રાજ્યમાં આગામી ઉનાળાના સમયમાં ગરમી સાથે પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ અત્યારથી જ વર્તાય રહ્યા છે. સૌથી દુષ્કર પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થાય તેમ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે 45.51 ટકા જળસ્તર છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે રાજ્યના 65 જળાશયો તળિયાઝાટક થઇ ગયા છે. ઉનાળા અગાઉ જ આવી હાલત છે તો ઉનાળા મધ્યે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

રાજ્યસરકારે ખેડૂતોને સિંચાઇનું પાણી પર રોક લગાવીને માત્ર પીવાના પાણી માટે જળાશયોના પાણીને અનામત રાખવાના આદેશો આપી દીધા છે. આ વખતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા સિઝનનો માંડ 76 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું હતું.
ગુજરાતમાં હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્યના 203 જળાશયોમાં હવે સરેરાશ માત્ર 31.92 ટકા જ પાણી રહ્યું છે. જળસંપત્તિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દુષ્કર સ્થિતિ સર્જાઇ છે. જ્યારે 138 જળાશયોમાં સરેરાશ 16.31 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં હાલ માત્ર 17.23 ટકા જળસ્તર નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.56 ટકા , દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.94 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 56.39 ટકા જળસ્તર રહ્યું છે. ગુજરાતના કુલ 203 જળાશયોમાં કુલ 15760 મિલિયન ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશ્કિત સામે હાલની સ્થિતિએ માત્ર 5030 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. જે કુલ જથ્થાના 31.92 ટકા છે. આ પૈકી 3910 મિલિયન ક્યુબીક મીટર એટલે કે કુલ જથ્થાના 26.82 ટકા પાણીનો જથ્થો ઉપયોગમાં લાવી શકાય તેમ છે.
-
રાજ્યના 17 મોટા બંધોમાં કેટલું પાણી બચ્યું છે
- પાનમમાં 69 ટકા,
- કરજણમાં 59 ટકા,
- કડાણામાં 57 ટકા,
- દમણગંગામાં 41 ટકા
- સરદાર સરોવર નર્મદા બંધમાં 45.51 ટકા
- ઉકાઇમાં 30 ટકા
- ધરોઇમાં 22.57 ટકા,
- દાંતીવાડામાં 8.97 ટકા,
- શેત્રુંજીમાં 19.25 ટકા,
- ભાજરમાં 12.11 ટકા,
- સુખીમાં 38.08 ટકા,
- વાત્રકમાં 24.17 ટકા,
- હાથમતીમાં 24.26 ટકા,
- સિપુમાં 11.13 ટકા,
- મચ્છુ-2માં 43.07 ટકા,
- મચ્છુ-1માં 10.41 ટકા
- ઉંડ-1માં 0.12 ટકા
મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમાં જળસ્તર સારુ રહેતા અત્યાર સુધી પાણીની ખેંચ વર્તાતી ન હતી પરંતુ હવે સરદાર સરોવર નર્મદા બંધમાં પણ જળસ્તર નીચે જઇ રહ્યુ ંછે ત્યારે ઉનાળામાં જળસંકટ હજુ વધુ ઘેરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે.


















