CIA ALERT

ગુજરાત Archives - Page 123 of 158 - CIA Live

May 24, 2019
bjp_logo.png
1min5020

લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પુનરાવર્તન થયું છે અને ભાજપે તમામ બેઠકો હાંસલ કરી છે. સતત બીજી વાર ગુજરાતની 26 એ 26 બેઠક પર ભગવો લહેરાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2014ની ચૂંટણી કરતા પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા છે. ગુજરાતમાં 64 ટકા થયેલા મતદાનની સામે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપના ઉમેદવારે 62 ટકા મત મેળવ્યા છે અને કોંગ્રેસના સૂપડા સાફ કરીને જાણે ગુજરાતમાં ભાજપની સુનામી આવી હોય તેવી સ્થિતિ’ સર્જાઇ છે.

રાજ્યની હાઇ પ્રોફાઇલ અને વીવીઆઇપી બેઠક ગણાતી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ’ 8, 88, 210 મત મેળવીને રાજ્યમાં સૌથી વધુ 5,54, 568 મતના સરસાઇથી જીત હાંસલ કરી છે. ત્યારબાદ નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલે 6,89,668 મતોની સરસાઇ મેળવી છે. જ્યારે સુરતના દર્શના બેન જરદોષ અને વડોદરાના રંજનબેન ભટ્ટે અનુક્રમે 5,48,230 અને 5,84,915ની લીડ મેળવી છે.

મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના 26 એ 26 ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારો સામે સરસાઇ મેળવી રહ્યા હતા. અંદાજીત સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, તમામ 26 બેઠકો પર ભાજપે દોઢ લાખથી લઇને સાડા પાંચ લાખ કરતા વધુ મતોની લીડ લઇને જીત હાંસલ કરી છે. રાજ્યમાં 26 લોકસભા બેઠક ઉપર કુલ 371 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા.

જાહેર થયેલા પરિણામને લઇને વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થવા પામી હતી. મોસ્ટ સિનિયર સાસંદ તરીકે ગુજરાતમાંથી ભરૂચના મનસુખ વસાવા બન્યા છે. તેઓ 1998થી લઇને 2019 સુધીમાં સતત છ વખત વિજયી બન્યા છે. જ્યારે સી.આર.પાટીલ સહિતના 3 સાસંદો ચાર ટર્મથી ચૂંટાઇ રહ્યા છે. સતત બીજી ટર્મમાં ચૂટાયેલા સાસંદોની સંખ્યા 11 જેટલી થાય છે. જ્યારે 2019માં પ્રથમ વખત ચૂંટણી લડીને જીત મેળવનારા સાસંદોની સંખ્યા 10ની થાય છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 16 જેટલા ઉમેદવારોને રીપીટ કરાયા હતા તે તમામની જીત થઇ છે. સાથે સાથે ભાજપ દ્વારા છ જેટલી મહિલાઓને લોકસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી તેઓનો પણ વિજય થયો છે.

જાહેર થયેલા પરિણામો સંદર્ભે કોંગ્રેસની આટલી ખરાબ હાલત થશે તેવું ભાજપના ટોચના નેતાઓએ પણ કલ્પના કરી નહોતી. સીધી રીતે કહીએ તો ભાજપે ફરી એકવાર કોંગ્રેસના પંજા ઉપર બુલડોઝર ફેરવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે,

કોંગ્રેસને જે બેઠક પર જીતવાનો વિશ્વાસ હતો તેવી અમરેલી, પાટણ, આણંદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગરની બેઠક પણ કોંગ્રેસે ખૂબ મોટા માર્જિનથી ગુમાવી છે જે કોંગ્રેસ માટે આંચકાજનક છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 12 જેટલા કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા હતા. તેમાંથી કોંગ્રેસના 8 ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે જ્યારે ભાજપના 4 ધારાસભ્યોએ ખુબ જ માર્જિનથી જીત મેળવી છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યસરકારના રાજ્યપ્રધાન પરબતભાઇ પટેલ તેમજ વિધાનસભાના ઉપદંડક ભરતસિંહ ડાભીનો વિજય થવા પામ્યો છે. જ્યારે 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે લુણાવાડા બેઠક પર ચૂંટણી લડેલા રણજિતસિંહ રાઠોડ કે જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ પંચમહાલ લોકસભાની બેઠક પરથી વિજયી બન્યા છે. જ્યારે અમરાઇવાડી બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય રહી ચૂકેલા હસમુખ પટેલ પણ આ વખતે પ્રથમ વખત લોકસભા સાસંદ તરીકે ચૂંટાયા છે.

ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલા ઉમેદવારોના હાર-જીતના આંકડા મુજબ સૌથી ઓછી લીડ દાહોદમાં રહેવા પામી છે. જે મુજબ દાહોદમાં કેન્દ્રિય પ્રધાન જશવંતસિંહ ભાભોરનો 1,27, 537 મતથી વિજય થયો છે. જ્યારે સૌથી વધુ લીડ ભાજપના નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલની 6,89,668ની’ રહેવા પામી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min5530

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 23, 2019
bjp_logo.png
1min7480

ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.

જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.

ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.

May 22, 2019
talaja.gif
1min14430

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
guj.jpg
1min5680

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.

26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8860

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 19, 2019
ahmedabad-rubber-stamp-vector-11776070.jpg
1min6980

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાના સમાચારોએ અમદાવાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. કોઇપણ પ્રકારના પ્રોટેકશન વગર મજૂરોને ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.

અમદાવાદના ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા.  ઘટનાસ્થળેથી મળતી માહિતી ગટરમાં ચોક્કસ પ્રકારના ગેસ ને કારણે તેમાં ઉતરેલા મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાએ ઘટના બાદ જણાવ્યું હતું કે પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી

May 19, 2019
Highway.jpg
1min7040

વડોદરા- અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે. વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી ૧૧૦થી વધીને ૧૨૦ રૂપિયા કરવામાં આવી, જ્યારે એલસીવી ફી ૧૭૫થી વધીને ૧૮૫ રૂપિયા, બસ-ટ્રકનો ટોલ ટેક્સ ૩૮૫ કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી.

એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી ૧૧૦ રૂ., એલસીવીની ફી રૂ.૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂ.૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં ૨૦ રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે ૧લી એપ્રિલથી વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.

May 18, 2019
farming.jpg
1min12530

ખેતિવાડી તંત્રએ રૂા.15.10 લાખનો જથ્થો સ્થગિત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વિભાગે 14 સ્થળોએ ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો અંગે ચેકીંગ હાથ ઘરી રૂ.15.10 લાખનો ભેળસેળવાળા બી.ટી.બીયારણ અને જંતુનાશક દવાઓનો જથ્થો સ્થગિત કરતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથમાં આવનારી ખરીફ સીઝનમાં ખેડુતોને ગુણવતાસભર બિયારણો, રાસાયણીક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી ગાંધીનગર ખેતીવાડી વિભાગની સુચનાથી ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ ખેતીવાડી બિયારણો, રાસાયણીક ખાતર, જંતુનાશક દવાના વિતરકોને ત્યાં આજે સવારથી જીલ્લા, ખેતીવાડી વિભાગના અધિકારી વિનય પરમાર, પરેશ ગૌસ્વામી, ભાવનાબેન બારડ,
બી.બી.મોરીએ ભેળસેળ અંગે ચેકીંગની કાર્યવાહી શરૂ કરેલ.
જે મોડીસાંજ સુધી ચાલી હતી. આ ચેકીંગની કામગીરીમાં અનેક પ્રકારની ભેળસેળ સહિતની ગેરરીતી સામે આવતા જથ્થો સીઝ કરવાની સાથે નોટીસો ફટકારવાની કાર્યવાહી કરાયેલ હતી. ગીર સોમનાથ જિલ્લામાં 14 સ્થીળોએ દરોડો પાડેલ હતો.
જેમાં ભેળસેળવાળા બિયારણ અને જંતુનાશક દવાઓનો રૂ.15.10 લાખનો જથ્થો સ્થગીત કરાયો છે.
May 17, 2019
admission-1280x1360.jpg
1min17050

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે