


જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે. પરંતુ, આ ગેરમાન્યતા છે. સુરતના બિનરાજકીય સામાન્ય વ્યક્તિ, વેપારી, ધંધાર્થી રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે લઇને ફરી શકશે. એવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે.
અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી. આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (cVIGIL) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

ગુજરાત સરકારે રાજ્યમાં ફિલ્મ નીતિ કેટલાક ફેરફારો કરીને ગુજરાતી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને વધુમાં વધુ રાહત અને સહાય આપવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ રૂ.50 લાખ મળતાં હતાં, આ કેટેગરીની ઉપર હવે એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને સબસિડીની રકમ રૂ.50 લાખમાંથી વધારીને રૂ.75 લાખ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
ફિલ્મો માટે ઓછામાં ઓછી સબસિડીની રકમ રૂ.5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ રૂ.5 લાખ છે પરંતુ પ્રથમ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો રૂ.5 લાખ મળતાં હતાં હવે કોઈ ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે. નવી પોલિસીમાં જે બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ મળશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બન્નેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.
સરકારે એક મહત્વનો ફેરફાર ટિકિટ વેચાણ પરથી મળતા માર્કસ પર પણ કર્યો છે સબસિડી માટે 100 માર્કસમાંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવશે અગાઉ બે લાખ ટિકિટ વેંચાય તો 20 માર્કસ મળતાં હતાં જે હવે 50 હજાર ટિકિટનો વેચાણ પર પણ મળશે. અગાઉ 100માંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પર મેળવવાના રહેતા હતાં જે હજુ પણ એમ જ છે એટલે કે, 20 માકર્સ ટિકિટ વેચાણના તો છે પણ પહેલા 10 હજાર ટિકિટે 1 માકર્સ ગણવામાં આવતો હતો હવે 2500 ટિકિટે એક માર્ક ગણવામાં આવશે. વધુમાં 21 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળી નથી તેઓને રૂ.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે. આમ જૂની નીતિની નડતરરૂપ જોગવાઈઓને રદ્દ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડી કેટલી મળશે
કેટેગરી 2019 2016
એ પ્લસ ગ્રેડ 75 લાખ નવો ગ્રેડ ઉભો કરાયો
એ ગ્રેડ 50 લાખ 50 લાખ
બી ગ્રેડ 40 લાખ 25 લાખ
સી ગ્રેડ 30 લાખ 10 લાખ
ડી ગ્રેડ 20 લાખ 5 લાખ
ઈ ગ્રેડ 10 લાખ નવો ગ્રેડ
એફ ગ્રેડ 5 લાખ નવો ગ્રેડ
કોંગ્રેસનો હાથ છોડીને તા.8મી માર્ચ 2019ના મહિલા દિવસે જ ભાજપામાં પ્રવેશ કરનારા ધારાસભ્ય જવાહર ચાવડાની આ સ્પીચ સાંભળી લેશો એટલે ખબર પડી જશે કે રાજકારણ એટલે શું પોલિટીક્સમાં કોઇ નીતિ મત્તા હોતી નથી એટલે પોલિટીશ્યનમાં ક્યાંથી અપેક્ષા રાખી શકાય.

આ ભાઇ કોંગ્રેસના ધારાસભ્ય અને તા.8મી માર્ચે જ કોંગ્રેસ છોડીને ભાજપામાં આવેલા જવાહરભાઇ ચાવડા છે
નીચેના વિડીયોમાં એ જ ધારાસભ્ય છે જે છેલ્લા 24 વર્ષોથી ભાજપાને, નરેન્દ્ર મોદીને, અમીત શાહને નકરી ગાળો જ દઇ રહ્યા હતા, એ જ જવાહર ચાવડા છેલ્લા 24 કલાકથી (આજે તા.9મી માર્ચ 2019) ભાજપાની વાહવાહી કરી રહ્યા છે. આ જ બાબત પ્રતીતિ કરાવે છે કે પોલિટીક્સમાં બધું જ શક્યા છે. નવાઇ પામે તે નવરા..
2014ની ચૂંટણીમાં કોંગ્રેસના આ તત્કાલિન નેતા અને આજે ભાજપાના નેતા બની ચૂકેલા જવાહર ચાવડાએ આ ધારદાર સ્પીચ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શું બદબોઇ કરી હતી, હવે આ જ જવાહર ચાવડા નરેન્દ્ર મોદીની વાહવાહી કરતા પણ ખચકાશે નહીં. ફેસબુક પર આ વિડીયો હાલ ભારે વાઇરલ થયો છે અને કોંગ્રેસી કાર્યકરો જવાહર ચાવડા પર ભારે પસ્તાળ પાડી રહ્યા છે.
જવાહર ચાવડાની 2014ની ઇલેક્શનની મજેદાર સ્પીચ સોશિયલ મીડિયામાં વાઇરલ#jawaharchavda #generalelection2019 #narendramodi
Posted by Gujarat Samachar on Friday, 8 March 2019
Jayesh Brahmbhatt : 9825344944
રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

મહેસૂલ પ્રધાને ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.
કૌશિકભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.
હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં
(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,
(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,
(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,
(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત કરવું,
(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,
(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,
(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,
(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.
Paper Review HSC ફિઝિક્સ
બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.
ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.
Paper Review HSC અકાઉન્ટન્સી
ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.
Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ
આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.
Paper Review SSC
પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.
ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.
વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.


જયેશ બ્રહ્મભટ્ટ
તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.
આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.
આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.
