CIA ALERT

ગુજરાત Archives - Page 102 of 158 - CIA Live

November 5, 2019
farmer.jpg
1min5740

 રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની પડખે ઉભી રહેવાના દાવા સાથે સરકારે કિસાનોની નુકસાની અંગે સર્વેક્ષણની મુદ્દત વધારીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર પર ફોન ન લાગવો અને લાગે તો રીસીવ ન થવાની અનેક ફરિયાદ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લામાં આ અંગે 22 હજાર જેટલી અરજી મળી છે. પરંતુ અમુક ખેડૂતો ફોન ન લાગવાના કારણે હજુ પાક નુકસાની મુદ્દે ચિંતિત છે. માવઠું એ ખેડૂતો માટે શ્રાપ સમાન બની રહે છે. પરંતુ સરકારની પધ્ધતિ ખેડૂતો સાથે મજાક’ સમાન હોવાનો રોષ પ્રવર્તી રહ્યો છે.

symbolic photo

પાક વિમો આપવામાં સરકારની રીતિ અને નીતિ ખોટી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા સર્વેક્ષણ માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરની” વ્યવસ્થા ગેરવ્યાજબી છે. કારણ કે, ટૂંકા સમયમાં આ પધ્ધતિમાં અનેક ખેડૂતો પોતાની રજૂઆત કરી શકતા નથી અને અંતે તેઓ પાક વિમાથી વંચિત રહેવાની શક્યતા છે. સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરતી હોય તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મામલતદાર તથા વિસ્તરણ અધિકારીઓ પાસે સર્વે કરાવે તો સચોટ સર્વે થાય તેમજ સાચી મહિતી મળે અને ખેડૂતોને નિષ્ફળ પાકનું પુરૂ વળતર મળી રહે.

November 5, 2019
maha.jpg
1min9160

રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.

આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.

વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

November 5, 2019
homes.jpg
1min7170

દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.

હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.

પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.

નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.

November 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5770

તળાજા પંથકના અનેક ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઘેટાંઓ ટપોટપ મરી રહ્યા છે. આશરે એકાદ હજાર ઘેટાંઓ મર્યાની આશંકા વચ્ચે પશુ ડોકટરોએ લોહી અને સિરમના સેમ્પલ લઈ રાજ્યની લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યાંથી રોગનો પ્રકાર જાણવા મળ્યા બાદ વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.

તળાજાના પાદરી(ગો)ના સરપંચ સુખુભા ગોહિલના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં પાંચેક માલધારીના 164 ઘેટાંઓ એકજ ગામમાં ભેદી રોગચાળાને લઈ મરી ગયા છે. પશુ દવાખાનાના ડોકટર ભૂતના જણાવ્યા પ્રમાણે આખો દિવસ તેઓ પોતાની નીચે આવતા પીપરલા, ઇસોર, દેવલી, તરસરા, પાદરી સહિતના ગામડાઓમાં ટપોટપ ઘેટાં મરી રહ્યા છે તેને બચાવવા માટે કામગીરી કરી રહ્યા છે. કરમિયા વિરોધી દવા આપી રહ્યા છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના ઘેટાંજ મરી રહ્યા છે.

રોગનો પ્રકાર જાણવા માટે અલગ અલગ જૂથના 38 ઘેટાંઓના લોહી, સિરમના સેમ્પલ લઈ અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

November 3, 2019
maha.jpg
1min6580

ગુજરાત પર મંડળાય રહેલા મહા વાવાઝોડાના ખતરામાં રોજેરોજ નવા ડેવલપમેન્ટ થઇ રહ્યા છે. મહા વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં સક્રિય છે, આજે આ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ઘારણ કરશે. હાલમાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ યથાવત છે. વેરાવળ બંદર પર બોટના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ હજુ પણ કેટલીક બોટ મધદરિયામાં છે.

