગના માર્ગદર્શનમાં સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ, વગેરેથી જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અવસરે શરું થયેલી દક્ષિણ ગુજરાત પ્રદેશની આ VGRCને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં રાજ્યમાં ૨૦૦૧ પછી થયેલા ટ્રાન્સફોર્મેશન અને વિકાસના નવા સીમાચિહ્નનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના ઉત્તરોત્તર અપ્રતિમ વિકાસની પ્રસ્તુતિ કરતા કહ્યું કે, આજે દેશના કુલ કાર્ગોના ૪૦ ટકા હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. એટલું જ નહી, ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં 18 ટકા અને રિન્યુએબલ એનર્જીમાં ૧૫ ટકા હિસ્સો ગુજરાત આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક ૯ હજાર કરોડથી વધીને ૧.૫૫ લાખ કરોડ થઈ છે.
આ ઉપરાંત એગ્રિકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યા છે. અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે. વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૪૭ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન ૨૦ જેટલા પ્રાયોરીટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે.
તેમણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લીવીંગ વેલનાં ધ્યેય સાથે ૨૦૪૭નુ ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે.
મુખ્યમંત્રીશ્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ VGRCમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાત રિજીયનમાં સુરત જિલ્લામાં ૨, ભરૂચમાં ૩, વલસાડમાં ૧, તાપીમાં ૧ અને નવસારી જિલ્લામાં ૧ મળી કુલ ૫૩૮૦ એકરમાં નિર્માણ પામનાર ૮ નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનથી સુરત અને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા પ્રાપ્ત થશે. વાઈબ્રન્ટ ગુજરાતને પ્રાદેશિક સ્તરે લઈ જવા માટે હવે રાજ્યના ચાર ઝોનમાં રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની સફળતાના આંકડા રજૂ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૩માં ગુજરાતનો જીડીપી ૧.૨૯ લાખ કરોડ હતો, જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૭.૨૦ લાખ કરોડ થયો હતો. પ્રગતિની આ કૂચ જારી રાખતા વર્ષ ૨૦૨૨-૨૩માં જીડીપી ૨૧.૯૦ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ૨૭.૪ લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે. દેશના કુલ જીડીપીમાં ૮.૨ ટકા યોગદાન સાથે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આ વિકાસયાત્રામાં ઉદ્યોગકારોના અમૂલ્ય ફાળાને તેમણે બિરદાવ્યો હતો.
રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા અંગે વિગતો આપતા શ્રી સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં MSME એકમોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થતા રાજ્યમાં ઐતિહાસિક બદલાવ આવશે. ઉદ્યોગકારો માટે નીતિગત સરળતા અને વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, પ્રોત્સાહક સહાય (Incentive) મેળવવા માટે હવે ઉદ્યોગકારોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ઉદ્યોગ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૫,૬૧૯ કરોડના ઇન્સેન્ટિવનું વિતરણ કરાયું છે, જે અંતર્ગત ગઈકાલે સુરતથી જ ૧૧,૦૦૦ વેપારીઓને રૂ. ૧,૩૦૦ કરોડની સહાય સીધી જ એનાયત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે એમ જણાવી શ્રી સંઘવીએ કહ્યું કે, મહેસાણા VGRC ખાતે રૂ. ૩.૨૪ લાખ કરોડ અને રાજકોટમાં રૂ.૫.૭૮ લાખ કરોડના MOU થયા હતા, ત્યારે સુરત ખાતે પણ વિક્રમી સંખ્યામાં MOU થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સાંકળીને ‘સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન @૨૦૪૭’ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ વર્ષ ૨૦૪૭ સુધીમાં રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનો હિસ્સો ૨૦ ટકા સુધી લઈ જવાનું આયોજન છે.
