ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટાચૂંટણી માટે સોમવારે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, રાજ્યની તમામ છ બેઠક પર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. હવે ૨૪મી ઓક્ટોબરે
મત ગણતરી થશે. મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા મતદાનના અંદાજિત આંકડાઓ
અનુસાર સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર ૬૮.૯૫ ટકા મતદાન થયું હતું. જ્યારે રાધનપુરમાં ૫૯.૮૭ ટકા, બાયડ ૫૭.૮૧ ટકા, લુણાવાડા ૪૭.૫૪ ટકા, ખેરાલુ ૪૨.૮૧ ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરની અમરાઈવાડીમાં ૩૧.૫૩ ટકા મતદાન નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કૉંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કૉંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં ૭ ઉમેદવારો મેદાનમાં છે.
CM રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન ગયેલા GJEPC રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મહત્વના MOU કર્યા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોના હિત માટે સતત પ્રયાસો કરી રહેલા સૂરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન અને સ્થાનિક હીરા ઉદ્યોગ આગેવાન શ્રી દિનેશ નાવડીયા હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન દેશની બિઝનેસ ટૂર પર છે.
ઉઝબેકીસ્તાનની ગોલ્ડ માઇન્સ તેમજ હીરાની લે-વેચ અંગે મહત્વના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા
ઉઝબેકિસ્તાનમાં આવેલી સોનાની ખાણ સાથે વિવિધ પાસાઓ પર ભવિષ્યમાં બેઝનેસ બ્રિજ બની શકે કે કેમ એ અંગેની શક્યતાઓ તપાસવા માટે એક મહત્વનો એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યો છે. જીજેઇપીસી રિજિયોનલ કાઉન્સિલ વતી શ્રી દિનેશ નાવડીયાએ આ ડીલ સાઇન કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા તેમજ સૂરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય ડેલિગેટ્સની યાદગાર તસ્વીર
ઉઝબેકિસ્તાન સ્થિત ગોલ્ડ માઇન્સ સાથે ભવિષ્યમાં કોઇ બિઝનેસ ડિલ સંભવ છે કે કેમ એ અંગે સ્ટડી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ આ શક્યતાઓ તપાસવા માટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લે એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન તરીકે ફરજ અદા કરી રહેલા શ્રી દિનેશ નાવડીયા
એવી જ રીતે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ડાયમંડ સપ્લાય મળી શકે કે કેમ એ અંગે પણ સમજૂતિ કરવામાં આવી રહી છે. એવી જ રીતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2019માં યોજાઇ રહેલા સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.
રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.
ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.
મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો
ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સોમવારે ૨૧મી ઓક્ટોબરે સવારે યોજાશે. શનિવાર સાંજથી અહીં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આ છ બેઠકો પર હવે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાધનપુર બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઇ, બાયડ બેઠક પર ધવલસિંગઝાલા સામે કૉંગ્રેસના જશુભાઇ પટેલ, ખેરાલુ બેઠક પર ભાજપના અજમલ ઠાકોર સામે કૉંગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં ભાજપના જીગ્નેશ સેવક સામે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર ભાજપના જીવાભાઇ પટેલ સામે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.
જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું
15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.
ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા
આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.
પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા
પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
Media Reports on Parul University Medical Admission issue
સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે
સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.
ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.
ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.
મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.
અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું
મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.
વારસાઇમાં હવે શું થશે
હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.
સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.
૬ ઑક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહદર્શનથી વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે જ ૧૫૦ પરમિટો મારફત ૯૦૦ પ્રવાસીઓ સેન્ક્ચ્યુઅરીમાં સિંહ સહિતની હરિયાળી નિહાળી અભિભૂત થયા હતા. વધુ લોકો સિંહદર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટની અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું.
પ્રથમ દિવસે સિંહદર્શન શરૂ થતા ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમિટ કઢાવવી પડે છે. ચાલુ વર્ષથી વન વિભાગે રિપોર્ટિંગ માટે ખાસ કોડનો ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટ એક સાથે થઇ જાય તેવી પદ્ધતિ વિકસાવતાં બુકિંગનું કાર્ય હવે બે કલાકને બદલે ૨૦ મિનિટમાં થઇ જાય છે.
ઓનલાઇન બૂકિંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તે સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનું અને બહાર આવવાનું સમયપત્રક મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે ૧૭૮ ગાઇડને ૫ાંચ દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.