વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ કરાવી આપવાનાં નામે ગ્રાહકોને છેતરતાં એક કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે કૉલ સેન્ટરમાં કામ કરતાં ૨૦ યુવક યુવતીઓની ધરપકડ કરી હતી.
સુરત પોલીસને ગૌતમ નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી દોસ્તી કરાવી આપવાનો મૅસેજ આવ્યો હતો. કૉલ સેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા આ ફરિયાદના આધારે વેસુના એક બિલ્ડિંગમાં દરોડો પાડી કૉલ સેન્ટરને નિશાનમાં લેવાયું હતું.
કૉલ સેન્ટરમાંથી ૧૨ જેટલા કમ્પ્યૂટર, ૧૭ મોબાઇલ અને કાર્ડ પકડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મૅસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશિપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.
આ કૉલ સેન્ટર પરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વિન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટરે ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું. સેન્ટરે ૧૮ જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલ સેન્ટરમાં બેસાડી તાલીમ આપી તેમને વાતચીત કરવાનું કામ આપવામાં આવ્યું હતું.
બજરંગ દળે ગુજરાતમાં ગરબાના આયોજકોને તેમના આયોજનના સ્થળે ‘બિન-હિન્દુઓ’ને પ્રવેશવા નહીં દેવા કહ્યું છે. બજરંગ દળનો એવો દાવો છે કે નવ દિવસ લાંબો નવરાત્રિનો ઉત્સવ હિન્દુ મહિલાઓને ફસાવવા માટેનો મંચ બની ગયો છે.
આ જમણેરી જૂથે ગુજરાતભરમાં રાસ-ગરબા માટેના તમામ સ્થળોની બહાર સતતપણે દેખરેખ રાખવા ટુકડીઓ તૈયાર કરી છે અને ‘લવ જેહાદ’ વિશે લોકોને સતર્ક કરતા પોસ્ટરો પણ લગાવ્યાં છે.
અમદાવાદમાં ગરબાની ઇવેન્ટના તમામ મોટા સ્થળોની નજીક અને ખાસ કરીને મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોની નજીકના ગરબાના સ્થળોની આસપાસ આવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે. આ જાણકારી બજરંગ દળના અમદાવાદ ઝોનના કો-ઑર્ડિનેટર જ્વલિત મહેતાએ સોમવારે આપી હતી.
મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને એવા પેંતરા વિશે સાવચેત કરી દેવા માગીએ છીએ કે જેમાં નવરાત્રિ દરમિયાન બિન-હિન્દુઓ દ્વારા હિન્દુ છોકરીઓ અને મહિલાઓને લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. દર વર્ષે ત્રણ લાખ કરતાં પણ હિન્દુ ક્ધયાઓ અને મહિલાઓ લવ જેહાદનો શિકાર બનતી હોય છે.’
બજરંગ દળે હિન્દુ છોકરીઓના માતા-પિતાને પણ સતર્ક રહીને પોતાની છોકરીઓને લવ જેહાદથી બચાવવા ચેતવ્યાં છે. આ દળે અમદાવાદમાં ગરબાના તમામ મોટા સ્થળે દેખરેખ રાખવા ટુકડીઓ પણ બનાવી છે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગરબાના સ્થળે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા અમે ગરબાના આયોજકોને કહી દીધું છે. જો અમે કોઈ છોકરી કે મહિલા સાથે કોઈ વિધર્મીને પકડીશું તો પહેલાં તો અમે એ છોકરીના મમ્મી-પપ્પાને તેમ જ મહિલાના પરિવારને વાકેફ કરીશું અને પછી પેલા બિન-હિન્દુ છોકરા કે પુરુષનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ એ વિશે બનતી બધી જ વિગતો મેળવવાની કોશિશ કરીશું.’
બજરંગ દળે હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવા અને છોકરીઓ-મહિલાઓને લવ જેહાદથી બચાવવા બાબતમાં સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટતંત્રને પણ અરજ કરી છે.
બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંકલનકાર એમ. કે. પટેલે પીટીઆઇને કહ્યું હતું કે ‘નવરાત્રિ હિન્દુઓનો ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને આ ઉત્સવ લવ જેહાદ માટેનો મંચ ન બની જવો જોઈએ. બિન-હિન્દુઓને આ હિન્દુ તહેવાર સાથે કંઈ જ લેવાદેવા નથી, પરંતુ તેઓ ફાયદો ઉઠાવીને અમારા ધર્મની છોકરીઓ/મહિલાઓને ફસાવતા હોય છે.’
દળના નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ તેમ જ સ્થાનિક સત્તાધીશોને હિન્દુ છોકરીઓ/મહિલાઓની સલામતી જળવાય એની કાળજી લેવાની વિનંતી કરતા આવેદનપત્ર મોકલ્યા છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ વડા પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) પણ ગુજરાતમાં ગરબાના સ્થળો ખાતે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા સંબંધમાં કાર્ય કરી રહી છે.
એેએચપીના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘અમે ગરબાના આયોજકોને સૂચિત કરી દીધા છે કે આ હિન્દુ પર્વની પવિત્રતા સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ ન કરે એનું ધ્યાન રાખજો. જો કોઈ બિન-હિન્દુ વ્યક્તિ ગરબા રમવા ઇચ્છે તો તેણે સૌથી પહેલાં તો હિન્દુ ધર્મ અંગીકાર કરવો પડશે, ગૌમૂત્રનું પાન કરવું પડશે અને પછી જ તે ગરબા રમી શકશે. અમે કોઈપણ બિન-હિન્દુ પુરુષની લવ જેહાદની પ્રવૃત્તિ નહીં સાંખી લઈએ.’
એએચપીના બીજા નેતા જિતેન્દ્ર પ્રજાપતિએ કહ્યું હતું કે ‘બિન-હિન્દુઓને ગરબાની ઇવેન્ટના સ્થળે આવતા રોકવા એએચપીએ ચોકીપહેરા માટેની ટુકડીઓ તૈયાર કરી છે જે ગરબાના સ્થળોની બહાર ખેલૈયાઓ પર ગૌમૂત્ર છાંટે છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું
આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.
ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.
થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.
ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન
ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.
જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.
શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા
5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે
6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી
સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.
અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.
અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.
પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.
છત્તીસગઢની ડૉ. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં અમદાવાદ ઍરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ચાર એજન્ટ સહિત છ સામે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.
અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા નડિયાદના સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી તેમનાં ડૉક્યુમેન્ટ તપાસતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બંને યુવકોના વિઝા લિગલ હતા, પરંતુ કૉલેજ માટે ઍજ્યુકેશન ડૉક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી આથી તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલાસપુર, છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે ૫૬ હજાર રૂપિયા આપ્યા હતા.
જે માટે વલ્લભવિદ્યાનગરનાં એઆઈસીએસઈટીના સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઈને વિઝા અંગેની અને લંડન યુનિવર્સિટીમાં ઍડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ પાંચ લાખ રૂપિયા પડાવતા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એજન્ટોની શોધખોળ હાથ ધરી હતી.
સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં પીવાના, ખેતી સિંચાઇના પાણીનો એક માત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી તા.25મી સપ્ટેમ્બર 2019ને બુધવારે બપોરે 4 વાગ્યે 344.12 ફૂટ નોંધાઇ હતી. બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીની સપાટી આ સિઝનમાં નહીં બલ્કે 6 વર્ષમાં પહેલી જ વાર 344 ફૂટને પાર થઇ હતી. એ નોંધનીય છે કે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હવે પોણો ફૂટ જેટલું પાણી ડેમમાં સમાઇ શકે તેમ છે.
આ વખતે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું મેનેજમેન્ટ જેને વોટર લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ જડબેસલાક રીતે કામગીરી કરી અને દરેક કદમ પર, ડેમમાં કેટલું પાણી આવે ત્યારે કેટલું પાણી છોડવું એ બાબતે ચોક્કસ નિર્ણયો લઇને તેનો અમલ કર્યો તેના કારણે અત્યાર સુધીનું વોટર મેનેજમેન્ટ વખણાયું છે.