દક્ષિણ ગુજરાતની વિશેષતા જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશની ૬૦ ટકા સોલાર પેનલ અને સોલાર સેલનું ઉત્પાદન આ વિસ્તારમાં થઈ રહ્યું છે. કુશળ માનવબળ અને પોર્ટ કનેક્ટિવિટીના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. સુરત આજે દેશના ૭૫ ટકા કાપડનું ઉત્પાદન અને નિકાસ કરે છે, તેમજ વિશ્વના દર ૧૦૦માંથી ૯૦ હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. સ્વચ્છતામાં પણ સુરત દેશમાં પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ વ્યક્ત કરતા તેમણે ઉદ્યોગકારોને રાઈઝીંગ સેક્ટરમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારની સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.
આ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯% થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ) ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.
શ્રી પુરીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકો દેશમાં ભાવોની સ્થિરતાને ચૂંટણી સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ૪ વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, તેમ છતાં સરકારની પ્રતિબદ્ધતા સામાન્ય જનતાને રાહત આપવાની રહી છે. સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણયો લેવા સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે.
ગુજરાત ગૌરવ દિવસના પાવન અવસર પર દક્ષિણ ઝોનની ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના પ્રથમવાર યજમાન બનવા બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં શરૂ થયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટની સફળતાને પગલે આજે ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.
સુરતના ઉદ્યોગોની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’માં સુરતની AM/NS કંપની દ્વારા ઉત્પાદિત અત્યંત મજબૂત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રની સુરક્ષા માટે હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં તૈયાર થયેલી આધુનિક તોપો (K9 વજ્ર) દેશની સરહદોનું રક્ષણ કરી રહી છે. આ બાબત માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા જળસંચય જાગૃતિ ખૂબ જરૂરી છે. જાગૃત્ત દેશવાસીઓએ લોકભાગીદારીથી ૭૦ લાખથી વધુ જળ સ્ટ્રક્ચર બનાવ્યા છે. જેનાથી ૨ બીસીએમ વધુ જળસંચય કરી શકાયું છે. આજે ૮૩ ટકા પાણી એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવાય છે જયારે ૧૪ ટકા પાણી જનસમુદાયોમાં તેમજ ૨.૫ ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેમણે ભૂગર્ભમાંથી પાણીને બિનજરૂરી ન ઉલેચવા અને કુદરતી જળસ્ત્રોતોને બચાવી જળસંગ્રહ કરવા ઔદ્યોગિક એકમોને આહવાન કર્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ટર્શરી ટ્રીટેડ વોટર વેચીને વર્ષ દહાડે ૩૦૦થી વધુ કરોડની આવક મેળવતી હોવાનું અને સુરતે આગામી ૫૦ વર્ષ માટે પાણીની જરૂરિયાત માટેનું નક્કર ભવિષ્યલક્ષી આયોજન કર્યું હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરતના સાહસિક ઉદ્યોગકારો અને તેમની કાર્યક્ષમતાને કારણે જ આજે મોટા વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં સુરતની મજબૂત ભાગીદારી જોવા મળી રહી છે. આગામી સમયમાં આ રિજનલ કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભારત ખાતેના જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઈચી ઓનોએ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષાથી કરતાં જણાવ્યું કે, 2009માં જાપાન પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગીદાર દેશ તરીકે જોડાયું ત્યારથી અમે સતત ગુજરાતના પાર્ટનર કન્ટ્રી રહ્યા છીએ, તેનું અમને ખૂબ ગૌરવ છે. તેમણે કહ્યું કે, સુરત એ ભારતના અગ્રણી વ્યાપારી શહેરોમાંનું એક છે, તેમજ ડાયમંડ પ્રોસેસિંગના વૈશ્વિક કેન્દ્ર સ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જાપાન – ભારતના સંબંધોના સંદર્ભમાં હાઇસ્પીડ રેલવે ટ્રેન પ્રોજેક્ટના મહત્વના હબ તરીકે પણ સુરતનું ખૂબ મહત્વ છે.
