રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે 13 થી 15 નવેમ્બરના રોજ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. દરમિયાન રાજકોટમાં રાત્રિનાં 8 વાગ્યા બાદ ધોધમાર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. જેથી રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતાં. આગાહી હતી નહીં છતાં ઓચિંતા ઉતરી આવેલાં વરસાદે લોકોમાં નાશભાગ મચાવી દીધી હતી. થોડા સમય માટે તો ભરચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. પોણો કલાક પડેલાં વરસાદમાં પોણો ઇંચ વરસાદ પડયાનું અનુમાન છે.
વિશ્વભરમાં પ્રચલિત સૌરાષ્ટ્રના ગિરનારની લીલીપરિક્રમાનો તા.7મી નવેમ્બર 2019ની મધરાતે આરંભ થયો હતો. પરીક્રમાના આરંભે જ અઢી’ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાના અહેવાલો મળ્યા હતા, આ પૈકીના એક લાખ ભાવિકોએ નળપાણીની’ ઘોડી વટાવી, પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પહોંચી ચૂક્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, આ સંખ્યા અગાઉના વર્ષોના પ્રમાણમાં અડધાથી ઓછી ગણાય છે.
ગિરનાર પરિક્રમાનું ભાવિકોમાં અનોખું મહાત્મય છે. તેથી દૂર દૂરથી ભાવિકો પરિક્રમા કરવા ઉમટે છે, આ વર્ષે ખેતીની મોસમ, માવઠા અને ‘મહા’ વાવાઝોડાની સંભાવનાને કારણે સંખ્યામાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. વહેલી પરિક્રમા કરવા આવેલા હજારો ભાવિકોને પ્રવેશદ્વાર બંધ હોવાથી તળેટીમાં પડાવ નાખવો પડયો હતો.
વાવાઝોડું વિસરાતા અને તળેટીમાં માનવભીડ જામતા તા.7મી નવેમ્બર 2019ની રાત્રે 12 કલાકે પરિક્રમાનો પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવ્યા હતા. આ સાથે તળેટીમાં એકત્રિત એકાદ લાખથી વધુ ભાવિકોએ ગત મધરાતથી પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ હતું.
બીજી બાજુ વિધિવત પરિક્રમા કરનારા ભાવિકોનો પ્રવાહ સવારથી વહેવા લાગતા તળેટીમાં હજારો ભાવિકોનો જમાવડો થયો છે અને કેટલાકે તળેટીમાં રોકાણ કરવાને બદલે પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ છે.
હર હર મહાદેવ, જય ગિરનારીના’ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
પડાવ બદલાતા રહેતા હોય છે
પરંપરાગત પરિક્રમામાં પ્રથમ રાત્રી રોકાણ તળેટીથી 8 કિ.મી. દૂર જીણા બાવાની મઢી ખાતે કરાય છે. બીજા દિવસે ભાવિકો 4 કિ.મી. દૂર માળવેલા પહોંચે છે. ત્યાં બીજો પડાવ નાખે છે અને ત્રીજા’ દિવસે માળવેલાથી નળપાણીની ઘોડી વટાવી પાંચ કિ.મી. દૂર બોરદેવી પહોંચી ત્યાં રોકાણ કરે છે. પરંતુ હવે પરિક્રમામાં યુવાધન વધારે જોડાતા પિકનિકની માફક જંગલમાં એક રાત્રી રોકાણ કરી, બીજા દિવસે પરિક્રમા પૂર્ણ કરી તળેટીમાં પરત ફરે છે. તેઓને અન્નક્ષેત્રોને કારણે ભાવતા ભોજન મળી રહે છે.