સુરત શહેરમાં સહેજેય એવી સ્થિતિનું નિર્માણ ન થવા દીધું કે પેનિક ફેલાય, અફવાઓ ફેલાય. ખુદ કલેક્ટર ડો. ધવલ પટેલએ નિયમિત રીતે ઓડિયો મેસેજિસ વીથ ટાઇમ ડેટ આપ્યા. જેને લઇને અફવાઓ બિલકુલ ફેલાઇ નહીં.
હવે ખરી કસોટી આગામી સપ્તાહમાં થઇ શકે તેમ છે. ઉકાઇ ડેમના વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને યશ મળશે કે અપયશ એ જતું ચોમાસું નક્કી કરશે. જો હવે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ તૂટી પડે અને એ પાણી ડેમમાં આવે તો હવે ડેમમાં પાણી સમાઇ શકે તેટલી જગ્યા ઓછી બચી છે અને ડેમમાંથી પાણી છોડવાની નોબત આવે તો પરિસ્થિતિ તંગ બને. આ બધું જ કુદરત પર છે અને જો અને તો પર છે. પણ અત્યાર સુધી ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ કાબિલેતારફી કામગીરી કરી છે એમાં બે મત નથી.
ગુટખા તથા તમાકુની બનાવટો નીચા ભાવે ખરીદી અત્યંત ઊંચા ભાવે એસઈઝેડને વેચી ખોટાં બિલો ઊભાં કરીને સમગ્ર ગેરરીતિ આચરાતી હતી. આવા 400 કરોડના વ્યવહાર એસઈઝેડમાંથી અને કુલ્લે 1000 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં કાર્યરત કેટલાક ઉદ્યોગગૃહ મારફતે ચાલી રહેલા ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવાના વ્યાપક ષડયંત્રનો ડાયરેકટોરેટ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે પર્દાફાશ કરતાં કરચોર તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ડીજીજીઆઈના એડિશનલ ડાયરેકટર જનરલ વિવેકપ્રસાદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીના નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર) સ્થિત અંદાજે 20 જેટલી નિકાસી પેઢીઓ, કંપનીઓ દ્વારા એસઈઝેડની કેટલીક કંપનીઓ સાથે મળીને આ ગેરરીતિ ચલાવાતી હતી.
બાતમીને આધારે ડીજીજીઆઈના’ અધિકારીઓની ટીમે એસઈઝેડના ત્રણ એકમ તથા એનસીઆર સ્થિત નિકાસકારો અને તેમના ગોદામોની તપાસ હાથ ધરતાં આ ભાંડો ફૂટયો હતો. આ નિકાસકારો દિલ્હી તથા આસપાસમાંથી ગુટખા તથા તમાકુના અન્ય ઉત્પાદનો નજીવી કિંમતે ખરીદી 3000 ટકા જેટલું વિશાળ ઓવર વેલ્યુએશન કરતા હતા અને પછી ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવતા હતા.
એક ગણતરીપૂર્વકનું ષડયંત્ર હતું. ગુટખા તથા તમાકુના ઉત્પાદનો ઉપર 93 તથા 188 ટકા વેરો લાગુ પડે છે. આ ઓવર વેલ્યુએશનને કારણે ઈનપુટ ટેકસ ક્રેડિટ ખૂબ મોટી થઈ જાય છે. જે માલની મૂળ કિંમતથી વધી જાય છે.