તેમણે કહ્યું કે, “સુરત જેવા મહત્વપૂર્ણ શહેરમાં આ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન ખૂબ ઉલ્લેખનીય છે. સુરત તેમજ ગુજરાત રાજ્યના વધુ સમૃદ્ધ આર્થિક વિકાસ માટે જાપાન સદા સમર્થન આપતું રહેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સ્ટીલ પ્લાન્ટમાં કુલ રોકાણ રૂ.1.4 ટ્રિલિયન છે, અને તેના થકી લગભગ 40 હજારથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટ દ્વારા 7.2 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન થયું છે અને તેને નજીકના ભવિષ્યમાં 15 મિલિયન ટન સુધી વધારવામાં આવશે.
સેમિકન્ડક્ટર સેક્ટર અંગે તેમણે કહ્યું કે, આ ક્ષેત્રે સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચેનો સહયોગ સતત વધી રહ્યો છે, ત્યારે જાપાન પણ ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવાના દેશના સપનાને સાકાર કરવામાં, અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેનું ઉત્પાદન કરવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ પ્રદાન કરશે.
તેમણે કહ્યું કે, હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સુરત એક મેજર હબ છે, અને જાપાન સરકાર તેનું મજબૂતીથી સમર્થન કરી રહી છે. નજીકના ભવિષ્યમાં આ શહેરમાં આકાર પામી રહેલા જાપાન-ઇન્ડિયા જોઇન્ટ પ્રોજેક્ટના નક્કર પરિણામો આપણને જોવા મળશે.
તેમણે જણાવ્યું કે, મારૂતિ સુઝુકી ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટેના એક પ્લાન્ટના કન્સ્ટ્રક્શન પર કામ કરી રહી છે. આ પહેલથી માત્ર પર્યાવરણ પરની અસર જ નથી ઘટાડતી, પરંતુ ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા વધારે છે તેમજ ખેડૂતો માટેની આજીવિકા વધારવામાં પણ યોગદાન આપે છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતના કારણે બંને દેશો વચ્ચેની આ વિશેષ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીએ એક નવા યુગના સુવર્ણ પ્રકરણમાં પ્રવેશ કર્યો છે. આગામી 2027નું વર્ષ, જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 75મું વર્ષ છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે, હું આ વિશેષ વર્ષ 2027ની ઉજવણી માટે ભારતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વેપારી સમુદાયો સાથે મળીને ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવા માંગુ છું. 75મા વર્ષને ખરેખર યાદગાર અને ખાસ બનાવવા માટે હું ગુજરાત રાજ્ય સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સાઈમન વોંગ એ સૌનું ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સના દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જોડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે.
ગત વર્ષે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવીને વ્યુહાત્મક રીતે ઉચ્ચ સ્તરે લઈ ગયા છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં સિંગાપોર તરફથી સૌથી વધુ એફડીઆઈ નોંધાવવામાં આવ્યું છે. ૨૦૧૪ થી અત્યારસુધી નું ભારતમાં ક્યુમ્યુલેટિવ એફડીઆઈ ૧૭૯ બિલિયન ડોલરનું છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ભારતમાંથી સિંગાપુરમાં થતા નિકાસમાંથી ૧૫ ટકા ગુજરાતમાંથી આવે છે.
આજે આ કોન્ફરન્સ સુરતમાં છે તો જણાવ્યું કે ૧૦૦ મિલિયન ડૉલર મૂલ્યના હીરા સુરતથી સિંગાપોર એક્સપોર્ટ થાય છે. ચારમાંથી એક ડેનિમ જીન્સ સુરતથી આવે છે.
અમે ધોલેરા,ગિફ્ટ સિટી અને સાણંદમાં સેમિકન્ડક્ટર અને ફાઈનાન્સ ક્ષેત્રમાં આગળ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.
નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સતત સિંગાપુરની મુલાકાત લીધી છે. તેથી આ સબંધ લાંબા સમયથી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઇવેન્ટમાં સિંગાપોર અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ગૌરવ સમાન ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌએ ‘વાઇબ્રન્ટ ગુજરાત તેમજ વિકસિત ગુજરાતની થીમ સાથે રાજયના વિકાસનું વિઝન રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, જાપાનના રાજદૂત એચ.ઈ. શ્રી કેઈચી ઓનો, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નોબુઓ ઓકોચી, ASSOCHAMના અધ્યક્ષશ્રી નિર્મલ મિંડા, રવાન્ડાના હાઈ કમિશનર શ્રી જેકલીન મુકાનગીરા, યુક્રેનના હાઈ કમિશનર એલેકઝાન્ડર, રાજ્ય સરકારના મંત્રી સર્વશ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પ્રદ્યુમનભાઈ વાજા, નરેશભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, ડો.જયરામભાઈ ગામીત, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, ઉદ્યોગ સચિવ શ્રીમતી મમતા વર્મા સહિત ચૂંટાયેલા વરિષ્ઠ પદાધિકારીઓ, સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, દક્ષિણ ગુજરાતના ડાયમંડ, ટેક્ષટાઇલ સહિતના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, યુવા એન્ટરપ્રિન્યોર્સ, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.
કયા જિલ્લાઓમાં એલર્ટ?
26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.
27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.
તાપમાનનો પારો ક્યાં પહોંચશે?
IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.
યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક અને ફેરબદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
આ નવા નિમણૂક પામેલા અધિકારીઓ હવે સંબંધિત જિલ્લાઓમાં વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને ‘વિકાસશીલ તાલુકાઓ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
કોને ક્યાં જિલ્લામાં મુકલામાં આવ્યાં
વિગતે વાત કરવામાં આવે તો, એમ. થેન્નારસનને અમદાવાદ, શાલિની અગ્રવાલને સુરત, પી. સ્વરૂપને વડોદરા, વિનોદ રાવને ગાંધીનગર, રાજ કુમાર બેનીવાલને કચ્છ, આરતી કંવરને જામનગર, રણજીત કુમાર જે ને મહેસાણા અને પી. ભારતીને વાવ-થરાદ મુકવામાં આવ્યાં છે. આ આદેશમાં અનેક જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આણંદના અવંતિકા સિંહ ઔલખ, બનાસકાંઠાના પ્રવિણા ડીકે, ભરૂચ જિલ્લાના સંધ્યા ભુલ્લર અને મોરબીના રાજેન્દ્ર કુમારનું નામ પણ સામેલ છે.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરના આદેશમાં ઉલ્લેખ ન કરાયેલા જિલ્લાઓમાં હાલના પ્રભારી સચિવ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ફેરબદલનો હેતુ વિકાસ કાર્યોની દેખરેખને મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સંગ્રામ માટે નિર્ણાયક દિવસ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે આજે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારે 7:00 વાગ્યાના ટકોરે મતદાન મથકોના દ્વાર ખૂલતાની સાથે જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી અવિરત ચાલશે, જેમાં રાજ્યના ભવિષ્યનો રોડમેપ નક્કી થશે.
ચૂંટણીના આંકડા અને વ્યાપ
આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના વિશાળ વ્યાપને કારણે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં કુલ મળીને 9,268 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના અંદાજે 4 કરોડ જેટલા નોંધાયેલા મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિને ઈવીએમ (EVM) મશીનમાં સીલ કરશે.
ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા અને વધારાના પોલીસ બળની નિમણૂક કરવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના આ પર્વની ઉજવણી થઈ શકે.
ત્રિપાંખિયો જંગ અને બદલાતા રાજકીય સમીકરણો
પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યનું રાજકીય ચિત્ર બદલાયેલું નજરે પડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અને પ્રચાર અભિયાનની ગતિ જોતા જણાય છે કે મુખ્ય સ્પર્ધા શાસક પક્ષ ભાજપ અને ઉભરતી શક્તિ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોવા મળી રહી છે.
ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપે પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. ‘વિકાસ’ અને ‘ડબલ એન્જિન સરકાર’ના સૂત્ર સાથે ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાના આત્મવિશ્વાસમાં છે.
આમ આદમી પાર્ટી: ‘આપ’ આ વખતે રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂકીને ભાજપને સીધી ટક્કર આપી છે.
