ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સોમવારે ૨૧મી ઓક્ટોબરે સવારે યોજાશે. શનિવાર સાંજથી અહીં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આ છ બેઠકો પર હવે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાધનપુર બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઇ, બાયડ બેઠક પર ધવલસિંગઝાલા સામે કૉંગ્રેસના જશુભાઇ પટેલ, ખેરાલુ બેઠક પર ભાજપના અજમલ ઠાકોર સામે કૉંગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં ભાજપના જીગ્નેશ સેવક સામે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર ભાજપના જીવાભાઇ પટેલ સામે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.
જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું
15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.
ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા
આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.
પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા
પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
Media Reports on Parul University Medical Admission issue
સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે
સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.
ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.
ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.
મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.
અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું
મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.
વારસાઇમાં હવે શું થશે
હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.
સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.
૬ ઑક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહદર્શનથી વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે જ ૧૫૦ પરમિટો મારફત ૯૦૦ પ્રવાસીઓ સેન્ક્ચ્યુઅરીમાં સિંહ સહિતની હરિયાળી નિહાળી અભિભૂત થયા હતા. વધુ લોકો સિંહદર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટની અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું.
પ્રથમ દિવસે સિંહદર્શન શરૂ થતા ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમિટ કઢાવવી પડે છે. ચાલુ વર્ષથી વન વિભાગે રિપોર્ટિંગ માટે ખાસ કોડનો ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટ એક સાથે થઇ જાય તેવી પદ્ધતિ વિકસાવતાં બુકિંગનું કાર્ય હવે બે કલાકને બદલે ૨૦ મિનિટમાં થઇ જાય છે.
ઓનલાઇન બૂકિંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તે સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનું અને બહાર આવવાનું સમયપત્રક મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે ૧૭૮ ગાઇડને ૫ાંચ દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે તા.16મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર કર્યુ હતું કે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે.
આ પરીક્ષા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સૌથી મહત્વની વાત એ પણ કરી કે ધોરણ 12 પાસ’ અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.’ આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે.
આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.’ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ’ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.’
મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે.
રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.
ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો પૂરાવો આપતી આવક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારે થઇ હતી. વરસાદ અટક્યાને હજુ આઠેક દિવસનો સમય થયો છે ત્યાં ખેડૂતો માલ ઠાલવવા લાગતા સવા બે લાખ ગુણી મગફળી ગુજરાતભરમાં આવી પડી હતી ! સીઝનના આરંભના દિવસોમાં આવકનો આટલો પ્રવાહ ક્યારેય સર્જાયો નહીં હોવાથી સૌ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડો મગફળીથી છલોછલ થઇ ગયા હતા. મગફળીના ભાવ પણ આવકના પ્રભાવથી તૂટયાં હતા.
રવીવારની રજા પછી સોમવારે સૌરાષ્ટ્રમાં સવા લાખ ગુણી અને ગુજરાત તરફ એકાદ લાખ ગુણીની હોબેશ આવક હતી. રાજકોટમાં લગભગ 32 હજાર ગુણી આવક હતી. રવિવારે આવેલી 16-17 હજાર ગુણી ઉમેરતા 48 હજાર ગુણી આવી પડી હતી. એ જ ઢબે ગોંડલ યાર્ડમાં 66000 ગુણી આવી હતી. બન્ને યાર્ડમાં કુલ મળીને 40 હજાર ગુણી પડતર છે.
રાજકોટ યાર્ડમાં મંગળવાર સવારે આઠ વાગ્યે આવકો નવી સૂચના સુધી બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં જગ્યાનો પ્રશ્ન હજુ નડતરરુપ ન હોય આવક ચાલુ છે. જોકે બે દિવસ આવકો વધુ રહે તો ત્યાં’ પણ આવક બંધ કરવાની નોબત આવી શકે છે. ચાલુ વર્ષે ઉત્પાદન 32થી 35 લાખ ટન વચ્ચે થવાના અંદાજો હોવાથી ડિસેમ્બર સુધી મબલક આવકો થશે અને ભાવ પણ તૂટશે.