તા. 6 નવેમ્બરે દીવ-દ્વારકાની વચ્ચે ટકરાય તેવી સંભાવના તા.3 નવેમ્બર 2019ના રોજ દેશના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

તા.3 નવેમ્બર 2019ની બપોરે જ્યારે આ લખાઇ રહ્યું હતું ત્યારે મહાવાવાઝોડું પૂર્વ સમુદ્ર તરફ જઈ રહ્યું છે પરંતુ, તેની પેટર્ન જોતા સોમવાર તા.4 નવેમ્બરે તે કર્વ લઈને ગુજરાત તરફ ફરી ફંટાશે.

ગુજરાત પર હવે ફરીથી વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે ત્યારે પવનની ઝડપ 100 કિ.મીથી 110 કિ.મી. રહેશે. હવામાન વિભાગના મતે 6 નવેમ્બરના મધરાતે તેમજ 7મીના વહેલા વાવાઝોડું ગુજરાતને ઘમરોળી શકે છે.

November 2, 2019
bolbala.jpg
1min7310

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ ગરીબો સુધી ભોજન પહોંચી રહે તે માટે એક ઉમદા વિચાર અમલમાં મૂકીને ગરીબો માટે ફૂડ ડિલિવરી સર્વિસ ચાલુ કરાઈ છે. જેનાથી ગરીબોને ગરમાગરમ ભોજન મળી રહેશે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરાઈ છે.

હાલ 9 સ્કૂટર દ્વારા ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરાઈ છે. એનજીઓ દ્વારા કૂક, ડિલિવરી બોય તેમજ ફોન રિસિવર અને કો-ઓર્ડિનેટર્સ માટેના 22 લોકોને કામ પર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોઈપણ 2237000 અથવા 9374103523 નંબર પર ફોન કરીને પોતાનું એડ્રેસ આપશે તેની મિનિટોમાં તેના સુધી જમવાનું પહોંચી જશે. જે સ્કૂટરથી ડિલિવરી કરાશે તેમાં રખાયેલું જમવાનું ગરમ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જમવાનું આપવામાં આવશે અને ફોન કર્યાના વધુમાં વધુ એકથી દોઢ કલાકની અંદર જમવાનું પહોંચી જશે.

ટ્રસ્ટ 15 કિમીના વિસ્તારમાં ભોજન પહોંચાડશે. જો શહેરના બહારના વિસ્તારમાંથી ફોન આવશે તો તેમના સુધી પહોંચવા પણ ડિલિવરી બોય પ્રયાસ કરશે. ફોન કરનારા કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ખિચડી કઢી અને ભાખરી પહોંચાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાનું વાસણ ન હોય તો તેને ડિલિવરી બોય પેપર કે થર્મોકોલની ડિશ પણ આપશે.

હાલ રોજના 200-250 લોકોને આ રીતે ફ્રીમાં જમાડવામાં આવી રહ્યા છે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓ તરફથી સૌથી વધુ ફોન આવી રહ્યા છે. હાલ ટ્રસ્ટને સરકારની કોઈ સહાયતા મળતી નથી પરંતુ દાતાઓ તરફથી જે ડોનેશન મળે છે તેમાંથી જ તેનો ખર્ચ કાઢવામાં આવે છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

November 2, 2019
nutfarmars.jpg
1min4860
file photo

રાજકોટ શહેરના માર્કેટ યાર્ડમાં તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે સવારથી જ કપાસ અને મગફળીના જથ્થા ભરેલા વાહનોનોની કતારો લાગી ગઇ હતી.

રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૦થી ૯૦ હજાર ગૂણીની આવક થતા મગફળીની આવકો બંધ કરાતા હરાજી બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

યાર્ડમાં રોજની ૨૦થી ૨૫ હજાર મગફળીની ગૂણીનું વેચાણ થાય છે. પડતર મગફળીના જથ્થાનું ક્રમશ: વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૮૫૦થી ૧૦૦૦ સુધી મળ્યા હતા. તેમ જ ૬૬ નંબર મગફળીના ભાવ ૧૩૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાઇ હતી.

દિવાળી બાદ મગફળીના ભાવમાં ૧૫થી ૨૦ રૂપિયાનો સુધારો થયો છે. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૧૦ થી ૧૨ મણની આવક થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૯૫૦થી ૧૧૨૦ રૂપિયા ભાવ રહ્યા હતા. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કુલ અઢી લાખ ગૂણીની આવકો થઇ છે. કમોસમી વરસાદને કારણે આવકો ઘટી છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ આવકો વધશે તેમ જ દિવાળી બાદ મગફળીના ભાવમાં વધારો થતા ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા જાગી છે.

લાભપાંચમથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઇ ચૂકી છે. રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ થઈ જાણ કરવામાં આવી છે. પહેલા દિવસે એક કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ટેકાનો ભાવ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૧ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઇ રહી છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળી ખરીદવામાં આવશે. કુલ ૮૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. હવાનું પ્રમાણ વધુ છે, ૩૫ કિલો ભરતી નથીના બહાના આપી હેરાન કરવામાં આવે છે. ધોરાજીમાં ૭૦૮૦ અને ઉપલેટામાં ૯૫૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૦ ખેડૂતોની મગફળી ખરીદવા આવે તો એક વર્ષે પણ ખરીદી ન થાય, યોગ્ય રીતે ખરીદી નહીં થાય તો કૉંગ્રેસ આંદોલન કરશે.

November 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5660

ક્લાઉડી ક્લાઇમેટથી કંટાળ્યા, લોકો હરવા-ફરવાનો મૂડ બગડી ગયો

દિવાળી, નવા વર્ષ જેવા પર્વો વરસાદી માહોલ અને સતત ક્લાઉડી ક્લાઇમેટમાં ગુજાર્યા બાદ હવે લાભ પાચમ અને દિવાળી વેકેશનના છેલ્લા ફેઝમાં પણ સતત વાદળછાયું વાતાવરણ, ઝરમરીયા વરસાદી માહોલથી લોકો કંટાળી ચૂક્યા છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં આ માહોલ છે. શનિવારે સવારે સૂરતીઓ ઉઠ્યા ત્યારે એટલો વરસાદ હતો કે જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય. સતત ક્લાઉડી ક્લાઇમેટને કારણે સૂરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રવાસીઓ, મુંબઇગરા સમેતના લોકો કંટાળ્યા છે અને સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી રહ્યા છે કે હવે આ વરસાદ ક્યારે બંધ થશે

દિવાળી પછી લોકો હરવા ફરવાની મજા ઉઠાવતા હોય છે પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં પહેલા ક્યાર નામનું વાવાઝોડું અને હવે મહા નામનું વાવાઝોડું વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂસવાટા ભર્યા પવનનો માહોલ સર્જી રહ્યું હોઇ, હરવા ફરવાની મજા ફિક્કી પડી રહી છે.

ગુજરાત, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હજુ ચોમાસું પૂરું થયું જ નથી એ રીતે આ વર્ષે વરસાદથી રાહત મળવાના કોઈ ચિહ્નો હાલ તુરત દેખાતા નથી. પાછોતરા વરસાદે મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ‘ક્યાર’ વાવાઝોડું આવ્યું. અને મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અરબી સમુદ્રમાં ફરી ‘મહા’ વાવાઝોડું સર્જાયું છે અને આ વાવાઝોડું ૧થી ૮ નવેમ્બર સુધી સક્રિય રહેવાનું છે. શુક્રવાર તા.1લી નવેમ્બર 2019 પછી બપોર પછી રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. મોડી સાંજે મુંબઈમાં પણ વરસાદ ત્રાટક્યો હતો અને આને કારણે નાગરિકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સમુદ્ર તોફાની હોવાથી માછીમારોને સમુદ્રમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાવાઝોડાની અસર આગામી સાત દિવસ સુધી મહારાષ્ટ્ર-ગુજરાત, કર્ણાટક અને ગોવા રાજ્યમાં અનુભવવા મળશે.

ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને ક્યાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. પાછોતરા વરસાદઅને ‘ક્યાર’ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના હજી સુધી પંચનામા થયા નથી, ત્યાં ફરી એક વખત ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. પુણે વેધશાળાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે પુણેમાં ૬ અને ૭ નવેમ્બરે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું ૪૦-૬૦ કિલોમીટરની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સમુદ્રમાં ૮-૧૨ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

November 1, 2019
cmat.jpg
2min8470

MBA કરવા ઇચ્છતા કોઇપણ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા ઉમેદવારોએ CMAT આપવી અનિવાર્ય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા એવા યુવક યુવતિઓ કે જેઓ મેનેજમેન્ટ કોલેજ, બી સ્કુલ્સમાંથી એમ.બી.એ. કરવાની ઇચ્છા ધરાવે છે એમના માટે એક માત્ર અને અમૂલ્ય તક આવી ગઇ છે.

ગુજરાતની એમ.બી.એ. કોલેજ સમેત સમગ્ર દેશની મોટી ભાગની બી સ્કુલ્સના એમ.બી.એ.માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે CMAT પ્રવેશ પરીક્ષાનો સ્કોર જરૂરી છે. CMATના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બને છે અને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CMAT 2020નું સમયપત્રક જાહેર કરી દીધું છે અને CMAT 2020 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે.

CMAT 2020 માટેની લાયકાત શું

હાલમાં ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા કોઇપણ કોલેજના વિદ્યાર્થીઓ CMAT 2020 માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. CMAT માટે ઉંમરનો કોઇ બાધ નથી. ભૂતકાળમાં કોઇપણ વર્ષે ગ્રેજ્યુએટ થયા હોય એવા ઉમેદવારો પણ જો ઇચ્છે તો CMAT 2020 પરીક્ષા આપી શકે છે.

CMAT 2020 નું પ્રોસ્પેક્ટસ નીચેની લિંક ક્લીક કરીને ડાઉનલોડ કરી શકો

https://cmat.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=99&iii=Y

November 1, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5580

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ, બે વખત મૌકૂફ રહી ચૂક્યા છે નિયમો

દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકારે લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે ૩૧મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી.

સરકારે આપેલી છૂટ પૂરી થતાં આજરોજ તા.1લી નવેમ્બર 2019 ને લાભપાચમથી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરમાં ૬૦ પોઇન્ટ પર એન્ફોર્સમેન્ટ ટીમ મુકાશે. આ ટીમ લાઇસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ સહિતના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કરશે, આ સાથે જ નંબર પ્લેટ માં ફેરફાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

SBI (State Bank of India) બચત ખાતા પર વ્યાજદરમાં ઘટાડો : ક્રમશ બધી બેંકો આવું કરશે

SBIએ 9મી ઓક્ટોબરના રોજ કરેલી જાહેરાત પ્રમાણે એક લાખ રૂપિયા સુધી ડિપોઝિટ પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા કરી દેવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBI (State Bank of India)એ આજથી ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડ્યા છે. બેંકના આ નિયમને કારણે 42 કરોડ ગ્રાહકો પર સીધી અસર પડશે. એક લાખથી વધારે ડિપોઝિટ પર વ્યાજ દર (Deposit Interest Rate)ને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે.

ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય

દેશના લાખો વેપારીઓ માટે તા.1લી નવેમ્બર 2019થી પેમેન્ટના નિયમોમાં મહત્વના ફેરફાર કરાયા છે. નાણા મંત્રાલય પહેલી નવેમ્બર 2019થી પેમેન્ટ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત વેપારીઓએ હવેથી ડિજિટલ પેમેન્ટ (Digital Payment) લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત ગ્રાહક કે પરચૂરણ વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ ચાર્જ કે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે નહીં.

મહારાષ્ટ્રમાં બધી બેંકોનો સમય એક સમાન, સવારે 9થી 4 સુધી કાર્યરત રહેશે મહારાષ્ટ્રની બેંકો

આજરોજ તા.1લી નવેમ્બર 2019થી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામેતમામ બેંકો માટે નવું ટાઇમ ટેબલ લાગૂ કરવામાં આવ્યું છે. આજથી મહારાષ્ટ્રમાં બેંકો એક જ નિર્ધારિત સમયે ખુલશે અને બંધ થશે. નવા ટાઇમ ટેબલ પ્રમાણે મહારાષ્ટ્રમાં બેંકો સવારે નવ વાગ્યે ખુલશે અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. કેટલીક બેંકોનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો રહેશે.