કોંગ્રેસ: સૌથી જૂની પાર્ટી હોવા છતાં, કોંગ્રેસ આ વખતે પ્રચારમાં અને લોકમાનસમાં ત્રીજા સ્થાને ધકેલાતી હોય તેવું જણાય છે. જોકે, ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે કોંગ્રેસ હજુ પણ પોતાની પકડ જાળવી રાખવા મથામણ કરી રહી છે.
મતદારોમાં ભારે ઉત્સાહ
વહેલી સવારથી જ યુવાનોથી લઈને વયોવૃદ્ધ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ‘વિકાસ અને પરિવર્તન’ને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે, જ્યારે વડીલો સુવિધા અને શાંતિના મુદ્દે મત આપી રહ્યા છે. અનેક જગ્યાએ વરરાજાઓ લગ્નમંડપે જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
પરિણામની તારીખ
આજે યોજાઈ રહેલા આ મહાકુંભનું પરિણામ આગામી 28મી એપ્રિલ, મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. મંગળવારે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની જનતાએ કોના શિરે સત્તાનો તાજ મૂક્યો છે.
શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે? શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો ઉલટફેર સર્જશે? કે પછી કોંગ્રેસ બધાને ચોંકાવીને ફરી બેઠી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ 28મી એપ્રિલે મળશે. હાલ તો, સમગ્ર ગુજરાતની નજર આજના મતદાનની ટકાવારી અને જનતાના મૂડ પર ટકેલી છે.
ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.
ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
અમરેલી: 43.3°C
રાજકોટ: 43.1°C
અમદાવાદ: 42.1°C
વડોદરા: 41.6°C
ગાંધીનગર: 41.5°C
ભુજ: 41.4°C
સુરત: 40.0°C
માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.
ગુજરાતમાં રવિવાર ને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો ઉપરાંત 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠક માટે 26 એપ્રિલ 2026ને રવિવારે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય જંગ છે. આ સિવાય બીજા નાના નાના પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે.
રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો તો ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે પ્રચાર કરવો જ પડે તેથી એ બધા પોતાની રીતે મથ્યા કરે છે પણ સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ નથી. બધા મળીને 25 હજારથી વધારે ઉમેદવારો મેદાનમાં છે બધાંના સો-સો સમર્થકો ગણીએ તો લગભગ 25 લાખ જેટલા લોકો ચૂંટણીમાં સક્રિય છે તેથી થોડો ઘણો માહોલ લાગે પણ આ માહોલમાં સામાન્ય મતદારોની બહુ ભાગીદારી હોય એવું દેખાતું નથી.
આ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટી છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયતો માટે મતદાન છે તેથી રાજ્યના તમામ મતદારો મતદાન કરશે એ જોતાં તેનો વ્યાપ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો જ છે. ગુજરાતમાં આવતા વરસે એટલે કે 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં રાજકીય પક્ષો માટે આખા રાજ્યમાં પોતાની તાકાતનાં પારખાં કરવાની આ છેલ્લી તક છે ને લોકો માટે પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના ગમા-અણગમા, અસંતોષ, આક્રોશ વગેરે વ્યક્ત કરવાનો આ છેલ્લો મોકો છે.
આ નિરસતાનું મુખ્ય કારણ ગુજરાતમાં સબળ વિપક્ષનો અભાવ છે. ખાસ કરીને કોંગ્રેસ સાવ નબળી સાબિત થઈ છે. ગુજરાતમાં વરસોથી ભાજપ સત્તામાં જામેલો છે પણ લોકોની સમસ્યાઓ તો હજુય યથાવત જ છે. રોડ-રસ્તા, પાણી, ચોમાસામાં પાણી ભરાઈ જવાં સહિતની સ્થાનિક ચૂંટણીઓ માટેની સમસ્યાઓ મોટા પ્રમાણમાં છે પણ વિપક્ષ લોકોની આ સમસ્યાઓને અસરકારક રીતે રજૂ જ નથી કરી શકતો.
