
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કાબેલીયત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને એકે બેઠક અપાવી શકી નથી. ભાજપ વિરોધી વલણ માટે જાણીતા આ બંને આંદોલનકારીઓમાં હાર્દિકને તો કૉંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવીને રાહુલ ગાંધીની અમેઠી બેઠકમાં પણ પ્રચાર માટે મોકલ્યો હતો અને ગુજરાત સિવાયના રાજ્યોમાં પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું,
પરંતુ હાર્દિકની સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓ કૉંગ્રેસ માટે ડિઝાસ્ટર પુરવાર થઈ છે. કૉંગ્રેસના સમર્થનથી વડગામની બેઠક જીતેલાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના નેતાઓ સાથે મંચ ગજાવવાને બદલે એકલા જ બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્ય પ્રધાન આનંદી પટેલના શાસનમાં બહુ જોર પકડેલ આનામત આંદોલન સમગ્ર રાજ્યમાં જોત જોતામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંદોલને જોર પકડતા રાજ્યમાં હાર્દિક પટેલનું રાજકીય વજન વધ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 આવતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર ચરમસીમાએ હોઈ ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કર્યો હતો જેની જગ્યાએ ફકત 99 બેઠકો આવતા હાઈકમાન્ડ ચોંકી ઊઠ્યું હતું અને ત્યાર બાદ દેશમાં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આની અસર ઘટાડવા કમર કસી કૉંગ્રેસના સૌરાષ્ટ્રના વગદાર નેતાઓને અમિત શાહના ઈશારે પ્રધાનમંડળમાં સમાવવાની લાલચે ભાજપમાં લાવવાની તૈયારીઓ આરંભી દઈને અનેક કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈને રાજ્યની સ્થિતિ મજબુત કરી લીધી હતી.
લોકસભાની ચૂંટણી વખતે પાટીદાર હાર્દિક પટેલના કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં કૉંગ્રેસમાં લાવી તૈયારીઓ જ કરતી રહી અને હાર્દિક પટેલ પણ કોગ્રેસમાં જોડાઈ પોતાના ખાસ મનાતા લોકો માટે લોકસભાની ટિકિટ માટે તૈયારીઓમાં રહ્યા અને પોતાની ઉમેદવારી કૉંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની એકતરફી જાહેરાત કરી છતાં પ્રદેશના નેતાઓ ચૂપ રહ્યા. કાનૂની દાવપેચને કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કૉંગ્રેસે હાર્દિકને રાજી રાખવા અમદાવાદ-પૂર્વની જીતી શકાય તેવી બેઠક અન્ય આંદોલનકારી ગીતા પટેલને ઉમેદવાર બનાવીને કૉંગ્રેસના જ કાર્યકરોને નારાજ કરી દીધા હતા.
આ ઉપરાંત મહેસાણામાંથી એ. કે. પટેલ તેમજ જામનગરમાંથી લલીત કગથરા જેવા હાર્દિક પટેલે ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો કરાવી શક્યા નહીં અને સ્થાનિક કૉંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના વડગામ બેઠક પર કૉંગ્રેસના ટેકાથી બનેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફૂગ્ગો પણ આ પરિણામો થકી ફૂટી ગયો છે. ગુજરાતમાં કૉંગ્રેસના ટેકાથી જીતેલા મેવાણી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો માટે દલિત વિસ્તારોમાં ગણતરીના બે-ત્રણ દિવસને બાદ કરતા પ્રચાર કર્યો ન હતો. તે મોટાભાગે મુગલસરાયમાં કનૈયાના પ્રચારમાં રહ્યા હતા. તે કનૈયાની હાર થઈ છે. મેવાણીએ પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી માટે અનેક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.