તમાકુના આવાં ઉત્પાદનો સીધાં ઉપભોકતા સાથે સંકળાયેલાં હોવાથી તેનાં જીએસટી ભરેલાં ઈન્વોઈસ મેળવવા સહેલાં છે. બિલ બનાવ્યા વિના જ તેનું વેચાણ પણ થઈ શકે છે. નોઈડા સ્થિત કેટલાક યુનિટ ઊતરતી ગુણવત્તાના જર્દા, કિમામ, ફિલ્ટર ખૈનીનું કરવેરા ચૂકવ્યા વિના જ ઉત્પાદન કરે છે અથવા તો સ્થાનિક બજારમાંથી રૂા. 150થી 350 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. ત્યાર પછી આ માલ રૂા. 5000થી 9000 પ્રતિ કિલોએ એસઈઝેડ સ્થિત યુનિટને નિકાસ કરે છે. ડીજીજીઆઈએ આવા ફર્જી વ્યવહાર શોધી કાઢયા છે. કંડલા એસઈઝેડમાંથી તેનો ઈનપુટ ટેકસ ક્રેડિટ માગવાનો આંકડો 400 કરોડ થવા જાય છે. આ તપાસ દરમ્યાન ડીજીજીઆઈ આવા 25 સપ્લાયર્સને શોધી શકી છે. જે આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા છે. આ તમામે રૂા. 1000 કરોડના જાલી ઈન્વોઈસ એનસીઆર સ્થિત નિકાસકારોને પૂરાં પાડયાં છે.
ષડયંત્ર પ્રકાશમાં આવતાં એજન્સીએ તત્કાળ 300 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ અટકાવી દીધી છે અને વધુ 100 કરોડ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણથી જીએસટીની ચોરી કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસે તૈયારીઓ કરી લીધી છે. રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાની સેનેગલ સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો, જેથી ટૂંક સમયમાં જ રવિ પૂજારીએ અમદાવાદ લાવી શકાય અને તેની સામે નોંધાયેલા તમામ ગુનાની તપાસ કરી શકાય.
અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત ૨૦ જણા પાસે કરોડોની ખંડણી માગી હતી, જેમાં ખાસ કરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શાહ અને પૂજા વંશ સહિત ગુજરાતનાં ૨૦ જણાને ધમકી આપી હતી. આમાં અમદાવાદના ૧૨ વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડોની ખંડણી માગી હતી તથા ધમકી આપી હતી.
ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી સર્વિસ તા.24મીથી અચોક્કસ મુદત માટે બંધ થઇ રહ્યાની જાહેરાત બુકિંગ સાઇટ પર લાલ અક્ષરમાં લખીને કરવામાં આવી છે. તસ્વીરમાં જોઇ શકાય છે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભાવનગરના ઘોઘા થી દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી આવતીકાલ તા.24મી સપ્ટેમ્બર 2019ના રોજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત રો રો ફેરી સર્વિસની બુકિંગ સાઇટ પર ફ્લેશ કરવામાં આવી છે. કોઇપણ જાતના કારણ આપ્યા વગર કંપનીએ દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાતમાં જે જે વ્યક્તિને આ સમાચાર મળી રહ્યા છે તેમને નવાઇ લાગી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.
કેટલાક ટેકનિકલ કારણોસર રો રો ફેરીને
ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેમકે ભરૂચ નજીક દહેજના દરિયાકાંઠે જરુરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો રો ફેરી માં
એકાદ બે વખત મોટી નુકસાની થયાની માહિતી મળી છે. એક વખત ઘોઘા બંદર નજીક એવી પણ ઘટના
બની હતી કે રો રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં
દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો રો ફેરી ખોટકાઈ ગઈ હતી.
એવી પણ વાતો ઉપસ્થિત થઇ છે કે મુસાફરોનો
રિસ્પોન્સ પણ મળતો ન હતો.
ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાંથી ચાર બેઠકો માટે શનિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કર્યા બાદ આજે રાધનપુર અને બાયડ એમ વધુ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે. જોકે હજુ મોરવા હડફ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે ૨૪મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરતી કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપીને ભાજપ પ્રવેશ કર્યો હતો. તેથી બંને બેઠકો ખાલી પડી હતી.
શનિવારે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.રાજયમાં ૨૧મી ઑક્ટોબરે છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થસે જ્યારે ૨૪મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. સાત બેઠકોમાંથી રાધનપુર બાયડ અને મોરવા હડફ એમ ત્રણ બેઠકો કૉંગ્રેસે કબજે કરી હતી, જયારે બાકીને ચાર બેઠકો ભાજપની હસ્તક જ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.