અત્યારે ચૂંટણી છે તેથી ઘણે ઠેકાણે મતદારો પોતે જાગૃતિ બતાવીને પોતાની સમસ્યાઓને મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકે છે, ભાજપના કાર્યકરો કે નેતાઓને પોતાના વિસ્તારોમાં નહીં પ્રવેશવા દેવા જેવા નિર્ણયો લે છે ને ઘણે ઠેકાણે તો કામ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના હોદ્દેદારો સામે ઉગ્ર આક્રોશ પણ ઠલવાયો છે.
ખરેખર, આ કામ વિપક્ષે કરવાનું હોય પણ વિપક્ષ નિષ્ફળ ગયો છે. વિપક્ષોએ આક્રમકતાથી પાંચ વરસ લગી લોકોની સમસ્યાઓ ઉઠાવી હોત તો અત્યારે લોકો તેમની પડખે ઊભા રહ્યા હોત. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓને સતત વાચા આપી તેના કારણે મતદારો તેમના પ્રચારમાં સક્રિય છે પણ બધે આ માહોલ નથી. કોંગ્રેસની તરફેણમાં લોકો ઉમટતા જ નથી તેથી ચૂંટણીનો માહોલ જામતો નથી.
ભાજપે અપનાવેલી બિનલોકશાહી રીતરસમો પણ મતદારોની નિરસતાનું એક કારણ છે. ગુજરાતમાં વરસોથી ભાજપનું એકચક્રી શાસન છે અને લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણીઓમાં તો ભાજપનું બુલડોઝર જ ફરી વળે છે. લોકસભામાં છેલ્લી ત્રણ ચૂંટણીમાંથી બે વાર તો ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીને બધી બેઠકો જીતેલી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તા.24મી એપ્રિલને શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની હજારો બેઠકો માટે આગામી ૨૬મી એ્પ્રિલને રવિવારે મતદાન યોજાશે. ૪૮ કલાક પહેલા જાહેર અને સાઉન્ડ સિસ્ટમ સાથેની ચૂંટણી પ્રચાર ઉપર પાબંધી લાગી જતી હોવાથી શુક્રવારે પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ફંડ મોકલવનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનાર પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં 1.25 કરોડ રૂપિયા આંગડિયા મારફતે મોકલાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગત 10મી એપ્રિલના રોજ આંગડિયા મારફતે દિલ્હીથી લાખો રૂપિયા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલવામાં આવ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પીપલોદના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા આકાશ મિશ્રાને બોલાવી પૂછપરછ કરી હતી. જે અંતર્ગત દિલ્હી ખાતેથી હિમાંશુ પાહુજાએ અઠવાડિયા અગાઉ 19 લાખ રૂપિયા સુરત મોકલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ હોવાનું મનાય રહ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે રૂપિયા દિલ્હીથી સુરત રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયા આકાશ મિશ્રા અને અજય તિવારી કર્ડિંગ નેટવર્કમાં રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકેની મહત્ત્વની કડી હોવાનું મનાય છે.
પ્રાથમિક પૂછપરછમાં આકાશ મિશ્રાએ છેલ્લા પાંચથી છ મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી હિમાંશુંએ મોકલાવ્યાની કબૂલાત કરી છે. જેથી પોલીસને આશંકા છે કે, આ ફડિંગનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
દિલ્હી-સુરત વચ્ચેના પોલિટીકલ ફડંગ સિન્ડિકેટમાં સંડોવાયેલો સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રાનો જન્મ સુરતમાં જ થયો છે અને અભ્યાસ પણ અહીં કર્યો છે. પરંતુ થોડા સમય માટે દિલ્હી શીફ્ટ થયો હતો અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ તરીકે કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.
દિલ્હી-સુરત વચ્ચે પોલિટીકલ કડિંગ સિન્ડિકેટ અંતર્ગત 10મી એપ્રિલે મહિધપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢી મારફતે રૂપિયા આવ્યા હતા. પરંતુ પોલીસને આશંકા છે કે, માત્ર અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં જ નહીં પરંતુ અન્ય પેઢી મારફતે પણ ફડિંગ આવ્યું હોવાની આશંકા હોવાથી પોલીસ અલગ અલગ આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરવા સાથે ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.