અમદાવાદ મેડીકલ એસોશિએશન AMAની આવકારદાયક પ્રવૃત્તિ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે. એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર 2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી સેવાઓ મળી રહેશે.

દિવાળી એવો તહેવાર હોય છે કે આ તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ કરી છે.
અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે
અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.
અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.
આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.
AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.
સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.



