મહારાષ્ટ્રમાં સીંગદાણાની માગથી મગફળીનો ભાવ ગયા અઠવાડિયે રાજકોટ-ગોંડલમાં મણે રૂ. 1500-1600 સુધી ગયો હતો. જોકે સોમવારે આવકના પૂરમાં ભાવ તણાઇ ગયો હતો. બન્ને યાર્ડમાં ઝીણી રૂ. 800-1200 અને જાડી રૂ. 800-1050 સુધી વેચાઇ હતી. ભાવ ઉપલા સ્તરેથી તીવ્ર વેગથી તૂટયાં છે.
ઉત્તર ગુજરાતમાં ય હોબેશ આવક હતી. ડિસામાં 35 હજાર ગુણી, પાથાવાડામાં 15 અને પાલનપુરમાં 7 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા ખાતે 6, જૂનાગઢ અને કાલાવડમાં 5-5 હજાર ગુણી, સાવરકુંડલા અને વીસાવદરમાં 2200 ગુણી, જામજોધપુરમાં 3000 ગુણી, જેતપુરમાં 2500 ગુણી અને કોડીનારમાં 2500 ગુણીની આવક મુખ્ય હતી.
વેપારીઓએ કહ્યું કે, સતત વરસાદને લીધે આવકો 20-25 દિવસ મોડી પડી ચૂકી હતી. ભાદરવા જેવા તાપ પડવાનું શરું થતા હવે ખેડૂતો ફટાફટ માલ કાઢીને ઉંચો ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આવતા મહિનાથી મગફળીની ખરીદી થવાની છે એ પૂર્વે ભેજ અને ભાવનો લાભ લેવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડોમાં માલ ઠાલવવા માંડયા છે.
નાફેડને વેંચવા માટે આશરે પાંચેક લાખ ખેડૂતોએ ગુજરાતમાં નોંધણી કરાવી છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદશે. આઠ લાખ ટનનું લક્ષ્યાંક છે. લાભપાંચમે ખરીદીનો આરંભ થાય એ પૂર્વે ખેડૂતો નાણાની જરુરિયાત સંતોષવા માટે માલ વેંચી રહ્યા છે.
સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતોને પગલે આગામી દિવાળીની રજાઓ દરમિયાન સૂરતથી સૌરાષ્ટ્ર પોતાના માદરે વતન જતા પરિવારો માટે એક્સ્ટ્રા બસ મૂકવાની જાહેરાત કરનાર ગુજરાત એસ.ટી. તંત્ર આવી સ્પેશ્યલ એક્સટ્રા બસ સર્વિસ માટે વધારાનો એક પણ રૂપિયા ચાર્જ નહીં લેશે આ બાબતે એસ.ટી. તંત્રવાહકો સંમત થયા છે.
સૂરતથી પોતાના વતનમાં જતા સૌરાષ્ટ્રવાસી પરિવારો, રત્નકલાકારો પાસે ગુજરાત એસટી વિભાગ જે વાસ્તવિક અમલી રેટ હશે તે મુજબ જ મુસાફરી ભાડું વસૂલ કરશે. અત્યાર સુધી એવું નોંધાયું હતું કે એસટી વિભાગ એકસ્ટ્રા બસ માટે વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યું હતું. સૂરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ અન્ય આગેવાનોએ હાલમાં ચાલી રહેલી મંદી દરમિયાન સૂરત આવીને વસેલા સૌરાષ્ટ્રવાસી પરિવારોને રાહત મળે એ માટે ઉપરોક્ત રજૂઆતો કરી હતી. જેને એસ.ટી. તંત્રના ઉચ્ચાધિકારીઓએ ગ્રાહ્ય રાખી છે.
વધુ મળતી માહિતી મુજબ સૂરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલા મુસાફરોને જ આ લાભ મળશે. વતનથી પરત આવતી વખતે એકસ્ટ્રા બસનો લાભ નહીં મળી શકે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતું કે આ વખતે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારોને વતન જવા માટે વધારાનો આર્થિક બોજ ના ઉઠાવવો પડે એ વાતને ધ્યાનમાં રાખીને સૂરત ડાયમંડ એસોસીએશનએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે એસટી વધારાનો ચાર્જ ન લે. એ વાત સ્વાકારી લેવામાં આવી છે અને કારીગરોને વતન જવા માટે એસટીનો જે ચાર્જ હશે તે ચુકવવો પડશે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં લકઝરી બસો ઉઘાડી લૂંટ ચલાવે છે જેની સામે એસટીનો દર ઘણો ઓછો છે એટલે રત્નકલાકારોને રાહત મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.