કોલેજ-યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટેનો પહેલો એન્ટ્રીગેટ એટલે જીસેટ (GSET પરીક્ષા) : રજિ. શરૂ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કોલેજ અથવા યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં અધ્યાપક હોવું એ ગર્વની વાતની સાથે હવે અર્થોપાર્જન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. પહેલા લોકોમાં એવી માન્યતા હતી કે બેંક કે સરકારી નોકરી સૌથી શ્રેષ્ઠ ગણાય પણ હવે એવી માન્યતા છે કે સૌથી શ્રેષ્ઠ અધ્યાપક તરીકેની નોકરી ગણાય. ખેર આ તો માન્યતા છે પણ લખનાર એક કરિયર કાઉન્સિલર છે અને અભ્યાસ બાદ એવા તારણ પર આવી શકાય કે કોલેજ-યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની કારકિર્દી એ કારકિર્દીના અઢળક વિકલ્પો પૈકીમાં શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય એમાં બે મત નથી.
અહીં વાત કરવી છે ગુજરાતમાં આવેલી કોલેજો, યુનિવર્સિટીઓ કે ઉચ્ચ શિક્ષણ આપતી અનેક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો સૌથી પહેલું પગથીયું કયું કહેવાય. આ સવાલનો જવાબ એ જ મળે કે ગુજરાત સેટ (જી-સેટ). ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર.
જી-સેટ પરીક્ષા હાલમાં પી.જી.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આપી શકે
જે યુવક યુવતિઓ હાલમાં માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ અથવા જેમણે માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વેલિડ યુનિવર્સિટીમાંથી મેળવી ચૂક્યા છે એ તમામ ગુજરાત સેટ પરીક્ષા આપી શકે છે. આ વખતે ગુજરાત સેટ (જી-સેટ)ની પરીક્ષા તા.29મી ડિસેમ્બર 2019ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંગેના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.
જી-સેટ (ગુજરાત સેટ) પરીક્ષાનું સમયપત્રક
Date of Examination
પરીક્ષાની તારીખ
29 December 2019
૨૯ ડિસેમ્બર ૨૦૧૯
Starting of Fee Collection
પરીક્ષા ફી ભરવાની શરુઆત ની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Fee Collection
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
Starting of Online Registration
ઓનલાઇન અરજી ફોર્મ શરુ થવાની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Online Application Submission
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી
તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
જી-સેટ માટે કયા કોર્સનું ક્યાં કનેકશન
ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ બાકીની બધી માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો
Land N.A.માં પેમેન્ટ પહેલા પ્રોવિઝનલ મંજૂરી પત્ર મળશે, ડેવલપરને ફાયદો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બિનખેતી (Land N.A.) ની કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિશે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઑનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઑનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઈનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં અરજદારને ઇન્ટિમેશન લેટરની સાથે એન. એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.
File Photo : A public meeting was held earlier this year regarding Land Reforms.
અરજદારનું વેરિફિકેશન ઓનલાઇન થવાથી બિનજરૂરી વિલંબ નહીં થાય
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજૂર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની રહે છે. આ ખરાઈ ઑફલાઇન થવાને કારણે તથા કોઈ કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આ કાર્યપદ્ધતિમાં સુધારો કરાતાં હવેથી ઑનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હકપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઑનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસૂલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઑનલાઇન ચકાસણી કરશે, જેથી ખેડૂત ખાતેદારની ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિનજરૂરી વિલંબ ટાળી શકાશે.
જમીન પર બેંક-મંડળીનો બોજો હશે તો તેના ઉલ્લેખ સાથે બિનખેતીની પરવાનગી અપાશે
મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે બિનખેતીની કાર્યપદ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા-લેવાના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તાપ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી. આ કાર્યપદ્ધતિમાં કરવામાં આવેલા સુધારા અંગે વધુ માહિતી આપતા કૌશિક પટેલે જણાવ્યું હતું કે, વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઈ અને માત્ર ઉપયોગનો હેતુ/સત્તા પ્રકાર જ બદલાતો હોઈ અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોઈ, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી/બૅંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે.
કેબિનેટ બેઠક દરમિયાન ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વીમા કંપની આગામી ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરશે, ઉપરાંત જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે એમ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત પર કુદરતની અસીમ કૃપા રહી છે. રાજ્યમાં ૧૪૪ ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ ઉમંગમાં હતા, પરંતુ અંતિમ સમયમાં ખેડૂતો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અકુદરતી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચારેય કંપનીઓને બોલાવીને ખેડૂતોને ‘પ્રધાન ફસલ બીમા યોજના’ની માર્ગદર્શિકા પ્રમાણે વળતર આપવાની સૂચના આપી છે. કૃષિ વિભાગના કર્મચારીઓ તરફથી પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો વીમા કંપનીઓને ફોનથી ફરિયાદ કરતા હતા. આ સમયે તમામ ખેડૂતોના ફોન કોલ લેવામાં આવતા ન હોવાની, તેમજ ફરિયાદ કરવા માટેનો સમય ખૂબ ઓછો હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. આથી રાજ્ય સરકારે ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવાની સૂચના આપી છે. ગુરુવારે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય કંપનીઓએ ૧૦ દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે. પછીના ૧૫ દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. આ ઉપરાંત ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને ૩૩ ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે તેમ જ અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી ૧.૫૭ લાખ અરજી મળી છે. જે પ્રમાણે ૨.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.
કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’
રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની પડખે ઉભી રહેવાના દાવા સાથે સરકારે કિસાનોની નુકસાની અંગે સર્વેક્ષણની મુદ્દત વધારીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર પર ફોન ન લાગવો અને લાગે તો રીસીવ ન થવાની અનેક ફરિયાદ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લામાં આ અંગે 22 હજાર જેટલી અરજી મળી છે. પરંતુ અમુક ખેડૂતો ફોન ન લાગવાના કારણે હજુ પાક નુકસાની મુદ્દે ચિંતિત છે. માવઠું એ ખેડૂતો માટે શ્રાપ સમાન બની રહે છે. પરંતુ સરકારની પધ્ધતિ ખેડૂતો સાથે મજાક’ સમાન હોવાનો રોષ પ્રવર્તી રહ્યો છે.
symbolic photo
પાક વિમો આપવામાં સરકારની રીતિ અને નીતિ ખોટી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા સર્વેક્ષણ માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરની” વ્યવસ્થા ગેરવ્યાજબી છે. કારણ કે, ટૂંકા સમયમાં આ પધ્ધતિમાં અનેક ખેડૂતો પોતાની રજૂઆત કરી શકતા નથી અને અંતે તેઓ પાક વિમાથી વંચિત રહેવાની શક્યતા છે. સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરતી હોય તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મામલતદાર તથા વિસ્તરણ અધિકારીઓ પાસે સર્વે કરાવે તો સચોટ સર્વે થાય તેમજ સાચી મહિતી મળે અને ખેડૂતોને નિષ્ફળ પાકનું પુરૂ વળતર મળી રહે.
રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.
આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.
વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
તળાજા પંથકના અનેક ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઘેટાંઓ ટપોટપ મરી રહ્યા છે. આશરે એકાદ હજાર ઘેટાંઓ મર્યાની આશંકા વચ્ચે પશુ ડોકટરોએ લોહી અને સિરમના સેમ્પલ લઈ રાજ્યની લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યાંથી રોગનો પ્રકાર જાણવા મળ્યા બાદ વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.
તળાજાના પાદરી(ગો)ના સરપંચ સુખુભા ગોહિલના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં પાંચેક માલધારીના 164 ઘેટાંઓ એકજ ગામમાં ભેદી રોગચાળાને લઈ મરી ગયા છે. પશુ દવાખાનાના ડોકટર ભૂતના જણાવ્યા પ્રમાણે આખો દિવસ તેઓ પોતાની નીચે આવતા પીપરલા, ઇસોર, દેવલી, તરસરા, પાદરી સહિતના ગામડાઓમાં ટપોટપ ઘેટાં મરી રહ્યા છે તેને બચાવવા માટે કામગીરી કરી રહ્યા છે. કરમિયા વિરોધી દવા આપી રહ્યા છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના ઘેટાંજ મરી રહ્યા છે.
રોગનો પ્રકાર જાણવા માટે અલગ અલગ જૂથના 38 ઘેટાંઓના લોહી, સિરમના સેમ્પલ લઈ અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.